અણસૂણ્યા આદેશની પ્રતીક્ષા – હરીન્દ્ર દવે

સુન્દરમ્

કંઈ વાત કહો

તમારા કિયા દેશ દરવેશ?

આ ગીતમાં જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એ દરવેશ તે કોણ? સાક્ષાત્કારની ઝલક જેની આંખમાં અંજાઈ છે, પ્રતીતિની ચમક જેના હોઠ પર સ્મિત થઈને વિલસી છે, એવા કોઈક દરવેશ સાથે થયેલો આ સંવાદ છે.

દરવેશે કોઈક અલગારી મુલકની વાત કરી છે—વાત પણ નહીં, સહેજ અણસાર મળે એટલા સંકેતો આપ્યા છેઃ અને કવિ વિસ્મયની એક અનોખી ભૂમિકા પર મુકાઈ ગયા છે.

આપણે જે જગતને નરી આંખે જોઈએ છીએ એના કરતાં કોઈક જુદું જ જગત પ્રભુ સાથેના પરમ સાંનિધ્યની ક્ષણે જોવા મળે છેઃ નવ ખંડ અને ખટ રસના જગતને આપણે જાણીએ છીએ પણ આ દરવેશ તો નવખંડથી ન્યારા દશમ ખંડની વાત કરે છે. છએ રસોથી વધારે પ્યારા સાતમા રસની વાત કરે છે — કવિ સહજપણે પૂછી ઊઠે છેઃ ‘તમે આ પરમ રસ પીધો છે ખરો?’

આ પ્રશ્ન શંકાનો નથી. આવા રસના અસ્તિત્વ વિશે કોઈ અવઢવ પૂછનારાને નથી, તો પછી આ પ્રશ્ન શા માટે? આ વિસ્મયમાંથી જાગતો સવાલ છે! ‘ઓહ, ત્યારે ત્યાં તો આવું છે, એમ!’ એવા શબ્દોમાં પ્રગટ થાય છે એવું જ વિસ્મય અહીં આપણને અનુભવવા મળે છે.

કવિ પૃથ્વી પરના અલકમલકથી અદકેરા કોઈક કમલની વાત કરે છે. સ્વર્ગના નંદનકાનના કોઈ મનોહર સરવરમાં જ વિલસે એવા આ કમલની વાત આવતાં સુન્દરમે અન્યત્ર ગાયેલા શરણ-કમલની છબી અને છાયા મનમાં આવી વાસ કરે…

કવિ ફરી એકવાર દરવેશને પૂછે છેઃ ‘તમે સગી આંખે આ જોયું છે?’

શ્રદ્ધાની ભૂમિકા પરથી આવતા આ શબ્દો સાક્ષાત્કારનું સંજીવન વહેણ વહાવી શકે છે.

કવિતા આગળ વધે છેઃ અને પૃથ્વી પરનાં ઉન્નત ગિરિશૃંગોથી વધારે ઊંચા શૃંગોની વાત આવે છેઃ અને જાણે દૂર દૂરથી મંદ્ર-મધુર ધ્વનિ પ્રગટતો હોય એવો નાદ આપણે સાંભળી શકીએ છીએ, સમૃદ્ધ એવો મૃદંગ કાનોકાન સાંભળ્યો છે?’ દરવેશ ઉત્તર આપે એ પહેલાં આપણે ઉત્તર આપી બેસીએ એવા મધુર સંગીતમય વહણમાં આપણને કવિ મૂકી દે છે.

છેલ્લે કવિ અંતરમાં ધખતી પ્રભુમિલનની આગ કરતાં અધિક આગની અને મૃત્યુની ભોમને અમરતિયો સોહાગ આપતા પરમ દાતારની વાત કરે છે.

આમ જોઈએ, તો કવિએ પ્રશ્નો જ પૂછ્યા છે, પણ એ પ્રશ્નોમાં જ શ્રદ્ધા સાથેના ઉત્તર સમાઈ ગયા છે…

આ કવિતા વાંચીએ ત્યારે આપણે પણ અણસૂણ્યા આદેશની પ્રતીક્ષામાં મુકાઈ જઈએ છીએ.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book