સાહિત્યમૂલ્ય

જીવનમાં સ્વીકારેલાં મૂલ્યોની માવજત કરાવવા સાહિત્ય પાસે જઈએ તો મને લાગે છે કે, અવળો પંથ ગ્રહણ કરવા જેવું છે. સાહિત્ય અને જીવનના સંબંધ પરથી જ આ વસ્તુ સ્ફુટ કરવા પ્રયત્ન કરું. રામનારાયણ પાઠકે જીવન અને સાહિત્યના સંબંધની વાત કરતાં જીવનને વૃક્ષ અને સાહિત્યને વૃક્ષ પર આવેલા ફૂલ સાથે સરખાવ્યાનું મને યાદ છે. એમાંથી એક વસ્તુ એ ફલિત થાય છે કે જીવનમાં જેવા રસકસ એવું એનું સાહિત્ય. પણ આ સાદશ્ય જરા આગળ લંબાવીને કહું કે એ પણ એટલું જ સાચું કે વૃક્ષમાં પૂરેલા ખાતરની ગંધ અને પુષ્પની ગંધ એકસરખી નહિ પણ તદ્દન ભિન્ન હોય છે. અનેક ક્રિયા-પ્રતિક્રિયાઓમાં એનું પરિવર્તન (transformation) થતું હોય છે. જીવન પર સાહિત્ય આધારિત છે એ વાત સાચી છે પણ એ જીવન જ્યારે સાહિત્યમાં આવે છે ત્યારે એનું સીધેસીધું પ્રતિબંબિ સાહિત્યમાં પડતું નથી, પણ આવું પરિવર્તન પામીને એ સાહિત્યમાં આવે છે. સાહિત્યનાં મૂલ્યો, પરિણામે જીવનનાં સ્વીકૃત મૂલ્યોથી ભિન્ન હોય છે.

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

[‘અન્વીક્ષા’(1970), પૃ. 25]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.