માણસ એટલે વેદના એટલે માણસ – જગદીશ જોષી

ઉર્ફે

નયન હ. દેસાઈ

માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે…

ઉર્ફે એટલે કે અથવા એટલે કે કિંવા એટલે કે –ને બદલે એટલે કે –ની જગ્યાએ એટલે કે ધૅટ ઇઝ એટલે કે ‘નેઇમલી’ એટલે કે ‘નોમેર્માં’ … એટલે કે માણસ. માણસ એટલે? તમે એટલે? હું એટલે? આ પ્રશ્નપરંપરા છે; ઉત્તર ‘નેતિ નેતિ’. કેવળ પ્રશ્નો, કેવળ વિટંબણા એટલે જ માણસનું જીવન?

પ્રથમ પંક્તિમાં જ માણસની બાજુમાં જ રેતી મૂકી દીધી છે. રેતીની આંગળીએ ભલે અધ્યાસમાં કે જીવનમાં દરિયો આવે પણ એ બધું આવ્યા પછી પણ ‘ડૂબી જવાની ઘટના’ એટલે જ માણસ ઘટના એટલે કંઈક બને છે અને જે બને છે તેને અંત છે જ. લોહીનો ધર્મ વહન છે; પણ વહેતાં વહેતાં ‘વહી જવા’નો તેને અંત છે જ. લોહીનો ધર્મ વહન છે; પણ વહેતાં વહેતાં ‘વહી જવા’નો એટલે કે ખૂટી જવાનો ધર્મ પણ એમાં બીજ રૂપે રહ્યો છે. ધીમે ધીમે કાળના સૂર્યના તાપથી રક્તનું જાણે બાષ્પીભવન થઈ જાય છે.

બારીની જેમ ખુલ્લી આંખોમાં દિવસ ઊગે કે આથમે; પરંતુ આપણે આંખોને એવી ‘કેળવી’ છે કે તેની ઉપર આપણે મખમલના નહિ પણ ‘મતલબના’ પડદા ઢાળી દીધા છે, મતલબના વેઢા ગણવામાં આપણે જીવનરૂપી પંખીને ઊડી જવા દઈએ છીએ – અને એ મખમલી પાંખોના હવાઈ લાસ્યને જોવા પૂરતી પણ ફુરસદ મેળવી શકતા નથી. પગલાંમાંથી પંથ અને પંથમાંથી પગલાં ફૂટ્યાં જ કરે; એ પંથ ઉપર આપણે આવનજાવન કર્યા જ કરીએ. પરંતુ એ રસ્તાની અડખે-પડખે ફૂલ ઊગે કે પથ્થર; આપણને ક્યાં તમા છે? ‘પુષ્પો સાથે વાત કરવાની સમય’ પણ ક્યાં છે? રસ્તા ઉપર મળેલાં ફૂલો સાથે વાત કરવાના છેતરામણા કોડથી આપણે ક્યારેક એ ફૂલોને ઘરમાં લાવીએ છીએ. એ ફૂલો છો કરમાઈ જતાં; પણ આપણને તો તાલાવેલી છે ‘ઊગી જવાની’. સાધન કે સાધનાની આપણને પરવા નથી; પરવા છે માત્ર સાધ્યની — ‘યેન કેન પ્રકારેણ’.

વજ્જરની છાતીનાં પાટિયાં ભીંસાય છે ને તે પીગળી પણ જાય છે. પરંતુ મીણની મજા જેટલી જામી પડવામાં નથી એટલી ‘પીગળી જવામાં’ છે. આંસુ અને શૈશવ એ બે કૂવા એવા છે કે જેમાં ડૂબીને તરી જવાય. આંસુ સાર્યા પછી માણસનું હૈયું એટલું તો હળવું ફૂલ બને કે પછી બાળકની જેમ રમતાંકૂદતાં પેલા રેતીના પ્રસ્તારને પણ કૂદી જવાની હામ નહીં, તો હળવાશ આવે જ છે.

સૂરજ આકાશમાં નહીં, છાતીમાં ઊગે છે. અને ત્યાં અરણ્યદહન પ્રજ્વળે છે. અને જે જીવનમાં શૂન્યની સલ્તનતોની આણ ફરતી હોય ત્યાં એ સૂરજનો પ્રકાશ, એ પ્રકાશનું જ્ઞાનમાત્ર, પસથી લચપચતા પીળા ગૂમડા જેવો લબકારા લેતો હોય છે. ગૂમડાની જાત છે, પાકે અને પછી પચ દઈને ફૂટી જાય. જેમ ગૂમડું ફૂટી જાય એમ માણસ પણ ભરી મહેફિલમાંથી ઊઠી જાય… રંગમાં ભંગ પડે. પણ આ જીવનની મહેફિલમાં રંગ છે ખરો? આ મહેફિલ ભરી ભરી હતી ત્યારે પણ ત્યાં વેદના જ હતી – અર્ધ પાકેલા ગૂમડા જેવી, અને એટલે જ ગઝલનો એક દોર પૂરો થયો ન થયો ત્યાં તો છેલ્લી પંક્તિના છેલ્લા શબ્દ સાથે બીજો દોર શરૂ થાય છે; પહેલી પંક્તિના પહેલા શબ્દથી — ‘ઊઠી જવાની ઘટના ઉર્ફે… માણસ ઉર્ફે રેતી ઉર્ફે…’

નયન દેસાઈ પણા નવા ગઝલકાર કવિ છે. અને પાછા સુરતના છે. અને સુરતનું નામ પડે એટલે રંગ; અને રંગ ઉર્ફે જયન્ત પાઠક ઉર્ફે ગની દહીંવાલા ઉર્ફે ભગવતીકુમાર શર્મા ઉર્ફે…

૨૬-૧૨-’૭૬

(એકાંતની સભા)

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book