80 ‘સ્વપ્નો નુ માયા નુ, મતિભ્રમો નુ’

 

દરરોજ રાતે હંસપદિકાનું ગીત સુણું

વિરહિણી હંસપદિકા –

બહુવલ્લભ દુષ્યન્તની શુદ્ધાન્તવિહારિણી.

સ્વપ્ને હું ચાલી જાઉં કાલિદાસના યુગે

જ્યારે નદીકાન્તારનગરીએ સમાચ્છન્ન સમૃદ્ધ ભારતવર્ષ

કવિનું કાવ્ય જ્યારે મેઘલોકથી તે માટીની પૃથ્વીને

પ્રિયાના પદનખ સાથે સરખાવવાને અધીર–

સ્વપ્ને હું એ કાળમાં પહોંચી જાઉં

ને ગીત સુણું હંસપદિકાનું –

રાજઉપવને વિરહિણી નારીનું મૃદુ ગુંજન

મને થાય આ તે સ્વપ્ન કે માયા કે મતિભ્રમ?

 

દરરોજ રાતે હું મારી પ્રિયતમાનું ગીત સુણું

પ્રોષિતભર્તૃકા પ્રિયતમા –

ઘરની બારી પાસે મીટ માંડીને બેઠેલી કલ્યાણી વધૂ –

સ્વપ્ને હું ઊતરી આવું આધુનિક કાળે

જ્યાં પીડાજર્જર ત્રસ્ત જીવને અવસર દુર્લભ,

કવિના કાવ્યમાં હવે રહી નથી પ્રિયા,

પ્રિયાનો પદનખ હવે સમ્માનિત થતો નથી કાવ્યમાં

વૈવિધ્યપૂર્ણ સુન્દર ઉપમાએ અને અલંકારે; –

ત્યારે હું ગીત સુણું –

ભીત દાસ જીવનનું ગાન –

પથ્થરોમાં અને તપેલી રણની રેતીમાં

દુ:ખિની પ્રિયતમાના મુખની રેખા આંકું,

મને થાય: આ તે વિરહ કે મિલન કે મૃત્યુ!

 


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.