સર્જનપ્રક્રિયાનો નશો અને નકશો – જગદીશ જોષી

ભણકારા

બ. ક. ઠાકોર

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,

ગુજરાતી કવિઓના કાવ્યગુરુ સમા બ. ક. ઠાકોર કવિતા વિશેની પોતાની વિભાવના દર્શાવતું કાવ્ય આપણને ન આપે તો જ નવાઈ. આ કવિ-વિવેચક માટે ‘કાવ્યબોધ એ આત્મબોધનો જ પર્યાય ગણાય.’ પોતાની જાત જોડે ઊર્મિમય વિચાર સાથે વાતો કરતાં કરતાં સર્જનપ્રક્રિયાનો મન:પૂત નકશો દોરતા હોય એમ આ કાવ્ય આપણને કવિ આપે છે ને તે પણ ઓગણીસ વર્ષની યુવાન વયે!

તે વખતના સમર્થ સર્જકોનો વિચાર કરીએ તો આ કવિ-વિવેચક એક અનોખું અને આગવું સ્થાન ભોગવે છે. નર્મદમાં જુસ્સો, કલાપીમાં અંગત આવેશનો જુવાળ, ન્હાનાલાલમાં ભાષાને લાડ લડાવવાની અનેરી ભભક, કાન્તમાં ભાષાનું લાલિત્ય અને સફાઈ… આ બધાની વચ્ચેથી બ. ક. ઠાકોર એક શુદ્ધ કલાનિષ્ઠ કર્તા ‘શુદ્ધબુદ્ધિપૂત વિચારમય ઊર્મિ’ના પુરસ્કર્તા તરીકે સજાગ અને સભાન કલાકાર તરીકે તરી આવે છે.

વિચારપ્રધાન કવિતાના આગ્રહી કવિનું આ સૉનેટ જોઈએ. ‘આઘે ઊભાં’માં કોઈ એસ્થેટિક ડિસ્ટન્સનો સંકેત છે, જ્યારે ‘નીંદ સેવે’માં વૃક્ષો — જ્ઞાન અને કલ્પનાનાં પ્રતીકો — જાણે નીંદરઘેર્યાં હોય અને કવિચેતના એક નીરવ શાંતિનો મહિમા કરતી હોય એમ એ નીંદને ‘સેવે’ છે. આ શાંતિનું અભાન સેવન જ કદાચ સર્જનનું સાચું રહસ્ય હોય. સ્વપ્નના સ્મિત જેવું રેવા નદીનું શાંત વહન છે. છતાં કોઈ પણ સર્જન મટે હૃદયનું સ્પંદન તો આવશ્યક છે જ. એટલે સુપ્ત વારિ પણ સ્તનધડકની જેમ ઊંચાનીચાં થાય છે. સ્તનો ઉપરનો તલ જેમ સ્તનથી અવિભાજ્ય એમ આ શાંત પાણીમાંની નૌકા પણ જળનું અવિભાજ્ય અંગ એવો સંકેત આ ઊર્મિરસાયણના કવિ આપતા હોય એમ લાગે છે.

વિચારપ્રધાન કવિતાના પુરસ્કર્તા, કલામાં કસબનો આગ્રહ સેવનાર અને કાવ્યપાઠને ફરી ફરી સુધારવાની સજાગતા દર્શાવનાર આ કવિ અંતે મહિમા તો કરે છે નૈસર્ગિકતાનો. ‘મ્હારી’માં મૌલિકતાને બિરદાવ્યા પછી આ નાવ જળના તરંગોમાં ‘મેળે’, આપમેળે પડે-ઊપડે છે. સૂતેલી સૃષ્ટિ ઉપર જ્યોત્સ્નાની ‘નરિ’ અનાચ્છાદિત કાન્તિ જોઈને પોતાના જ રૂપથી પોતે શરમાતી જ્યોત્સ્ના વાદળાંરૂપી વસ્ત્રોનું શરણ શોધી લે છે. (આ પંક્તિઓ વાંચતાં કાન્તનો ‘સ્નેહઘન કુસુમવન’ પ્રયોગ યાદ નથી આવતો?) કુસુમ ‘વન’ એક કહે છે તો બીજો કવિ કુસુમ- ‘વસન’ કહે છે. સર્જનપ્રક્રિયાના સંદર્ભમાં જોઈએ તો આ ‘નરિ’ એમ પણ સૂચવે છે કે સર્જન માટે કલાકારે કોઈ પણ વાદ કે વિવાદના પડછાયા વગર પોતાના ભીતરને સંપૂર્ણપણે વફાદાર રહેવું જોઈએ. પોતાના મનોગતને કોઈ પણ આવરણ વિના પ્રકટ કરવું જોઈએ. ‘બીડેલાં કમલ’માં બંધાયેલો સૌંદર્યઘેલો ભ્રમર (કે કવિ પણ) સૌંદર્યના અનુભવની પકડનો અનુભવ કરે છે.

સોનેટનું અષ્ટક શરૂ થાય છે. ‘આઘે’થી, ષટ્ક પ્રારંભ પામે છે ‘ત્યાં’થી. ‘ત્યાં’માં સૌંદર્યરસિત સૃષ્ટિના આહ્લાદક વાતાવરણની વાત તો છે જ, પણ કદાચ પેલો એસ્થેટિક ડિસ્ટન્સનો પણ અણસાર મળી રહે છે. કવિ ‘લવે’ છે, બોલે છે એમ નહીં. ‘નવલ’માં પણ નવીનતા, મૌલિકતા અને ‘અનાયાસ છંદ’ પણ અર્ધા જ છે. એટલે બાકીના અર્ધામાં આયાસની, પ્રયત્નની (પરસેવાની) પણ અપેક્ષા ખરી જ. ત્યાં ‘આ શી’નું વિસ્મય! કવિતા રચાઈ જાય પછી પણ કવિ પોતે વિસ્મયનો અનુભવ નથી કરતો? કવિતા સકળ ભલે હોય પણ અંતે તો એ નારીની જેમ અકળ અને રહસ્યમયી જ રહે છે.

કવિકર્મનો વિશેષ તે કવિની પોતીકી ભાષા, પોતીકો અવાજ, પણ આ ‘ભીની બાની’ અંતરમાં ઝમે છે તે પણ કેવી ‘છાની’માની — જેમ પુષ્પો અને પત્રો ઉપર હિમનાં મોતી અણજાણ રીતે ઝમે છે એમ જ. ‘શકવર્તી’ કૃતિઓની વાત કરતાં સુન્દરમ્ કહે છે તેમ ‘નવા સર્જનાત્મક આવિર્ભાવના પ્રથમ ‘‘ભણકાર’’ જેવી’આ કૃતિ છે. કવિતા વિશેનું આ કાવ્ય બ. ક. ઠાકોરના કે કવિતાના, કોઈ પણ અભ્યાસી માટે અનિવાર્ય છે.

૧–૮–’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book