૨૦ શેઠ હરિવલ્લભદાસ કલ્યાણદાસ મોતીવાળાને

શેઠ હરિવલભદાસ કલ્યાણદાસ મોતીવાળા જોગ

ઠે. બારકોટ ભુલેશ્વરની હારમાં ગલીમાં

સુરત – આમલીરાન તા0 ૧૨ મી મે ૧૮૭0

સ્નેહી શ્રીભાઈ હરિવલ્લભદાસ,

આ બેમાંથી કીયો રસ્તો તમને અનુકૂળ આવશે તે જણાવશો.

૧ દંમણ અથવા એકાદા ગામડાંનો કોઈ વૈષ્ણવ મહારાજની ત્યાં પધરામણી કરે એ નિમિત્તે મહારાજ ત્યાં જાય ને તમે પણ આવો. કોઈ પણ બહાના વગર મહારાજથી સુરતની દક્ષિણ તરફ અવાય નહીં ને ખરૂં કે તેને એટલી શી ગરજ કે તમારી ખુદની તરફથી કોઈ પણ રીતની વિનંતી વિના તે ત્યાં આવે. માટે એ રીતે મિલાપ કરવા ઇચ્છો તો કોઈ વૈષ્ણવને ઉભો કરવો જોઈયે.

ગોર દલપતરામ કહે છે કે તેવો કોઈ વૈષ્ણવ હું દંમણમાં ઉભો કરી શકીશ. પણ એ કામને સારૂં રૂ. ૨૫0) સો ઉપરની પધરામણીનો આવવા જવાના ખર્ચ માટે ઓછામાં ઓછા જોઈયે.

૨. અગર કરસનદાસનું નહીં ને તમારૂં એકલાનું સુરત આવવું થાય તો ઘણું જ સારૂં (કોઈ પણ રીતનો અનાદર થવા નહીં દૈયે) ને તમને અનુકૂળ ન જ આવતું હોય તો ભાઈ નારણદાસ આવે ને એને અમે મહારાજ સાથે મેળવીએ તો કેમ? ને એ દરમીયાનમાં અહીંના મુખીયો મહારાજને લખી આવી વિનંતી કરે કે સમાધાન કરો ને જે કરશો તે હમારે કબુલ છે ને પછી મહારાજ થયેલો શાસ્ત્રાર્થ કાએમ રાખી પોતાના શાસ્ત્રીને તથા કીકાભાઈ અથવા હરકોઈ એક વૈષ્ણવને મુંબઈ મોકલે ને એઓ કરસનદાસ પાસે જે સ્હેજસાજ કરાવવું હોય તે કરાવે ને પછી મહારાજ પ્રસિદ્ધ રીતે સર્વને કહે કે કરસનદાસ પાવન થયા છે.

લલ્લુભાઈનો આંકડો નક્કી ન થયો તેથી તે દલગીર થયા. પણ મેં સ્નેહ તથા જસ વિષે લાંબું બોલી સમજાવ્યા છે તેથી તે પાછા કામ કરવે ઉશ્કેરાયા છે, તેમ લલ્લુભાઈ વિષે સ્નેહ આ પત્રના ઉત્તરમાં જણાવજો.

લા. નર્મદાશંકર.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.