પરણામોની પરકમ્મા – જગદીશ જોષી

પરથમ પરણામ મારા

રામનારાયણ વિ. પાઠક

પરથમ પરણામ મારા, માતાજીને ક્‌હેજો રે

સાચા ‘કાવ્યયજ્ઞની કવિતા’નો કંઠ કેટલો સહજપણે છલકાઈ શકે છે એની પ્રતીતિ આપતું આ કાવ્ય કોઈ પણ ભાષાને ગૌરવ આપે એવું છે. આમાં જગત માટેનું અને અનેકાનેક સંબંધો પાછળનું જ્ઞાનપૂત રહસ્ય છતું થાય છે. પ્રણામને બદલે ‘પરણામ’ અને પ્રથમને બદલે ‘પરથમ’ અને દરેક કંડિયાની પ્રથમ પંક્તિમાં રેલાતો ‘રે’નો લહેકો આ શુદ્ધ કવિતાને એક ભજનના વાઘા પહેરાવે છે.

કવિ – માણસ – બાળક સૌથી પરથમ પોતાની માતાને પ્રણમે છે, પરમાણે છે… જેમ દીવામાંથી દીવો પ્રગટે એમ જીવનને ‘જીવ’ આપનારા માતા. મારા મિત્રનાં માતુશ્રીએ એક જૂની કહેવત યાદ અપાવી: ‘લોચાપોચા માડીના ને છેલછબીલા લાડીના!’ માંસના નિઃસહાય લોચાને, ગોબરમાટીના પિંડને એક રતન કરતાં પણ અદકેરાં જતનથી ઉછેરનાર મા જો એ ‘પરવશ’ કાયાનું જતન ન કરે તો ઉગારો જ ક્યાં છે? ‘મૈં જાગૂં રે તૂ સોજા’ની મમતા-મીમાંસાનું સજીવ ઉદાહરણ પૂરું પાડતી માતા શું પશુજીવનમાં, શું માનવજીવનમાં અનન્ય ભક્તિ અને અપરા શક્તિનું દૈહિક સ્વરૂપ છે. ‘જનનીની જોડ’ ગોતવાની જરૂર જ નથી. કવિએ કહી જ દીધું છે કે ‘નહીં જડે રે લોલ!’ આપણાં શાસ્ત્રો પણ ‘માતૃદેવો ભવ’નું સ્થાપન કર્યા પછી જ ‘પિતૃદેવો ભવ’નું સ્મરણ કરે છે.

વિશ્વમાં લાવે માતાઃ પણ વિશ્વ લાવી આપે પિતા. ઘરની હૂંફાળવી માયાનાં લાળિયાં ઊતરતાંવેંત પિતા ઘરમાંથી શેરીમાં, શેરીમાંથી ચૌટામાં આપણને ‘દોરી’ જાય છે. વ્યક્તિના ‘સમાજીકરણ’માં પિતાની આંગળી કેવડી મોટી ધરપત છે! ‘ડુંગરે દેખાડી ઊંચે દેરીજી’… જીવનમાં મહત્ત્વાકાંક્ષા, શિખર, ધ્યેય મંજિલનું દર્શન કરાવે એટલું જ નહીં, પણ ‘દોરીને’ ચલાવે. માનો લાડીલો પાછો માવડિયો ન થાય એ સમતુલા તો પિતાની જ.

જીવન જીવવાનો કસબ તો માતપિતા શીખવે; પણ જીવન જીતવાનો કસબ તો કોઈ ગુરુ જ શીખવે. અહીં કવિ એક બહુ સૂક્ષ્મ ભેદ બતાવે છે. ‘જડ્યા કે ન જડિયા, તોયે સાચાજી.’ ગુરુમાં ‘સત્‌ગુરુ’ની હેસિયત હોય તો એનાથી વધુ રૂડું શું? પણ તત્‌ને સત્‌ની આભા આપવા માટે વ્યકિતમાં પણ અહમ્ ઓગાળવાની તત્પરતા જોઈએ. જે કોઈ અગમનિગમની વાચા બોલે, જે કોઈ અધિકારી જીવ અવિકારી જીવનની ચાવી આપી શકે તેવા ‘એકને એવા સૌનેય’ પ્રણામ કરવા.

જેની સાથે જગતના ‘ખેલ’ ખેલ્યા અને જેની સાથે ખભેખભા મિલાવીને જગતના ‘જંગ’ પણ ખેલ્યા એવા ભેરુઓ તો ‘ખાલીમાં રંગ’ પૂરે છે, શૂન્યતાને સભર કરે છે. મૈત્રી શબ્દ પણ મિથ્યા લાગે એવા ભાઈ નહીં પણ ભાઈચારાને યથાર્થ કરનાર ભેરુબંધો તો હસાવી હસાવીને ભીતરના મેલને પણ માંજી આપે. કૃષ્ણ-સુદામા હોય કે રામ-લક્ષ્મણ હોય કે ગાંધી-મહાદેવ હોય; મહિમા સંબંધનો નહીં પણ ‘ભાવ’ની ભાવનાનો છે.

વેરીઓ માટે કવિ ‘વેરીડા’ શબ્દપ્રયોગ યોજે છે. જાણે ‘વ્હાલીડા’ ન હોય! વેરીડા શબ્દને લડાવ્યો છે. એમની પાટુ તો ક્યારેક અંતરના ભોગળ ઉઘાડી આપે છે. અંતરના અંધારાને જેણે ‘ઘેરા ઉલેચાવ્યા’ એને ભુલાય તો નહીં જ પણ એને પ્રણામ કરવા ઘટે. ક્યારેક મિત્ર કરતાં પણ દુશ્મન વધારે ફાયદાકાલક બને છે. જાગૃતિ ન આપી શકે તોય જે આપણને સજાગ રહેવામાં ઇચ્છા-અનિચ્છાએ પણ મદદ કરે એવા દાનવીર ગાળદાતાઓની પાટુ તો દૂઝણી ગાયની પાટુ ક્યારેક બને.

સંસારના તાપમાં આપણી સાથે તપે અને તે ઉપરાંત સામી છાંયડી આપે તે જીવનસાથીને પ્રણામ કરો તો વધારે પણ પડે કે ઓછા પણ પડે. જેણે હોળી અને દિવાળી, રોજા ને ઈદ – બધાયે ચાંદ આપણી સાથે ઊગતા-આથમતા માણ્યા છે એને શબ્દો કરતાં પણ અંતરની ‘એક સાંઈ’, એક આત્માનો આશ્લેષ વધુ કારગત લાગશે.

ગાંધીયુગના આ કવિ સંતોનાય સંત એવા ગાંધીજીને કેમ ભૂલે? જેણે ‘ઢોર’ જેવાંઓને માણસાઈની દીક્ષા આપી, જેણે યુગને યુગાન્તરોની યોગદીક્ષા આપી એ આત્મા પેલા ‘ગુરુ’ કરતાં જુદો જ ‘મહાત્મા’ છે. અને છેલ્લે બધા જ સંબંધોનો જ્યાં સરવાળો છે, જેમાં ‘સર્વસ્વ’ આપવાની અનંત શક્તિ છે, જે ખરેખર તો આત્માના ‘હંસ’નું માનસર છે, એ જગતની વિદ્યાપીઠ ગત અને અનાગત સૌનાં વંદનની અધિકારી છે.

આપણા સર્જકો, વિદ્વાનો અને વિવેચકોમાં આદરણીય સ્વ. રામનારાયણ પાઠકનું આ કાવ્ય એમની ‘જીવનદૃષ્ટિનું સૂચક’ હોવાથી આ કાવ્યનું સ્મરણ-મનન કરી એ બહુશ્રુત કલાકારની સ્મૃતિને આપણે પણ ‘પરણામ’ કરીએ!

૧૫-૮-’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book