સંકુલ પ્રક્રિયાને મૂર્ત રૂપ અર્પતી પ્રભાવક કૃતિ – રાધેશ્યામ શર્મા

સંજુવાળા

પ્રતીતિ

અચાનક બધું ગોઠવાઈ જાય

વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના પ્રતિષ્ઠિત સંપાદનગ્રન્થ ‘આપણી કવિતાસમૃદ્ધ’માં કવિ સંજુ વાળાની આ રચના – બલકે સંરચના – વાંચતાં પ્રસન્ન થયો. એનું નામ છે ‘પ્રતીતિ.’

આત્મલક્ષી માન્યતા, ખાતરી, સ્થિર નિષ્ઠા જેવાં માનસસંચલનોની સૂક્ષ્મ અમૂર્ત પ્રક્રિયા, અછાંદસનુમા કાવ્યકૃતિમાં મૂર્ત કરવી દુષ્કર છે – એ સાહસ અહીં સફળ થયું છે.

રચના વાંચતાં–માણતાં ‘પ્રતીતિ’નો દોર ‘અચાનક’તાના હાથમાં પ્રસરી જાય છે.

ગોઠવાઈ ગયેલું બધું વેરવિખેર થઈ જાય, વ્યવસ્થિત વરતાય તે સકલ, અકળ રીતે અ–વ્યવસ્થિતમાં પલટાય, વળી પાછું વ્યવસ્થિત, સ્થિર થાય ત્યાં ‘પ્રતીતિ’ પાછી બહુવચનમાં પ્રગટ થાય આ પંક્તિઓમાં:

‘તેની આસપાસ ગૂંથાય પ્રતીતિઓ
વચ્ચે વચ્ચે ફરતી રહે આંગળિયો’

ગૂંથાઈ ગોઠવાઈ આવેલી પ્રતીતિઓની વચ્ચે વચ્ચે આંગળીઓ ફરતી રહે એનો અર્થ પહેલી ઉપલક નજરે પ્રતીતિમાં અંશતઃ સંશય યા અવરોધનો આભાસ થાય પણ અહીં તો કૃતિ પૉઝિટિવ ટર્ન, વિધાયક વળાંક લે છે:

છેક તળિયેથી ઊપસી આવે ઊભરાટ
ઝિલાય
અને એક સમયે અચાનક
અવતરણ

જાણે કે પ્રસૂતિના અન્તે શિશુ–અવતરણ થયું. સુજ્ઞ ભાવક ‘હાશ’ બોલવા પ્રેરાય ત્યાં તો અન્તે તીરવત્ પંક્તિ છૂટે: ‘પણ આ બધું જ અચાનક.’

ઘડીભર લાગે, પ્રતીતિમાંથી અચાનક અવતર્યું કે અચાનકમાંથી પ્રતીતિ? બાકી છે, સમકાલિક.

અચાનક જે કાંઈ સ્થૂળસૂક્ષ્મ ઘટના લેખે ઘટે છે ત્યાં આકસ્મિક ઓચિંતાપણું વિસ્મય સંકેત છે – જે કાવ્યચેતનાનો મુખ્ય ભાવ છે; સાથે જ ‘કન્ટિન્જન્સી’માં વણાયેલ મનસ્ અરાજકતાની પ્રક્રિયા છે.

સંરચનામાંનાં ક્રિયાપદો – પરખાય, પકડાય, છટકે, વિકસે, ધખધખે, ઓળખાય – પ્રમાણો ત્યારે રસાનુભવ ઘૂંટાય. વેરવિખેર બધું વિસરે પછીની ત્રણ પંક્તિઓ, ગર્ભસ્થ પિંડ બંધાવાની પ્રક્રિયાને પુષ્ટ કરે છે.

ધખધખે
નદી–કૂવા–તળાવ–ખાબોચિયાં
અને અંજલિ…
પછી વરાળ

આટલી સંકુલ પ્રક્રિયાને આવી ‘થર્મલ ઇમેજરિ’માં અભિવ્યક્ત કરવા માટે સર્જક સંજુ વાળાને સલામ. તેમણે ‘ઝીણો ઝીણો ફરકાટ’ સ્થિર અને વ્યવસ્થિત સાથે સરસ સાંકળ્યો છે. અભિનંદન.

(રચનાને રસ્તે)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book