ઉમા-મહેશ્વર વિશે – હસિત બૂચ

રામનારાયણ વિ. પાઠક

ઉમામહેશ્વર

અરે ભોળા સ્વામી!’ પ્રથમથી હું જાણતી હતી,

શિખરિણીમાં ઘરેળું તેય મીઠી ઘરેળુ વાતચીતની છટાને સળંગ બહલાવતું આ કાવ્ય એમાંની બુદ્ધિપ્રભા અને હૃદયપ્રભાની સુભગ મેળવણીથી આકર્ષક અને યાદ રહી જાય એવું થયું છે. વસ્તુ-સંદર્ભ ખ્યાત, છતાં એમાં સર્જાએલો અહીંનો કાલ્પનિક સંદર્ભ નૂતન હોઈ ભાવકને ચિત્તે ઝબકે એમ છે. કિંતુ એ ઝબક ચિત્તમાં પ્રસારી રહે છે, ઉલ્લસિત માધુર્ય—સભર સંવાદિતાની આભા. ‘વિશ્વે આખે’—એ અંતની કડીનો નિર્દેશ પ્રણયભરતીના માંગલ્યને સરસ ઈંગિતે છે. એ ઇંગિતનો ‘એ આશ્લેષે વિષ જગતનું સાર્થક’ એવો ઘુંટાતો ઉદ્ગાર કાવ્યના વર્ણન-ભાવાદિને ચિંતનના પુટે કુશલ રીતે સમગ્રત્વ અર્પે છે.

કાવ્યની ભાવલીલા અને એની વર્ણનકલા સંવાદ – ગોષ્ઠિના રૂપે અંકિત કરવામાં કવિસૂઝે વાતાવરણ, કાવ્યપ્રસંગાનુરૂપ વાતાવરણ સર્જી લેવાની નેમ સરસ કામે લગાડી કહી શકાય. ઉમા-મહેશ્વરના યુગલને રીસામણા-મનામણાના મીઠા એકાન્તે વાત કરતું રજૂ કરી, એમાં ક્યાંય પોતાનો ઓળો ન આવવા દઈને કવિએ રચનાના નાટ્યસ્વરૂપને આબાદ આકારિત કર્યું છે. એ જોતાં છેલ્લી બે લીટીનું કર્મ—ભાવકના કાનમાં કવિવચન સેરવવાનું કર્મ પણ નાટ્યરૂપની એક છટા જ બને છેઃ ‘ભરતવાક્યમ્’ જેવી, કહો તો કોરસના પ્રતીક જેવી. એ નોંધવું ઘટે છે, કે સંવાદમાં તરતાં પાત્રો પછી આમ કવિ આવે છે—પ્રગટતા પ્રવેશી છે, છતાં કાવ્યની હવા આછી તો થતી નથી જ, બલકે એ યથાર્થ ગંભીર પ્રસન્ન જામે છે.

ઉમા-પાર્વતીના મહાદેવ પ્રત્યેના ઉદ્ગારથી કાવ્ય આરંભાય છે, કે તમે સમુદ્રમંથનમાં છેતરાશો, બીજા દેવો એમાંથી મનગમતું લેશે, અમૃત પીશે, એ તો ‘પ્રથમથી જ હું જાણતી હતી.’ આમાં ‘ઠગવાનો છો જી’ની સ્ત્રી-ઉક્તિનો ભાવચિતાર આકર્ષે જ, ઇન્દ્રે ઊર્ધ્વકર્ણ અશ્વશ્રેષ્ઠ ને જગતકૌતુક જેવો ઐરાવત લઈ જાય! કૃષ્ણે લક્ષ્મી લીધી અને હિમશ્વેત શંખ લઈને અમૃતનાં કિરણોનો શશિયર તરતો મૂક્યો! ‘તમને છેતરી’ ‘બધાએ ભેગા થઈ…’ પીધું અમૃત! પુરુષ… પ્રીતમ રૂપે મહેશ્વર અધવચ જ કહી લે છે, કે સમુદ્રના અમૃતની તે વળી શી કિંમત છે, જ્યાં ‘અનુપમ સુધા આ અધરની’ મુજ ભાગ્યે સચિંત જ હોય!

‘રહો, જામ્યા એ તો જગ મહીં બધે છેતરઈને/શીખ્યા છે. આવીને ઘરની ધરૂમી એક ઠગતાં’ …એ માનુની, ચતુર પ્રેયસી ઉમાનો વળતો બોલ ચાતુર્ય અને હેતને ફાંકડાં વણી લે છે. ‘રહો,’ ‘જાણ્યા એ તો,’ ‘છેતરઈને,’ ‘ધરૂણી’ જેવો સ્ત્રીની બોલચાલી રંગ મસ્ત લહેરે છે. સંસ્કૃવૃત્તને ગુજરાતી કવિ કેવો સફળ ખેડતો હોય છે, એનું યે અહીં સૂચન છે. બીજું તો ઠીક, પણ તમે વિષ કેમ પીધું-ઉષાપૃચ્છાએ આવતો મહેશ્વરજવાબ ઘરેળુ અદાથી ઊપડી, વાણી તેમજ કલ્પનાની રોનક સુંદર રૂપે ઝળકાવે છે, ‘…મંથન સમે, દીઠી મેં આલિંગી જલનિધિસુતા’ કૃષ્ણ-શબ્દ ઊંડેથી મલકે જ— ‘કૃષ્ણ’ શબ્દનો શ્લેષ સુભગ થયો છે. કૃખ્ણદેહે આલિંગેલી લક્ષ્મી!—ઉમાહૈયાનું સ્પંદન મહેશ્વરના મનથી છાનું ન રહ્યું હોય આ ક્ષણે! કાળા કંઠે લક્ષ્મીનો સુભર કર! ‘મને મારા કંઠે મન થયું એ રંગ ધરવા!’–કહેતા મહાદેવ તેથી પુરુષને ફાવતી અને સ્ત્રીને ગમતી પહેલની ટહેલ નાખે છે, કે તું યે, તારો રમ્ય હાથ, વિધવાને શ્યામનીલ મારા કંઠે મૂકી તો જો! તારો બાહુ ધનમાંની વિદ્યુતશો, ન શોભે તો કહેજે!

કવિ અહીં જ ભાવકને અને પોતાને ખેસવી લે, આંખ ત્યાંથી ખસેડી ને ભાવકને કાને માત્ર કહે, કે એ આશ્લેષે–આલિંગને જગતના વિષે આ પોતાની હયાતી કૃતાર્થ લેખી એવો, ‘વિશ્વે આખે પ્રણયઘન નિઃસીમ ઉલટ્યો.’ પ્રણયનિરૂપણની વ્યંજાનની દૃષ્ટિથી યે આમ કવિનું હવે બોલવું કલાસાધક છે.

(ક્ષણો ચિરંજીવી)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book