નીરખતું કોણ ?

નીરખતું કોણ આ ગગનની પારથી,
અણસુણ્યાં ગુંજતાં ગાન કોનાં ?
રણઝણે શબ્દ આભે ગહન, આંતરે
અણદીઠાં ઝળકતાં વદન કોનાં !

સરિતના વ્હેણમાં તરવરે તરુવરો,
ફરફરે મ્હેકતા શબ્દ કમળે;
પવનના સ્પર્શમાં હસ્ત કોનો ફરે ?
શ્વાસમાં પરિમલે વ્હાલ સઘળે !

સકળ શાસ્ત્રો થકી યોગવિદ્યા થકી
વેદ શુક-પાઠથી ના પમાયે;
નવ જડે પાઠપૂજા ને જપતપ કીધે,
પુરુષ પ્રાણ પ્રેમે ઝલાયે.

જળ વિના કૂપનાં રૂપ વિરૂપ ને
મેઘ વિણ પૃથ્વીનાં વાન ભૂંડાં;
પર્ણ વિણ વૃક્ષ સૂકાં રૂઠયા સ્વજન શાં,
કમલ વિણ સર દીસે સાવ કૂડાં.

દીપ વિણ મહેલ, કીકી વિના લોચનો,
આત્મવિણ દેહશણગાર જેવા;
ભક્તિ વિણ જ્ઞાન વિણ દૃષ્ટિ વિણ તેજ વિણ
લક્ષકોટિ જનમફેર તેવા.

ચંદ્રશંકર ભટ્ટ, ‘શશિશિવમ્’

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.