ગાંધીજીના થઈ ગયા

               પહેલાં હું ક્રાંતિકારી દળમાં હતો. ક્રાંતિકારી નેતાઓની દેશભક્તિ ઉજ્જ્વળ હતી. ત્યાગ અને બલિદાન માટે તેઓ હંમેશાં તૈયાર રહેતા. ફાંસીએ ચડવાની તૈયારી. પણ અંગ્રેજોનો મુકાબલો કરવો હોય તો આપણી તૈયારી કેટલી હોવી જોઈએ, એનો હિસાબ નેતાઓ પાસે નહોતો. લોકજાગૃતિ માટે શું કરવું જોઈએ, એનો અંદાજ એમનામાં ન હતો. સરકારે નેતાઓને સખત સજાઓ કરી, અને કઠોરતાથી પ્રજાને દબાવી દીધી. મેં જોયું કે કોઈ પણ રાજદ્વારી પક્ષની અસર જનતા પર ખાસ દેખાતી નથી. લોકો અસંતોષ કેળવે છે, પણ શક્તિ કેળવતા નથી.
               મારા પર વેદાંતનો પ્રભાવ હતો. સંતસાહિત્યનો પણ પ્રભાવ હતો. દેશમાં કશું નક્કર કરવાની આશા જ્યારે દેખાઈ નહીં, ત્યારે આધ્યાત્મિક પ્રેરણા મેળવવાની અને પ્રજાહૃદય ઓળખી એના પર અસર કરવાની યોગ્યતા મળે એ ઇચ્છાથી હું હિમાલયમાં ગયો. હિમાલયમાં કુદરતી ભવ્યતાનાં દર્શન કરતાં કરતાં હું આધ્યાત્મિક સાધના તરફ વળ્યો.
               પણ એક સંકલ્પ મને બાકીનું જીવન પૂરું કરવા પાછો લઈ આવ્યો. એ સંકલ્પ હતો ભારતમાતાની સ્વતંત્રતાનો. ભારતમાતાને ગુલામીમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી મને પોતાને મોક્ષ મળે તોયે મારે એ માણવો નહોતો. મારામાં એક વિચાર મજબૂત થયો હતો કે સમસ્ત પ્રજામાં રાષ્ટ્રીય કેળવણી દ્વારા આધ્યાત્મિક તેજ પેદા કર્યા વગર પ્રજાકીય ઉત્થાન શક્ય નથી.
               એ અરસામાં રવીન્દ્રનાથ ઠાકુરના કેળવણી-વિષયક અને આધ્યાત્મિક વિચારોનો રંગ પણ મને લાગ્યો હતો. મેં રવિબાબુને પત્રા લખ્યો કે, “હું રાષ્ટ્રીય શિક્ષણનો પ્રેમી છું. ચાર-છ મહિના શાંતિનિકેતનમાં રહી આપના શિક્ષણના આદર્શનું અને પદ્ધતિનું અધ્યયન કરવાની મારી ઇચ્છા છે.” રવિબાબુનો તરત જવાબ આવ્યો : “આવો.”
1915માં ગાંધીજી આફ્રિકાથી હિંદુસ્તાનમાં આવ્યા, અને શાંતિનિકેતનમાં હું એમને મળ્યો. એમની સાથે ઘણી ચર્ચા કરી. એમાં મેં કહ્યું : “આપની તેજસ્વિતા અને કાર્યકુશળતાથી હું પ્રભાવિત થયો છું. પણ અહિંસા દ્વારા ભારતને સ્વરાજ્ય મળી શકશે, એ વિશે વિશ્વાસ બેસતો નથી. દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે શસ્ત્રયુદ્ધ પણ કરવું પડશે, એમ હું માનું છું.”
               ગાંધીજીએ એટલું જ કહ્યું, “તમે મારી પાસે આવો. હું આશ્રમ ખોલવાનો છું, એમાં રહો. મારી કાર્યપદ્ધતિ સમજી લો. વિશ્વાસ જામે તો રહો, નહીં તો મને છોડીને ચાલ્યા જાવ.”
               છેલ્લે મેં દલીલ કરી, “અહિંસા પ્રત્યે મારા મનમાં આદર છે, પણ મેં એ સ્વીકારી નથી. એવા માણસને આશ્રમમાં લઈ શકશો ખરા ?”
               એમણે હસીને કહ્યું, “આજે દુનિયામાં તમારી બહુમતી છે. હું અલ્પમતીમાં છું. તમારા જેવાનો ત્યાગ કરું, તો મને સેવક ક્યાંથી મળવાના ? અહિંસાની શક્તિ વિશે તમારામાં વિશ્વાસ પેદા કરવો, એ મારું કામ છે.” એ જવાબથી હું માત થયો.
               મારા ક્રાંતિદળના સાથી કૃપાલાની તે વખતે મુઝફ્ફરપુરની કૉલેજમાં અધ્યાપક હતા. મેં તાર કરીને એમને પણ ગાંધીજીને મળવા બોલાવી લીધા. એમણે પણ ગાંધીજી સાથે ખૂબ ચર્ચા કરી, વાંકાચૂંકા અનેક પ્રશ્નો પૂછ્યા. ગાંધીજીએ એમને વ્યવસ્થિત જવાબો આપ્યા. કૃપાલાનીએ છેલ્લે કહ્યું, “હું ઇતિહાસનો અધ્યાપક છું. અહિંસા દ્વારા રાષ્ટ્ર સ્વતંત્ર થયાનો એક પણ દાખલો મને મનુષ્યજાતિના ઇતિહાસમાં મળ્યો નથી.”
               જાણે કોઈ સામાન્ય વાત બોલતા હોય એમ ગાંધીજીએ અત્યંત નમ્રતાપૂર્વક પણ તેટલા જ આત્મવિશ્વાસથી ઉત્તર દીધો : “તમે ઇતિહાસ શીખવનારા છો, હું ઇતિહાસ ઘડનારો છું. અહિંસક પ્રતિકાર દ્વારા આપણે ભારતને સ્વરાજ્ય મેળવી આપીશું. પછી ઇતિહાસના અધ્યાપકો એના પર વ્યાખ્યાનો આપશે.”
કૃપાલાની પણ મારી પેઠે ગાંધીના થઈ ગયા.

કાકા કાલેલકર
[‘બાપુની છબી’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.