કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી

મૂળની સાથે મેળ છે ને સત સાથે સુમેળ છે તેવા, સમષ્ટિના સૂર સાથે પોતાના શબ્દનો — શબદનો સૂર મેળવતા-કેળવતા આ કવિને ‘કુમાર’ ચંદ્રક (૧૯૬૪), રણજિતરામ ચંદ્રક (૧૯૮૫), સાહિત્ય અકાદેમી, દિલ્હીનો ઍવૉર્ડ (૧૯૮૬), નર્મદ સુવર્ણચંદ્રક (૧૯૮૩-૮૭), આદ્યકવિ શ્રી નરસિંહ મહેતા ઍવૉર્ડ (૨૦૦૫), ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર (૨૦૦૬), સચ્ચિદાનંદ સન્માન (૨૦૧૦), વિનોદ નિઓટિઆ કાવ્યમુદ્રા ઍવૉર્ડ (૨૦૧૬) તથા ગુજરાત સરકાર/ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદ તેમજ અન્યો દ્વારા અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

નમણો લંબગોળ મધુર ચહેરો, શામળો વાન. મોટું કપાળ, આછા-લાંબા વાળ, ચશ્માં પાછળ ચમકતી, ઊંડું-અઢળક-મબલક જોતી-પરખતી, હદમાં અનહદ નીરખતી આંખો — એમાં અધ્યાત્મનું તેજ, સં-વેદનનો ભેજ. વાણીમાં હૈયાનો ઉઘાડ. અવાજમાં સચ્ચાઈનો રણકો. ‘અમે દીવાલો, નથી અમારે પાંખ: સાદ ના પાડો’ કહેતા. પણ ‘સૂક્ષ્મ’ને સાંભળતા કવિ-કાન. ચહેરા પર ધીર ગંભીર પ્રસન્નતા, ભીતર કવિતાના સતનો જાણે દરિયો, મોજાં પર મોજાં પર મોજાં આવ્યાં કરે ને કવિતા ઊતર્યા કરે — અવતર્યા કરે. ખાદીનો ઝભ્ભો-લેંઘો. ભીતર ગાંધી-સંસ્કારથી ભર્યા ભર્યા. હોઠ પર મીઠું-મધુરું સ્નેહસભર સ્મિત, મારી નવી લખેલી કવિતા હું એમના હાથમાં આપું ત્યારે શરૂમાં એમનો ચહેરો કડક વિવેચક જેવો દેખાય (વાંચતાં વાંચતાં જોડણીની ભૂલો સુધારતા જાય), પછી સહૃદય ભાવક જેવો, પછી અસલ સર્જક જેવો. ચહેરા પર પ્રસન્નતા છલકાય, હોઠ પર વળી મધ-મીઠેરું સ્મિત લહેરાય. આ સ્મિતમાં ઠાકોરજીના મધુર સ્મિતનો અણસાર પણ ક્યારેક ફરકતો જણાય. પિતા ત્રિકમલાલ માણેકલાલ શેઠ ચુસ્ત વૈષ્ણવ. કીર્તનમાં — ઠાકોરજીમાં ઓતપ્રોત. ઘરમાં પુષ્ટિસંપ્રદાયનું વાતાવરણ. ભજન-કીર્તન ને ભાગવતાદિનું વાચન-શ્રવણ. માતાનું નામ સરસ્વતી. સ્નેહાળ, સહનશીલ, કરકસરમાં માને. દીવાસળી પણ ગણીને સળગાવે! (ચંદ્રકાન્ત શેઠને દીકરી વંદનાના લગ્ન વખતે લાલ રીફિલથી કંકોતરી લખતા જોયેલા, એમના હાથમાં મોંઘી પેન કદી જોઈ નથી, આવેલી ટપાલમાંથી એક બાજુ કોરી હોય તેવો કાગળ સાચવી રાખે ને લેખન માટે ઉપયોગમાં લે.)

ચંદ્રકાન્ત શેઠનો જન્મ ૩ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ગામે. વતન ઠાસરા (જિ. ખેડા). તેઓ જન્મ્યા ને મા લકવાગ્રસ્ત થઈ. બીજાઓને ધાવીને તેઓ મોટા થયા. ઘરમાં વજ્રથીયે વધારે કઠોરતા ને કુસુમથીયે વધારે કોમળતાનો અનુભવ થતો રહ્યો. બાળવિધવા મોટી બહેન સુરીલા કંઠે હલકથી દયારામનાં પદો ગાતી.હવેલીની જેમ ઘરમાંયે સેવા-ઉત્સવ-કથા-કીર્તનનો માહોલ. મંદિરમાં રાસ-હીંચ રમાતાં. આ બધાંના સ્વાદ થકી, ભગવાનના પ્રસાદ થકી કવિનો તન-મનનો પિંડ બંધાતો ગયો. શરીરે નબળા ને રમતગમતમાં ઢીલા તેથી વાચનલેખનમાં જીવ રોપ્યો. જાદુના ખેલ, રામલીલા ને ભવાઈના ખેલ, નટના ખેલ ને રાસલીલાના ખેલ — આ બધું એમની ચેતનામાં રોપાતું ગયું. ‘બા’ શબ્દ બોલવાનું શરૂ થયું ત્યારથી જ તેમની શબ્દાયનની કથા શરૂ થઈ, ‘પહેલીમાંનો અક્ષર પહેલો બા, બા, બા’ આજેય તેઓ ભૂલ્યા નથી. શબ્દ સાથેનો સંબંધ એમને મા સાથેના સંબંધ જેવો લાગે છે. આથી જ તેમણે નોંધ્યું છે:

‘…આપણી માતૃભાષા કાવ્યભાષા બને છે ત્યારે તેમાં વિશ્વભાષાનો આત્મા ધબકતો પામી શકાય છે.’

(‘શબ્દ સાથે મારો સંબંધ’, સં. હર્ષ બ્રહ્મભટ્ટ, અનિલ ચાવડા, પૃ. ૫૪)

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ હાલોલ અને કણજરીમાં. કણજરીના દરબાર જૂની રંગભૂમિના આશક, નાટકકાર ને કવિ. દરબારમાં રોજ મિજલસ થાય. તરુણ ચંદ્રકાન્તની કવિતા અંગેની પાત્રતાના કારણે મિજલસમાં હાજર થવા નોતરું મળે. પિતાજી ખિજાય. આમ તો સાતમા ધોરણથી કવિતાની શરૂઆત. ૧૯૪૮માં ગાંધીજીનો દેહાંત થતાં કાવ્ય લખેલું: ‘એવા બાપુ અમર રહો!’ કિશોર વયથી જ એમને ગાંધીજી ગમતા ને ખાદી પહેરવાની ઇચ્છા થતી. ૧૯૫૦ પછીથી આઠમા ધોરણથી અમદાવાદમાં કાંકરિયાની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં. રવીન્દ્રનાથનું પ્રબળ ખેંચાણ. મૅટ્રિક સુધીમાં પ્રચલિત છંદો પર ઠીક ઠીક પ્રભુત્વ મેળવી લીધેલું. શાળાજીવન દરમિયાન કવિતાના વ્યાયામથી પાંચ-સાત નોટો ભરી દીધેલી. પ્રોપ્રાયરી હાઈસ્કૂલમાં તેઓ ભણતા ત્યારે કવિ શ્રી ઉમાશંકર જોષીનાં દર્શન થયેલાં. ઉમાશંકર સ્કૂલમાં આવેલા ને વ્યાખ્યાન આપવા માટે ‘ભોમિયા વિના’ ગીત ગાયેલું. શાળાના વાર્ષિક અંકમાં એમનું કાવ્ય ‘મા શારદે!’ છપાયેલું.

તેઓ ગુજરાત કૉલેજમાં દાખલ થયા ત્યાર પછી એમની કાવ્યયાત્રાને દિશા અને વેગ મળ્યાં. તેઓ જુનિયર બી.એ.માં હતા ત્યારે લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા સિનિયર બી.એ.માં હતા. એમની મૈત્રી કાવ્યરસે પુષ્ટ થતી ગઈ. લાભશંકરે એમને ‘કુમાર’ની ‘બુધસભા’નું ડહેલું બતાવ્યું ને પછી તો જાણે ગગન ખોલતી બારી ખૂલી ગઈ! કાવ્યપદાર્થની સમજણ વિકસતી ચાલી. મુ. બચુભાઈની ‘બુધસભા’માં સુન્દરમ્, ઉમાશંકર, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, બાલમુકુન્દ દવે જેવા ઘણા કવિઓની કવિતાને પ્ર-માણવા મળી. રઘુવીર ચૌધરી, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મનહર મોદી જેવા મિત્રો મળ્યા તો ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, નગીનદાસ પારેખ, મોહનભાઈ શં. પટેલ જેવા ગુરુજનો મળ્યા ને એમના સર્જનની ક્ષણોનું વૈશ્વિકતા સાથે સૂરસંધાન (ટ્યૂનિંગ) શરૂ થયું.

આમ એમનું બાળપણ વીત્યું હાલોલ-કણજરીમાં ને વિશેષ ઘડતર થયું અમદાવાદમાં. આ સંદર્ભે એમણે નોંધ્યું છે —

‘મારામાં ગામડું અને શહેર બેય ભળ્યાં છે. કેટલોક વણાટ શહેરમાં, પણ મૂળભૂત દ્રવ્ય રૂ-સૂતર તો ગામડાનું. મારો કેટલોક વણાટ શહેરમાં એટલે બધું બરોબર એવું નહીં જ. વણાટમાં કેટલાક ગરબડગોટાળાયે ખરા જ. કેટલાંક તો હું સમજું છતાંયે ચાલવા દઉં; ગેરસમજના જોખમ છતાં! મને ગેરસમજ પોસાય છે. અસત હરગિજ નહીં.’

(‘સર્જકની આંતરકથા’, પુનર્મુદ્રણ, ૨૦૧૧, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૦)

અસત એમને હરગિજ પોસાતું નથી આથી જ એમને મૂળની સાથે મેળ છે ને સત સાથે સુમેળ, એમની એક ગીત-પંક્તિ છે —

‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું.’

બધે જ સતનો રકાસ થતો લાગે છે એવા આ સમયમાં આ કવિ મૂળની સાથે મેળ સધાય, આંતરચેતનાના સૂક્ષ્મ તાર સમષ્ટિ-ચેતના સાથે જોડાય એ માટે શું કરે છે?! —

‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ;
એના મનમાં ખાલી સમય સડે છે.

ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ.
— બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે
દેશકાળને દર્પણ એના ડાઘ પડે છે :
ચંદ્રકાન્તનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.

*

ચંદ્રકાન્તના મન પર લીલ ચઢી છે
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.

*

ચંદ્રકાન્તને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચં દ્ર કા ન્ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ….’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૫-૧૬)

જાતને શોધવાની અને પામવાની આ સર્જનાત્મક પ્રક્રિયા એમના અપૂર્વ અને અનન્ય અંગત નિબંધો ‘નંદ સામવેદી’માંય ચાલે છે. ‘આ-નંદપર્વ’ શીર્ષકથી લાભશંકર ઠાકરે ચંદ્રકાન્ત શેઠના પ્રતિનિધિ નિબંધોનું સંપાદન કર્યું છે. એની પ્રસ્તાવનામાં લાભશંકરે યથાર્થ નોંધ્યું છે —

‘આ નિબંધોમાં ચંદ્રકાન્તનાં બાહ્ય રૂપોનો ભુક્કો કરી અસલ, આંતરિક ચંદ્રકાન્તને પામવાનો, નિબંધકારનો શોધપુરુષાર્થ છે.’

ચંદ્રકાન્ત શેઠની ભીતર ધૂણી ધખાવીને એક કવિ જો બેઠેલો ન હોત તો કદાચ ‘નંદ સામવેદી’નો જન્મ થયો ન હોત, કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘પવન રૂપેરી’માં પહેલું કાવ્ય છે — ‘ક્યાં છો ચંદ્રકાન્ત?’ એના ઉત્તરની શોધ સતત ચાલતી રહી છે. નિબંધકાર તરીકેની કેફિયત આપતાં આ કવિએ કહ્યું છે —

‘મારામાં કોઈ સાચુકલો — અસલી ચંદ્રકાન્ત હોય તો તેની ખોજ માટેના ઉધામા આદર્યા અને તેનું સીધું પરિણામે તે ‘નંદ સામવેદી’.’

‘ ‘નંદ સામવેદી’ને મારી ‘અધર સેલ્ફ’ કહી શકાય.’

(‘શબ્દયાત્રા: ચંદ્રકાન્ત શેઠ’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૧૦૨)

આમ કવિ ચંદ્રકાન્ત શેઠ અને ‘નંદ સામવેદી’ એક જ અસલ સિક્કાની બે બાજુઓ છે, એમાં સતનો રણકાર છે. ‘નંદ સામવેદી’, ‘આર્યપુત્ર’, ‘બાલચંદ્ર’, ‘દક્ષ પ્રજાપતિ’ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો?! પોતાનાં જ અનેક બાહ્ય રૂપોને તપાસવાં સ્તો ને એમાંથી સાચા ચંદ્રકાન્તને શોધવા સ્તો!

‘ગોરંભો’ કાવ્યમાં કવિ કહે છે —

‘જાતે પોતાનું દર્પણ થવું.
પોતે જ પોતાની સામે ઊભા રહી
પોતાને રંગે હાથ પકડવો…
— આ પ્રક્રિયા જ મને તળે-ઉપર કરી નાખે છે…’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૫૮)

જાતને તળે-ઉપર કરવાની આ પ્રક્રિયા સતત ચાલતી રહી છે.

‘ક્યાં છો ચંદ્રકાન્ત?’માં કવિ પોતાનાં બાહ્ય રૂપો વચ્ચે ‘અસલ ચંદ્રકાન્ત’ને શોધવા કેવા કેવા કીમિયા કરે છે! —

‘કેટલાય કૅમેરાની આંખો પ્હેરી,
અંધાકરો આંજી આંજી.
પ્રકાશોથી રંગી રંગી,
પ્લેટોમાં ઠાંસી ઠાંસીને,
ચંદ્રકાન્તો ચારે કોર મૂકી મૂકી જોયા;
ચંદ્રકાન્ત પાના જેવા સાવ કોરા!
ચારે કોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
— એમાં હું જ હોઉં સાચો
એક તો બતાવો મને,
ચંદ્રકાન્ત ક્યાં છે?
ક્યાં છે?
ક્યાં છે?’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨)

ભાવકચિત્તમાંય ‘ક્યાં છે?’ ‘ક્યાં છે?’ના પડઘા પડતા રહે છે.

ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીને એના ટુકડાઓ કવિ જાણે કૅલિડોસ્કોપમાં ભરે છે, તળે-ઉપર કરે છે, ફેરવી ફેરવીને નીરખે છે ને એમ શબ્દલીલા, સ્વલીલા ને શબદલીલા ચાલતી રહે છે.

જાતની વિડંબના કરતાં કરતાં, હસતાં હસતાં આ કવિ બાહ્ય આવરણો ઉતારીય શકે છે — ‘નહિ ગમે આ મારો વેશ’ કાવ્યમાં કવિ કહે છે —

‘હું બરોબર જાણું છું:
તેઓ તેમની સૉફિસ્ટિકેટેડ એસ્પ્રેસો કૉફીમાંથી
આસ્તેથી
રૂપાના ઢોળવાળી ચમચીથી
કાઢી નાખશે મારું નામ બહાર;
તેઓ તેમની ડાયરીમાંથી
અવાજ ન થાય એમ હળવેકથી
ફાડી નાખશે મારા જન્મદિવસનો વાર.
… …
… …
હું એમની કૉફી-પાર્ટીમાં જાઉં છું. એકાદો શર્કરાકણ ચાટવા;
હું ભળું છું એમની કૉફી-પાર્ટીમાં, ઉગાડવા રંગધનુષો, કૉફીથી!
એમની ઉષ્માથી મારી કપાવેલી સાત સુંવાળી પૂંછડીઓ
મથું છું મને ચોંટાડવા.

જો એ પૂંછડીઓ મને ચોંટી રહે
ને તેથી મિત્રો જો દાદ આપે
તો
ઊભી બજારે
સાત પૂંછડીઓ બતાવતાં ફરવા
કદાચ
નિર્વસ્ત્ર થવાનુંયે હું કરું!’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૩૦-૩૧)

જાતની વિડંબના કરતા જઈને કવિ શબ્દનું, કવિતાનું સત્ય પેટાવતા રહે છે. ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે —

‘હું શું કરું છું?
બનાવટ — શબ્દોની ચોક્કસ પ્રકારની નમૂનેદાર બનાવટ.
સમય છે. શક્તિ છે. સાધન છે, પ્રોત્સાહન છે,
તો લખીએ છીએ.

*

એક કવિસંમેલનની તાળીઓથી ચઢી ગયો ચંદુડિયો વૈકુંઠ લગણ;
પણ કવિતાથી નહિ ચઢેલો તે બચાડો ઊંધે માથે પડ્યો ને
પટકાયો પથ્થરિયા ભોંય પર.
ને કુદરતનું કરવું તે વાગ્યું તો પાર વિનાનું
પણ ખોપરીનો મસાલો જળવાઈ રહ્યો અકબંધ!’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૪૨-૪૩)

એક ગીતમાં આ કવિ નિર્મમ બનીને ચંદુડિયા પર સોંસરો વાર કરે છે, પણ ચંદુ, ‘મારો ચંદુ’ તુરત ફરાર થઈ જાય છે! —

‘અંદરથી આ કટાર નીકળી,
અંદરથી તલવાર,

ચંદુડિયાની હવે ખેર ના,
કરું સોંસરો વાર!’ —

*

માટી દેતાં ઈંટો કીધી,
એથી કરી દીવાલો!
વાડી દેતાં વાડો કીધી,
દેશ કર્યો કાંટાળો!
‘તને જ પ્હેલો ખાઉં ખાઉં’નો ઉર જ્યાં ઊઠ્યો પુકાર;
મારો ચંદુ તુરત ફરાર! —’

(‘ચિદાકાશનાં ચાંદરણાં’, પૃ. ૫૮)

શબ્દમાં અને શબદમાં આ કવિને અપાર શ્રદ્ધા છે. શબ્દને તેઓ કઈ રીતે નીરખે છે? — ગુજરાતી સાહિત્ય પરિષદના તેત્રીસમા અધિવેશનમાં સર્જનવિભાગના અધ્યક્ષપદેથી રજૂ કરેલ વ્યાખ્યાન — ‘મારા મનની વાત’માં તેમણે કહેલું —

‘આપણે બરોબર સમજી લેવું રહ્યું કે પગ નીચે જેમ ધરતી છે તેમ આપણા શબ્દ નીચેય ધરતી છે — શ્રદ્ધાની — સત્-શ્રદ્ધાની. એના વિના સ્થિરતા નથી, દૃઢતા નથી, ઉઘાડ ને વિકાસ નથી કે ઉડાણ નથી.’

(‘શબ્દયાત્રા’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૬૯)

‘હું જોઉં છું — શબ્દ એક શર છે. હું એના માટેની પ્રત્યંચા. એ શરનું લક્ષ્ય મારી બહાર નથી, એ શરનો છોડણહાર પણ મારી બહાર નથી. બાંધવાનું અને છોડવાનું. બેય રીતે સ્વાદ તો સર્જનનો જ માણવાનો.’

(‘શબ્દયાત્રા’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૭૩)

આમ તો હું વિજ્ઞાનનો વિદ્યાર્થી, પણ ચંદ્રકાન્ત શેઠ મારા ગુરુ. ૧૯૮૩માં અમદાવાદમાં બદલી થઈ. મારી ઑફિસેથી વિદ્યાપીઠ નજીક. રોજ રિસેસમાં વિદ્યાપીઠ. મુદ્રિકાબહેને થરમૉસમાં ભરી આપેલી ફુદીનાની સોડમવાળી ચા અને કવિતા. અવારનવાર, વારંવાર ‘શેઠકાકા’ના ઘરે પણ નાસ્તો, ચા અને સાહિત્યની વાતો. હાંડવો, ઢોકળાં, મૂઠિયાં તો મુદ્રિકાબહેનનાં. આમ એમની પાસેથી મને જાણે કાવ્યદીક્ષા મળી. સાહિત્યના પાઠ શીખવા મળ્યા. લગભગ મારું બધું જ લખાણ એમની સૂક્ષ્મ નજર તળેથી પસાર થાય. ૧૯૮૦માં, હું સુરેન્દ્રનગરમાં હતો ત્યારે, ભવિષ્યમાં હું નવલકથા લખીશ એવું મેં સ્વપ્નમાંય કદી વિચાર્યું નહોતું ત્યારે, મારી વાર્તા ‘ગંગાબા’ વાંચીને ચંદ્રકાન્ત શેઠે એક પોસ્ટકાર્ડ લખેલું. એમાં લખ્યું હતું — ‘તમે મોટા નવલકથાકાર થશો.’ પછી તો એમની સાથે કવિતાનાં સંપાદનોનું કામ કરવાની તક મળી ને કાવ્યપદાર્થની મારી સમજણ વિકસતી ગઈ. કેરળ તથા રામેશ્વર-મદુરાઈના પ્રવાસમાં પણ સાથે જવાનું થયું. ચેન્નાઈમાં અતિવરસાદના કારણે પ્રવાસ ટૂંકાવીને કન્યાકુમારીથી પાછું ફરવું પડેલું. રામેશ્વર-મદુરાઈ બાકી રહ્યાંનું સહુને દુઃખ હતું. પણ સૌ. મુદ્રિકાબેન? પ્રવાસ દરમિયાન તેઓ જેવાં પ્રસન્ન હતાં તેવાં જ પ્રસન્ન…! યાત્રા અધૂરી રહ્યાનો રંજ પણ નહિ! ‘જેવી ઠાકોરજીની ઇચ્છા’ કહી પરિસ્થિતિનો સહજ સ્વીકાર. સાચાં વૈષ્ણવ. ઠાકોરજીને સમર્પિત. સચ્ચાઈ તથા ઇન્ટિગ્રિટીનો વારસો એમનાં સંતાનો — વંદના તથા અભિજાતમાં પણ ઝિલાયો છે, જળવાયો છે. દીકરી રુચિરાનું અકાળ અવસાન થયું ત્યારે એના ઊંડા આઘાતમાંથી મુદ્રિકાબહેન ઠાકોરજી પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ થકી બહાર આવેલાં, ‘શેઠકાકા’ પણ આ આઘાતમાંથી કવિતા પ્રત્યેની, શબ્દ અને શબદ પ્રત્યેની શ્રદ્ધા થકી બહાર આવેલા. કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં એમણે કહ્યું છે —

‘હું મારી કાવ્યસર્જનની પ્રક્રિયાને આંતરસાધના — આત્મસાધના જ લેખું છું. સાપની સામે લડતો નોળિયો જેમ ઝેર ઉતારવા નોળવેલ પાસે જાય, એમ હુંયે જીવનમાં નાનામોટા સંઘર્ષોનો મુકાબલો કરતાં કરતાં અવારનવાર મને ઠીક કરવા માટે મારી અંદર વળું છું. કવિતાના ચરણે માથું મૂકું છું.’

(‘શબ્દયાત્રા’, પૃ. ૯૮)

આ જ લેખમાં તેઓ લખે છે —

‘કાવ્યદેવતાનું થાનક બને તેટલું ચોખ્ખુંચણક ને રળિયામણું રહે એવો મારો અંદરનો ઉછાળ-ભાવ હોય છે. કાવ્યસર્જન દરમિયાન મારો ‘હું’ મને ઓછામાં ઓછી ડખલ કરે, એ માપ કે મર્યાદામાં રહે એની બનતી તકેદારી રાખું છું. મારી ખટાપટી તો મારા સર્જનની વૈયક્તિક ક્ષણ વૈશ્વિકતા સાથે સૂરસંધાન (‘ટ્યૂનિંગ’) કરીને કઈ રીતે શાશ્વતીના રસની ક્ષણમાં રૂપાંતરિત થાય એ માટેની હોય છે. મારી સચ્ચાઈ કવિતાના પદે પદે વધુમાં વધુ નિર્મળ ને નમણા સ્વરૂપે પ્રગટવી જોઈએ.’

(‘શબ્દયાત્રા’, પૃ. ૯૯)

‘હું તો મારા હું ને કહું છું : બ્હાર નીકળ, તું બ્હાર!’

‘હું’ને બ્હાર કાઢવા માટેનો આ સમજણભર્યો કવિમિજાજ વિરલ છે.

કવિ કે નિબંધકાર તરીકે આપેલ કૅફિયતમાં પણ તેઓ અહમ્ વિશે કહેતા રહ્યા છે —

‘અંદર અહંરોગ તો ખરો જ.’

(‘શબ્દયાત્રા’, પૃ. ૮૨)

‘હું મારા અહંકારના ભારથી પણ ત્રાસું છું. આધુનિકતાનો અંચળો પહેરી ઉન્નતભ્રૂ થઈને ફરવું કે બૌદ્ધિકતાના બખ્તરમાં જકડાઈને બંધિયારપણું દાખવવું એ મારા સ્વભાવમાં નથી. પ્રાચીન હોય, મધ્યકાલીન હોય કે અર્વાચીન — આધુનિક હોય સર્વ વિચારધારાઓ સમજવાની અને એ બધાંમાંથી જે કંઈ સાર્થક જીવન જીવવામાં લાભદાયી હોય તે ગ્રહણ કરીને પંડને કેળવવાની કોશિશ હંમેશાં કરતો રહું છું.’

(‘શબ્દયાત્રા’, પૃ. ૧૦૬)

આથી જ તો એમના પંડમાં જાગેલો ટહુકો ગગન ખોલે છે ને વૈશ્વિક ઉઘાડ સાથે સૂર મેળવે છે. પંડને સતત કેળવતા રહેલા ને ‘સ્વ’ની તથા ‘કવિતા’ની શોધ કરતા આ કવિ આધુનિકતાના કે કોઈ વાદના કે અન્ય કોઈ ચોકઠામાં પુરાય તેમ નથી. કારણ, આ કવિને ‘સ્વધર્મ’ સૂઝ્યો છે. ‘એ જ મને સૂઝેલો સ્વધર્મ’ કાવ્યમાં કવિ કહે છે:

‘તારે આમ ચોકઠામાં ઢળવાનું હોય નહીં,
ચાર ચાસ વચ્ચે તારે ઝૂમવાનું હોય નહીં.
દેખ, એ ક્ષિતિજ પાર,
ઊઠ, એ આકાશ પાર; …

*

રસનો પ્રકાશ ક્યાંથી અનાયાસ સ્ફુરે?

*

હું તો એક ગુહા,
જ્યાંથી ઊઠે રસ-ધ્વનિ!
હું તો એક ઘર,
જેની ઈંટે ઈંટે છૂપેલી આકાશકણી,

*

ભલે મારું બધુંયે તણાય;
મારે વ્હેતાં વ્હેતાં,
ખોતાં ખોતાં,
મૂળથી તે ફળ લગી
રસનું જે ચાલતું તોફાન;
એનો પામી લઈ મર્મ
ખૂલવું છે શબ્દે શબ્દે
મૌને મૌને,
એ જ મારું કર્મ.
એ જ મને સૂઝેલો સ્વધર્મ.

(‘પડઘા અને પડછાયા વચ્ચે’, પૃ. ૭૫, ૭૬, ૭૭)

કવિની શોધ છે માણસના અને પોતાના સાચા ચહેરાની, ‘ચહેરા ભીતરના ચહેરા’ની, કવિતાના ચહેરાની, સત્યના ચહેરાની, શબ્દના ચહેરાની, છીપમાં મોતી પાકે એટલું પાણી આ કવિની આંખમાં છે —

‘અમે તો અમારા આ મૂળભૂત ચહેરા વિશે જ સાશંક.’

‘સંબંધોના સર્વ સેતુથી છિન્ન’ કાવ્યમાં તેઓ કહે છે —

‘બહેતર, મારું નામ આથમી જાય…’

તો, ‘સત્યનો ચહેરો’ કાવ્યમાં આ કવિ અન્યને મન પોતે કોણ છે તે તપાસે છે! —

‘કદાચ રસ્તાઓને મન હું કીડી છું,
કદાચ મકાનોને મન હું ઘુવડ છું.
કદાચ આકાશોને મન હું ધુમ્મસ છું,
કદાચ સમયને મન હું શૂન્ય છું.
મારી પગલી — મારી સ્મૃતિઓ — મારા શબ્દો —
બધું જ — બધું જ બનાવટ?’

*

અરીસાઓ ભેદી રીતે ચૂપ છે.
ને મારું સત્ય અપમાનથી મૂક છે.
મેં એનો ચહેરો લઈને ચાલવાનું કર્યું આ સરિયામ રસ્તેથી, તેથી,
ક્યારે આવશે અંત આ પ્રતિકૂળ ચાલનો?
ક્યારે સત્ય પોતે આવશે, આદરણીય રીતે, મારો ચહેરો લઈને?

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૭-૬૮)

આ કવિને પ્રકૃતિ, સંસ્કૃતિ, સંગીત, નાટક, ફિલ્મ, ચિત્ર, પ્રવાસ… બધાંમાં રસ છે. આથી એમની કવિતામાં પ્રકૃતિ ઉપરાંત સાંસ્કૃતિક સંદર્ભો સૂક્ષ્મતાથી પ્રગટ થાય છે. સત્-કૃતિ માટેનો એમનો રસ વધતો રહ્યો છે ને એ માટેનું તપ પણ સતત ચાલતું રહ્યું છે. સત્યના આગ્રહી એવા આ કવિ એમની કૅફિયત — ‘મારો વાગ્યોગ’માં નોંધે છે —

‘ક્યારેક મારા થકી નાનાં છમકલાં જેવાં અસત થાય ત્યારે મારી બેચેની ભારેની હોય છે અને કોઈ રીતે એની કબૂલાત કરાય ત્યારે જ મને આશ્વાસન રહે છે — મારો શ્વાસ હેઠે બેસે છે. આ મારી ભૂમિકાથી મારા કાવ્યના શબ્દને છુટ્ટો ન પાડવો જોઈએ. મારા શબ્દમાં જે કંઈ સામર્થ્ય કે પ્રભાવ આવે તે સત્-તત્ત્વ સાથેના યોગે કરીને જ આવી શકે.’

(‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પુનર્મુદ્રણ ૨૦૧૧, પૃ. ૧૦)

ભીતરની આવી સચ્ચાઈથી આ કવિનો શબ્દ ઝળહળે છે ને કવિતાની ત્રિજ્યા વિસ્તરે છે. આ કવિનો શબ્દ અધ્યાત્મના ઊંડાણમાંથી પ્રગટે છે અને ઊંચાણમાં લઈ જાય છે, આ કવિને ૧૯૭૪માં પ્રશ્ન થાય છે —

‘છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસોચુમ્મોતેરને કેમ ચલાવવો?’

આ સમસ્યા કવિએ કઈ રીતે ઉકેલી? તો એ કહે, ‘મેં મારા છંદને ખોલી, એ દ્વારા જ અછાંદસમાં પ્રવેશ મેળવ્યો.’

આ કવિ કાજે ભાષાએ શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી દીધો છે ને એ ચાલવા માંડી છે રોજના જીવવાના માર્ગે ને ભાષા હવે આ કવિની જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે! આકાશનો સોદો કરવા નીકળેલા આ કવિએ એમની કાણી હોડીથી ઇકોતેર પેઢીઓને સામે પાર લઈ જવાની નૈતિક જવાબદારી હવે છોડી દીધી છે. આ કવિની સંવેદનશીલતા એવી તીવ્ર છે કે કોઈ ટાંકણી પતંગિયાની પાંખમાંથી સીધી પછી કવિની અંદર ઊંડે ઊતરે છે! આથી જ તો એમની કવિતાની range — એની સીમા વિષય તથા બાનીના સંદર્ભે વિસ્તરતી જાય છે. ‘કક્કાજીની અ-કવિતા!’ રચનાર આ કવિ કોથળામાં પ્લાસ્ટિક વીણનાર વિશેય કવિતા રચે. ચિત્રકળામાંનો એમનો રસ ‘ચિત્રચેતનાના અજવાશે’ જેવી કવિતાય પ્રગટાવે. એમની તીવ્ર સંવેદનશીલતા ‘સંવેદન-ચિત્રો’ જેવી વિલક્ષણ કૃતિઓય રચાવે. એમની કવિતામાં ખીલતા ફૂલ જેવો બાળક ગાંધીની લાકડીનો છેડો પકડીને કહી શકે:

‘ચાલો, બાપુ! આપણે જઈએ
પેલા સૂરજદાદા કને!’

એમની ભીતરનો હાસ્યકાર, જાતની તથા બનાવટી કવિતાની વિડંબના કરતી હળવી શૈલીની કૃતિઓ પણ રચાવે. કવિતામાં તેઓ ભાત ભાતના ખેલ ખેલી શકે છે. કવિતામાં અકસ્માતની એમને બીક નથી, બલકે, એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું અરમાન છે! ક્યારેક કશી ધીર ગંભીર વાત આ કવિ બાળકોની શૈલીમાંય પ્ર-ભાવક રીતે રજૂ કરી દઈ કાવ્ય-વિસ્મય જગવે છે! —

‘બેસ, બેસ, દેડકી!
ગાવું હોય તો ગા,
ને ખાવું હોય તો ખા;
નહીં તો જા…
મારે તો પાંચ શેર કામ
ને અધમણ આરામ બાકી છે.

*

દેડકી! ડાહી થા,
મળે તે ખા,
સૂઝે તે ગા
ને નહીંતર જા… પાવલો પા…’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૬)

‘થા, ખા, ગા, જા, પા’ જેવા પ્રાસ પણ વિરલ. આ કવિને અંધકારનો ‘પવન રૂપેરી’ આવતો અનુભવાય છે. આ કવિને ‘ઊઘડતી દીવાલો’ જ નહિ, ‘ગગન ખોલતી બારી’યે લાધી છે. આથી જ તેઓ ‘પડઘાની પેેલે પાર’ જવાનો કીમિયો જાણે છે. સ્વપ્નાં તેમ જ ‘જળ વાદળ ને વીજ’નાં રહસ્ય પામવા તેઓ મથે છે. ‘ચિદાકાશનાં ચાંદરણાં’ એમના ભીતર ને અજવાળતાં રહ્યાં છે. અધ્યાત્મની એક બારી એમની અંદર ઉઘાડ પામી છે. આથી જ એમનો શબ્દ અધ્યાત્મનાં ગૂઢ રહસ્યોને તાગે છે! (‘એક શબદ જો સધાય સાચો, / ગઢ ભાષાનો ભેદું’) આ કવિને અજબ ઇલમ લાધ્યો છે. આથી તેઓ ઘટમાં ગગન ઉડાડે છે! આથી જ કવિમાં કોઈ આંધળું પંખી, તણખલે ગગન બાંધ્યા કરે છે! પડઘા સતની નાડ ભીંસે છે ત્યારે કવિના પંડમાં તિરાડ પડે છે! આ કવિ સતની ડાળ સાહીને સકળને તાગે છે. સતત ઊછળતાં મોજાં વચ્ચે આ કવિના ઉતારા છે!

કેળવણીનાં બીજ રોપવાની સાથે સાથે બાળકોની કલ્પનાશક્તિને ખીલવે તેવાં બાળકાવ્યો પણ આ કવિ પાસેથી મળ્યાં છે. ‘ચાંદલિયાની ગાડી’, ‘હું તો ચાલું મારી જેમ!’ અને ‘ઘોડે ચડીને આવું છું’ એમના બાળકાવ્યસંગ્રહો. પ્રૌઢો માટે પણ આ કવિએ ‘પ્રૌઢશિક્ષણ ગીતમાળા’ રચી છે.

ઉમાશંકર જોશીએ નોંધ્યું છે : ‘ચંદ્રકાન્ત બહુ ઝીણું જોનારો માણસ છે.’ તો નિરંજન ભગતને લાગ્યું છે : ‘લાભશંકર ઠાકર અને સિતાંશુ પછી આ ચંદ્રકાન્ત એક એવો કવિ છે, જેના પર ચાંપતી નજર રાખવી ઘટે.’

આ કવિ વિશે એમના સમકાલીન કવિ સિતાંશુ યશશ્ચંદ્રે લખ્યું છે —

‘‘…વહેવારુ અંતિમો તરફથી આવતાં દબાણોને એ વશ થતા નથી. એમની કવિતાના મૂળને એક શોધક ચેતના અને એક શોધનપ્રક્રિયાનું સંયુક્ત રસાયણ પોષણ આપતું જણાય છે. જાતને અને જગતને આ કવિ ફંફોસ્યા કરે છે. શોધતો ફરે છે. સાથે જ એ પોતાનું શોધન કરતો રહે છે. નિર્મળ થતો રહે છે. ‘ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ’ અને ‘ઊંડું જોયું, અઢળક જોયું’ બંને પંક્તિઓના કવિ એક જ છે. જળ અને જાળ, બંનેને એ જામે છે અને જાળવે છે… … …

શેઠસાહેબની દોસ્તી આજકાલ કરતાં મને અડધી સદીથી મળી છે. અડગ છે. કોમળ છે. નિર્મળ છે. એમના જેવી જ. ને મારો એક વિસામો છે.’’

સન્મિત્ર અને પડોશી રઘુવીર ચૌધરીએ ચંદ્રકાન્ત શેઠ વિશે નોંધ્યું છે:

‘…ગુફાવાસી રહી કામ કરવું, ધૂળધોયાનાં કામ કરવાં, નેપથ્યે રહી પોતાનો સદર્થે ઉપયોગ થવા દેવો; એટલું જ નહીં, પ્રસિદ્ધિની પરેજી પાળવાની ટેવ પણ ખરી. એ સંન્યાસીની મનોદશા ધરાવે છે એવું કહેવાનો આશય નથી. જીવનરસની એમણે કદાપિ ઉપેક્ષા કરી નથી. દાઉદખાની ઘઉંમાંથી નીકળેલી માટીમાંથી એમણે ભગવાન બુદ્ધ બનાવ્યા હતા. વિરલ હતું એ શિલ્પ. ગાવાનું કહીએ તો ટાળે, પણ એક વાર ગાતાં ગાતાં સૂરો શાસ્ત્રીય બની ગયા. આલાપમાં પણ ઊણપ ન રહી.’

એમનાં વિદ્યાર્થિની શ્રદ્ધા ત્રિવેદીએ ગુરુ વિશે લખ્યું છે:

‘તેઓ તત્ત્વતઃ તો શબ્દ દ્વારા આત્મખોજ કરવામાં એકાગ્રપણે રસ લેતા ‘વાગ્યોગધર્મી કવિ’ છે.’

એક મુલાકાતમાં આ કવિએ કહ્યું છે તેમ, ‘કવિની સચ્ચાઈ ને સર્જન-ક્ષણની તન્મયતા વિશેષભાવે ગીતમાં અપેક્ષિત છે. ગીતમાં કવિની સર્જનાત્મક ક્ષણની એક ગુંજ પ્રગટતી હોય છે.’ ગીત-સ્વરૂપે તો આ કવિને હૈયે-માથે હાથ મૂકીને જાણે આશીર્વાદ આપ્યા છે. અંદરના અધ્યાત્મ વિના, પંડમાંથી ઊઠતી ઈશ્વરની ગુંજ વિના કેટલીક પંક્તિઓ પ્રગટી જ ના શકે. —

‘આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૦)

*

‘નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨)

*

‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું;
દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)

*

‘પંખી ટહુકે દૂર
અને અહીં ગગન ખોલતી બારી!’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)

*

‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦)

*

‘ઊંડું જોયું. અઢળક જોયું;
મનમાં જોયું, મબલક જોયું.’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪)

*

‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬)

*

‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭)

*

‘જલને જાણે ફૂલ ફૂટિયાં,
જલને આવ્યાં પાન’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯)

*

‘બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ:
સાદ ના પાડો.’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧)

*

‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧)

*

‘અજિબ ઇલમ હૈ હમરે અંદર;
કણ કણ દેખો મસ્ત કલંદર!’

આ કવિમાં ગીતનાં તો જાણે મોજાં પર મોજાં પર મોજાં ઊમટે છે! ગીત-પ્રાકટ્ય માટેય આ કવિની જ પંક્તિઓ ટાંકું —

‘કોઈ ભીતરનાં તલ ભેદીને
સૂતાં ઝરણ જગાવે,
કોઈ ઘાટ પર આવી ઘટમાં
નભગંગા પ્રગટાવે,
એવી આજે લ્હેર ચઢી જે
મૂળથી મને ઉઠાવે!’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬)

*

ક્યારેક ગઝલ પણ તીર પર તોફાન લઈને આવે છે અને આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. બે-ત્રણ શે’ર —

‘એક પંખી શોધતું આકાશમાં
નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪)

*

‘એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા,
ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭)

*

‘પાંદડે ખળભળ ઘણી,
મૂળ ઊંડે શાન્ત છે!’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦)

*

આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યાં છે પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ — નિરાશાવાદી બનવા દે તેમ નથી, કવિને આશા છે, શ્રદ્ધા છે —

‘મધપૂડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે
ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે
ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હસતાં હસતાં.’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૯)

*

કવિ આશાવાદી છે, પણ ભીતર ભારોભાર વેદના, પીડા ને ભીંસ પણ છે. ‘કયા રસ્તે કોણ આવશે, શી ખબર!’ કાવ્યમાં ભીતરની ભીંસ આમ વ્યક્ત થાય છે —

‘શું આ મારું ઘર જ મારું કતલખાનું?
આ વરુઓના દાંત ને નહોર
કેમ લાગે છે મને મારા?
જાણે હું કોળિયો થઈ રહ્યો છું મારી ભૂખનો!

હું જ બકરી ને હું જ વરુ!
ક્યાં ભાગું?
કેમ બચું?

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪૨)

*

અસહ્ય ભીંસ અને ગૂંગળામણ ‘રસ્તો ક્યાં છે?’ કાવ્યમાં અનન્ય કલ્પનો સાથે આમ પ્રગટ થાય છે —

‘બ્હાર નીકળવું મારે,
રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછાં પીંછાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
નભમાં બારી ક્યાં છે?’

(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૪)

*

આ કવિને એમના વિદેશ-પ્રવાસોય ફળદાયી નીવડ્યા છે. એમનાં પ્રવાસ-કાવ્યોમાં જે તે દેશનો પ્રકૃતિ-સંસ્કૃતિસંદર્ભો સાથેનો એક ચહેરો પ્રત્યક્ષ થાય છે ને સાથે સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થાય છે, ‘સ્વાતંત્ર્યદેવીને દર્શતાં…’, ‘હું કંઈ એકલો નથી’, ‘વિક્ટોરિયા લેક જોતાં’ તથા ‘નિગ્રો’ જેવાં વિલક્ષણ પ્રવાસકાવ્યો આપણને આ કવિ પાસેથી સાંપડ્યાં છે. ‘વિશ્વકોશ’ માટેનું સુંદર ગીત પણ આ કવિ પાસેથી મળ્યું છે. ક્યારેક ટીવી સિરિયલ માટે પણ આ કવિએ ગીતો લખ્યાં છે.

પુષ્ટિભક્તિના કથા-કીર્તનવાળા વાતાવરણમાં ઉછેર તથા પ્રકૃતિએ એમને કવિતાની ગળથૂથી પાઈ. ‘કુમાર’ની ‘બુધસભા’ તથા સઘન અભ્યાસ થકી એમનામાં ભારતીય તેમજ પાશ્ચાત્ય કાવ્યપરંપરાના સંસ્કાર સીંચાયા. તો ‘રે મઠ’ના મિત્રો દ્વારા આધુનિકતા અને પ્રયોગશીલતાની દિક્ષા ઊઘડી. આધુનિકતાના બંધિયાર ઓરડામાં તેઓ પુરાઈ ન રહ્યા, પણ ‘ગગન ખોલતી’ બધીયે બારીઓ ઉઘાડતા ગયા. એમની કવિતાએ કશી આભડછેટ રાખ્યા બિના બધીયે દિશાઓમાંથી પોષણ મેળવ્યું છે. એમની કવિતાનાં મૂળિયાં પોતીકી ભોંયમાં ઊંડાં ઊતરતાં ગયાં છે ને વિસ્તરતાં — વિકસતાં ગયાં છે. આ મૂળિયાંએ પાતાળમાંથી જળ મેળવ્યું છે ને આકાશમાંથી તેજ. પરંપરા અને આધુનિકતા, કલ્પનો અને રૂપકો, તર્ક, વિચાર અને પ્રતીકો, લયનો ઉજાસ અને શબ્દનું સત, ચંદુડિયો અને ચંદ્રકાન્ત શેઠ… બધુંયે એમના કાવ્યમાં ઓગળતું જાય છે ને નવાં પરિમાણો સિદ્ધ થતાં જાય છે. એમનું સર્જન ઊંડે અને ઊંચે, પેલે પાર ભણીની ગતિ સાધે છે. શબ્દના અને સત્યના સાધક એવા કવિશ્રી ચંદ્રકાન્ત શેઠને વંદન.

-યોગેશ જોષી

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.