મહાદેવભાઈની ડાયરી-યશવંત શુક્લ

           મહાદેવભાઈ 1917માં ગાંધીજીની સાથે જોડાયા ત્યારથી તે 1942માં તેમનો દેહાંત થયો ત્યાં સુધીની ડાયરી તેમણે લખેલી છે. ગાંધીજીના પત્રવ્યવહારની, તેમનાં ભાષણોની, વ્યક્તિઓની સાથે થયેલી વાતચીતોની તેમજ વિવિધ વિષયો ઉપરના તેમના વિચારોની તેઓ નોંધ કરી લેતા.

            ગાંધીજીનું આખું જીવન તદ્દન ખુલ્લું હતું. અંગત અને ખાનગી ગણાય એવી એમની વાતો જેટલી જગત જાણતું હશે, એટલી ભાગ્યે જ બીજા કોઈ નેતાની જાણતું હોય. છતાં ગાંધીજીની ઘણી જાણવા જેવી વાતો હજી જનતાને જાણવા ન મળી હોય. ગાંધીજીની બહાર નહીં આવેલી ખાસિયતો તથા જીવનપ્રસંગો તેમજ જીવનને લગતા ગાંધીજીના વિચારો આ ડાયરીઓમાંથી જાણવા મળે છે. તેમણે વાંચેલાં પુસ્તકોનું વિવેચન અને કેટલાંય પુસ્તકોમાંથી આકર્ષક ફકરા મહાદેવભાઈએ આપ્યા છે.
મહાદેવભાઈની ડાયરીઓ ગાંધીજીના જીવનચરિત્રા માટેનો કાચો, અતિશય મહત્ત્વનો મસાલો છે. માનવજાતિને પ્રેરણા આપનાર બહુ ઉપયોગી સાહિત્ય તરીકે તેનું મહત્ત્વ છે.

           ગાંધીજીની જીવનકળા ઉપરાંત મહાદેવભાઈની કર્તવ્યનિષ્ઠા, અનેક વિષયોમાં તેમનો રસ આ ડાયરીઓમાં પ્રગટ થાય છે. મહાદેવભાઈમાં ઊંચા પ્રકારની સાહિત્યશક્તિ હતી. બીજાના ગુણ જ જોવાનો તેમનો સ્વભાવ પડી ગયો હતો. તેમની નમ્રતા, પોતાની જાતને ભૂંસી નાખવાની તેમની વૃત્તિ, એ તેમના જીવનસાર્થક્યની મુખ્ય ચાવી હતી. એ વસ્તુનું દર્શન આ ડાયરીઓમાં થાય છે. વસ્તુના ઉદાત્તપણાને લીધે તેમજ તે રજૂ કરવાની શૈલીની ચિત્તાકર્ષકતાને લીધે ‘મહાદેવભાઈની ડાયરી’નું સ્થાન દુનિયાના આ જાતના સાહિત્યમાં બહુ ઊંચું રહેશે.

નરહરિ પરીખ
[‘મહાદેવભાઈની ડાયરી’ : પુસ્તક પહેલું]
**

               મહાદેવભાઈની ડાયરી એ પ્રધાનપણે ગાંધીજીની પ્રવૃત્તિની ડાયરી છે. આપણા સમયની એક વિરલ વિભૂતિના પ્રભાવી વ્યક્તિત્વનાં વિવિધ પાસાં આ ડાયરી દ્વારા વાચક ખૂબ નજીકથી જોવા પામે છે. ગાંધીજીને મળવા આવનાર, એમની સાથે પત્રવ્યવહાર કરનાર અનેક વ્યક્તિઓનો એમાં પરિચય મળે છે. મહાદેવભાઈનું વાચન વિવિધ અને વિશાળ હતું. એમણે વાંચેલાં પુસ્તકોનાં સારગ્રાહી વિવેચન, ઉતારા વગેરે ડાયરીમાં એમણે છૂટે હાથે વેર્યાં છે. એમની શૈલી મોહક છે, ભાષાનો પ્રવાહ અસ્ખલિત વહ્યો જાય છે.

              મહાદેવભાઈની ડાયરી સાથે સરખાવી શકાય એવાં લખાણોનો વિચાર કરીએ તો, તેમાં એકરમેનનું ‘કોન્વરસેશન્સ વિથ ગેટે’ આવે. શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે રામકૃષ્ણદેવના વાર્તાલાપોની રોજેરોજની નોંધ રાખેલી, તે ઉપરથી ‘શ્રી રામકૃષ્ણ કથામૃત’ મહાગ્રંથ લખેલો છે. તેના અંગ્રેજી ‘ધ ગોસ્પેલ ઓવ શ્રી રામકૃષ્ણ’ની પ્રસ્તાવનામાં આલ્ડસ હક્સ્લીએ તેના લેખક વિશે લખ્યું છે :
To a deep knowledge of his master’s teaching, he added a happy gift for recording the small happenings of each day in an interesting way. To read through these conversations is in itself a liberal education in humility and tolerance.

            [પોતાના ગુરુના ઉપદેશોનું ઊંડું જ્ઞાન ધરાવવા ઉપરાંત રોજેરોજના નાના નાના પ્રસંગોની રસભરી નોંધ કરવાની કલાનું તેમને સુખદ વરદાન હતું. એ વાર્તાલાપોનું વાચન કરવામાં જ વિનમ્રતા અને સહિષ્ણુતાની કેળવણી આપોઆપ મળી રહે તેમ છે.]

               આ શબ્દો મહાદેવભાઈને પણ એટલા જ ઔચિત્યપૂર્વક લાગુ પાડી શકીએ.

નગીનદાસ પારેખ
[‘પરિચય અને પરીક્ષા’ પુસ્તક]
**

           આ ડાયરીમાંથી ગાંધીજીની છબી સુરેખ ઊઠી આવે છે. ગાંધીજી જીવનની પળેપળ કેવી ઊંચાઈએ જીવતા હતા, ક્ષણેક્ષણને કાર્યથી ભરી દઈ દરેકેદરેક કાર્યને કેવા અલૌકિક મહત્ત્વથી અંકિત કરતા હતા, તે આ ડાયરીમાંથી આપણને પ્રતીત થાય છે. જાણે ગાંધીજીની પાસે રહીને આપણે નજરોનજર એમની એકધારી મહાનુભાવિતાનું દર્શન કરી રહ્યા ન હોઈએ ! એવો અનુભવ થાય છે.

         આ ‘મહાદેવભાઈની ડાયરી’નો વિષય મહાદેવભાઈ નથી. મહાદેવભાઈનું હૃદય તો એક વાત જાણે છે : સ્વચ્છ થઈને બાપુની સામે ઊભા રહેવું, જેથી બાપુની યથાર્થ છબી એમાં સ્ફુરી રહે. આ ડાયરીમાં ગાંધીજીનું પ્રતિબિંબ જોઈ, સ્થિર પ્રસન્ન જલાશય જેવા લેખકના ચિત્તનો પણ આહ્લાદક અનુભવ થાય છે.

ઉમાશંકર જોશી
[‘અભિરુચિ’ પુસ્તક]
**

          જગત-સાહિત્યમાં ડાયરીઓ ઘણી મળશે, તથાપિ [19મી સદીના સ્વિટ્ઝર્લેન્ડના કવિ અને ફિલસૂફ] એમિયલનું ‘જર્નલ’ અને ‘મહાદેવભાઈની ડાયરી’ જેવી રચનાઓ વિરલ ગણવી રહેશે. સમયના વિશાળ પટ પર પથરાયેલી, આવડા ઊંચા સાહિત્યગુણવાળી ડાયરી બીજી એકે આપણા સાહિત્યમાંથી બતાવી શકાશે નહીં.

           જીવનની પળેપળને પોતાની મહત્તાથી અંકિત કરતા ગાંધીજીના પ્રેમમય વ્યવહારના કેટલા બધા પ્રસંગો [ડાયરીમાં] આવ્યા જ કરે છે. પ્રજાના સમુદ્ધારનો હિમાલય જેવડો કર્તવ્યબોજ ઉપાડનારને અનેકના અંગત-બિનંગત પ્રશ્નો પર જીવનવિધાયકની દૃષ્ટિથી સલાહસૂચન આપતા કે લમણાઝીક કરતા, મૂર્ખ દલીલોને ધીરજપૂર્વક સાંભળતા ને તુચ્છકાર્યા વિના એનું ખંડન કરતા, એને રીઝવીને એમને કાઢતા, કોઈને ટપારતા, કોઈની ટીખળ કરતા, વિદેશી સરકારની અવળાઈઓને સતત લડત આપતા… અને આ બધાંને અંતે નિર્દોષ બાળકની જેમ ઘસઘસાટ ઊંઘતા આપણે જોઈએ છીએ.

          ગંગાની જેમ નિત્ય, પ્રવાહમાન એક અલૌકિક વ્યક્તિના ઠેઠ સાંનિધ્યમાં ડાયરી આપણને મૂકી દે છે અને એની પુનિત વિચારધારાનું આપણા અંતરમાં સતત સિંચન થતાં આપણે પણ પાવન થઈએ છીએ.

યશવંત શુક્લ
[‘ઉપલબ્ધિ’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.