શૂન્ય શિખરનું સમીપ દર્શન – રાધેશ્યામ શર્મા

રાજેન્દ્ર શુક્લ

લગામ હાથમાં

લગામ હાથમાં અને પેંગડામાં પગ,

આ ગઝલને શીર્ષક નથી. શીર્ખ, માનવું હોય તો માની શકાય એવું શૂન્ય શિખર છે. મત્લાની ‘પ્રયાણવેળ’ અને મહત્તાના મુકામનું આ સંકલન રચનાને વિસ્મય-વિભૂષિત કરે અને સજગ મૌનના રહસ્યની ઝાંખી કરાવે છે.

‘પેંગડે પગ અને બ્રહ્મ–ઉપદેશ’વાળી કહેતી કથાનું સ્મૃતિસન્ધાન થાય મક્તાની પહેલી પંક્તિથી – ‘લગામ હાથમાં અને પેંગડામાં પગ’, પણ બીજા મિસરામાં માહોલ બદલાઈ જાય. પ્રયાણની પળ છે અને ત્યાં કોણ છે – શું છે? ‘આ ઊભા એકલા, અડગ.’ અહીં એકલા ઊભા છે કો’ક, છતાં એકલા પડી ગયેલા અટૂલા નથી, તે અડગ છે. જવા નીકળ્યા છે ઘોડેસવાર થઈ એકલા અને પ્રયાણ ક્ષણે જવાની બાબતે દૃઢ છે, મક્કમ છે.

બીજો શેર લક્ષ્ય–અલક્ષ્યનાં દર્શન નિકટ વહી જાય. અલક્ષ્ય જ જાણે લક્ષ્ય છે. અદૃશ્યનો સહજ સ્વીકાર છે. ‘દૃગ–દૃશ્ય વિવેક’ જેવો વેદાન્તી અભિગમ પણ નથી. ઝેન ધનુર્વિદાની પરમ્પરામાં (archery–tradition) ઉસ્તાદ, શાગિર્દને ચોક્કસ નિશાન તાકવામાંથી વારે છે, લક્ષ્યશૂન્ય થઈ અલક્ષ્યને તાકવાનું માત્ર સૂચન કરે છે. આમ થાય તો લખ–અલખ, અલક–લખનું અદ્વૈત સહજ સધાય. કવિનું કથ્ય આવી દિશાદૃષ્ટિપૂત છે. ન દૃશ્ય આંખને કશું, લક્ષ્ય પણ નહીં. આમાં તો નાયકની સ્થિતિ વર્ણવાઈ. અનુવર્તી પંક્તિ સંગતિશીલ કલ્પનથી શેરનું સત્ત્વ દર્શાવે છે:

અચિંત નીડને ત્યજી ઊડ્યું જો ખગ’.

‘આ ઊડ્યું જો’નો આ દેશમઢ્યો લય – લહેકો તરત ધ્યાન ખેંચે, સાથે જ જે ખગ ઊડ્યું તે તો વિરાટ અવકાશનાં શૂન્યમાં કોઈ લક્ષ્ય વગર ઊડ્યું. કડીની કૉમ્પ્લેક્સિટી જુઓ, ખગ પાછું અચિંત નીડને ત્યજી ઊડ્યું છે. ના દૃશ્ય, ના લક્ષ્યની ભાવદશા સાથે કેવો સુમેળ! અચિંત્ય નીડમાં નિવસતું પંખી જ અલખ તરફ ગતિનું સાહસ ખેડી શકે ને? ઉડાન તે જ ભરી શકે જે અ-દૃશ્ય અ-લક્ષ્યનો મહિમા પામી શક્યું હોય. શેરમાં તત્ત્વદર્શન એવું ગૂંથાઈને આવ્યું કે તત્ત્વટૂંપણું થઈ વાગે નહીં.

પરંતુ ત્રીજા શેરમાં લખ–અલખનું અનુસંધાન પુનરાવર્તનથી ટકાવવાની, કહો કે ઠસાવવાની વૃત્તિનું નિદર્શન લાગશે. જોકે, ‘તું’ અને ‘હું’ને નભ – મારગ – ડગની સાથે સાંકળી ‘અદીઠ’ને વ્યાપકતા અર્પે છે. ડગ–મારગ–નભ–હું–તુંને વારે વારે એક જ વિશેષણ ‘અદીઠ’ની નવાજેશ કરી અ–દ્વૈતનું સૂચન તેમજ ‘અદીઠ’ના આવર્તનથી પંક્તિલયની પ્રવાહિતા સિદ્ધ થાય છે.

‘અદીઠ મારગે પળો આ અદીઠ ડગ’માં નાયકનો અને સૌમ્ય આદેશ અને દિશાસૂચન કેવો સંકેત આપે?

એ અવઢવમાં અને આગળ ગતિ કરવામાં મંદ મંથર હોય તો આવી સ્વગત-ઉક્તિ આદરવી પડે.

ત્રીજા શેરમાં જે અદીઠ ‘તું’– હું હતા એ ચોથા શેરમાં ભિન્ન રીતે સાક્ષાત્. થયા છે, ‘ઉજાસ આપનો થતાં હું–પણું ગળ્યું.’

તાત્પર્ય કે હું–પણાનું શલ્ય અને શીલા સતત કઠતી વસ્તુ હતી, પણ નિરહમ્ એવા અન્યના (‘આપનો’) ઉજાસનો સાક્ષાત્કાર (epiphany?) થતાં તે વસ્તુ ઓગળી ગઈ. આ–તે એવા ભેદ વગર, અલગ કશું નહિ એમ તમામ ઓગળી ગયું. મન–બુદ્ધિ–ચિત્તની પાછળ વૈયક્તિક અહમ્‌નું જ વર્ચસ્વ કામ કરતું રહે છે એટલે હું–પણું ગળવાની સાથોસાથ કૃષ્ણમૂર્તિ કહે છે તેમ… ‘Content of Consciousness’ તમામ ઓગળી ગઈ. ‘ઉજાસ આપનો’. એટલે કે અન્યનો થતાં આ આંતરિક ચમત્કાર ઘડ્યો, ‘આપનો તે કોણ?’ એમ ના કહીને જ રહસ્યને કવિએ અકબંધ રાખ્યું છે. બ્રહ્મ–માશૂકા–પરમ આત્મા જેવી પ્રચલિત (cliched) સંજ્ઞાઓથી અલગ રહેવામાં પર્યાપ્ત સંયમ સચવાયો.

મક્તાની સંરચના રસચર્વણાનો ઉત્તમ અંશ છે:

સમીપ શૂન્યનું શિખર, દૂર કૈં નહીં,
સુહાગ શબ્દનો સ્ફુરે મૌન થઈ સજગ.

બૌદ્ધિક સભાનતાની ઘનતા અહં સમેત પીગળી ગઈ પછી જે શૂન્ય રહ્યું તે કાંઈ વિ–દૂર નથી (‘દૂર કૈં નહીં’) પણ જાણતલ કવિએ અહીં શૂન્ય નહીં, પણ ‘સમીપ શૂન્યનું શિખર’ ચીંધ્યું છે. સર્જક બ્રહ્માની જેમ શૂન્યમાંથી કળાસર્જન કરે તે ખરું પણ શૂન્ય શિખરના જ્ઞેયનો જ્ઞાતાદ્રષ્ટા કોણ? તો કવિશ્રી રાજેન્દ્ર શુક્લે ચૈતન્યસભર ઉત્તર શબ્દાંકિત કર્યો છે: ‘સુહાગ શબ્દનો સ્ફુરે મૌન થઈ સજગ.’ શૂન્ય શિખર પર સ્વારી કરનાર શૂન્ય નથી! એ તો જોનારો જાણનારો છે – શબ્દના સુહાગી સૌભાગ્યના સ્ફુરણને. સજગતાપૂર્વકના મૌનમાં જ શબ્દનો સુહાગ સ્ફુરે એ જ્ઞાન આ ગઝલની પહોંચનો ઉચ્ચ ગ્રાફ આંકી આપે છે.

(રચનાને રસ્તે)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book