વિવેચકનો કાવ્યવિવેક

અલબત્ત, દરેક વિવેચકની કવિતાવિવેકની વ્યવહારુ પ્રવૃત્તિની પાછળ એને અભિપ્રેત કાવ્યસિદ્ધાન્ત ડોકિયું કરવાનો જ. વારંવાર એને કોઈ ને કોઈ કાવ્યસિદ્ધાંતો સાથે મેળ કે વિરોધ દાખવવાના પ્રસંગો પણ આવવાના. ક્યાંક સીધી સિદ્ધાન્તચર્ચામાં ઊતરવાનો પણ પ્રસંગ આવે એ અસંભવિત નથી. વિવેચક હંમેશાં કાવ્ય ‘વિશે’ નહિ પણ કાવ્ય ‘સાથે’ મથામણ કરી રહ્યો હોય છે, એટલે કાવ્ય સાથેની પ્રત્યક્ષ મથામણમાં જેટલાં કાવ્યવિચારમંથનો મદદરૂપ થાય એવાં હશે તે બધાંનો એ જરૂર આદર કરવાનો. પણ સતત એણે કાવ્ય સાથે હાથ મિલાવેલા હશે અને એની ઉષ્મા અનુભવતાં અનુભવતાં જ – બલકે એ ઉષ્માધબકનો આનંદ બીજાઓને ઓળખાવવા-પહોંચાડવામાં ઉપકારક થાય એ પૂરતી – પરોક્ષ ચર્ચાને એ આવકારશે. કાવ્ય સાથેના પ્રત્યક્ષ સંબંધ સાથે સંકળાયેલા અનેક નાનામોટા પ્રશ્નોને તાત્ત્વિક દૃષ્ટિએ એણે ચર્ચવાના રહેવાના. પણ કાવ્યથી દૂર ચાતરી પરોક્ષ ચર્ચામાં જ વિવેચક ગૂંચાઈ જાય તો એણે સમજવું જોઈએ કે વિવેચનની નહિ પણ તત્ત્વજ્ઞાનની પ્રવૃત્તિ એ કરી રહ્યો છે. આ ભેદ ખ્યાલમાં રહેવો જોઈએ.

ઉમાશંકર જોશી

[ઠક્કર વસનજી વ્યાખ્યાનો, 1959: ‘કવિતાવિવેક’(1997)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.