અનુવાદની ઉપકારકતા

મહત્ત્વનો પ્રશ્ન છે આપણા દેશની ભાષાઓના સાહિત્યને જાણવાનો-સમજવાનો. દેશની ભાવાત્મક એકતાની આપણે ઘણી બધી વાતો કરીએ છીએ, અને ભાવાત્મક એકતા માટે યોજનાઓ કરીએ છીએ, પણ પુષ્કળ અનુવાદો દ્વારા આ બહુભાષી દેશને જોડવાની વાત કોઈ કરતું નથી. પરંતુ હું એવા કારણસર નથી કહેતો. શુદ્ધ સાહિત્યની દૃષ્ટિએ પણ આપણે માટે નિકટની ભાષાઓના સાહિત્યની જાણકારી આવશ્યક છે. આપણે આપણા સાહિત્યને, આપણી રચનાત્મકતાને અન્ય ભગિની ભાષાના સાહિત્ય થકી વધારે સારી રીતે સમજી શકીશું. મારા જ દેશની આજની આબોહવામાં શ્વાસ લેતા એ જ ભારતીય લેખકની નિયતિ ધરાવતા સાહિત્યકારો શું લખે છે, શું વિચારે છે, શા પ્રયોગો કરે છે, તે જાણવાથી મારી સાહિત્યિક પરંપરાનો વિસ્તાર થવાનો છે.

ભોળાભાઈ પટેલ

[‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’(1996)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.