લેખક-પરિચય

લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)

ગુજરાતી ભાષાના એ એક સુખ્યાત બાળ-સાહિત્યકાર અને એક સમર્થ અનુવાદક હતા.

સતત ૭ દાયકાથી પણ વધારે વર્ષો સુધી એમણે સહજ, સરળ, કલ્પનાશીલ અને વિસ્મયસભર બાળ-કવિતા-વાર્તા અને ટૂંકાં નાટકોનાં અનેક પુસ્તકો લખ્યાં; ‘વિશ્વની લોકકથાઓ’ જેવાં સરળ ભાવાનુવાદવાળાં સંકલનો કરી આપ્યાં અને ‘ગુરુદેવ રવીદ્રનાથ‘ જેવાં પ્રેરક ને રસપ્રદ ચરિત્રો લખ્યાં. એમની સર્જકતાએ ઘણી પેઢીઓનાં બાળ-કિશોરોની રસવૃત્તિને પોષણ આપ્યું.

અનુવાદક તરીકે પણ એમની એવી જ દીર્ઘ સાધના રહી. ઉત્તમ બંગાળી લેખકો શરદબાબુ અને રવીદ્રનાથનાં અનેક વાર્તા-નવલકથાઓનાં પુસ્તકોના, મૂળને અનુસરતા ને છતાં ગુજરાતીમાં જ લખાયા હોય એવા સહજ-પ્રવાહી અનુવાદોથી એમણે અનેક વાચકોને ઉત્તમ ને રસાળ અનુવાદો સંપડાવ્યા. અંગ્રેજીમાંથી શેરલોક હોમ્સની જાણીતી ડિટેક્ટીવ વાર્તાઓના (10 પુસ્તકોમાં) એવા જ સહજ-રસાળ અનુવાદો પણ એમણે આપ્યા.

મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો.

– રમણ સોની

License