જીવનનો સંકેત – હરીન્દ્ર દવે

સુરેશ . જોશી

કવિનું વસિયતનામું

કદાચ હું કાલે નહીં હોઉં

કવિ પહેલી જ પંક્તિમાં કહે છેઃ ‘કદાચ હું કાલે નહીં હોઉં…’ પણ એ પછીની બધી જ પંક્તિઓ કવિ કાલે જ નહીં, પણ ચિરકાળ સુધી આપણી વચ્ચે રહેવાનો છે એ જ વાત ભારપૂર્વક કહે છે. આમ કવિનું આ વસિયતનામું એ કવિના મૃત્યુનો નહીં, જીવનનો સંકેત બની રહે છે.

જગત કવિનું ઋણી છે. લોકોએ ભાષા નીપજાવી. કવિએ એમાંથી શબ્દો તારવી લીધા. એ શબ્દોમાં રહેલી અર્થની અપાર છાયાઓને કવિ શાંત ચિત્તે સાંભળે છે. કવિને મન સૂરજ એટલે ભૂગોળના પહેલા પાઠમાં પૂર્વ દિશાની ઓળખ આપવા માટે વપરાતા અવકાશી પદાર્થનું નામ નથીઃ પ્રાતઃકાળે ઉદ્યાનમાંના પર્ણો પર ઠરેલા ઝાકળબિંદુ પી જતા સૂર્યને કવિ બંધ આંખોમાં રહી ગયેલા અશ્રુબિંદુને સૂકવવા માટે પડકાર કરે છે. યુગો પહેલાં ભવભૂતિની સીતાએ કહેલાં રુદનને કોઈ સૂર્ય સૂકવી શક્યો છે? સીતાની આંખનું એ અશ્રુબિંદુ હજી યે તાજું જ છે. પુત્રોના રક્તથી ખરડાયેલા હસ્તિનાપુરના સિંહાસન પર સામ્રાજ્ઞીપદે બિરાજતી પાંચાલાની આંખનું આંસુ સમયના સૂર્યનો આકરો તાપ પણ ક્યાં શોધી શક્યો છે! સમાચાર-ચિત્રમાં દુશ્મનના બોમ્બથી તરડાઈ ગયેલા ચહેરાને બંને કાન પર હાથ દાબી એકઠો રાખવા મથતા સૈનિકને જોઈ નવકવિ હાઈડન કારૂથની આંખમાંથી વહેલા અશ્રુપ્રવાહને કોણ સૂકવી શકે છે?

કવિની કવિતામાં પ્રગટેલા અશ્રુને શોષવાનું બળ સૂર્યમાં નથી.

વર્ડ્ઝવર્ષે જેને ‘હરિયાળી ધરતી પર ગાતી’ સાંભળી હતી એ કન્યા તો પછી વૃદ્ધા પણ થઈ હશે અને એનો ચહેરો સમયના રૂક્ષ ઉઝરડાઓથી વરવો પણ બન્યો હોઈ શકે. પણ કવિતામાં એ કન્યાના મધુર ગીતનું જે સ્પંદન કવિએ મઢી લીધું છે એને શાશ્વત યૌવન સાંપડ્યું છે. કવિ જેને પ્રેમ કરે છે એ નારીનું યૌવન સમયના સંદર્ભમાંથી ખસી જઈને નિરપેક્ષતાના સંદર્ભમાં મુકાઈ જાય છે. એટલે જ કવિ એમની વસિયતમાં દૃઢતાથી કહી શકે છે કે પવન, ગમે તેવો ઝાંઝાવાત પણ કવિએ એની કવિતામાં મઢી લીધેલા કન્યાના સ્મિતના પક્વ ફળને ખેરવી શકે એમ નથી.

શ્રદ્ધા અને અશ્રદ્ધા વચ્ચે સતત ઝોલાં ખાતી સર્જકતાનો એક ઉદ્ગાર આયરિશ કવિ પેટ્રિક કાવાનાગમાં સાંભળ્યો ત્યારે અપ્રતિમ લાગ્યો હતોઃ

My Soul was an old horse
Offered for sale in twenty fairs

લગભગ એ જ કાવ્યત્વના શિખરે પહોંચતો ઉદ્ગાર અહીં કવિની ‘વસિયત’માં સાંભળવા મળે છે; સાગરના તરંગો હૃદયમાં ખડક થઈ ગયેલા કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા મથે છે—છતાં ફાવતા નથી.

સુદ આઠમનો ચન્દ્ર ઊગે છે ત્યારે એની સાથે સંલગ્ન થવા આપણી ભીતરમાંનું કોઈ તત્ત્વ બેચેન બની ઊઠે છે. એ તાર ક્યારેય સંધાતો નથી. જાળના આંકડા જેવો ચંદ્ર હમેશાં ઝૂકે છે, ભીતર હમેશાં ઊછળે છે, તરફડે છે. પણ મુક્તિ એના ભાગ્યમાં નથી. અને એ જ રીતે, હમેશાં અજંપો અનુભવતું આ સ્થૂલ દેહ કરતાં કાંઈક જુદું જ અસ્તિત્વ-જેને કવિ વિરહી પડછાયો કહે છે એ—ની ચિતા કયો અગ્નિ પ્રકટાવી શકશે?

એટલે જ છેલ્લે જ્યારે કવિ ફરી વાર ‘કદાચ હું કાલે નહીં હોઉં’ એ પંક્તિ મૂકે છે ત્યારે ‘કદાચ’ એ એક શબ્દ મટી સૃષ્ટિ બની જાય છે. બીજા બધા શબ્દો પર ‘કદાચ’ છાવરી જાય છે. પહેલી પંક્તિ વાંચતી વખતે ‘કદાચ હું કાલે નહીં હોઉં’ એ શબ્દો માની લેવા જેટલા આપણે ભોળા બન્યા હોઈએ તો છેલ્લી પંક્તિ વખતે ‘કદાચ’ એ શબ્દ ‘હું કાલે નહીં હોઉં’ એ શબ્દોને ઢાંકી દે છે. અને આપણે શેલીની વારંવાર ઉદ્ધૃત થઈ થોડી ચવાઈ ગયેલી કાવ્યપંક્તિનો નવો મર્મ પામીએ છીએ. Till future dared forget the past ભવિષ્ય ભૂતકાળને ભૂલવાની હિંમત ન કરે ત્યાં સુધી, એટલે કે પ્રલયકાળ-કયામત-આવે ત્યાં સુધી કવિ રહેશે.

એટલે જ કવિનું વસિયતનામું મૃત્યુના સંકેત તરીકે નહીં, જીવનના સંકેત તરીકે આવે છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book