સંસ્કૃત સાહિત્ય

સંસ્કૃતના વૈચારિક સાહિત્ય ઉપરાંત તેના સર્જનાત્મક સાહિત્યનું પણ ઘણું મોટું મૂલ્ય છે. સંસ્કૃતનું નાટ્યસાહિત્ય આવી વિશિષ્ટતા અને રસવત્તા ધરાવે છે. સંસ્કૃત ઊમિર્કાવ્યોનું સાહિત્ય પ્રમાણ તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ એટલું સમૃદ્ધ છે કે જગતના ઉત્તમ સાહિત્યમાં તેને સહેજે સ્થાન આપી શકાય. તેમાં જે સંવેદનશીલતા, ભાવોની સુકુમારતા, ભાષાસામર્થ્ય, લાઘવ અને વ્યંજકતા પ્રતીત થાય છે તેને કારણે કાવ્યરસિકોને માટે તે એક અક્ષયનિધિ બની રહે તેમ છે. 1968માં સંસ્કૃત કવિતાનો અંગ્રેજી અનુવાદ દ્વારા પરિચય કરાવતું એક પુસ્તક પેંગ્વિન ગ્રંથમાળામાં પ્રકાશિત કરવામાં આવ્યું તે દર્શાવે છે કે આજના સુશિક્ષિત અને સંસ્કારી વિશ્વનાગરિકને માટે જગતનાં અન્ય સાહિત્યોની જેમ સંસ્કૃત સાહિત્યમાં પણ ઘણું એવું છે જે તેને ઊંચી કોટિનો કાવ્યસ્વાદ આપી શકે. આ ઉપરાંત એ હકીકત પણ નોંધપાત્ર છે કે સંસ્કૃત નાટકે અને ઊમિર્કાવ્યે અર્વાચીન પાશ્ચાત્ય સાહિત્યનાં તે બે સ્વરૂપોનાં નવવિધાન પરત્વે પણ પ્રભાવ પાડ્યો છે.

હરિવલ્લભ ભાયાણી

[‘સંસ્કૃત પરિષદ’માં કરેલું વક્તવ્ય, ‘પ્રવચનો’(2005)માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.