એક જ કલગી-ઝવેરચંદ મેઘાણી

                    હું તો મારા કંઠમાં પાંચસો ગીતો પકડીને બેઠો છું. એ ચાલ્યાં જતાંને મેં હજુય આગમાંથી ઉગારી પકડી રાખેલ છે, પણ હું કરું શું ? કોની પાસે જાઉં ? મારે એક મોટું volume [ગ્રંથ] ગીતોનું બનાવવું છે, ‘રઢિયાળી રાત’ના ત્રણ ભાગોની અંદર ન આવી શકેલાં પુષ્કળ છે. ભજનોનું કરાવી રહ્યો છું. પણ એ બધું હું કોના સહકારથી કરું ? મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી,

                  લોકસાહિત્યની એક જ કલગી બસ છે, ને એને vindicate [સાર્થક] કરવા માટે મારી પાસે ઘણું છે. ચારણી સાહિત્ય મારા હાથમાં છે. પેલા વળાવાળા ચારણ- કવિ ઠારણભાઈ, એકસઠ વર્ષની વયના છેલ્લા અવશેષ, ગઈ કાલે જ ભેટી ગયા. એને ઘેર, મારા ગામથી આઠ જ ગાઉ ઉપર, પાંચસો વર્ષ અંદરની હસ્તપ્રતો- ચોપડાના થોકેથોક પડયા છે, પણ હું એનો ભંડાર જોઈને શું કરું ? હું એકલો કેટલુંક કરી શકું ? Revival માટે મેં રસમાર્ગ લીધો, તો વિદ્વાનો કહેશે કે આમાં શાસ્ત્રીયતા નથી. અરે ભાઈ, શાસ્ત્રીયતા તો યુનિ.ની ડિગ્રી લઈ આવનાર સેંકડો બતાવે છે, મારો છોકરો ય કાલે બતાવશે, પણ પાંચસો ગીતો ને પાંચસો દુહા, આટલાં ભજનો ને આટલાં ચારણી કાવ્યો ને એનામાં રસ મૂકતી બીજી થોકબંધ પ્રસાદીઓનો બોજ ખેંચનારને અશાસ્ત્રીય કહીને કાઢી નાખ્યે શો લાભ છે ? ને એમ હું ગળાઈને ઇતિહાસમાંથી કાંકરા-કસ્તર જેવો નીકળી જાઉં તો યે શો અફસોસ છે ? પણ હું મારી પાસે જીવનતત્ત્વ છે તેને ક્યાં લઈ જાઉં તે કોઈ કહેશો ?

                     મારું ઇતર લેખન જરૂર જરૂર ભલે ભૂંસાઈ જાઓ (ને ભૂંસાઈ જ જશે તો !) હું ફક્ત એકલા લોકસાહિત્યનું નામ લઈને ઊભો રહીશ. એમાં રહેલી નાનપ પણ મને મારી પોતાની લાગશે.

ઝવેરચંદ મેઘાણી
[ઉમાશંકર જોશી પર પત્ર : 1940-1941]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.