મંત્રભાષા

સંસ્કૃત એ તો મંત્રભાષા છે. હું શબ્દપસંદગીમાં ઘણો જ સાવધ રહું છું. કેમકે મને પ્રત્યેક વર્ણના આંદોલનનો ખ્યાલ છે. ખરા ભાવકને તે જ ઝણઝણાવે છે. આપણા બીજમંત્રનો અર્થ શું છે? મંત્રશક્તિ જ બધાંને આંદોલિત કરે છે. ભાવકમાં જો પરંપરાનું અનુસંધાન જ ન હોય તો મુશ્કેલી પડે એમાં નવાઈ નથી. […] છંદમાં બધા શબ્દો યથાસ્થાને જ હોવા જોઈએ. મારે ક્યાંય લઘુ-ગુરુ મરોડવા પડતા નથી, એ શું બતાવે છે? […] ભાવક પોતે જો સજ્જ હોય ને એના ચિત્તમાં આપણા સાહિત્યવારસાના સંસ્કારો પડ્યા હોય તો મુશ્કેલી ન જ પડે. આટલી તૈયારી હોય એ પછી જ પ્રત્યાયનની વાત આવે. હું નથી ધારતો કે કોઈ અગવડ પડે. ઊલટું, નાદમાધુર્ય અને એમાં રહેલા સંગીતથી વિશેષ આનંદ પ્રાપ્ત થાય.

રાજેન્દ્ર શાહ

[‘તપસીલ’(સર્જક-કેફિયતો), સંપા. હર્ષદ ત્રિવેદી(1998)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.