સમીક્ષકની સજ્જતા

સાહિત્યસમીક્ષાનું મુખ્ય ઉત્પાદક બળ તો સાહિત્યનો આનંદ જ છે. જેને એ નથી તેણે આ પ્રવૃત્તિની ચેષ્ટા ન કરવી જોઈએ. પણ આનંદ માત્ર બસ નથી. કવિઓ જન્મે છે, બનતા નથી, એમ મનાય છે. પણ કવિઓને પણ અભ્યાસ આવશ્યક હોય છે, તો સમીક્ષકની તો મૂળ પ્રવૃત્તિ જ અભ્યાસની અને મીમાંસાની છે. વિજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયનાં પુસ્તકોની સમીક્ષા માટે તે તે વિષયનું અદ્યતન જ્ઞાન સમીક્ષકને હોવું જોઈએ […] સમીક્ષકને સાહિત્યના સર્વ પ્રકારોની જાણ હોવી જોઈએ. તે વિના તે નવી કૃતિનો અર્થ અને તેનું તાત્પર્ય પૂરેપૂરું સમજી ન શકે. તેમ જ તેણે જુદાજુદા દેશોનાં સાહિત્યોનો અને વિવેચનવ્યાપારનો પરિચય રાખવો જોઈએ. સર્જકને માત્ર એક દેશનું પ્રભુત્વ બસ થાય, વિવેચકને કદી નહિ. વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો જોઈએ. વિવેચના એક રીતે ફિલસૂફીની પ્રવૃત્તિ છે.

રામનારાયણ પાઠક 

[‘સાહિત્યાલોક’(1954)-માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.