૧ જદુનાથજી મહારાજને

(૧)

મુંબઈના સુધારાવાળા વાણીઆ ભાટીયાઓને (શેઠિઆઓપણ) જદુનાથ મહારાજને વિશે એવું મત ધરાવતા હતા કે એ કોઈ સુધારાને ક્ત્તેજન આપનાર છે અને તેથી તેઓ તેને મોટું માન આપતા હતા. હું અને એક મારો કાએચ્ર મિત્ર જે સુરતના, તે હમે સારીપઠે સમજતા હતા કે જદુનાથ મહારાજ કેટલા સુધારાવાળા છે. મેં ઘણી ઘણી રીતે મારા મિત્ર કરશનદાસ મુળજી વગેરેને સમજાવ્યા કે તમે પછવાડેથી પસતાશો, પણ તેઓની નજરમાં કંઈ મારી વાત આવી નહીં. મેં નનામાં ચરચાપત્ર લખ્યાં હતાં. પણ તે સત્યપ્રકાશ ને રાસ્ત ગોફતારના અધીપતીઓની તરફથી દાખલ કરવામાં આવ્યાં નોહતા. ને સત્યપ્રકાશના અધીપતીએ તો એક વખત તા. ૧૨ મી આગસ્ટ ૧૮૬0 ના પત્રમાં એવી મતલબતનું લખ્યું હતું કે મહારાજ તો સારા છે પણ હમારા કેટલાક મિત્રો મહારાજની સાંમા છે તે જોઈને હમે ઘણા દલગીર છૈયે. હું લાચાર એકલો રહ્યો. હું ને કાએચ મિત્ર તો મહારાજના પ્રપંચો પ્રથમથી જ જાણતા હતા, પણ હરીલાલ મોહનલાલ નામનો એક વાણીયોમિત્ર અને બીજા કેટલાએક, જેઓએ મહારાજને કેટલાક ધર્મ સંબંધી પ્રશ્નો કર્યા હતા (સમશેર બાહાદુર જોવું) તેઓની પણ ખાતરી થઈ હતી કે મહારાજ પોતાના સેવકોને જુદું સમજાવે છે અને સુધારાવાળાઓને જુદું સમજાવે છે. જદુનાથ મહારાજ, સુધારાવાળાઓને એવા તો માનીતા થવા આવ્યા હતા કે તે મહારાજે નર્મદાશંકર કેવળ નાસ્તિક છે એવું પ્રગટ સભામાં ઠરાવવાને લખમીદાસ ખીમજીની મારફતે એક સભા ભરવાની ગોઠવણ ખાનગી કરી હતી. તે વાતની મને ખબર પડી કે મેં તરત ઋપલું હેન્ડબીલ છપાવી પ્રગટ કર્યું. મતલબ કે સુધારાવાળાઓ ન ઠગાતાં પાછા વ્હેલા વ્હેલા ઠેકાણે આવે. એ હેન્ડબીલ નિકળ્યા પછી મારા સાથીઓ મને ઘણું બીવડાવતા હતા ને મારી ઘણી મશ્કરી કરતા હતી ને કહેતા કે હમે તમારી સાથે નહીં આવીયે. હું કહેતો કે ‘દીયર ઉપર શું દીકરી જણી છેઋ જાઓ જાઓ બાયલાઓ, હું એકલો જઈશ, ખરે તેઓ પછી સભાને દાહાડે આવ્યા જ નહીં. મારો કાએચ મિત્ર પણ આવ્યો જ નહીં. આવનારમાં લખમીદાસ ખીમજી, ત્રિભોવનદાસ દુવાકરદાસ, મોતીરામ ત્રિકમદાસ, બાવા કિસનદાસ, ગંગારામ અને રઘુનાથ બાબાજી એટલાજ હતા. ભાઈ ઝવેરીલાલ ઉમીયાશંકરે મને જદુનાથ સામે વાદ કરવામાં સારી મદત કરી હતી. તેમ અજ્ઞાનીઓની તરફથી થવાના હુલ્લેલની સાંમે થવામાં પેહેલવાન બાવા કિસનદાસ અને છાતીવાળા રઘુનાથની મને સારી કુમક હતી. પણ પછી હુલ્લડ તો થયું નોહોતું. પણ હો હો ઘણી થઈ રહી હતી. એ સભા તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0 એ મળી હતી તેનો સવિસ્તર હેવાલ તા. ૨૬ મી આગસ્ટના સત્યપ્રકાશમાં છે. તેમાં મારા કાગળો, મહારાજની તરફના જવાબો અને હમારી વચ્ચે ચાલેલો સંવાદ પણ છે.

(જદુનાથજી સાથે પુનર્વિવાહનો વાદ કરવા સારુ સભા ભરવા સંબંધી મારા કાગળો)

જદુનાથજી મહારાજને વિનંતી કરું છઊં કે જ્યારે હું સુરતમાં હતો, ત્યારે તમે મને પુનર્વિવાહ વિશે વાદ કરવાને તેડયો હતો, પણ તેમ કરવાની મને ત્યાંહાં જોગવાઈ મળી ન હોતી. તમે અહીં આવતાં વારને પણ ઘણાએકને મોહોડે કહ્યું હતું કે મારે નર્મદાશંકર સાથે પુનર્વિવાહ વિશે વાદ કરવો છે. પરંતુ હાલમાં તમે એ વાત કંઈ બોલતા નથી. તમે મને કહ્યું હતું કે, ‘હું અહીં ચાતુર્માસ રહેવાનો છું.’ હવે ચાતુર્માસની આખર આવવા માંડી છે ને તમે એમના એમ જતા રહેશો અને તમારો મનોરથ પાર પડશે નહીં એમ મને લાગે છે. માટે હવે હાલ બીજાં કામો મુલતવી રાખીને પેહેલી જ જોગવાઈયે પુનર્વિવાહ ન કરવો એ વિશે તમારો, મારી સાથે વાદ કરવાનો ઘણા દહાડાનો જે આગ્રહ છે તેને અમલમાં લાવવાસારુ તમારે કોઈ ત્રાહીતને ઘેર એ કારણસર જાહેર સભા ભરવી. જ્યાંહાં કે પારસીભાઈયો પણ આવી શકે.

આ વિનંતી તમે માન્ય કરશો તો ખરો વાદ લોકના જાણ્યામાં આવશે અને બુદ્ધિવર્ધકના સુધરેલા સભાસદો, અને સુધરેલા શેઠીયાઓ જેઓ તમારી મારફતે ઘણાં સારાં કામ કરાવવાને આતુર છે અને જેઓ ઘણા દિવસ થયા એ બાબતનો નિવેડો જોવાને ઘણા અધીરા છે તેઓના ઉપર મોહોટો ઉપકાર થશે. તેમ પારસી ગૃહસ્થો જેઓની મદદ હિંદુસુધારામાં ઘણી છે, તેઓને પણ થોડી ખુશી નહીં થશે.

તા. ૧૫ મી આગસ્ટ ૧૮૬0.

લા. નર્મદાશંકર લાલશંકર

સુધારાની તરફથી.

(૨)

જદુનાથજી મહારાજ,

વિશેષ ગઈ કાલે સાંજે આસરે છ કલાકે તમે મને ચિઠ્ઠી લખી જણાવ્યું કે લાડની વાડી બદલીને ફિરંગીનાં દેવળ આગળ ધીશજી મહારાજની જગા છે ત્યાં સભા ભરવાનો ઠરાવ તમે કીધો છે. પણ એ જગા સભા ભરવાને લાએક નથી. એ કામનેવાસ્તે કોઈ સારી જગા જોવાની ઘણી જરૂર છે કે જેમાં સારા લોકને આવવાને હરકત રેહે નહીં, તથા જેમાં ઘણા જણાનો સમાસ થઈ શકે.

૨. તમે આજે બપોરનાં બે કલાકે સભા ભરવાનો વખત રાખ્યો છે, તે મારે તથા મારા મિત્રોને અનુકુળ નથી. મારા ઘણાએક મિત્રો જેઓ એ વખતે પોતપોતાના ઋદ્યમમાં લાગેલા હોય છે, તેઓથી આવવાનું બને તેમ નથી.

૩. વળી મારા સાંભળ્યામાં આવ્યું છે કે, તમે પોતાને બેસવા સારુ ખુરસી અથવા કોચની, અને બીજાઓને ભોંય પર બેસાડવાની ગોઠવણ કરી છે, તે યોગ્ય નથી, માટે તમારે કૃપા કરીને સહુને વાસ્તે એકસરખી બેઠક કરવી જોઈએ. અથવા શેઠ મંગળદાસની ઈસકોલમાં થોડા દહાડા ઉપર તમે પધાર્યા હતા તે વખતે જે ગોઠવણ થઈ હતી તેવી ગોઠવણ થાય તો પણ સારું. કેમકે એ સભામાં સભ્ય વિદ્વાન પ્રતિષ્ઠિત ગૃહસ્થો આવશે એવી અપેક્ષા છે. માટે તેઓનો તેઓની યોગ્યતા પ્રમાણે સત્કાર થવો જોઈયે.

૪. જે પ્રમાણે અત્રે સુપરીમર્કોટ વગેરે ઇનસાફની જગામાં વાદી પ્રતિવાદી પોતપોતાના હીમાયતિઓની મદદથી સલુકાઈથી પોતાનું કામ ચલાવે છે તે પ્રમાણે આપણું કામ ચાલે અને કાંઈ ક્તપાત ઋઠે નહીં, તેને વાસ્તે પોલીસની તરફનો તમે શો બંદોબસ્ત કીધો છે તે કાંઈ જાણવામાં આવ્યો નથી.

૫. પુનર્વિવાહ સરખી ઘણી અગત્યની બાબતમાં બંને તરફથી જે તકરાર ઋઠે તે લખી રાખીને તેના ઉપર નિષ્પક્ષપાત અભિપ્રાય આપવાને, તથા લોકોમાં પ્રસિદ્ધ કરવાને રાખરખાવટ ન રાખે એવા પ્રમાણિક પંચ નેમવાની જરૂર છે. એ પંચ, સભામાં વાદવિવાદ કરવાસંબંધી જે કાયદાઓ ઠેરવે તે પ્રમાણે ચાલવાને બંને પક્ષવાળાઓએ અગાઉથી જ કબુલ થવું જોઈયે.

૬. વાદવિવાદ કરવાનું કામ ગુજરાતીભાષામાં જ રાખવું, કે જેથી કરીને તમારા વૈષ્ણવ વગેરે જેઓ ત્યાં એ વિષય સાંભળવાને હાજર થયા હોય, તેઓ સમજી શકે.

૭. એ ઉપર લખેલી કલમો વિશે તમે શો બંદોબસ્ત કરવા માંગો છો તે કૃપા કરીને આ ચિઠ્ઠી પોંહોચ્યા પછી બે કલાકની અંદર તમારે હમને લખી જણાવવું, કે જેથી હમને વિચાર કરવા સુઝે, પુનર્વિવાહ સરખી ઘણી અગત્યની બાબત વિશે સભા મેળવવી, તથા કામ શી રીતે ચલાવવું એ બાબત આપણે બેઉએ અગાઉથી બંદોબસ્ત પત્રદ્વારે કરવો જોઈયે. સંવત ૧૯૧૬ ના ભાદરવા સુદ ૫ વાર ભોમ્મે ૮ કલાકે. તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0

લા. નર્મદાશંકર લાલશંકર.

સુધારાની તરફથી.

(૩)

તા. ૨૧ મી આગસ્ટ ૧૮૬0

જદુનાથજી મહારાજ,

તમારો પત્ર આજે ૧૧ કલાકે મળ્યો તે વાંચી જોતાં હમને કંઈ મનપતીજ ખુલાસો થયો નથી.

સમય થોડો રહ્યો છે તેને લીધે હમે તમને એટલું જ હાલ જણાવીયે છૈયે કે શેઠ જગંનાથ શંકરશેઠ, શેઠ મંગળદાસ નથુભાઈ તથા દાક્તર ભાઉદાજી તમારી વિનંતી ઉપરથી પુનર્વિવાહસંબંધી તકરાર સાંભળીને પોતાનો અભિપ્રાય પ્રસિદ્ધ કરવા કબુલ થયા હશે તો તમોએ હમારી સંમતિ લીધા વગર જે જગા તથા વખત સભા ભરવાને નેમ્યાં છે તેને અનુસરીને હમે આવવા તૈયાર છૈયે. તમારી તરફના ઠરેલા સદરહુ પંચ સભામામાં આવીને બિરાજ્યા છે એવી હમને સૂચના થતાં જ હમો તરત આવીને જે હમારે વિદિત કરવાનું છે તે તેઓની આગળ કરીશું.

આજે બેથી તે પાંચ વાગતાસુધી જો તમારી તરફના સદરહુ શેઠિયાઓ, સભામાં આવ્યા તો ઠીક ને જો તેઓ એટલી વખતમાં આવ્યા નહીં તો તેઓ સભામાં હાજર થવાને રાજી નથી એમ હમે સમજીશું.

મહારાજ — !!! તમે એવું તો કદી મનમાં લાવતાં જ નહીં, જે હમો તમારી સાથે પુનર્વિવાહ સંબંધી તકરાર કરવા એકવાર જાહેર રીતે કબુલ થયા પછી છટકી જશું. કદાપિ રખેને કેહેવત પ્રમાણે હઈડાંની વાત તમારે હોઠે આવતી હોય! હમે તો તમારી યોગ્યતા ઉપર નજર રાખીને ઉત્તમ બંદોબસ્ત કરવા સંબંધી પત્ર લખ્યું હતું. હાલ, એટલું જ.

લા. નર્મદાશંકર લાલશંકર.

સુધારાની તરફથી.

તા. ક. – માત્ર સભાસદ એ શબ્દ રાતી સાહીથી છેકેલો છે.

ન. લા.

License

મારી હકીકત Copyright © by કવિ નર્મદાશંકર લાલશંકર. All Rights Reserved.