‘નગરકાવ્યોમાં યાદ રહે એવું દીર્ઘકાવ્ય’ – ચન્દ્રકાન્ત ટોપીવાળા

રાધેશ્યામ શર્મા

હાંફતાં સરઘસ

ભાગતી જતી રિક્ષાઓને ને મોટરોના બૅકપાઇપમાંથી

દીકરો ગુમ થઈ જાય અને એની શોધમાં બાપની રખડપટ્ટી શરૂ થાય એને ભવના ફેરામાં પલટી નાખતી ‘ફેરો’ જેવી લઘુનવલ કે કિશોરની આંખે ડાકોરયાત્રાની નોંધમાંથી જુદું જગત ઊભું કરતી ‘સ્વપ્નતીર્થ’ જેવી લઘુનવલથી ગુજરાતભરમાં જાણીતા રાધેશ્યામ શર્માની મહત્ત્વની ખાસિયત એ છે કે કોઈ પણ નવા બહાર પડતા ગુજરાતી પુસ્તકને તેઓ ચીલઝડપે અવલોકનમાં ઝડપી લે છે, એમની વાંકીચૂંકી ચાંચની છાપ સાથેનું વિવેચન એમનો મુદ્રાલેખ છે પણ અમદાવાદ શહેરને, શહેરનાં વરવાં દૃશ્યોને શહેરની ગંદી અને ગોબરી છબીઓને ઝડપતા રાધેશ્યામને જોવા એ એક લ્હાવો છે. રાધેશ્યામ શર્મા અમદાવાદ શહેરને ‘હાંફતાં સરઘસો’માં બરાબર ઝીલે છે. એ એમનું જાણીતું દીર્ઘકાવ્ય છે. નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક તરીકે ખૂબ જાણીતા રાધેશ્યામે વર્ષો પહેલાં ‘આંસુ અને ચાંદરણાં’ કાવ્યસંગ્રહ બહાર પાડેલો એમાં એ કાવ્ય ગોઠવાયેલું છે.

‘હાંફતાં સરઘસ’ની વિશેષતા એ છે કે એમાં અમદાવાદ શહેરનાં દૃશ્યો ઝડપવા સાથે એના અવાજો પણ ઝાલી બતાવ્યા છે. સિનેરસિયા રાધેશ્યામ માટે કહી શકાય કે ‘હાંફતાં સરઘસ’માં એમણે જુદાં જુદાં દૃશ્યોની પટ્ટીને અવાજની પટ્ટી સાથે કુશળતાથી જોડી છે. એમ કહેવાય કે કવિ દૃશ્યો બતાવવા કરતાં અવાજ સંભળાવવામાં વધુ રસ ધરાવે છે, ઘોંઘાટ સંભળાવવા કરતાં ઘોંઘાટના પ્રદૂષણ તરફ ધ્યાન ખેંચવામાં વધુ રસ ધરાવે છે અને ઘોંઘાટના પ્રદૂષણ કરતાંય ઉદ્યોગોને કારણે બેફામ વિસ્તાર પામેલા મહામસમોટા શહેરના નર્કજીવનને બતાવવામાં વધુ રસ ધરાવે છે. આધુનિક વિકાસના વરદાનની સાથે સાથે મનુષ્યજાતિની શાંતિ સદંતર છિનવાઈ ગઈ છે – આ છિનવાઈ ગયેલી શાંતિની યાદ કવિએ કોલાહલ અને ઘોંઘાટની ભીડથી ઊભી કરી છે.

કોલાહલ અને ઘોંઘાટની ભીડ બતાવવા કવિએ ‘સરઘસ’ને યાદ કર્યા છે. સરઘસ એક નથી, અનેક છે; અને એય પાછાં હાંફતાં સરઘસ છે. ‘હાંફતાં સરઘસ’માં ‘હાંફતાં’ના થાકેલાં, મરણતોલ કે દમિયલ એમ અનેક અર્થ થઈ શકે. અને બધા જ અર્થ અહીં કામમાં લાગે તેવા છે. અમદાવાદ મહાનગરનાં રાતનાં દૃશ્યો છે. આ દૃશ્યો લગભગ બીમાર દૃશ્યો છે. દિવસને અંતે કાળી મજૂરી પછીના અવાજો છે. અને ક્યાંક ક્યાંક મરણની નજીકના અવાજો છે. તેથી ‘હાંફતા’ના ત્રણ અર્થ અહીં બંધ બેસે છે.

વળી ‘હાંફતાં સરઘસ’માં અમદાવાદનું જે દૃશ્ય ઝડપાયું છે તે આજના કોઈ પણ મોટા શહેરનું દૃશ્ય હોઈ શકે. આગળ વધીને કહીએ તો આજના જગતનું એ દૃશ્ય હોઈ શકે. કદાચ માનવજાતના ઇતિહાસમાં મનુષ્યજાતિએ આ તબક્કે આવડો મોટો શોરબકોર, ઘોંઘાટ અને કોલાહલ એક જગ્યાએ પહેલીવાર સાંભળ્યો છે.

‘હાંફતાં સરઘસ’ આમ જોઈએ તો દીર્ઘકાવ્ય છે. અને બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં જેમ કેલિડૉસ્કોપમાં દૃશ્યો એક પછી એક બદલાય તેમ આપણી આગળ અહીં દૃશ્યો બદલાયાં કરે છે. પણ દૃશ્યોમાંથી તરાપ મારીને બહાર તો અવાજો આવે છે. કાવ્યની શરૂઆતનું ચિત્ર જુઓ: ‘ભાગતી જતી રિક્ષાઓ ને મોટરોના બૅકપાઇપમાંથી છૂટેલો ઝેરી ધુમાડો, પાછળ પડી ગયેલી, ઘવાયેલા એક ચરણને અધ્ધર ઉઠાવી ત્રણ પગે ચાલતી ગાયના નાકમાં ગૂંગળામણ પેદા કરે છે ને તેથી ભૂલથી/ચોથો પગ હેઠે મૂકી દેવાતાં ગાયથી નંખાઈ ગયેલો ભાંભરડો’… અહીં ‘ગાય’થી થયેલી કાવ્યની શરૂઆત વિચારો. તપોવનમાં વૃક્ષો અને ઘાસ વચ્ચે તંદુરસ્ત ફરતી ગાયની શહેરમાં સ્વાર્થી મનુષ્યજાતિ વચ્ચે થયેલી દુર્દશાથી કવિ ગાયની દુર્દશા તો વર્ણવે છે પણ આડકતરી રીતે મનુષ્યજાતિની દુર્દશાનું ચિત્ર છે. ગાય અપંગ નથી, સમસ્ત માનવજાત ઘવાયેલી અને અપંગ છે. ‘ભાંભરડો’ લેતી નથી, સમસ્ત માનવજાત ભાંભરડો લઈ રહી છે.

આ પછી કવિ મિલમજૂરોનાં વાક્યો, કાળી ચીમટી ઉપરથી ઠેઠ નીચે પડી આપઘાત કરતા ચન્દ્રની ખાંસીનો ચિત્કાર, ડબ્બા વગરના એકલા એન્જિનોની તીણી વ્હિસલો સંભળાવે છે. ‘એકલાં’ એન્જિનો દ્વારા ઘણા એકલા માણસોની તીણી વ્હિસલ કવિએ યાદ કરી છે. આ પછી ‘ભચરદાટ’, ‘કાળી રાડ’, ‘છેલ્લાં ડચકાં’ જેવી અનેકાનેક અવાજસામગ્રી કવિએ ખપમાં લીધી છે. પણ એમ કરતાં કવિ ભગવાનને પણ અડફટમાં લે છે: ‘મંદિરના ઊંડા ગર્ભગૃહમાં સોનાના પારણે / પોઢેલા ભગવાન બાલમુકુન્દના નસકોરાંની વાગતી/વેણુ.’ ‘પોઢેલા ભગવાન’ અને ‘નસકોરાંની વાગતી વેણુ’ દ્વારા કવિએ જગતનાં અંધેર તંત્રને સૂચવીને ખાસ્સો કટાક્ષ કરી લીધો છે.

આ જગત આખામાં ક્યાંય શાંતિ નથી. જગતની ચિંતા કરતાં તારાઓના શિખરમંત્રણાના વાર્તાલાપમાં કવિએ રાજકારણ અને રાજકારણીઓને તેમજ ધર્મના બંદાઓને પણ છોડ્યા નથી. કહે છે: ખખડી ગયેલી એક મસ્જિદના ફૂલેલા પેટ શા એકમાત્ર સાબૂત ગુંબજ ઉપર કેટલાક તારાઓની – કોઈ પયગંબર પેદા થશે કે કેમ તેની ચિંતામાં – રાતભર ચાલતી શિખરમંત્રણાના વિશ્રંભ વાર્તાલાપ’

કાવ્યના બીજા ભાગમાં કવિએ આ અવાજોને ઠેકઠેકાણેથી અને ખાસ તો ‘ચાંદરડા’ ઊતરે એવા છાપરાના ચૂવામાંથી ઘરના અસબાબ ઉપર ઊતરતા બતાવ્યા છે. ‘ચાંદરડાં’ દ્વારા કવિએ ફરીને અવાજોની સામે શાંતિને યાદ કરી લીધી છે. પણ રાતે ધાબળો ઓઢીને સૂતેલા પર પણ અવાજો ઊતરી આવે છે. આખી રાત રહે છે અને સવારે સૂરજ અને ક્યાંક, હાજરી કરી દે છે. પણ સૂરજ અહીં ‘સૂર્યનારાયણ’ નથી. સૂરજ તો ‘કોર્ટના પટાવાળાની જેમ છાતી ઉપર ઝગારા મારતો પિત્તળનો બિલ્લો લગાવી’ને ઊભો છે. સૂરજ ઝાકળને ઉડાડે તેમ અવાજોને અન્ય ક્યાંય હાજર કરી દે છે. દિવસ અમદાવાદમાં ઊગ્યો તો પછી પૃથ્વી પર ક્યાંક રાત તો પડવાની જ છે! સૂર્ય ‘કોર્ટના પટાવાળા’ની દશામાં મુકાયો છે એના જેવો જગતનો વિકાસ બીજો કયો હોઈ શકે?

નગરકાવ્યોમાં લાંબા ગાળા સુધી યાદ રહે એવું રાધેશ્યામ શર્માનું આ કાવ્ય છે.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book