રસ્તો કરી જવાના – અમૃત ‘ઘાયલ’

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના ?

નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના !…

મનમાં વિચાર શું છે ? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના !…

સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ !
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના !…

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે ?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.

અમૃત ‘ઘાયલ’
[‘શૂળ અને શમણાં’ પુસ્તક]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.