સાંસ્કૃતિક પરંપરા

આપણે જગતની પ્રત્યેક ચીજનું અર્થઘટન કર્યું છે, સિવાય કે આપણું પોતાનું. કૃતિપાઠના નિગૂઢ અર્થોનું ‘ડિકન્સ્ટ્રક્શન’(અપોદ્ગ્રથન) કરવાનું હોય કે પછી કોઈ વિવેચનપદ્ધતિની અંધતાને ખોલી બતાવવાની હોય – એવા બધામાં તો આપણે આપણી પ્રજ્ઞાનો ઘણો બધો ઉન્મેષ બતાવી રહ્યા છીએ, પરંતુ એ કૃતિઓનું જગતમાં જે ખરેખરું જીવન છે, એમની જે વસ્તુતા છે, દૈન્ય કે મુક્તિ આપવાનું એમનામાં જે સામર્થ્ય છે, એમની જે કાલાતિક્રાન્તતા છે – એ માટે આ તપાસપદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આપણે આપણું અસામર્થ્ય પ્રકટ કર્યું છે. આનું પરિણામ શું આવ્યું? જગત પ્રત્યે અંધ બનીને મુગ્ધપણે આપણે કહી રહ્યા છીએ કે કૃતિપાઠ એ માત્ર કૃતિપાઠ છે, તે સિવાય કશું નહીં. સાચી વાત તો એ છે કે કૃતિપાઠ જેટલા અંતર્મુખ હોય છે, તેટલા તે જગત પ્રત્યે પણ અભિમુખ હોય છે. આ સાહિત્યકૃતિઓ અનિવાર્યપણે પરિસ્થિતિ, કાળ, સ્થળ અને સમાજમાં – અર્થાત્ જગતમાં નિવિષ્ટ હોય છે, અને વ્યવહારજગત સાથે તેમનો અવિચ્છિન્ન સંબંધ જોડાયેલો રહે છે. કોઈપણ કૃતિપાઠને સમજવા માટે તેને તેની સાંસ્કૃતિક પરંપરામાં મૂકીને જોવા આવશ્યક છે.

હરિવલ્લભ ભાયાણી

[‘ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન’(1994)]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.