ભગવાન તે જ આપે – પાંડુરંગ આઠવલે

               ભગવાન આપણે માગીએ તે આપવાવાળા નથી. શંકરાચાર્યે नमस्कृताभीष्टवरप्रदाभ्याम् કહ્યું છે. अभीष्टवरप्रदाभ्याम् એટલે મારું જેમાં કલ્યાણ હોય તે જ એ આપે, બાકી બીજું ન આપે. જેનાથી જીવનનો વિકાસ થાય તે જ ભગવાન આપે.
               સાધકના જીવનમાં આવો અનુભવ ઘણી વખત આવે. એનો પુણ્યસંચય થયેલો હોય અને ભગવાન પાસે એ કાંઈ માગણી કરતો હોય પણ તે મળતું ન હોય. આમ છતાં, ‘મારો આટલો પુણ્યસંચય થવા છતાં મને મળતું કેમ નથી ?’ એવું તેને લાગતું નથી.
               માગ્યા પછી તરત આપે તે મા જ નહીં. માગ્યા પછી ના પાડે તેનું નામ જ મા ! માગ્યા પછી તરત આપે તે બીજા. એ તો કહે – ‘લે, જા ને મર.’ એમનું શું જવાનું છે ? પણ માની ભૂમિકા જ જુદી હોય. મા પાસે માગો તો પણ એ આપે જ એવું નહિ. અંગ્રેજીમાં એક કહેવત છે ‘Jam yesterday, jam tomorrow, no jam today.’ છોકરો ખૂબ ગળ્યું ખાય એટલે એની તબિયત બગડે. તેથી તે મીઠાઈ માગે ત્યારે એની મા કહે : ‘ગઈ કાલે મીઠાઈ હતી, આવતી કાલે પણ આપીશ, પણ આજે મીઠાઈ નહીં મળે.’ આવી રીતે મા જ ના પાડે. હોટેલવાળો ના ન પાડે. ભગવાન હોટેલવાળો નથી કે તમે પૈસા – પુણ્ય આપો કે તરત તમે માગો તે આપે. ભગવાન મા છે. હોટેલવાળાને તો પૈસા કમાવા છે – તમારું પેટ બગડે તો એના બાપુનું શું જાય ? એને તો, તમે પૈસા આપો એટલે આપવું જ પડે. પણ ભગવાન આવી રીતે બંધાયેલા નથી કે એ માગો તે આપે જ. આ ભગવાનનું માતૃવાત્સલ્ય છે. તેથી જ શ્રી શંકરાચાર્યજી કહે છે ભગવાન अभीष्टवरप्रदाभ्यम् – એટલે કે જેમાં કલ્યાણ હોય તે જ આપવાવાળા છે.

પાંડુરંગ આઠવલે

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.