અવલોકન વાંચવાં, શાને માટે?

‘ગ્રંથ’ ચલાવતાં મને ઘણી વાર એવો વિચાર પણ આવતો કે લોકો અવલોકનો શા માટે વાંચતા હશે? એના ઘણા જવાબ હોઈ શકે. પણ હું આટઆટલાં વર્ષોથી અવલોકનો શા માટે વાંચતો હતો? મારા પૂરતું તો એમ કહી શકું કે જેમ કોઈ વાર્તા વાંચતા આનંદ પ્રાપ્ત થાય તેમ અવલોકન વાંચતાં પણ મને આનંદ પ્રાપ્ત થાય છે. અવલોકન વાંચવા માટેનાં અનેક કારણો મેં પ્રસંગાનુસાર આગળ ધર્યાં હશે, પણ સાચું કારણ આનંદ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે જે સામયિકો વાંચું છું તેમાં પહેલી નજર પુસ્તકોનાં અવલોકનો ઉપર પડે છે. એવું નથી કે વાર્તા-નવલકથાનાં અવલોકનમાં રસ પડતો હોય. ખરી રીતે એમાં ઓછો રસ પડે છે. કવિતા, વિવેચન, ચરિત્ર અને અન્ય ગંભીર વિષયોનાં પુસ્તકોનાં અવલોકનોમાં વધુ રસ પડે છે. કેટલાંક અવલોકનો મારે માટે પુસ્તકની અવેજીની ગરજ સારે છે. એ પુસ્તકો સારાં છે કે ખરાબ તેનો સવાલ હોતો નથી. અવલોકનો જ એવાં હોય છે કે હું તેનાથી જ કામ ચલાવી લઉં છું. બીજાં કેટલાંક અવલોકનો પ્રસ્તુત પુસ્તકો વાંચવાં પ્રેરે છે. કેટલાંક વાંચેલા પુસ્તકોનાં અવલોકનો પણ વાંચું છું. – કદાચ સમીક્ષકનાં મૂલ્યાંકનો સાથે મારાં મૂલ્યાંકનોને સરખાવી જોવા.

યશવંત દોશી

[‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ સંપા. રમણ સોની, 1996-માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.