જ્ઞાનનો સમન્વય

આપણું વિવેચનસાહિત્ય પોતાના વિષયને સ્ફુટ કરવાને વધારે વિશાલ અને ઊંડી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરતું જાય છે. અંગ્રેજી દ્વારા ઉપલબ્ધ થતું બીજી મહાપ્રજાઓનું સાહિત્ય જોઈને તેની દૃષ્ટિ વિશાલ બને છે અને તત્ત્વજ્ઞાન જોઈને ઊંડી બને છે. આમ થવામાં કંઈક સંસ્કૃત સાહિત્યની ઉપેક્ષા થતી જણાય છે. પશ્ચિમનું વિવેચનસાહિત્ય જેમ લાંબા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયું છે, તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થવું જોઈએ. પશ્ચિમના વિચારોનો તેણે સંપૂર્ણ લાભ લેવો જોઈએ પણ તેની સાથે પોતાના ઇતિહાસનો પણ અભ્યાસ કરવો જોઈએ. આમ નથી થતું તેનું કારણ એ છે કે આપણા શિક્ષિતો આપણા વિવેચન કરતાં પશ્ચિમના વિવેચનનો ઇતિહાસ વધુ જાણે છે. આપણા કાવ્યશાસ્ત્રના ગ્રંથોના કેટલાક વિચારો ઘણા જ તાજા અને સ્વતંત્ર વિચારપદ્ધતિને ગતિ આપે તેવા છે, આપણે તેનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી આપણું વિવેચન માત્ર પશ્ચિમના બદલાતા વિચારોના પડઘા રહેશે અને આપણો અભ્યાસ આપણા ભૂતકાળમાં મૂળ ઘાલી કદી સ્વતંત્ર રીતે વધશે નહીં.

રામનારાયણ પાઠક

[‘રા. વિ. પાઠક ગ્રંથાવલિ : 4’ (1991)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.