વિદાયનું ગીત – હરીન્દ્ર દવે

નાથાલાલ દવે

અમારી રાત થઈ પૂરી

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,

આ વિદાયની કવિતા છેઃ પણ આ કઈ વિદાય છે? એકાદ રાત્રિના મહેમાન તરીકે રહેવાનું ભાગ્યમાં હોય અને એ રાત્રિ પૂરી થાય એટલે નીકળી જવાનું છે, એવી જેને પ્રતીતિ થઈ ચૂકી છે એવા પ્રવાસીની આ વિદાય છેઃ કવિતાનો આરંભ થાય છે ત્યારે જ કશુંક પૂરું થઈ ચૂક્યું છે. એનો પહેલો જ શબ્દ જુઓઃ ‘રજા’. જે ખૂબ પ્રિય છે તેનાથી છૂટા થવું પડે એમ છે એની અસહાયતા આ શબ્દમાં દેખાય છે. આ રજા જેની માગવાની છે તેને કરાયેલું સંબોધન પણ સૂચક છે; ‘રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી…’

માત્ર રાત જ પૂરી નથી થઈ, ઘણું બધું પૂરું થઈ ચૂક્યું છે. એક આખી દુનિયા હવે સમેટી લેવાની છે. અને આપણે જાતે સમેટી નહીં લઈએ તો એ સમેટાઈ પણ જવાની છેઃ રાત્રિના જામમાં છલકતા તારાઓ જેમ આપોઆપ ડૂબી ગયા, ચન્દ્ર લય પામ્યો, સુરગંગાનું આંદોલિત વહન અટકી ગયું. આ બધાની માફક આપણા અનુબંધની સૃષ્ટિનું પૂર્ણવિરામ પણ નજીક છે.

આ કેવળ વણઝારાના કોઈ એક રાતના મુકામની વાત છે? સવારે નોબત વાગે છે, ઊંટની હારો રવાના થાય છે, એ સાથે અસહાય બની ચરણ ઉપાડતા પ્રવાસીની જ વાત છે?—

‘દાગ’નો એક શેર યાદ આવે છેઃ

હોશોહવાસ તાબો તવાદાગજા ચુકે,
અબ હમ ભી જાને વાલે હૈ, સામાન તો ગયા.

ભાવની સૃષ્ટિ તો વિદાય લઈ રહી છે. એ આપણો સામાન છે. એ જાય એટલે આપણે એક વિદાય લેવાની ક્ષણ નજીક આવી છે એ જાણી જ લેવાનું.

અહીં કોઈક આવી વિદાયની વાત છે.

આ જગતમાં પણ આપણે કેટલા અસ્થાયી છીએ એ આપણે જાણતા હોઈએ છીએ. એક સંતે તો આ દુનિયાને સરાઈ (ધર્મશાળા) કહી છે. રાતવાસો પૂરો થાય અને સવાર થતાં ચાલી નીકળવાનું.

છતાં આ રાતવાસો જ્યાં થતો હોય છે ત્યાં માયા પણ લાગી જતી હોય છે.

સ્વર્ગની ઝાંખી કરાવે એવા આ રૂપને એક છેલ્લું ચુંબન લીધુંઃ પગની મેંદી, ગુલાબી હોઠ પરની રક્તિમ ઝાંય, શરીર પર મહેકતી કસ્તુરી અને આંખની આસપાસની રતાશઃ આ બધું હવે ભૂલી જવાનું છેઃ પ્રાતઃકાળની બાંગ સંભળાઈ રહી છે—વણઝાર ઊપડવાની નોબત વાગી રહી છે.

જવાનું છે એ જાણીએ જ છીએ, ખુમારીથી કહીએ પણ છીએ. અમે તો મિસ્કિન છીએઃ અમારા રાહ ન્યારા છે… છતાં દિલમાં કોઈક દર્દ થાય છે. રાતવાસા-એ એક માયા જગાડી દીધી છે. કોઈ સંગીત આપણે સાંભળ્યું છે એટલું જ નહીં, એ સંગીતના લયમાં આપણે ગાતા પણ થયા છીએઃ એ બધું કહેવાનું મન તો છે—પણ સમય ક્યાં છે?

—લ્યો, હજી તો વાત શરૂ ન કરી ત્યાં તો વાત પૂરી થઈ. હજી હમણાં જ આકાશમાં અંધકારનાં જળ પથરાવતી રાત આવી હતી. પલકવારમાં તો એ વીતી પણ ગઈ.

ચાલો, ત્યારે કઠણ મને આ વિદાય લેવી જ રહી. અને યાત્રી કહે છેઃ

રજા, ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.’

એ વિદાયનું ગીત છે—તમે કોઈ પણ વિદાયના સંદર્ભમાં એનું સંવેદન અનુભવી શકો એટલું સાચું ગીત છે.

(કવિ અને કવિતા)

 

License

અર્વાચીન ગુજરાતી કાવ્ય-સંપદા આસ્વાદો Copyright © by સહુ લેખકોના. All Rights Reserved.

Share This Book