૪૫. જેને માની અંદર

જેને માની અંદર, એ તો બ્હાર હતી રે બ્હાર!
જેની આશા હતી, તે જ અહીં તરવા નહીં તૈયાર,

હોડી લઈને હવે શું ફરવું?
મોતી લઈ શું કરવું?
ડૂબવાની બસ અહીં મજા છે,
કાંઠે નથી ઊતરવું?
જેની ઝંખા હતી ઉદયની, એનો નહીં અણસાર. –

બંધ કરી દઉં સઘળી બારી,
બંધ કરું સૌ મળવું;
મારે મારાં પગલાં લઈને
પાછા અંદર વળવું.
જેની પ્યાસા હતી મને તે મૃગજળનો અવતાર! –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૪૮)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.