અદ્વિતીય સંગીતકાવ્ય – જગદીશ જોષી

સાગર અને શશી

કાન્ત

આજ મહારાજ! જલ પર ઉદય જોઈને,

‘કવિ કાન્તને કાવ્યપ્રતિભાનું નૈસર્ગિક વરદાન જ પ્રાપ્ત ન’તું થયું. એક સભાન કલાકારનું અપૂર્વ રચનાકૌશલ પણ એમની પાસે હતું.’ આમ શ્રી ભૃગુરાય અંજારિયા સૂચવે છે. ‘આપણા સાહિત્યમાં ઓછા સર્જનથી બહોળો યશ રળનાર સાહિત્યકારોમાં કાન્તનું સ્થાન મોખરે છે.’ એમ શ્રી જયન્ત પાઠક કહે છે. ‘એક ‘‘સરસ્વતીચંદ્ર’’ના અપવાદ સાથે ‘‘પૂર્વાલાપ’’ની જેવી અને જેટલી વિવેચના થઈ એટલી બીજી કોઈ કૃતિની થઈ નથી.’ એમ શ્રી રમેશ જાની પ્રતિપાદન કરે છે.

આ તો કાન્તની સમગ્ર કવિતાપ્રવૃત્તિના સંદર્ભમાં કહેવાયું તો, કાન્તના અત્યંત પ્રસિદ્ધ આ કાવ્યના સંદર્ભમાં શ્રી નિરંજન ભગત કહે છે: ‘કવિ તરીકે, કલાકાર તરીકે, સર્જક તરીકે, કાન્તની આ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે. આથી જ કાન્ત આપણા એકમાત્ર કલાકાર કવિ છે અને ‘‘સાગર અને શશી’’ આપણી ભાષાનું સર્વોત્તમ અદ્વિતીય સંગીતકાવ્ય છે…’

પાંચમા ધોરણથી એમ.એ.ના અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી અનેક વાર આ કાવ્યને પાઠ્યપુસ્તકોમાં જુએ છે. વાંચતાં કે મનમાં ગણગણતાં જ લગભગ માણસને હિપ્નોટાઇઝ કરે એવો આનો લયકેફ છે. વાચકની પોતાની કક્ષાને અનુરૂપ ગ્રહણશક્તિ પૂરતું — અને છતાં પૂરતું — એમાંથી ગ્રહણ કરી શકાય છે. અને છતાં સુરેશ દલાલના શબ્દોમાં: ‘ભલભલા વિવેચકોની કલમને કસતી આ કાવ્યની અખૂટ શક્તિનું દર્શન’ હંમેશાં કવિતારસિકોને મુગ્ધ કરે જ છે. આ કાવ્યના સર્જનથી તે આજ લગી પ્રત્યેક યુગના વિવેચકોએ પોતાની વિવેચનાનો ચંદ્રોદય આ જ સાગરની ભરતી પર કર્યો છે!

અહીં વિવેચનને અવકાશ ન હોવાથી આ કાવ્યની થોડીક ખૂબીઓ જોઈશું. કાવ્યના પૂર્વભાગમાં સ્વાનુભવની વાત કવિ કરે છે: ‘આજ’, હૃદયમાં ‘નિજ ગગન’ની કવિ વાત કરે છે. આ પરમ આનંદનું ગીત છે. એટલે સ્વાભાવિક રીતે જ એમાં શબ્દનો, કલ્પનાનો ને ઊર્મિનો કેફ છે. એ ઉછાળ શબ્દોના ઉચ્ચારથી પણ આપણને પ્રતીતિ આપે છે. પરંતુ એ કેફ, ઉછાળ છે છતાં કલામાં સંયમ કેટલો મહત્ત્વનો છે એ જાણનાર કવિના આનંદનો કેફ છે, ઉછાળ છે: એટલે એ પરિમલ ‘વિમલ’ અને ‘ગહન’ છે. અને એ ગહન આનંદ ગગનમાં ‘ઉત્કર્ષ’ પામે છે. આકાશમાં ચંદ્ર, સાગરમાં ભરતી અને પોતાના ચિદાકાશમાં પરિમલ ગહન જેવો હર્ષ. આ ધવલ નેત્રના સાન્નિધ્યમાં કવિ ‘નવલ રસ’નું પાન કરે છે: ને હે પિતા! કાલના (‘ગઈ કાલના’ કે ‘કાળ’ના?) સારાયે સંતાપો શમી જાય છે.

પોતાના હૃદયમાં પ્રભુતાનો, ઐશ્વર્યનો, સત્ત્વનો ને સત્યનો ઉદય થાય છે અને આ કુશળ કલાકાર કવિ ‘સ્વ’માંથી આપણને ‘સર્વ’ તરફ લઈ જાય છે. કાલના સંતાપ વિનાની આ વર્તમાનની ક્ષણનો ઉદય સંતાપનું શમન કરે છે ને શાતાના ઉદયનું કાવ્ય આપે છે. વીજળીનો ચમકાર થાય છે ને ‘રાત્રિ’-સંતાપ, જે કાન્તના જીવનદર્શનનું કદાચ મધ્યબિન્દુ હતો તે હવે ‘વ્યોમસર’માં, આકાશમાં અશબ્દ ‘સરી’ જાય છે. ‘રાત, ચંદ્ર, સમુદ્ર, એકાંત: પ્રકૃતિનું અનુપમ વાતાવરણ સર્જવા માટે આ ચાર તત્ત્વો પૂરતાં છે. આ ચારમાં ભળે છે પંચામૃતની એક અમૃતસામગ્રી જેવું કવિહૃદયનું સંવેદન.’ અને સાગરના ઘુઘવાટ અને દમકતી દામિનીની આભાની ‘પડછે કોકિલાનું કેલિકૂજન મૂકી કાન્તે કલાકારની રીતે, અવાજનાં બે અંતિમ રૂપો’ આપીને આખીય સૃષ્ટિના ‘સમુલ્લાસ’નો કેવો સુભગ ટહુકો કર્યો છે! અને જે ઘડીએ આ સચ્ચિદાનંદનો સ્પર્શ થયો તે જ ઘડીએ સંઘર્ષમાત્ર નષ્ટ થાય છે. અને આખી સૃષ્ટિ ‘તરલ તરણી’ની જેમ ‘સરલ’ સરતી થઈ જાય છે.

કાન્તના અંગત જીવનના સંદર્ભમાં આ કાવ્યનો વિચાર કરીએ ત્યારે શ્રી નિરંજન ભગતના શબ્દો યાદ આવે. ‘જે ક્ષણને કાન્ત જીવનભર ઝંખતા હતા તે ક્ષણ એમના જીવનમાં આવી, એ ક્ષણે આ કાવ્ય જન્મ્યું અને જીવનની એ વિરલ ક્ષણે સમગ્ર જીવનના પ્રશ્નનો ઉત્તર મળી ગયો.’ પોતાના સમગ્ર ચિંતનને કલાત્મક વાચા આપતાં કાવ્યો કવિ આપે છે: પણ કાર્લ શાપિરો જેને ‘વિચાર લાગણી થઈને અવતરે એ કવિતા’ એમ કહે છે એ કથનને સાર્થ કરવા માટે આપણી ભાષામાં કવિતાનાં મંગળસૂત્ર બની રહે એવાં આવાં કાવ્યો કેટલાં હશે? અને એમ તો, કોઈ પણ ભાષામાં, કાન્ત જેવા ઊર્મિસ્વસ્થ કવિઓ પણ પ્રજાને ક્યાં વારે વારે મળે છે?

૧૭–૧૦–’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book