અજનબી અગોચર આંતરિક – લાભશંકર ઠાકર

લાભશંકર ઠાકર

લીરેલીરા થઈ ગયા છે.
ચીરા-ચીંદરડી ઊડી રહ્યાં છે ચેતનામાં.

અરે, એના પણ ધાગે ધાગે ક્રમશ: વસ્ત્રો વણાયાં હતાં, એકધારાં, આનંદમાં, પાટડીમાં, ફાર્મસીના મકાનના એક ખંડમાં, મૃગચર્મ બિછાવી, પિતાજી વૈદ્ય જાદવજી નરભેરામ શાસ્ત્રી બેઠા છે, લેખનકાર્યમાં મશગૂલ. દસેક વર્ષની વયે હું એમને પ્રથમ કાવ્યરચના બતાવું છું. વાંચીને એ ખુશ થાય છે. ખડિયામાં હોલ્ડર જરાક બોળી, એક પંક્તિમાં શબ્દફેર સૂચવી, લયભંગ સુધારે છે. લયભંગ, એક જ જગ્યાએ. લય શબ્દ જાણતો નથી. પણ પિતાજીએ શા માટે સુધારો સૂચવ્યો છે તે કાનથી પામી જાઉં છું.

પોષાયો છું લયના અવિરત સિંચનથી. બા મારી હલકથી ગાય. ગળામાં મીઠાશ. વ્રત-પ્રસંગોનાં અઢળક ગીતો અને કંઠસ્થ. ક્યારેક પરોઢિયે ઘંટી દળતાં ગાય. મારું માથું નિરાંતે જોતી હોય, પાંથીએ-પાંથીએ એની તર્જની ફેરવતી હોય ત્યારે આગ્રહ કરીને ગવડાવું. એક ગીત અને બાનું પ્રલંબ લયમાં ગાવું મને બહુ ગમે :

કૂવાને કાંઠડે સાંઢણી ઝેકારો માણારાજા, મારું દલ…
મારું દલ…રીઝે હો રાજ.

ઝાલાવાડના ખાડાખડિયાવાળા કાચા વિષમ રસ્તાઓ પરથી ખખડ-ખખડ ગાડાં જતાં હોય એમાં જાનડિયું ગાતી હોય જાણે કર્ણરસાયનથી મારું પોષણ કરવા, અને જાનીવાસમાં મધુર નિદ્રાભંગ થતો હોય :

સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે કે વાણલાં ભલાં વાયાં
તમે ઊઠો સુભદ્રાબેનના વીરા કે વાણલાં ભલાં વાયાં.

યજ્ઞોપવીત વખતે નમેલા માથા પર અસ્તરો ફરતો હોય ત્યારે કર્ણચેતના તો તલ્લીન હોય આવા પ્રસંગે ગવાતાં ગીતો સાંભળવામાં.

બે ચોપડી ભણેલી બા પ્રભાવતી કોઈ વાર ‘ઉષાહરણ’ કે ‘મામેરું’ મંદ-મંદ ઉકેલતી — વાંચતી — ગાતી હોય.

જાનરાયજીના મંદિરમાં રામનવમીના કોઈ દિવસે બપોરે ખેડૂતવૃંદ તાલબદ્ધ ઊછળતું, દાંડિયા સાથે, ગાય છે ગોળાકાર, આ અત્યારે પણ જાણે પ્રત્યક્ષ.

રાજા દસરથ ઘેર સૈંવર રચિયો, પરણે રાજકુમારી મારા વાલા.

ગામમાં એક ચીંથરેહાલ ગાંડો. એનું નામ પડી ગયેલું ‘ટીંટોડો.’ એ ભરબજારમાં ઊભો રહીને, સાભિનય, લયબદ્ધ ગાતો હોય :

એક પચી વરહનો ટેંટોડો, ઈના મોંમાં દૂધિયા દાંત, બોલે ટેંટોડો.

નામ હશે દામજી? દામલો, હરિજનનો રૂપાળો છોકરો. મોટી બે આંખ્યુંમાં આંજણ આંજ્યાં હોય, બે ચોટલા લીધા હોય. બૈરાનાં કપડાં પહેરી મેળામાં હાર્મોનિયમ સાથે ગાતો હોય. ‘કુદરતી’ નાટકમાં આ દામલો ‘દેવાંશી’ બનીને આવ્યો છે.

આ બધાંને અનિમેષ જોયાં છે અને એકકાને સાંભળ્યાં છે. એમના શબ્દલયોના તંતુએ-તંતુએ મારી લયચેતનાનાં રેશમ વણાયાં છે. ગામડે-ગામડે ફરતી દેશી નાટક કંપનીઓ, શામન બંસીવાલા નંદલાલા શીરી ગોકુલકા ઉજિયાલા-ની મથુરાથી આવતા ચોબાઓની કૃષ્ણલીલાઓ, કથા-કીર્તનકારો, મેળામાં કોળીઠાકરડાઓનાં રાહડા, ભજનો, ગરબા, ગરબી, બ્રાહ્મણોના મંત્રોચ્ચારો, મોળાકત વગેરે વ્રતો કરતી બાળાઓનાં ગીતો, બાવા-મદારી-જાદુગર-બજાણિયા-ફકીર વગેરેના પદ્યગદ્યના લયલહેકાઓ — આવું-આવું અપરિસંખ્યેય હશે મારી લયચેતનાના વસ્ત્રવણાટમાં, જે આરંભાયું હશે ઘોડિયામાં, બાના વહાલભર્યા મીઠા કંઠથી :

હુલુલુલુ હાલવાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો,
ખીચડી ખાલમાલ રે ભઈ મારો પારણિયામાં પોઢ્યો.

ગામના ગ્રંથાલયમાં એકમાત્ર કાવ્યગ્રંથ, ‘કલાપીનો કેકારવ,’ જાણે મારા માટે જ. બાકી ‘સાહિત્યપલ્લવ’ના શાળામાં ચાલતા ખંડો. નવમા ધોરણમાં અમદાવાદ આવ્યો. શ્રી ભારતી વિદ્યાલય(ખાડિયા)માં અઢળક સામયિકો આવે. ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’, સાદ્યંત વંચાઈ જાય. નવમા ધોરણમાં હતો ત્યારે મારું એક કાવ્ય ‘રમકડું’માં પ્રગટ થયેલું તેના પુરસ્કારના ત્રણેક રૂપિયા આવેલા તેમાંથી, ફરી બાઇન્ડ કરેલું, વિદ્યાર્થીનું નામ — નોંધ — લીટીવાળું એક પુસ્તક ખરીદ્યું, ‘નિશીથ’. તે ખાસ રોમાંચક ઘટના, પ્રથમ પુરસ્કારમાંથી કરેલી ખરીદી. વાપરવા મળતા પૈસામાંથી એ વખતે દર શુક્રવારે લાલદરવાજાના મયદાનમાં ભરાતી ગુજરીમાંથી ‘કુમાર’, ‘સંસ્કૃતિ’, ‘કૌમુદી’ એવાં-એવાં સામયિકો નિયમિત ખરીદતો. ‘કુમાર’ની તો એક વડીલ પાસેથી, વ્યવસ્થિત બાંધેલી, જૂની ફાઇલ્સ વાંચવા મળી ગઈ. દશમા કે અગિયાર ધોરણમાં હતો ત્યારે બચુભાઈએ ‘કવિતા’ના અનિયતકાલિક મણકા શરૂ કરેલા તે કાર્યાલયમાં જઈ છૂટક ખરીદતો. કાવ્યો તો રોજ લખાતાં પણ ‘બુધસભા’માં જવાની હિંમત ન હતી. પાંચ કૂવા પાસેની એક લાઇબ્રેરી, મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમની લાઇબ્રેરી અને એમ. જે. લાઇબ્રેરીમાંથી કાવ્યસંગ્રહો વંચાતા રહે. અક્ષરમેળ અને માત્રામેળ છંદો ગુરુ વિના ઉકેલવાના પરિતાપમાં કલાકો સુધી પિંગળનાં પુસ્તકો જે કંઈ પ્રાપ્ય તેમાં ગોથાં માર્યા કરું. કોલેજમાં પ્રવેશ્યા પછી ‘ગુજરાત કોલેજ’ની લાઇબ્રેરીમાં કાવ્યગ્રંથોનો ખજાનો મળ્યો. વળી મિત્રોે મળી ગયા, ગ્રેટ. પ્રથમ મળ્યા શ્રી અબ્દુલકરીમ શેખ, એક જ વર્ગમાં. સેન્સિટિવ, સુંદર માણસ. સરસ છંદોબદ્ધ કવિતા લખે. મનુષ્યના આંતરબાહ્યનાં સૂક્ષ્મ વર્ણનો કરતી વાર્તાઓ લખે. ઉત્તમ બધું વાંચે. સાથે ‘નોટ્સ ફ્રોમ ધ અંડરગ્રાઉન્ડ’ ને એવું ઘણુંબધું વાંચ્યાનું સ્મરણ છે. બીજા મળ્યા શ્રી રાધેશ્યામ શર્મા. એ વખતે પણ સિદ્ધ લેખક જેવા. વર્ગમાં પણ માથું ઝુકાવી કંઈ ને કંઈ સડસડાટ વાંચ્યા કરતા હોય. અને પુસ્તકમાં અધોરેખાઓ આંકતા હોય. ઉપરાઉપરી વાર્તાઓ લખીને લાવે. પ્રેમથી છલકતું વ્યક્તિત્વ. નાનામાં નાના ખૂણાખાંચરાના માણસોને નજીક જઈને ચાહી શકે, પામી શકે એવી અજીબ સરલતા; અને છતાં કળાકારમાં હોય તેવી આંતરિક સંકુલતાઓથી સભર, રાધેશ્યામ. ત્રીજા મિત્ર મળ્યા તે મૂતિર્મંત ભાવોદ્રેક : શ્રી રતિલાલ દવે. છંદોબદ્ધ સુંદર, ભાવમય કાવ્યોથી છલકતી કાવ્યપોથીઓ. એક કાવ્ય તો ‘કુમાર’માં છપાઈ પણ ગયેલું. બધા નિતાંત ‘લિટરરી’ રસવાળા. સોબતનાં વર્ષો, કાવ્યોગોષ્ઠિની મસ્તીનાં સઘન વર્ષો હતાં.

કાવ્યની લગની એવી લાગેલી કે લખવા-વાંચવામાં કલાકો જાય. સુન્દરમ્-ઉમાશંકર- રાજેન્દ્ર-નિરંજન-પ્રિયકાન્ત-ઉશનસ્-જયંત પાઠક-મકરન્દ દવે-પ્રજારામ વગેરેનાં કાવ્યોનું એકાંતમાં પઠન ચાલે, ઉતાવળ વગર આમ સાવ નિરાંતે, કાવ્યોનાં કાવ્યો કંઠસ્થ થઈ ગયેલાં. વળી ખાસ ગમતા કવિમાં હરિશ્ચંદ્ર ભટ્ટ. એમનો ઘૂંટાયેલો ગૂઢ સૂક્ષ્મ લય હજુ કર્ણચેતના પર ચીપકેલો છે. પ્રહ્લાદ અને શ્રીધરાણી પણ ખાસ, પ્રિય. કાન્ત-બળવંતરાય-ન્હાનાલાલ અને અમુક કાવ્યો બાળાશંકરનાં ફરી-ફરીને વાંચું. નરસિંહ-મીરાં-દયારામને તો ગાઉં, એકાન્તમાં. પ્રેમાનંદ તો આખ્યાનશૈલીમાં જ, મારી રીતે, વાંચું. સંસ્કૃત કવિતાનાટક, કથારસથી વિશેષ તો, વાણીરસથી વાંચ્યા કરું.

શબ્દને, લયને, અર્થને તલ્લીનતાથી પામ્યો છું શૈશવમાં, કિશોરાવસ્થામાં, યુવાવસ્થામાં જેમ, તેમ ક્રમશ: તિરાડો પણ એમાં સમાન્તર પડતી રહી છે. એકડિયા-બગડિયામાં સાથે ભણતાં હરિજનોનાં એકલ-દોકલ બાળકોને ગાભા જેવા પાથરણા પર અલગ, ખૂણામાં તિરસ્કૃત દશામાં માંડ બે ચોપડી ભણતાં જોયાં છે. પાણી પાનારી કોળી બાઈ પણ બધા છોકરા પાણી પી લે પછી હરિજનનાં બાળકોને ધિક્કારી-ધિક્કારી હડધૂત કરી ખૂબ આઘે — ઊંચેથી પાણી રેડે. મેલું ઉપાડતા હરિજનોને હડધૂત કરતા ઘરના — બહારના વડીલોને, બ્રાહ્મણ-વાણિયા-પટેલોને, રોષથી જોતો થયો છું. એમની નાની-મોટી ક્રૂરતાઓ જોઈ, વર્ષોથી આ ભદ્ર ગણાતા લોકોને ‘શ્રદ્ધેય’ ગણવાનું છોડી દીધું છે. હરિજનના બાળકને અડવાનું ‘પાપ’ કરતો, જનોઈ શરીર પરથી ઉતારીને ખૂણામાં ઘા કરી જોયા કરતો મારું શું ‘અનિષ્ટ’ થાય છે તે. વર્ષોથી જનોઈ કાયમ માટે ફગાવી દીધી છે. એક વાર વગડામાં, એક હનુમાનજીના મંદિરમાં મૂતિર્ને મૂત્રધારાથી પરિપ્લાવિત કરવાનું ‘પાપ’ પણ કરેલું છે. આવી નાની-નાની પાપ-પરંપરાઓ સતત ચાલતી રહી છે. વાંકદર્શનને કારણે જે કંઈ આત્મસાત્ થતું હતું ત્વરાથી, તલ્લીનતાથી તે ધીમે ધીમે મંદ ગતિએ કતરાતું, ખવાતું, ક્ષીણ થતું રહ્યું છે. કિશોરાવસ્થામાં ગાંધીપરસ્ત, ખાદીનાં કપડાં પહેરતો. રેશનિંગમાં અનાજ સંતાડતાં માતાપિતાને, ઇન્સ્પેક્ટર આવશે ત્યારે ‘કહી દઈશ’ એવી ધમકી આપતો. સત્યનારાયણનો પ્રસાદ અસત્યનારાયણોની વચ્ચે ઊછરતાં ઊછરતાં ખાધો છે. ગાંધીજીની હત્યા વખતે હચમચી ગયેલો. આખો દિવસ જમેલો નહીં. ગાંધીજીને મેં ચાહ્યા છે કુમળી, તરવરતી વયે અને છતાં પંક્તિ આવે છે તો કેવી આવે છે! –

હિટલરને હું ધિક્કારી શકતો નથી
અને ગાંધીને હું ચાહી શકતો નથી.

રખડતા ગાંડાઓને પજવતાં બાળકો તો ઠીક પણ મોટેરાંઓને જોઈને તમતમી ગયો છું. બાળકોને રિબાતાં-ઢિબાતાં-ઢોર માર ખાતાં જોયાં છે. મેં માર નથી ખાધો; પણ માર તો મને જ પડ્યો છે. તનતોડ મજૂરી કરતા અધભૂખ્યા લોકોને જોયા છે અને રાજાઓના-ધરમવીરોના-નેતાઓના વૈભવી વરઘોડાઓ, શોભાયાત્રાઓ જોઈને ક્ષુબ્ધ થયો છું. આ એક સતત લાંબી પ્રક્રિયા ચાલી છે. બ્રાહ્મણ-વાણિયા એટલે બધા ભદ્ર લોકો; એમનાં ધરમ, કરમ એમના ધર્મગ્રંથો, તત્ત્વગ્રંથો બધું ધીમેધીમે ઊથલી પડ્યું છે, ચિત્તકોષોમાંથી. આવી મનોદશામાં ચેખવને ચાહતો થયો. દોસ્તોયેવ્સ્કી માટે પરમ આદર થયો. ફ્રોઇડનું કંઈક ઊલટથી વંચાયું. (એય જોકે ઊથલી પડ્યું છે આજે મનોવિજ્ઞાનના નામનું બધું.) રોષની જગ્યાએ બિનંગતપણું આવતું ગયું. સદ્-અસદ્, પાપ-પુણ્ય, ગુડ-ઇવિલની સમજણ, ભેદબુદ્ધિ ઘસાતી, ઓગળતી, અભિન્ન બનતી ચાલી. શાયલોક પણ વિલન મટી જાય એવો આલેખ ‘મરચન્ટ ઓફ વેનિસ’માં જ મળી રહે છે. દુરિત પણ પરિણામરૂપ છે. ગાંધી-હિટલર પરિણામો છે. કારણોની સંકુલ જટાજાલના પરિણામરૂપ માણસનું વ્યક્તિત્વ છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર બધાં, માણસોને ઘડનારાં પરિબળોને પામતાં-પામતાં, હાંફી ગયાં છે. માણસ હાંફી રહ્યો છે પોતાની મૂળની શોધમાં. બાયોલોજીની ખણખોદ ચાલુ છે ફર્સ્ટ લિવિંગ ઓર્ગેનિઝમનું મૂળિયું તપાસતી. When અને How-ની ધારણાઓ કંઈક આપી શકાઈ છે. Why-ના જવાબમાં શૂન્ય. એકકોષી પ્રથમ જીવથી માંડીને આજના મલ્ટિસેલ્યુલર મૅન સુધીના આ બાપડા જીવોનું પોતાનું કર્તૃત્વ કેટલું? Free will, Free choice-ની વાત બધી તળેઉપર થઈ ગઈ છે. માણસ પણ ગુણધર્મોવાળાં તત્ત્વોનો, સજીવ તો સજીવ, સમુચ્ચય છે. એ તત્ત્વો અને એના  ગુણધર્મો સંધાં હજુ કંઈ ઊકલ્યાં નથી. આવી સ્થિતિમાં ભાવનાની, આદર્શની વાત પરમ કરુણ કે પરમ હાસ્યાસ્પદ લાગે છે. ઉત્ક્રાંતિક્રમ (જો એમાં સત્ય હોય તો)માં મળેલા વિશેષ ભાનને લીધે માણસનું આયુષ્ય વધ્યું છે; પણ એ સભાનતા એને પોતાના મૂલ પ્રયોજનનો અર્થ શોધવા પ્રેરે છે. માણસની વંધ્ય સભાનતા રહસ્યમયતા, ગૂઢતા પાસે હિજરાઈ રહી છે કે હસી રહી છે. આત્મસાત્ કરતાં-કરતાં રચાયા હતા તે સ્તંભો કડડભૂસ તૂટી રહ્યા છે આંતરિક શબ્દચેતનામાં, લયચેતનામાં. નિરાધાર છે બધું અંદર. ગબડે છે, ખખડે છે, તૂટે છે, ચિરાય છે, અથડાય છે, પછડાય છે. આડુંઅવળું ઇધરતીધર ચિત્રવિચિત્ર સંકુલ, તેમાં ગીત-ગઝલનું સિમ્પલ ગાણું ગાઈ શકાય તેમ રહ્યું નથી, સળંગ. એના પરંપરિત ચરસી લયનાં આવર્તનોમાં ચેતના એકધારી લીનતલ્લીન બની શકે એવા ગંજેરી હાલ ઇન્ટિગ્રેટેડ, રહ્યા નથી. ટ્રાંક્વિલાઇઝરની ટીકડી જેવા ગીતગઝલના એકધારા લય-આવર્તનોની થૅરપીની જરૂર નથી, છટ્.

બટાકાનું શાક ભાવે છે. આઇસક્રીમ ભાવે છે. બૅકેટ ગમે છે, અતિ. આયોનેસ્કો ગમે છે. પિન્ટર ગમે છે. ટોમ સ્ટોપાર્ડ ગમે છે. એક ઓસ્ટ્રિયન, જર્મન ભાષામાં લખતો નાટ્યકાર પિટર હૅન્કી (Handke) ખાસ ગમે છે. એમ તો શિયાળામાં તડકાનો સ્પર્શ ગમે છે. ચોમાસામાં નાહેલાં હરિત ચોખ્ખાં વૃક્ષો જોયા કરું છું. ખિસકોલીને ત્વરાથી ખાતી જોવી ગમે છે. ના કોઈ પણ અલંકાર નહીં, કહેવો હોય તો સ્વભાવોક્તિ અલંકાર, ટૂંકમાં વર્ણનો, નર્યાં વાસ્તવિક વર્ણનો, દા.ત, પ્રેમાનંદમાં, આવે છે તેવાં વર્ણનો બહુ ગમે છે. સિમ્બોલ-ફિમ્બોલ-ની વાત કરતાં પ્રકૃતિનાં, પ્રાણીઓનાં, મનુષ્યનાં નખશિખ વાસ્તવિક, ઇન્દ્રિયસંતર્પક વર્ણનો ઘણાં ગમે છે. ચલચિત્રો જોવાં ગમે છે. ગોદાર્દે, એલન રેને (Alan Resnais,) કુરોસાવા ગમે છે. હમણાં ફિલ્મોત્સવ-’૮૪માં જાપાનના દિગ્દર્શક નાગીસા ઓશિમાનાં ચિત્રો જોયાં. એક ફિલ્મ ‘ડેથ બાય હેંગિગ’ લા-જવાબ. પોલિશ દિગ્દર્શક વાઝદાનાં ચિત્રો જોવાં ગમે છે અને ખાસ, અપનેવાલા લાગતા, એટલે મેટાફિઝિકલ સબ્જેક્ટવાળા, યંગ પોલિશ ડિરેક્ટર ઝાનૂસીનાં ચલચિત્રો અપનકો બહુત અચ્છે લગતે હૈં. ફાસબાઇન્ડર, સલામ, બર્ગમાનદાદા અને ઇટાલિયન પાસોલિની, હંગેરિયન જેન્ક્સો અને… અને ચેક દિગ્દશિર્કા જેણે ‘ડેઇઝિઝ’ નામની અતિ સુંદર ફિલ્મ બનાવી હતી તે, ઉચ્ચાર જે થતો હોય તે, વેરા સિટિલોવા કે ચિટિલોવા ગમી ગયાં છે. ઘણાં નામ ઊપસી આવે છે મનમાં. પ્રિયજનો એવું કહેતા હોય છે કે એમના મિલનમાં રાત આખી, કલાકો, જાણે ક્ષણભરમાં પસાર ન થઈ ગયા હોય! ચલચિત્રો જોવામાં ખબર નથી પડતી અને સમય પસાર થઈ જાય છે. અહીં લાંબી નામાવલિ અને લાંબી વાત અપ્રસ્તુત છે. પણ એક દિગ્દર્શકનો ઉલ્લેખ તો કરવો જ પડશે, વોલ્કર સ્કોનડોફ. આ જર્મન દિગ્દર્શકનાં ચલચિત્રો પહેલી જ વાર જોવાની તક મળી ફિલ્મોત્સવ-’૮૪માં. ગુન્ટર ગ્રાસની ‘ધ ટીન ડ્રમ’ નવલકથા પરથી બનાવેલી ફિલ્મ, આજ સુધી જોયેલી ફિલ્મોમાં યાદગાર બની રહેશે. આ બધું લખું છું કેમ કે અંતરમાં વાસના પડેલી છે, ફિલ્મ બનાવવાની. લોટરીની ટિકિટો લઉં છું. કોઈ મોટું નામ લાગી જાય તો ચલચિત્રો બનાવવાં છે. આમ તો, મનોમન તો, ઘણા શોટ્સ લેવાતા રહે છે.

બધું અસ્પષ્ટ અને ધૂંધળું અને ગૂઢ બની ગયું છે. શબ્દની મદદથી રંગભૂમિની ભાષાથી ગૂઢ પ્રદેશમાં ફરતાં-ફરતાં વધારે ગૂઢતાથી ઘેરાતો જાઉં છું. જોકે કાચી કેરી અને ડુંગળીના કચુંબરમાંથી જે પાણી છૂટે છે તે ગમે છે, ચાટવું. હેમખેમ છે બધું એમ તો. ઊથલી પડશે સ્વયં ઝાડ એમ તો કેમ કહી શકાય? ઝાડ ઊથલી પડે છે મૂળસોતું તેનાં કંઈ એક-બે કારણો નથી હોતાં. અસંખ્ય, અપરિસંખ્યેય કારણો હોય, ભલે આપણને બે-પાંચ જણાતાં હોય અને વળી આપણા મૂળનું લોકેશન જ હજી શોધી શકાયું નથી ત્યાં વળી અમુક કારણોસર ઊથલી પડીશું એમ અનુમાન કરવું? જીવનરસ તો છીંક ખાતી વખતે પણ પ્રકટ થાય છે અને રતૂમડા ગાજરને કૈડકૈડ ખાતી વખતે પણ થાય છે. એટલે વળી શું પૅસિમિઝમ અને શું ઓપ્ટિમિઝમ? ટૂંકમાં, શબ્દના સથવારામાં પણ રાત્રિ પસાર થઈ જાય એવું. એક ‘સિંહાસન’ પર આરંભેલું કાવ્ય પડ્યું છે અપૂર્ણ. નહીં માનો, પણ એકેએક ખાવાની ચીજ ઉપર, પીવાની ચીજ ઉપર, વાનગી ઉપર લખવું છે, કાવ્ય. એક અર્ધા સુકાયેલા પાંદડા ઉપર કવિતા લખવી છે; વળી એક નિર્મમ, બિનંગત, સાક્ષી જેવું, જલકમલવત્ પ્રાણી અનુભવાય છે અંદર, અનિંદ્રિત, નિષ્પલક; તગતગતી આંખોવાળું જે એને આમ શબ્દમાં રૂપાંતરિત કરવાના પ્રયત્નો હજુ ક્યાં પૂરા થયા છે? ધડ્ ધડ્ ધડાકા સાથે કવચ તોડવાનાં છે બધાં શબ્દચેતનાનાં અને પ્રવેશતા જવાનું છે અંદર નિસરણી મૂકીને પગથિયાં ઊતરતાં ઊતરતાં, ક્યાંક ભૂસકા મારીને, ક્યાંક સરિસૃપ સરકતાં, સાવધાન, નકશા વિના, છેક મૂળિયા સુધી. શબ્દમાં મૂળ ઈ માણસનાં મૂળ? કામે લાગી ગયા છીએ. શું કામ? કીડી કણ શોધવા નીકળે એવું કંઈ નથી આ. યોગક્ષેમ માટે તો કરીએ છીએ વૈદું. શબ્દનાં મૂળ, કુળનાં કુળ પામવાની આ ધખના શાને?

મારી ભાષામાં કામ કરતા બે કવિઓના હાલ શા છે તે જાણવાનું કુતૂહલ રહે છે. મૃત્યુ અને દુરિત આ બે પર ઉમાશંકરનું ટાંકણું ગોઠવાયેલું છે. ‘સપ્તપદી’માં એ ટાંકણાનો અવાજ સંભળાય છે. જટાયુના અંત પછી સિતાંશુનો તંત ક્યાં ચોંટ્યો છે તે મારા કુતૂહલનો વિષય છે. રસોડામાંથી, ચઢતા આલુના શાકની ગંધકણિકાઓ સૂક્ષ્મ આ અપનકો ભી અજનબી લગતા I-ના સર્વ સ્રોતોને વિકસિત કરી નાખે છે ક્ષણાર્ધમાં, ચુચૂકનો સ્પર્શ થતાં બાળકના હોઠ ખૂલી જાય તેમ; એમ ચેતોવિસ્તાર અનુભવાય છે આ ક્ષણે. વળી વધારામાં કેમ કે ગાલ પર પડે છે પોષનો તડકો અને આ ક્ષણે અર્થાત્ આ લખું છું તે ક્ષણે અડકોદડકો એમના ત્રિપદથી મારી સમગ્ર ચેતનાને ખેંચતી રહ્યા છે હળુહળુ અને હું ખેંચાઈ રહ્યો છું અગોચર આંતરિકમાં.

[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પુન:મુદ્રણ, ૨૦૧૧માંથી]

(પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ ૨૦૧૬)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book