આનંદની વહેંચણી

આનંદ એ વસ્તુ જ એવી છે કે એનો અનુભવ લેવા માટે બીજાને નોતરવાથી તે બેવડાય છે. દુ:ખોનો સંવિભાગ કરવાથી એની વેદના સહન કરવા જેટલી હળવી થાય છે અને સુખમાં કોઈનો ભાગ પાડવાથી તે બેવડાય છે, ઘણીવાર સાત્વિક બને છે અને એમાંથી સુખથીયે નિરાળો એવો નવો જ આનંદ પ્રાપ્ત થાય છે. સૌને આવા આનંદના સંવિભાગી કેમ કરાવાય? દરેકનું જીવન અલગ અલગ સ્વતંત્ર વહેણમાં વહે છે. તમામ દુનિયાને કાંઈ આપણે આપણા જીવનના સાથી બનાવી શકવાના નથી. પણ કળા દ્વારા – સાહિત્ય, સંગીત, ચિત્ર, સ્થાપત્યરચના દ્વારા આપણે અસંખ્ય લોકોને આપણા આનંદની ઝાંખી કરાવી શકીએ છીએ, અને જો વિશિષ્ટ જાતની શક્તિ કેળવેલી હોય તો જ્યાં અસંખ્ય લોકોને આનંદપ્રતીતિ થતી નહોતી ત્યાં આનંદ ગ્રહણ કરવાની શક્તિ અથવા ક્ષમતા અર્પી શકીએ છીએ. એને જ કલાદૃષ્ટિ કહે છે.

કાકા કાલેલકર

[‘જીવનનો આનંદ’(1936) પ્રસ્તાવનામાંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.