પરિચય

લેખક-પરિચય

ગાંધીજીના સમકાલીન અને ગાંધી-વિચાર-પ્રવૃત્તિને પોતાની નવલકથાઓમાં આલેખનાર રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૮૯૨-૧૯૫૪)ને તે સમયે એક વરિષ્ઠ વિવેચકે ‘યુગમૂર્તિ વાર્તાકાર’ ગણાવેલા.  ૪ ભાગમાં લખાયેલી એમની બૃહદ્ નવલકથા ‘ગ્રામલક્ષ્મી’ એનું મહત્ત્વનું ઉદાહરણ છે.

  ર. વ. દેસાઈએ ઘણી સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ લખી: ‘દિવ્યચક્ષુ’, ‘પહાડનાં પુષ્પો’ વગેરે. એમાંનું કથા-આલેખન તાદૃશ અને રસપ્રદ છે. રાષ્ટ્રીય ભાવનાવાદ અને એની સાથે જ આદર્શવાદી મધુર પ્રેમસંબંધોના રુચિર નિરૂપણને લીધે રમણલાલ તે સમયના યુવા વર્ગમાં પણ લોકપ્રિય થયેલા.

  આ ઉપરાંત એમણે વાર્તાઓ, કાવ્યો અને નાટકો લખ્યાં; આત્મકથા અને પ્રવાસકથાઓ લખી; ચિંતનાત્મક-વિવેચનાત્મક પુસ્તકો લખ્યાં અને ખૂબ અભ્યાસપૂર્વક ગણિકાઓના જીવનનો સમાજશાસ્ત્રીય આલેખ ‘અપ્સરા’ નામના પાંચ ગ્રંથોમાં આપ્યો.

વ્યવસાયે વરિષ્ઠ સરકારી અધિકારી રહેલા આ લેખકની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા ઘણી ઊંચી હતી.

કૃતિ-પરિચય

‘ભારેલો અગ્નિ'(૧૯૩૫) ભારતમાં અંગ્રેજો સામે થયેલા ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય-સંગ્રામને કલ્પનાના રંગો પૂરીને આલેખતી નવલકથા છે. એમાં જાણીતાં ઐતિહાસિક પાત્રો – ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વગેરે છે, તો રુદ્રદત્ત જેવું કાલ્પનિક પાત્ર છે, જે નવલકથાનું સૌથી વધુ પ્રભાવક પાત્ર છે. સ્વરાજ્ય-પ્રાપ્તિ માટે યુદ્ધ અને હિંસાને અનિવાર્ય માનતા એ જમાનામાં રુદ્રદત્ત અહિંસાનો આગ્રહ આગળ કરે છે – એમાં ઘણાએ ગાંધીજીનો પ્રભાવ જોયો છે ને આવી વિચારસરણીનો એ સમય સાથે મેળ કેમ પડે?-એવો પ્રશ્ન કર્યો છે. જો કે, લેખકે નવલકથામાં એ સમય આબેહૂબ ઉપસાવ્યો છે.

   વળી, ગૌતમ, ત્ર્યંબક, કલ્યાણી, લ્યુસી, વગેરે પાત્રો દ્વારા મનુષ્યસંબંધનું – પ્રેમસંબંધ અને ત્યાગ-ભાવનાનું રુચિર, મધુર આલેખન પણ આ નવલકથાનું એક વિશેષ આકર્ષક પાસું છે.

ઐતિહાસિક નવલકથા તરીકે ‘ભારેલો અગ્નિ’ ઘણી રસપ્રદ અને નોંધપાત્ર કૃતિ છે. તો પ્રવેશીએ ….

આ પુસ્તકના લેખકનો અને પુસ્તકનો પરિચય રમણ સોનીનાં છે એ માટે અમે તેમનાં આભારી છીએ.

License

ભારેલો અગ્નિ Copyright © by રમણલાલ વ. દેસાઈ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.