‘રહે બારણાં બંધ’ – જગદીશ જોષી

ક્યાં જાવું?

મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’

તરંગોને તો દરિયો છે, ભલા, આરાએ ક્યાં જાવું?

‘ક્યાં જાવું?’ એ પ્રશ્નમાં જ કેટલું બધું વણાઈ ગયું છે!… મૂંઝવણ, મથામણ, વ્યથા, લાચારી, અસહાયતા! અનુત્તર રહેલી વિષમ પરિસ્થિતિનો ચિત્કાર એટલે જ આ પ્રશ્ન!

ગતિ તો પોતાનો રસ્તો કરી લે છે. દરિયો તરંગોની મદદથી પોતાનું સ્થાન પામી શકે છે. પરંતુ સ્થિતિને – આરાને – ગતિનું સ્વપ્ન વળગે તો આરાએ ક્યાં જાવું – શું કરવું? દુનિયામાં બુદ્ધિ ભલે અપવાદ હોય, પણ બુદ્ધિવાદનો નાદ હાટે ને ચૌટે સંભળાય છે; આ સાઠમારીમાં દિલમાં ઊઠતી ને શમતી ઝીણી ધડકનને કયો આરો?

જીવન અને મૃત્યુનાં બે અંતિમોની વચ્ચે ઝોલાં ખાતું જીવન ‘એના’ અણસારાના ટાપુને ઝંખે છે; પણ એ અણસારો એટલો અસ્પષ્ટ છે કે સમજણ બહેરી થઈ જાય. જેની ભીતર ગર્ભદીપ થઈને ઢબૂરાઈ જવાનું મન થાય એ જ વ્યક્તિ જાકારો આપે ત્યારે એમાંથી ઊઠતાં વર્તુળોએ ક્યાં જાવું? કોરી આંખ વિસ્મૃતિનું વેરાન છે. જ્યારે આંસુ એ સ્મૃતિનું સાકાર સ્વરૂપ છે. પણ પ્રેમનો પંથ શૂરા ઝાલે કે સુરા ઝાલે, એક વાત તો ચોક્કસ કે પ્રેમનો પંથ એકલતાનો પંથ છે. ‘જેની લાગે લગની એનાં રહે બારણાં બંધ’ એ જ તો આ પંથને છેડે રાહ જોતું હકીકતનું તોરણ છે.

માત્ર બે જ નાનકડી આંખ અને એમાં લાખો સ્વપ્નોનો વસવાટ – તરવરાટ. આંખોથી તે સ્વપ્નો સુધી પહોંચવાના માર્ગમાં પથરાયું છે એક અફાટ રણ. આવા રણની મોઝાર પેલી રસધારા જઈ જઈને ક્યાં જવાની? અસહાયતાની મરુભૂમિમાં પેલી રસધાર અશ્રુધારા થઈને રણ તો ઠીક, કોઈનું હૈયુંય ભીંજવી શકતી નથી.

પુષ્પોને તો ઉત્પત્તિ ને લય છે. એને તો મરણનું શીળું શરણ પણ છે. પણ કાયમની સ્થિતિટીપ ભોગવતા કંટકનો કયો આરો-ઉગારો? શરીરને માટે તો કબર પણ છે – આખરી આરામગાહ પણ છે. પણ પેલો જીવજિપ્સી – જીવવણજારો – ઠરીઠામ થાય એવો રણદ્વીપ ક્યાં છે?

ડહોળાયેલા જીવનમાં જીવવાનો પણ ડોળ કરવો પડે છે! ઇચ્છાજીવન તો પ્રાપ્ત થતું જ નથી; પણ ‘ઇચ્છામૃત્યુ’ પણ કેટલું દોહ્યલું છે! પગની સારવણીમાં ઠસડાતા જીવનને મૃત્યુની સંજીવની પણ પ્રાપ્ત થતી નથી જીવનનો અભિશાપ ધારો ત્યારે ઠેલી નથી શકાતો. મૃત્યુની અપરિચિત ભૂમિમાં અજામ્યો સથવારો કદાચ મળી જાય તોપણ પેલો અનુત્તર પ્રશ્ન તો બાકી જ રહે છે કે ‘ક્યાં જાવું?’

મુશાયરાના મંચ ઉપરથી ગાતાં ગાતાં જીવનમંચ ઉપરથી ઊઠી જવાનું જેને વિરલ સદ્ભાગ્ય મળ્યું એ ‘ગાફિલ’ને જીવનમાં કેટલુંક સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તે તો ખબર નથી; પણ એમની અનેક ગઝલોમાં ‘મોત વિણ મરી લઉં હું, આપ જો રજા આપો’ની વેદના છે. ‘જે ખૂટે છે જીવનમાં એની ઉઘરાણી બની જાવું’ કહેનાર સ્વ. મનુભાઈ ત્રિવેદી ગઝલો લખતા ‘ગાફિલ’ના ઉનામથી અને ભજનો લખતા ‘સરોદ’ના ઉપનામથી તેઓ ન્યાયાધીશ હતા. કોઈ શાયરનો શેર ‘ગઝલ’ના અંકમાં વાંચ્યો:

સૈલાબે અશ્ક, તૂ હી બહા દે ઉધર મુઝે,
કોઈ નહીં જો યારકી લા દે ખબર મુઝે.

‘ઓ આંસુઓના પૂર, તું જ મને એના ભણી વહાવી દે.’ આ ‘ગાફિલ’ ન્યાયાધીશ ‘એના ભણી’નો અર્થ ‘ઈશ્વર ભણી’ એવો કેમ કરી બેઠા હશે?

૨૫-૪-’૭૫

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book