બહુસંસ્કૃતિવાદ

‘બહુસંસ્કૃતિવાદ’ સંજ્ઞા સાહિત્યક્ષેત્રમાં નહીં, પણ શિક્ષણક્ષેત્રમાં ઉદ્ભવી છે; અને સાહિત્યક્ષેત્રમાં પહોંચી છે. આમ તો એ અમેરિકાના એક આંદોલનની સોગાદ છે; જેમાં એવી ધારણા કરવામાં આવી છે કે પારંપરિક મુખ્યપ્રવાહની સંસ્કૃતિએ હંમેશાં લઘુમતી જૂથોના અને જાતીયજૂથોના સાહિત્યપ્રદાનની ઉપેક્ષા કરી છે. અનેક પ્રકારની વાનગીઓ, સંગીત, નૃત્ય, વ્યવહારમાં બોલાતા કેટલાક શબ્દો, સમૂહમાધ્યમોની શ્રેણીઓ – આ બધામાં મુખ્યપ્રવાહથી ઈતર અનેક ગૌણ પ્રવાહો દાખલ થયા છે, તો સાહિત્યક્ષેત્રમાં એની કેમ ઉપેક્ષા થઈ રહી છે. આ શૈક્ષણિક આંદોલન માને છે કે લઘુમતી જૂથો અને જાતીય કે વંશીય જૂથો જો એમની પોતાની સંસ્કૃતિઓનો અભ્યાસ કરે તો એમના આત્મગૌરવમાં વધારો થાય. આ કારણે બહુસંસ્કૃતિવાદનું આંદોલન સાહિત્યના મુખ્યપ્રવાહમાં લઘુમતી અને વંશીય સાહિત્યનો સમાવેશ ઇચ્છે છે. ટૂંકમાં સાહિત્યના મુખ્ય પ્રવાહને વિસ્તારવાની એમાં નેમ છે. બહુસંસ્કૃતિવાદ સાંસ્કૃતિક બહુવિધતાનો ઉત્સવ છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા

[‘રમણીય સંક્રમણ’ (2014), પૃ. 43]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.