૬ છગનલાલ વિ. સંતોકરામ દેસાઈને

(૧)

સુરત આમલીરાન, તા. ૧૪ અકટોબર સને ૧૮૬૯.

સ્નેહકૃપાવર્ણ દેસાઈ શ્રી છગનલાલ વિ. સંતોકરામ, મુ. ભાવનગર.

રાજશ્રી ભાઈ,

૧. આપનો તા. ૧0 અકટોબરનો સ્નેહદર્શક તા. ૧૩ મીએ વાંચી ૧0 વર્ષ ઉપર થયેલા સમાગમનું સ્મરણસુખ પામ્યો છઉં ને આપ ‘પત્રવ્યવહાર જારી રાખવાની ઉમેદ’ રાખો છો એ ઉપરથી આશા રાખું છઉં કે આપને હું કેટલાંએક કારણોથી જાણે એકમેકને છેક જ ઓળખતા ન હાઈયે તેવી સ્થિતિમાં આવી રહ્યા હતા તે પાછા પત્રરૂપી નેત્રદ્વારાએ પરસ્પર રસ આપતા થઈશું ઈ.

૨. ‘આપને આપણા દેશસુધારા ઉપર ઉલટ અને પ્રીતિ છે તે વાત હરેક પ્રસંગે સાંભળી અંત: કરણનો ઘણો જ આનંદ પ્રાપ્ત થયા છે.’ એ વાક્યનો આપના પત્રમાં આપે જણાવ્યાં એથી મને પણ થોડો સંતોષ નથી. કારણ કે આપ શ્રીમાન પણ દેશને અર્થે થતાં કર્મો તે સંસારમાં ઉત્તમ પરમાર્થ છે એમ અંત: કરણથી સમજો છો – ઇતિહાસો વાંચ્યાથી જણાય છે કે સુધારાનાં કર્મો મધ્યમ વર્ગના જનોથી થયાં છે ને પછી પ્રથમ વર્ગના જનોએ મોટી સહાય કરી છે કે જેથી પેલા વિશેષ ફાવ્યા છે.

આપણામાં હજી અનુભવવિવેકે સુધારાના વિચાર ફેલાવનારા થોડા છે, ને કામો કરનારા તો વળી બહુ જ થોડા છે; અને કેટલાક શ્રીમંતો સ્વાર્થથી, મોટાઈથી ને શરમમાં પડયાથી સહાય કરનારા છે, પણ શુદ્ધ વિચારથી શુદ્ધ બુદ્ધિથી સહાય કરનારા બલકે નથી એમ કહું તો તે ખોટું નથી ને આપે જે દિલ દાઝથી મને પત્ર લખ્યો છે, તે જોતાં આપ શ્રીમાન વર્ગમાં સુધારાને શુદ્ધ બુદ્ધિથી સદાય કરનારાઓમાં પ્રથમ ને પ્રથમ માનને યોગ્ય થાઓ ખરા.

૩. રા. ગોપાળજી સુરભાઈ સાથે મારે કોશ સંબંધી પત્રવ્યવહાર ચાલેલો તે સમયે મારો વિચાર માત્ર ત થી હ લગીના શબ્દોને માટે ૩00 પ્રત છપાવવાનો હતો ને તેને વાસ્તે બે અઢિ હજારની છપાઈ થશે એટલી અટકળ બાંધી હતી. ગયા અપરેલ માસથી મારો વિચાર છપાયલો ભાગ રદ કરી નવેસરથી અ થી તે હ સુધી ફરીથી શુદ્ધ કરી નવા શબ્દો વધારી છપાવવાનો ને હજાર પ્રત કહાડવાનો થયો છે. ડાઈરેક્ટર પાસે પંદર હજારની મદદ (૫00 નકલ ૩0 ને ભાવે આપવાની શરતે) માંગી હતી. એક વર્ષમાં છાપી બહાર કહાડવાનો કુલ ખરચ (કાગળ, છપામણી, કપડાંના પુઠાં વગેરે) સુરત ઐરિશ મિશનના એસ્ટિમેટ ઉપરથી છ હજાર રૂ. થાય છે. દર પ્રતના રૂ. ૨0) ભાવ રાખતાં ૩00 પ્રતે રૂ. ૬000 પુરા થાય. બીજા છાપખાનાનો એસ્ટિમેટ ૫00-૭00 ઓછો પણ થાય ખરો.

૪. ‘મારી જાતથી જેટલી મદદ થઈ શકે તેટલી કરી આપે લીધેલા પ્રયાસનાં ફળ સહુ ચાખે એ હેતુથી’ આપ-મને ખરચનો આંકડો પુછો છો તો પછી કોશને બહાર પાડતાં શી વાર છેઋ

૫. એટલી રકમનો આશ્રય મળવાનું આપની તરફથી બનેથી એ આશ્રયના બદલામાં સર્વ ગુજરાતી તરફથી ને મારી તફરથી મારે જે ઉપકાર માનવાને થશે તેના પ્રકાર સંબંધી હું આપને જણાવીશ.

આપના શુદ્ધ સ્નેહનો અભિલાષ રાખનાર

નર્મદાશંકર લાલશંકર

(૨)

સુરત આમલીરાન, તા. ૨૪ અક્ટોબર ૧૮૬૯.

રાજશ્રી દેસાઈશ્રી છગનલાલ વિ. સંતોકરાય-મું ભાવનગર

સ્નેહીશ્રી ભાઈ,

આપના તા. ૨૧ મીના પત્રના ઉત્તરમાં ઉપકાર માનવા સંબંધી વિશેષ વિવેક કરવો મૂકી દઈ નીચે પ્રમાણે લખું છઉં.

આપને ઉત્તર લખ્યા પછી અમદાવાદના યુનાઈટેડ કંપનીના છાપખાનાના મેનેજર મારી પાસે આવ્યા હતા. તેણે મારા કોશ સંબંધી એસ્ટિમેટ (૧000 નકલનો ખર્ચ, કંપોજ તથા સારા કાગળ ઉપર છપામણીનો રૂ. ૩૫00) તથા રૂ. ૧000 કપડાંના પુઠાંનો મળીને રૂ. ૪૫00 નો આપ્યો છે ને પાંચ મહિનામાં (હું જો અમદાવાદ રહું તો) છાપી આપવાનું કહ્યું છે. તેમ મુંબઈથી પણ હવે કાગળો આવે છે-એ સ્હેજ જણાવું છઉં.

કોશ સરખા પુસ્તકને આશ્રય આપનારને માન છે તેમ જે છાપખાનામાં છપાય તેને પણ માન છે. ચાર પાંચ હજારનો વિષય મને ભારે પડે તેમ નથી ને કોશ છપાએથી તેટલો તર્ત આવી શકતે એવી મને ખાતરી પણ છે; તો પણ કેટલાંએક કારણ જે પ્રસ્તાવનામાં લખવામાં આવશે તેથી અને મોટાં પુસ્તકની સાથે કોઈ મોટાનું નામ જોડાય ને તે તેવા જ પ્રકારનો જોઈયે એવી મારી ઇચ્છા, તેથી હું કોઈ તેવાને શોધતો હતો.

૧. ઈશ્વરેચ્છાથી આપ સાનુકૂળ થાઓ છો ને નંગને કુંદનથી શોભાળો છો તો મારો આત્મા પ્રસન્ન થવો જ જોઈયે-વિશેષે આ રીતે કે નાગર ગ્રંથકર્તા, નાગરનો આશ્રય ને નાગરનું છાપખાનું.

સુખે આ જ્ઞાનચંદ્રોદયમાં છાપો. પ્રુફ સંબંધી અડચણને માટે હું આમ વિચાર રાખું છઉં-જો છાપખાનામાં વિશેષે કોશનું જ કરામ ધમધોકારે ચાલે તેવું હોય તો હું મારું એક માણસ પ્રુફ તપાસવાને માટે ભાવનગર રાખું ને વચમાં વચમાં હું આવતો રહું; જો ધીમે ચાલે તેવું હોય તો પોસ્ટની મારફતે હું પ્રુફ તપાસી મોકલ્યાં કરૂં. ધીમે ચાલે તોપણ ઘણું તો એક વર્ષ એટલામાં છપાઈ રહેવો જોઈએ; જો છએક મહિનામાં છપાય તેહેવું હોય ને મારૂં અથવા મારા માણસનું ભાવનગર રહેવું થાય તો એક બીજો લાભ થાય કે-કોશમાં ન આવેલા એવા (કાઠિયાવાડના) બીજા શબ્દો પણ તેમાં ઉમેરાય.

જ્ઞાનચંદ્રોદયનો એસ્ટિમેટ મારા ધારવા પ્રમાણે અમદાવાદનો જોતાં ઘણાં ઘણો રૂ. ૪000)નો થશે ને એટલા અવેજનો આશ્રય આપ મને આપશો, પણ એ સંબંધી હું જાણવાને ઇચ્છું છઉં કે પુસ્તકની પ્રતો ખરીદ કરી આપ અવેજ વાળી લેશો કે મારે જ વેચાણનાં નાણાંમાંથી તે વાળવો કે શી રીતે?

દિવાળી કરીને મારે મુંબઈ જવું છે, માટે હવે દશબાર દિવસમાં તમારી તરફનો નક્કી ને ખુલાસાનો વિચાર મારા જાણવામાં આવે તેમ કરવાની આપ ખંત રાખશો; તેમ અગર આપને ત્યાં છાપવાનું ઠરે તો કી દહાડેથી આરંભ થશે તે પણ જણાવશો-એ જ વિનંતિ.

મૈત્રિ-સ્નેહ-પ્રેમનાં ઐક્ય યશ સુખની હોંસ રાખનાર

નર્મદાશંકર લાલશંકર

સરનામું

રાજમાન્ય રાજશ્રી દેસાઈ છગનલાલ વિ. સંતોકરાયને આ પત્ર ભાવનગર પહોંચે.

(૩)

સુરત આમલીરાન

આસો વદ ૧૩-૧૮-૨૫

નવેંબર ૨ જી -૧૮૬૯

દેસાઈ શ્રી છગનલાલ વિ. સંતોકરામ

મુ. ભાવનગર

સ્નેહી શ્રીભાઈ

આપનો તા. ૨૭ અક્ટોબરનો તા. ૨૯ મીએ પોંહોંચ્યો છે.

આપનો સ્નેહ એ આપથી મળવાનો આશ્રય એ બેથી મારા હૃદયમાં જે ભાવ ઉઠયા છે તે પ્રસંગ ઉપર દરસાવવાની આશા રાખું છઉં તો પણ આ પત્રમાં મારાથી લખ્યા વગર ચાલતું નથી કે હું આપનો ઘણો આભારી થયો છઉં.

છાપખાના સંબંધી ઉલટથી થતી ગોઠવણ વિષે જાણી મને કામ કરવાની ઉલટ આવી છે.

ટાણાના દિવસો અને ઘણું કામ હોવાથી મારી તરફથી થવાની પુરતી ગોઠવણમાં થોડીક ઢીલ થશે તો પણ બીજું મુહૂર્ત સાવધાને થોડું એક મેટર મોકલ્યું છે તે પ્હોંચેથી મ્યાનેજરે કંપોઝ કરાવવાનો પ્રારંભ કરવો.

હવે મ્યાનેજર સાથે હમારે નિત્ય કામ પડવાનું માટે ચાલવાના કામ સંબંધી ખટપટમાં પડી રહી આપે આપનો અમૂલ્ય કાળ તેમાં ન ગાળવો એમ હું ઇચ્છું છઉં ન આપ તેને જ તેમ કરવાની ભલામણ કરી દેશો. છાપવાના કાગળ મોટા ગ્રંથ ને મોટાના આશ્રયને ઉમંગ રાખશો જ. જાથુ રહી પ્રુફ તપાસવાને મારૂં માણસ પાંચેમ સાતેમ ઉપર આવશે, એજ વિનંતી.

આપનો દર્શનોત્સુક નર્મદાશંકર.

(૪)

સુરત આમલીરાન, તા. ૧ ડિસેમ્બર

સ્નેહી શ્રી ભાઈ છગનલાલ,

આપનો તા. ૫ મી નવેમ્બરનો પહોંચ્યો છે-ઘેલાભાઈ મુંબઈ જતાં પેલાં મળ્યા હતા ને પાછા આવ્યા પછી તમારી તરફ જવાને દિવસે પણ મળ્યા છે ને મેં છાપવા સંબંધી જે કંઈ જરૂરનું કહી દેખાડવાનું હતું તે કહી દેખાડયું છે –એઓએ ૧0 દિવસ પછી મારા આદમીને મોકલવાનું કહ્યું છે.

હાલમાં કથાકોશ નામનું પુસ્તક છપાવું છું તે અડધું છપાયું છે તે પૂરંુ થયેથી ને આપને ત્યાં કોશનું કામ ધમધોકાર ચાલતું થયેથી હું ભાવનગર આવી આપને મળીશ.

વડાઈમાં નથી કહેતો પણ સાચું કહું છું કે કોશનું કામ ઘણું જ ભારી છે-ફરીથી જોઉં છું તો પણ મારે ઘણો વિચાર કરવો પડે છે ને મારો ઘણો કાળ જાય છે – હવે એ શ્રમથી કંટાળેલો છું – જ્યાં સુધી તે છપાયો નથી ત્યાં સુધી મારું મન તેમાંથી ખસવાનું નથી. હું જાનેવારીથી તે છાપવા આપવાનો જ હતો પણ એ દરમિયાન આપના પત્રો આવ્યા. અર્થાત્ છાપવાનું કામ વિલંબથી નહિ પણ ત્વરાથી ચાલે તેવું કરશો ને મારે આપના સંબંધી જે ઇચ્છા દર્શાવવાની છે તેને માટે સમય વેલો આણશો, એ જ વિનંતિ.

સ્નેહાંકિત નર્મદાશંકર.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.