શ્રાવણ નીતર્યો – બાલમુકુન્દ દવે

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલોજી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલોજી.

આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલોજી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલોજી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલોજી
પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલોજી.

આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલોજી
પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલોજી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલોજી
આ વરસે અમરત મેહ હો કોઈ ઝીલોજી.

આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલોજી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલોજી.

આ ચળકે વાદળતલાવડી કોઈ ઝીલોજી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલોજી

આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલોજી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલોજી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલોજી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલોજી.

આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલોજી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલોજી.

બાલમુકુન્દ દવે
[‘સહવાસ’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.