વિવેચન ગુણદર્શન નહીં પણ યથાર્થદર્શન

ગુજરાતી કવિતામાં છીછરાપણું, અધકચરાપણું, માયકાંગલાપણું હોય તો તે આપણા કહેવાતા વિવેચનને આભારી છે. આપણા વિવેચકો ગુણદર્શન માટે ખડે પગે હોય છે એ જાણવા છતાં મારાથી આમ કહેવાઈ જાય છે, કારણ કે જેની જરૂર છે તે ગુણદર્શન નહીં પણ યથાર્થદર્શન છે. જાણ્યા વગર વખાણ કરવાં તે જાણી જોઈને ગાળ દેવા કરતાં કોઈ પણ રીતે સારી વાત નથી. અને ઘણી વખત તો મગનું નામ જ કોઈ પાડતું નથી. ‘શરૂઆતમાં આમ જ હોય’, ‘બધું ઓછું પ્રથમ પંક્તિનું હોઈ શકે?’, ‘વિકાસ થતો જાય છે’ – આવું આવું જ્યારે કોઈ વિવેચક તરફથી કોઈને વિશે સાંભળવા કે વાંચવા મળે છે ત્યારે ખરે જ બહુ ભૂંડું લાગે છે. અને નાના બાળકને નાનાં ડગલાં ભરતાં જોઈ પ્રોત્સાહન ખાતર વાહવાહ પોકારે છે એવી વાહવાહ ઉંમરલાયક માણસને પાપા પગલી ચાલતા જોઈને પોકારવાનું પણ આપણે ત્યાં હજી અટક્યું નથી.

ઉમાશંકર જોશી

[‘34ની કવિતા ’લેખ, 1935,’ શૈલી અને સ્વરૂપ’(1960)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.