સર્જકનો ક્રીડાવ્યાપાર

સર્જનાત્મક લેખનમાં વ્યવહારના અનુભવથી જુદો અનુભવ છે. અહીં અનુભવ પહોંચાડવાનો કે સંક્રમિત કરવાનો નથી. અહીં અનુભવ કરાવવાનો છે. સંવેદન પહોંચાડવાનું નથી, સંવેદન જગાડવાનું છે. લેખન, આ માટે, કશાકને સ્વરૂપમાં લાવવા (en-forming) માટે ક્રિયારત અને ક્રીડારત બને છે. લેખનના આ ક્રિયાવ્યાપારને કે ક્રીડાવ્યાપારને આચાર્ય કુન્તકે ‘પરિસ્પન્દ’થી ઓળખાવ્યો છે, જગન્નાથે રમણીય અર્થકરણથી અને આનંદવર્ધને ધ્વનનથી ઓળખાવ્યો છે. શબ્દ શબ્દ વચ્ચે, શબ્દ અને અર્થ વચ્ચે, વાક્યાંતર્ગત સીમા અને આન્તરવાક્ય સીમાઓ વચ્ચે જે ગતિશીલતા કે ઊર્જા જન્મે છે એને કારણે લેખનમાં શબ્દ અને અર્થ નિશ્ચિત રૂપમાં સ્થિર રહી શકે તેમ હોતા નથી. શબ્દ અને અર્થ બંને બહુગામી, બહુઅર્થી અને બહુપરિમાણી કલેવર લઈને સામે આવે છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા

[‘રમણીય સંક્રમણ’(2014), પૃ. 11]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.