થોડો એક તડકો : ક્ષણના સાક્ષાત્કારનું કાવ્ય — કિશોર વ્યાસ

કવિના ભર્યાભર્યા વિસ્મયની રમણા આ ગીતમાં પ્રકટ થઈ છે. કવિ કંઈક નોખું જુએ, વિશિષ્ટનું દર્શન કરે એ તો બરાબર, પણ એ આગવા અનુભવને પ્રત્યક્ષ કરી દેતી ભાષાશક્તિથી કવિ સમયસંદર્ભમાં યાદગાર બની રહે. પ્રકૃતિનાં વિધવિધ રૂપોને પ્રકાશિત કરી આપતી પ્રત્યેક ભાષાની કવિતા જન્મતી-મરતી તો હોય છે પણ એ ટકી રહે છે કવિના વિસ્ફારિત થતાં ચક્ષુથી! પ્રકૃતિના રૂપને ભવ્યાતિભવ્ય બનાવતી કવિવાણી સૌંદર્યના જેમ મરોડ રચે છે એમ કાવ્યરચનાનું સૌંદર્ય પણ અહો બત્ કીમ આશ્ચર્યમ્ના આયામ વડે આપણી સામે આવતું હોય છે. પ્રકૃતિના દર્શન-વર્ણનમાં પણ સમર્થ કવિનો હાથ ઓળખાયા વિના રહે નહીં. તડકાની નોખી નોખી છટાઓને પ્રકટાવતી એકથી વધુ રચનાઓ આપણને કવિ ઉમાશંકર જોશી પાસેથી સાંપડે છે. જેમ કે:

‘વાદળી તડકો ખમે ને છાંયો પાથરે’.        (આતિથ્ય)

‘મેં તો ડાળીભરેલો દીઠો શ્રાવણનો તડકો’        (વસંતવર્ષા)

‘હેમંતનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.’         (અભિજ્ઞા)

તડકાનાં આવાં આગવાં દૃશ્યચિત્રોથી જણાય છે કે કવિએ તડકાને આકંઠ પીધો હશે. અહીં તો કાવ્યનું શીર્ષક જ ‘થોડો એક તડકો’ છે. ઝાઝો નહીં, એમ સાવ ઓછો પણ નહીં. ભાષાના કેટલાક પ્રયોગો — શબ્દો એવા રૂઢ થયેલા હોય કે એમનો અનુવાદ કરવા જઈએ તો એના સાચા રૂપને પ્રકટ કરી ન શકાય. ‘થોડો’એ આપણી ભાષાનો એવો જ એક શબ્દ. સળંગ પંક્તિને જોઈએ તો એમાં કવિના વિસ્મયની અવધિ પ્રકટ થઈ જાય છે. ‘થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી’ પંક્તિમાં ચપોચપ બેઠેલો ‘ઢોળાઈ ગયો’ શબ્દ જુઓ. ઢોળાયો નહીં પણ, ઢોળાઈ ગયોમાં અનાયાસ થઈ જતી ક્રિયાનું કેવું તો રમ્ય નિદર્શન છે! રચનાની એ પછીની પંક્તિઓ આ વિસ્મય કેમ, ક્યારે ઝિલાયું એનું વર્ણન આપે છે. કાળાં ભમ્મર વાદળાં છવાયાં હોય, સાંજની ઘનઘેરી છાયા ઢળી ગઈ હોય ત્યારે સૂરજ તો ક્યાંય દૂરદૂર છુપાઈને બેસી ગયો હોય. એવા વખતે જરા જેટલા તડકાની પણ આશા કેવી? પણ ત્યાં જ ઓચિંતી આવી ચઢેલી વાયુલહેરી વાદળાંઓમાં જાણે તડ પાડી દે છે ને એ ક્ષણે આભથી થોડો તડકો ઢોળાઈ જાય છે! આ વર્ણનમાં તડકો જાણે દ્રવ્ય રૂપ ધરતો હોય, પ્રસરતો હોય અને આપણા સુધી પહોંચે, ન પહોંચે ત્યાં તો ફરી ઘનઘેરી છાયામાં આ સઘળી માયા અલોપ થઈ જતી હોય એનો અનુભવ બહુ ત્વરાથી આપણે પામીએ છીએ. એ થોડો એક તડકો છે. ઝાઝો બધો હોત તો એનું આ રમ્ય રૂપ નજરમાં ન આવત. રંગનાં છાંટણાં સમો આ તડકો ઓચિંતો, અચાનક જે રીતે ઢોળાયો એનું વિસ્મય કાવ્યનું કેન્દ્ર બની જાય છે.

આ રચનાની પહેલી ચાર પંક્તિઓમાં તડકાના ઢોળાવાનું સ્થિર વર્ણન છે જ્યારે એ પછીની પંક્તિઓમાં આભથી થોડો એક તડકો ઢોળાઈ ગયા પછીની ગતિ આલેખાઈ છે. તરુઓની ડાળીઓ પડતા તડકાને ઝીલી લે, પાંદડાંની લીલી કટોરીઓમાં એ તડકો ખીલી ઊઠે અને ઊડતા પંખી નહીં પણ એની પાંખો એ તડકાને ભરી લેવાનું ઇજન આપે એમાં પ્રકૃતિના આ વિસ્મયને ચોખૂણેથી પામવાની તત્પરતા ઝિલાયેલી છે. આટલે સુધી કવિ પ્રકૃતિના એક અચાનક જ બનતા ચમત્કારને પ્રકૃતિતત્ત્વો સાથે ગૂંથે છે પણ એ પછી કવિનો પોતાનો, સ્વયંનો પ્રવેશ થાય છે.

વૃક્ષો, પાંદડાં કે પંખીઓની પાંખ જે ઢોળાઈ ગયેલા તડકાને ભરી લેવા તત્પર છે ત્યારે કવિ શું કરે છે? કવિ કહે છે:

‘કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી’

થોડા એક તડકામાંથી ‘કૈંક’ને ઝીલવામાં કવિએ તો શબ્દમાત્રનો જ ફેરફાર કર્યો પણ એ પરિવર્તનથી અનુપમ અર્થ મળ્યો. થોડામાંથી થોડું સારવી લેવાની કવિત્પરતા કવિના ભાષાસામર્થ્યથી આગળ ધસી આવે છે. આ કૃપાપ્રસાદ ભલે થોડો હશે, પણ મથી મથીને થયેલી એ પ્રાપ્તિ જ જિંદગીને સાર્થક્યનો અનુભવ આપે. કવિ આ તડકાને હૈયે ઝીલે છે. સ્વીકાર-અસ્વીકારની મથામણમાં થોડો એક તડકો જ ઝિલાયો. અચાનક સાક્ષાત થઈ ઊઠતી પ્રકૃતિની એક અલભ્ય ક્ષણને હજુ કવિ ઝીલે-સ્વીકારે ત્યાં તો એ વિશ્વરૂપ ફરી વાદળાંઓમાં સંતાઈ ગયું. ઊડતાં પંખીની પાંખ તો ‘તડકો ભરી લ્યો’ એમ કહી દે છે પણ મથી મથીનેય પ્રકૃતિના આ રૂપને ‘કૈંક’ જ ઝીલી શકાય છે એમાં પ્રકૃતિતત્ત્વ સામે મનુષ્યજીવનની અપૂર્ણતા પ્રકટ થઈ છે.

કવિની આ રચના એક ક્ષણના ચમત્કારને, એ ક્ષણને અપૂર્વ રીતિએ વર્ણવે છે. ક્ષણના સાક્ષાત્કારને મૂકી આપતી આ રચના પ્રકૃતિની પ્રક્રિયા અને પરિણામને આગળ ધરે છે. કવિએ ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ એમ કહ્યું છે એની પ્રતીતિ આ રચનામાંથી જડે છે.

(આત્માની માતૃભાષા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book