મોરપીંછનાં તીર – જગદીશ જોષી

મારું ગામ

મનહર તળપદા

વહેલી પરોઢની ગાડીના પાવામાં પડઘાતું જાય મારું ગામ,

જેમ શબ્દને પોતાનો આગવો અધ્યાસ હોય છે તેમ વ્યક્તિ, પરિસ્થિતિ, અવાજ, દૃશ્ય સૌ પોતપોતાના અધ્યાસના નાનકા નાનકા ક્યારા રચી લઈને આપણી સ્મૃતિના માળે બેસી જતા હોય છે. ગાડીનો પાવો સાંભળો… અને કાનને અથડાયેલો એ શબ્દ અનેક ચિત્રોથી આંખને અને મનને ઘેરી વળે છે.

કોઈ કારણથી પ્રેરાઈને અથવા કોઈ કારણથી વહેરાઈને માણસ ગામ છોડે છે; પણ ગામ એને છોડતું નથી — છઠ્ઠીના ધાવણની જેમ શહેરની ડામરિયા સડકો ક્ષણમાં ઓગળી જાય છે અને માણસનું મન પોતાના વતનનાં દૃશ્યોમાં ભૂલું પડી જાય છે. આવા અતાગ અને અતૂટ માયાવરણને કારણે જ પ્રહ્લાદે પૂછવું પડે છે કે ‘ક્યારે બાંધી લીધો’તો મને આમ?’ અથવા ‘પાંજે વતનજી ગાલ્યું’ને સુંદરજી બેટાઈએ ‘અનેરી’ કહેવી પડે છે! વિહાર કરવા માટે સ્મૃતિને તો થોડોક અમથો આધાર ખપે. ગાડીનો અવાજ સંભળાય અને ત્યાં તો આખું ગામ પડઘાતું જાય… તાણ્યો વેલો થડ થઈને થોભે!

પણ ગામ એટલે? ડુંગર, ડાંગર, આંબલીપીપળી, સીમ, ત્યાંનો તડકો, રમતગમતનાં શૈશવી ચિતરામણ. કહો કે અહીં તો કેટલીયે પરીકથાઓ આંખમાંથી આંસુ થઈને દડી ગઈ હોય છે. બાળપણમાં ઘુમાવેલા ‘ભમ્મરડા’ને આપણા મનની દોરી હજીયે વીંટાયેલી જ રહી છે!

કવિને પાવો સંભળાય છે તે સભાનતામાં વહેલી પરોઢના સ્વપ્નમાં? કે પછી હવે તો ગામ એ કેવળ સ્વપ્ન જ છે? પહેલી પંક્તિમાં ‘પડઘાતું જાય’ કહ્યા પછી કવિ આ કાવ્યમાં અવાજના કેવા કેવા આકારો-આંદોલનો વર્તુળાવે છે તે જોવા જેવું છે. ‘ડુંગરના ડચકારા’ અને ‘ભાંભરતી’ સીમ! આકરા તાપ માટે તડકાને ‘માથોડું નીર’ કહીને માપ્યો છે એમાં તો પ્રતિરૂપને કવિ માથાબોળ રૂપમાં તરબોળ કરે છે. નીંભર બપ્પોરના તાપને સીંચૂડાના અવાજથી સળવળાવતું કે એ બપ્પોરને આંબલીપીપળીની છાયામાં રમાડતું શૈશવ દાવ પૂરો થાય એ પહેલાં જ ખોવાઈ ગયું! જીવનના અટપટા દાવપેચમાં પેલો ‘દાવ’ પૂરો થયો જ નહીં અને એટલે જ પેલું નાજુક, નમણું, કનૈયાનાં જુલફાં જેવું મોરપીંછ દેખાય છે અને આંખોમાં તીર અથડાય છે! મોરપીંછને ‘આંખોનાં અથડાતાં તીર’ કહીને કવિ એક્કીસાથે સ્મૃતિની સબળતા અને પરિસ્થિતિજન્ય નિર્બળતાને વેદનાની કેવી રંગીનીથી ફરકાવે છે… અને ‘મેંદી ભરેલું’ કોઈકના નામને ટહુકતું રાખવા માટે હૃદયને પથ્થરની કોર જેવું બનાવી દેવું પડે છે. કોઈનું નામ જ્યારે દરિયાનાં મોજાંની ત્વરા અને તીવ્રતા સાથે અથડાતું હોય ત્યારે જે પોતાની જાતને ખડકની જેમ પખાળ્યા કરે તે કેવો સદ્‌નસીબ આત્મા!

તાપણાની આસપાસ બેસીને દાદાજીની હૂંફાળવી વાતોને કવિ ‘રાજા ને રાણી’નો ડાયરો કહે છે એમાં એ વિરલ અનુભવની સભરતા સંભળાય છે. અને બાળકનાં નીંદરભરેલાં પોપચાંને પરીઓ સાથેનો સંબંધ અનાદિ છે. (પરીકથાના વિરોધી બૌદ્ધિક સમ્રાટો જો ઘડી-બે-ઘડી પણ એ પોપચાંની પોચટતા માણી શકે તો એ કેવા ધન્ય ધન્ય થઈ જાય!) ‘અંધારના અસવારો’ લાખોની સંખ્યામાં ઊતરી પડે અને ગામ ‘સમણાતું’ જાય છે.

એક બીજી વાત પણ નોંધી લઉં. ‘ડ’ જેવા રુક્ષ વર્ણમાંથી કવિ કેવી પ્રવાહિતા જન્માવી શક્યા છે તે જોવા જેવું છે. ગાડી, પડઘાતું, ડુંગર, ડચકારા, ડાંગર, તડકો, માથોડું, ડાયરો અને ક્યારેક તો ‘ટ’ અને ‘ઢ’ પણ પેલા ‘ડ’ની પડખે ચડે છે છતાં કાનને કઠતું તો નથી જ; પરંતુ એક પ્રવાહિતા વરતાય છે.

મનહર તળપદામાં પણ મણિલાલ અને રાવજીની સૃષ્ટિનો લયકેફ છે અને આ કેફ જ્યારે ગીતની સૃષ્ટિમાં ટહેલે છે ત્યારે કવિ પોતાની અટકને પણ સાર્થક કરે છે. નિરંજન ભગત જેવા કવિ-વિવેચકની પસંદગીની મહોર પામવા જેટલું આ કાવ્ય સદ્ભાગી તો છે જ; પણ એથીય વધુ તો કવિની પોતાની કવિતા પ્રવૃત્તિ સુકુમાર મંજરી જેવું છે આ ગીત.

૩૦-૫-’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book