ચમન મેં વિરાના દિલ

                કવિ જગદીશ જોષીની જીવનલીલા 46 વરસની ઉંમરે સંકેલાઈ ગઈ. આ ગાળામાં એમણે ત્રણ કાવ્યસંગ્રહ આપ્યા. એમણે કવિતા લખવાનો પ્રારંભ મોડી ઉંમરે કરેલો. કવિને કાવ્ય મળ્યું એનો વિસ્મય આમ પ્રગટ થાય છે :

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,
કે એક એક પાંદડીમાં પ્રગટયું પાતાળ.

                 એમની કવિતામાં વેદનાનો ખટકો છે. કદાચ આ જિંદગી જીવવા જેવી નથી લાગતી. કવિ આમ તો દેખીતી રીતે સુખી હતા. કદાવર દેહ, વૈભવશાળી અવાજ, સંપત્તિની કોઈ કમી નહોતી, વ્યવસાયે શાળાના આચાર્ય-માલિક હતા. છતાંય જીવનમાં કશુંક ખટકતું હતું. કેટલીક વેદનાઓ એવી હોય છે કે કોઈને આંગળી મૂકીને બતાવી ન શકાય. જાણે કોઈ પૂર્વજન્મની વેદના લઈને જીવતા હોય, એમ કવિ કહે છે :

              પણ
કોઈ તો કહો
– હું થીજી રહ્યો છું
કે ભડકે બળી રહ્યો છું ?
જગદીશ ગાતો પણ સારું. એનું એક પ્રિય ગીત હતું : ‘ચમન મેં રહકે વિરાના મેરા દિલ હોતા જાતા હૈ…’

સુરેશ દલાલ
[‘ઝલક તેરા’ પુસ્તક : 2004]

License

અરધી સદીની વાચનયાત્રા - ૨ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.