૨૨. ખાખરાની ખિસકોલીઓ!

ખાખરાની ખિસકોલીઓ!
સાકરના પહાડની તો વાત જ ન્યારી!
ખરબચડી છાલથી ટેવાયેલ તમારી ચાલ
લપસી પડશે એના લિસ્સાલટ ઢાળ પરથી.
તમારી સિસોટીથી કોઈ ગાડી નથી આવવાની
ને કોઈ નથી પહોંચાડવાની તમને એ પહાડ પર.
તમારી રામાયણની કારકિર્દીનું પ્રમાણપત્ર
નહીં ચાલે આજે.
કરન્સી બદલાઈ ગઈ છે
ને સાકરના પહાડની આસપાસ સ્થપાઈ ગઈ છે અનેક કો-ઑપરેટિવ્ઝ.

ખિસકોલીઓ!
હે પવિત્ર ખિસકોલીઓ!
કદાચ તમે જાઓ તો પહાડની તળેટીમાં ટોલનાકે જ બગડી જાય
તબિયત તમારી!
વિના સાકર ખાધે
તમારા લોહીમાં અઢળક સાકર ભળ્યાના
સરકારી દાક્તરના અહેવાલે
અટકવું પડે પહાડની તળેટીમાં જ!

તો હે શાણી આજ્ઞાંકિત ખિસકોલીઓ!
ખાખરાનાં પાન જ સારાં છે – એમાં ભેળસેળ નથી
ને તેથી ક્વૉલિટી-કન્ટ્રોલનો પ્રશ્ન નથી!

આમેય આયુર્વેદની દૃષ્ટિએ તો
તમારા જીવનની સલામતી સજ્જડ છે
લીંબોળીના ઠળિયામાં જ.

(ઊઘડતી દીવાલો, ૧૯૭૨, પૃ. ૭૪)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.