12 ૧૨. કપિલરાય

શિવદુર્ગ જંક્શને ટ્રેન ન મળી એટલે એક દિવસ ત્યાં રોકાવાનું થયું. ત્યાંના એસાઇલમમાં મારા જૂના મિત્ર ડૉ. દોશી હતા એટલે એમને ત્યાં જ ઊતરવાનું રાખ્યું. જમીને જરા આરામ કરીને ડૉક્ટરે ચાના વખત સુધીને માટે આંગણામાં વેલના મંડપ નીચે ખુરશીઓ નંખાવી અને પેપરો મુકાવ્યાં. થોડી વાર પેપરો ઉથામ્યા પછી મેં ડૉક્ટરને કહ્યું : ‘ડૉક્ટર, એસાઇલમ જ બતાવો ને!’ અમે બન્ને એસાઇલમ જોવા નીકળ્યા.

બોલીબોલીના, પ્રાંતપ્રાંતના, તરેહતરેહના ગાંડાઓ હતા. દરેકની ઓરડીની તખ્તી પર તેમનાં નામો હતાં. નામો ઉપરથી ઘણાખરા દક્ષિણના જ દેખાતા હતા. હું ગુજરાતી નામની શોધમાં હતો ત્યાં એક તખ્તી ઉપર માત્ર ચોકડી જોઈ. મેં પૂછયું : ‘આના નામની તખ્તીમાં ચોકડી કેમ છે?’

‘એ ચોકડી નથી, એક્સ (X) છે.’

મેં કહ્યું : ‘કેમ કંઈ ઍલ્જિબ્રામાંથી દરદીને ઉપાડી લાવ્યા છો?’

‘તેનું નામ જ જડતું નથી!’

‘તમે તેની ભાષા જાણનાર પાસે તેને પુછાવી જોયું?’

‘અરે! ગુજરાતી છે. આખા એસાઇલમમાં એ એક જ ગુજરાતી છે. ક્યાંથી આવી ચડયો તે પણ જણાતું નથી.’

ગુજરાતી જાણી મને વધારે જિજ્ઞાસા થઈ. અમે બન્ને તેના તરફ ગયા. ખુરશી પર બેઠો બેઠો દરદી બહુ જ ઝપાટાબંધ કંઈક લખ્યે જતો હતો હતો. અમારા તરફ તેની પીઠ હતી. ડૉક્ટરે જણાવ્યું કે એ તેનો મૅનિયા છે. લખવા ન મળે તો તેનો ઉન્માદ વધે છે.

અમારી વાતચીતમાં તેણે અમારા સામું જોયું. કસાણું મોં કરી કહ્યું: ‘વળી પાછા મારો ફોટોગ્રાફ લેવા આવ્યા! હજુ હમણાં જ એક જણ લઈ ગયો. જ્યારથી નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારથી ફોટોગ્રાફ, હસ્તાક્ષરો, મુદ્રાલેખો, મુલાકાતો હમેશ ચાલ્યા કરે છે. પણ અમારે તે નર્યું તમને જ મળવું કે બીજું કંઈ કામ કરવું? બિચારા ટાગોરની પણ આ જ દશા થઈ હતી.’

મને અવાજ કંઈક પરિચિત લાગ્યો. મેં પૂછયું : ‘તમારું નામ?’

‘તમે મને આમ પજવો છો તેના કરતાં મને સાહિત્યનું કામ કરવા દો તો દેશને કેટલો ફાયદો થાય?’

મેં કહ્યું : ‘થાય જ. આપનું નામ?’

‘હાં! પેલામાં ‘હંસ’ રાખેલું છે.’

‘ત્યારે આપનું ખરું નામ શું?’

”કુંભીપાક’માં મેં ‘ધંતૂરો’ નામ રાખેલું. ‘સરસ્વતી’માં વળી ‘સંન્યાસી’, પેલા બીજામાં… તમે જ કહો જોઉં, શું રાખ્યું હશે?’

મેં કહ્યું : ‘હું શું કહી શકું?’

‘સત્યાસી’. પેલામાં ‘નિખાલસ’. પેલામાં ‘ખલાસી’.’

‘પણ તમારું ખરું નામ શું?’

‘દર્પણ સાહિત્ય. પેન્સિલ. તૂફાની, તખલ્લુસ, જ્યુજ્યુત્સુ.’

‘પણ બધામાં ખરું નામ?’

‘ભાઈ, જેમ બ્રહ્મનાં અનેક નામ છે તેમ મારાં અનેક છે.’ પોતે ગાયઃં

‘નામનો આધાર તારા નામનો આધાર,

કર મન નામનો વેપારજી.

નામકો આધાર તેરે નામકો આધાર.’

‘જગત બધું નામને આધારે લટકી રહ્યું છે.’ ફરી ગાયું :

‘ગણતાં નાવે પાર, તારોતાર.’

‘ધારોધાર, ભારોભાર, બારોબાર.’

ગાતાં ગાતાં ખૂબ ધૂનમાં આવી માથું ધુણાવવા લાગ્યો અને ચપટીઓ વગાડવા લાગ્યો. ડૉક્ટરે મને કહ્યું કે તેને આમ ગાવાની ટેવ છે. કોઈ કોઈ વાર તો રાત આખી રાગડા તાણી વૉર્ડરોને પણ સતાવે છે.

મેં પૂછયું : ‘આ ટાગોર અને નામોની વાતો હમેશાં કરે છે?’

‘હંમેશ, લગભગ એનાં એ નામો અને એની એ સંખ્યા  –  સત્યાસીની.’

મને કંઈક સમજાવા લાગ્યું હતું. મેં સાહસ કરી પૂછયું : ‘પેલા ‘ખેલાડી’ કોણ?’

દરદી ખડખડાટ હસ્યો : ‘એ નામને તો નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એ તો મારી જીત છે, ગુજરાતની જીત છે, જગતની જીત છે, નંબર 87ની જીત છે.’ વળી ગાવા લાગ્યો :

‘નોબેલ, રસરેલ, અલબેલ,

રંગરેલ, રસવેલ, શીખવેલ.’

ડૉક્ટરે મને પૂછયું : ‘તમે આને ઓળખો છો?’

મેં કહ્યું : ‘હા, હવે તો ઓળખું છું તમારું નામ ‘કપિલરાય’ ખરું કે નહિ?’

દરદી હસ્યો અને બોલ્યો : ‘મારું નોબેલ પ્રાઇઝ તને આપી દઉં છું જા.’ ફરીથી ગાવા મંડયો :

‘નોબેલ….’

અમે ત્યાંથી ખસ્યા. ડૉક્ટરે કહ્યું : ‘સામાન્ય રીતે ઉન્માદના દરદી બધુ ભૂલે છે, પણ પોતાનું નામ ભૂલતા નથી. આ દરદીને એવો સખત ઉન્માદ નથી છતાં તે નામ નથી દેતો. આવો દરદી પહેલો જ જોઉં છું. તમે એને ક્યાંથી ઓળખો?’

‘અમે કેટલોક વખત સાથે રહેલા છીએ.’

‘તમને વાંધો ન હોય તો તેની હકીકત કહો. હું તેના કેસમાં રસ લઉં છું. તેના ઉન્માદનું કારણ જણાય તો કંઈક થઈ શકે. તેનાં નામઠામ જણાય તો તેનાં સગાંવહાલાંને ખબર પણ આપી શકાય.’

મેં કહ્યું : ‘ખુશીથી.’

‘તમે જાણતા હો તેટલું બધું કહેજો. ઉન્માદનું કારણ કોઈ ઘણી જ નજીવી સાદી હકીકતમાં કોઈ કોઈ વાર હોય છે.’

અમે ચા પીવા ગયા. ચા પીતાં મેં વાત શરૂ કરી :

કપિલરાયનો પ્રથમ પરિચય મને ભાટોદરમાં થયો. એ મારું મોસાળ થાય. અમારા ગામમાં પ્લેગ થવાથી હું મારી બા સાથે ત્યાં થોડા માસ ગયેલો. તે વખતે હું મૅટ્રિક ક્લાસમાં હતો. ભાટોદર ઘણું નાનું ગામ છે. થોડી ચોપડીઓ સાથે લઈ ગયેલો પણ વાંચવું ગમતું નહોતું. છતાં ગામમાં પણ કાંઈ ગમતું  નહોતું. ગામમાં મારી ઉંમરના છોકરાઓ બધા ખેતરમાં કામે જાય; અને નાળિયેર ફોડવાની, પથરા ઊંચકવાની, ગેડગેડામણી, ખજૂર ખાવાની રમતો રમે તેમાં મને રસ ન પડે. સ્વાભાવિક રીતે ત્યાં હું કપિલરાય તરફ આકર્ષાયો. કપિલરાય એ ગામના વતની હતા અને અમદાવાદની બોર્ડિંગમાં રહી મૅટ્રિક ક્લાસમાં ભણતા હતા. હું તાજો જ મૅટ્રિક ક્લાસમાં પડેલો અને કપિલરાયને મૅટ્રિકની બે પરીક્ષાઓનો અનુભવ થઈ ગયેલો, એટલે તેમના તરફ હું ઘણી માનની દૃષ્ટિથી જોતો. વિશેષ માન તો મને એટલા માટે થયું હતું કે એ મારાથી બેત્રણ વરસે જ મોટા, છતાં ગામના સંભાવિત ગૃહસ્થોની પેઠે રહેતા. ખેસ નાખીને ફરતા, ચોરે જતા, ગામગપાટા મારતા, અને ગામ આખું ન જાણતું હોય એવી શહેરની તથા સાહિત્યની વાતો કરતા. તેમ છતાં મારા તરફ અત્યંત સ્નેહ બતાવી મને પરીક્ષામાં શું કરવું વગેરે શિખામણ આપતા, અને મંડપમાં તેમણે નકામી નોટબુકો મંગાવીને સુપરવાઈઝરને હેરાન કર્યો હતો તથા જતાં જતાં બે હાથ પહોળા રાખી ખડિયા ઢોળીફોડી પરીક્ષાની ફી વસૂલ કરી હતી, તે વાત કરી વિનોદ સાથે આશ્ચર્ય પમાડતા.

એક દિવસ હું મારા મામા સાથે ઊંધિયું ખાવા ચોરે ગયો હતો. ઊંધિયું ખાઈ રહ્યા ત્યાં ગામના મુખીએ મારા મામાને એક અરજી વાંચવા કહ્યું. અરજીમાં કોઈ ચ્યવનરાય નિર્દોષી નામના માણસે અમુક અમુક નંબરો પોતાના પિતાના નામ પરથી પોતના નામ પર ચડાવી આપવા લખેલું. પણ તે આસામી કોણ તે સમજાતું નહોતું. મારા મામા વિચારમાં પડયા. એટલામાં કપિલરાય આવ્યા :  ‘કેમ મુખી, શી ચિંતામાં પડયા છો? કાંઈ મુકામબુકામ આવે છે કે કેમ? આવતો હોય તો ચિંતા ન કરશો, આપણે સાથે ઊભા રહીશું.’ મુખીએ કહ્યું : ‘ના ના, પણ આ અરજીમાં કોકનું નામ છે તે ઓળખાતો નથી. તે નંબર બરાબર જોવો પડશે.’ ‘લાવો જોઈએ, શું છે?’ કહી કપિલરાયે અરજી વાંચી કહ્યું : ‘તેની ફિકર ન કરશો. હું બધો ખુલાસો કરી આપીશ.’ મુખી કહે : ‘ત્યારે કરી નાખોને.’ ‘ના, ના, અત્યારે તો મારે ઘણું કામ છે. બધી ટપાલ લખવાની છે. અને સમજાવતાં વખત લાગે તેમ છે.’ કહી ચાલવા માંડયાં. ચાલતાં ચાલતાં મારા સામું જોયું. હું તેમના જવાબથી ચકિત થઈ આદરપૂર્વક જોઈ રહ્યો હતો. મને કહે : ‘ચાલોને મિ. ભટ્ટ, અહીં શું કરશો? મારી સાથે ચાલો. ઘણું નવું જાણવાનું મળશે.’ હું સાથે ગયો. અમે ઘેર પહોંચ્યા. માથા પર છાપરું અથડાય નહિ તેની સંભાળ રાખતા બન્ને મેડી ઉપર ગયા. કપિલરાયે બારી ઉઘાડી, પોતાના ખેસ વતી ઢાળિયા ઉપરની તથા ગાદીતકિયા ઉપરની ધૂળ ખંખેરી નાખી પોતે બેસી મને હાથ ઝાલી પાસે બેસાડયો. હું સંકોચાતો પાસે બેઠો. પેલી અરજી વિશે મને પૂછવાની ઇચ્છા થઈ, પણ આવા કામઢા, માણસને કેમ પુછાય એમ કરી કૌતુકથી તેમની સામે જોઈ રહ્યો અને સંકોચ પામતાં દીવાલો ઉપરના ફોટોગ્રાફો અને વર્તમાનપત્રોમાંથી કાપેલાં ચિત્રો જોવા લાગ્યો. તેમનાં કપાટો મારે ઘેર હતાં તે કરતાં ઘણાં નાનાં હતાં. પણ આ બધો વૈભવ કપિલરાયનો જ, અને તેમને ઘરના મુખ્ય માણસ તરીકે કપાટો વચ્ચે બેઠેલા જોઈ મને કોઈ નવીન જ આદર થયો અને કશું જ બોલાયું નહિ.

મારી ગભરામણ મટાડવા જ કપિલરાય બોલ્યા :

‘પેલી અરજીની વાત સમજ્યા?’

મેં કહ્યું : ‘ના.’

કપિલરાયે મને બધી વાત સમજાવી. હું તો મોંબદલો શું એ પણ નહોતો સમજતો. પણ એક ખરા શિક્ષક કે કદાચ પ્રોફેસરની પેઠે ભાષણ કરી મને સમજાવ્યું કે કપિલરાયના પિતા દોઢ વરસ ઉપર ગુજરી ગયા હતા. એ ખેતરો પોતાના નામ ઉપર લેવાને પોતે અરજી કરેલી તેની તપાસ થઈ ગયેલી પણ હજી ખેતરો પોતાના નામે ચડયાની ખબર નહિ આવેલી, એટલે આ બીજી અરજી કરી. પણ તેમાં ખૂબી એવી કરી કે આ બીજી અરજી ચ્યવનરાય નિર્દોષીના નામથી કરી એટલે એ આસામી કોણ છે તેની તપાસ થવા અરજી મુખી પર આવી.

મેં પૂછયું : ‘તપાસ તો થઈ ગઈ છે ને ફરી કેમ કરાવી?’

‘બસ, એ જ છે ના. તમે હસો નહિ તો સરકારની મૂર્ખાઈની વાત કહું. મેં પહેલી અરજી કરી તેમાં ચોખ્ખું લખેલું કે કપિલરાયે ઉર્ફે ચ્યવનરાય નિર્દોષી, ઉર્ફે ગજમલ દંડી, પણ અરજી વાંચે કોણ? આ બીજી વખત ચ્યવનરાયના નામની અરજી કરી એટલે પાછી ફરી તપાસ કરવા મોકલી. અક્કલ નહિ કે આ એનો એ આસામી છે. હું ખરો તો હજી ત્રીજી વાર ત્રીજા જ નામથી અરજી કરું. મને અથડાતી અને તુમાર વધતો. સરકારી રાજ્યનું પોલ તો ખુલ્લું થાય છે!’

મેં પૂછયું : ‘તમે આટલાં બધાં નામ કેમ યાદ રાખો છો?’

‘તે મને શું યાદ રહે કે મેં કયા નામથી પહેલી અરજી કરી હતી? ઉતાવળમાં તે વખતે જે નામ યાદ આવે તે નામથી અરજી કરી નાખું. મારે તો હજાર જગ્યાએ મિત્રોને કાગળ લખવાના, માસિકોને લેખો લખવાના હોય. જુઓ, મારે કેટલા માણસો સાથે સંબંધ છે તે બતાવું. જુઓ, આટલાં તો દિવાળી ઉપર મારા ઉપર કાર્ડો અને કવરો આવેલાં. જુઓ, કેટલી છાપેલી અને કેટલી લખેલી કવિતા છે! મેં આથી પણ વધારે માણસોને પત્રો લખેલા. દરેકને જુદું નામ!’ કપિલરાયે ગંજીપા જેવડો કાર્ડોનો થોકડો બતાવ્યો.

મેં કહ્યું : ‘પણ સરકારને તમારાં બધાં નામો ક્યાંથી યાદ રહે?’

‘તે બીજા પક્ષકારો હોત તો બરાબર યાદ રહેત કે નહિ?’

હવે મને પૂછવા કરતાં સાંભળવું જ ઠીક લાગ્યું. ‘સરકાર આપણા સાહિત્યને નથી ખીલવા દેતી… હું ખરો તો એક વાર સરકારને સાહિત્યથી સરખી કરી નાંખું!

‘મારે તો સાહિત્યનો જ ઉદ્ધાર કરવો છે. શું આપણા ગુજરાતમાં નોબેલ પ્રાઇઝ ન મળી શકે એમ માનો છો? ને કેમ મળે? અત્યારથી કયાં કયાં તખલ્લુસોથી લખવું તે નક્કી કરી રાખ્યું છે. કયાં કયાં નૉવેલો લખવાં તેનાં નામો નક્કી કરી રાખ્યાં છે. સાહિત્યને માટે જ કામ કરનાર એક મંડળી ઊભી કરવી છે, તેમને તથા બહારનાને જેને જેને તખલ્લુસો કે પુસ્તકોનાં નામ જોઈએ તેમને પૂરાં પાડવાની ગોઠવણ કરવી છે. જુઓ, આ કાવ્ય જુઓ.’ એક માસિક ઉઘાડી મને બતાવ્યું. ‘તેમાં તખલ્લુસ શું છે જુઓ : ‘કાંપિલ્ય!’ તે કોણ, ખબર છે? સેવક પોતે. જુઓ, આ બીજું ‘કોકિલ’ લ્યો, તમારે કાવ્ય વાંચવા જોઈતાં હોય તો લ્યો. આમાંથી ગમે તેટલાં આપી શકું છું.’ સાથે આણેલી ચોપડીઓ પણ હું વાંચતો નહોતો ત્યાં આ ક્યાં લઉં? પણ કપિલરાયનો આગ્રહ જબરો હતો. તેમની નોંધવહીમાં મારું નામઠામ વગેરે બધું લખી ત્રણ માસિક આપ્યાં. અને તેમાંથી તેમનો લેખ શોધી કાઢવાનું મને કહ્યું.

સાંજ પડવા આવી હતી, મેં કહ્યું : ‘હવે હું રજા લઈશ.’ મને કહે : ‘લો, હું તમારી સાથે આવું.’

મેં કહ્યુંૅ : ‘તમારે કામ ઘણું હશે, તમે ક્યાં આવશો?’

‘અરે, ના, ના, કામ તો કાલે થશે. એમાં શું?’ કહી મારી સાથે ચાલ્યા.

મારી વાતનું એક પ્રકરણ અહીં પૂરું થતું હતું એટલે મેં ડૉક્ટરને કહ્યું : ‘મારી હકીકત તમને નકામી લાગતી હોય તો મને રોકજો. હું હકીકત ટૂંકાવીશ.’

ડૉક્ટરે કહ્યું : ‘ગામડાંની રમતો વગેરે મારે બહુ ઉપયોગી નથી પણ તમે મારા દૃષ્ટિબિંદુનો વિચાર કર્યા વિના તમને યાદ હોય તેટલું કહો. આટલી હકીકતથી મને કેટલોક ખુલાસો થાય છે. હજી મુખ્ય પ્રશ્નનો ખુલાસો થતો નથી. મને તમારી વાતમાં રસ આવે છે.’

મેં કહ્યું : ‘હાલનાં માસિકોની વાર્તાની પેઠે આ વાતનો વધારે રસિક ભાગ હવે આવે છે.’

ડૉક્ટર જરા હસ્યા. મેં આગળ ચલાવ્યું.

તે પછી ચારેક વરસે અમે ફરી મળ્યા. હું એલ્ફિન્સ્ટન કૉલેજમાં ફર્સ્ટ બી.એ.માં હતો. કપિલરાય ઇન્ટર આર્ટ્સમાં એક વાર નાપાસ થઈ મુંબઈમાં આવ્યા હતાં. પરીક્ષકો મુંબઈની કૉલેજમાંથી નિમાય છે માટે મુંબઈની નોટોનો લાભ લેવા મુંબઈ આવવું તેમણે પસંદ કર્યું હતું. તેની સાહિત્યપ્રવૃત્તિ આટલાં વરસમાં ઘણી વધી ગઈ હતી. મને તેમને માટે હવે માન કરતાં કંટાળો અને ધૃણા આવતાં. પણ તેઓ તો પોતાનાં કાવ્યો, વાર્તા આદિમાં મસ્ત રહેતા. જે વિષયમાં નાપાસ પડતા તેની કવિતા કરતા. એક વાર તેમાં તર્ક અને બર્કનો અનાયાસે પ્રાસ મળી જતાં તેમના આનંદનો પાર રહ્યો નહોતો.

એક વાર રજાના દિવસોમાં કપિલરાય મને મળવા આવ્યા. અલબત્ત, હું પણ માસિક વગેરે વાંચતો થયો હતો, પણ સાહિત્ય સંબંધી તેની વાતોમાં રસ નહિ પડવાથી, અને તેમને ઝટ ઊઠવાની ટેવ નહિ હોવાથી, પાસેના મિત્રોને બોલાવી ચોપાટ રમવાનું શરૂ કર્યું. કપિલરાયને ચોપાટ રમવાનું પૂછયું ત્યારે કહે કે આવી રીતે ‘સમયને મારવાનું પોતે પસંદ નથી કરતા. છતાં અમને સલાહ આપવા બેઠા. જે રમતા નથી, રમી શકતા નથી, તે હમેશાં સલાહ આપવાનું કામ કરે છે.

ચોપાટ જેવી કોઈ લાંબી રમત નથી. હિંદુસ્તાનમાં જ્યારે લોકો નવરા હશે અને વખત ખૂટતો નહિ હોય, ત્યારે આ રમત શોધાઈ હશે. છતાં અમારી રમત ચગી. તેનું કારણ અમારી રમવાની આવડત નહિ પણ અનાવડત હતું. એ અનાવડતનો અવકાશ અમે વાતોથી પૂરી લઈ મજા માણતા હતા. અમારી સાથેના ધીરુભાઈને તો સોગઠી ચલાવતાં જ ન આવડે. તેમને દા પુષ્કળ પડે પણ ઘણી વાર તો ત્રણ ત્રણ વાર પડીને બળી જતા. ઠેઠ સુધી તેમને તોડ ન થયો. સોગઠીઓ પડમાં આવી આવીને ખડી થઈ, પાછી ચાલી, વળી ચોર્યાશીના ફેરામાં પડે. અમે સર્વે એમની સોગઠીઓનું નામ કપિલરાય પાડયું. કપિલરાય પણ આ મશ્કરી અરધી સમજી, અરધી ન સમજી, અમારી સાથે હસવા લાગ્યા. અને ધીરુભાઈની સોગઠીઓ કોઈ મારે છતાં તે પાછી આવીને પડમાં બેસતી તેનું પોતે અભિમાન લેવા લાગ્યા. એક બીજા છત્રપતિ હતા. તેમને ચોપાટના બે જ નિયમો આવડતા. એક તો એ કે બીજાના પડમાં દાવ નાખવાથી દાણા વધારે સારા આવે અને બીજો એ કે માંચે (ફૂલે) બેસવાથી સોગઠી મરતી નથી. એટલે હાથ લંબાવીને પણ બીજાના પડમાં કોડીઓ નાખતા; અને સોગઠીઓ માટે માંચા શોધ્યા કરતા અને મળ્યા પછી બને ત્યાં સુધી છોડતા નહિ. અમે તેમને આપણા સાહિત્યમાં એક વાર પ્રસિદ્ધ થયેલા ગણપતિશંકરનું નામ આપ્યું. તેમણે 1902માં એક નિબંધ લખ્યો. તે ઘણો વખણાયો, તેમને પ્રતિષ્ઠા મળી ગઈ અને પછી તેમણે બીજું કશું જ લખ્યું નહિ. માત્ર બીજાં ક્ષેત્રોમાં કામ કરનારાઓને સલાહના સોલા માર્યા કર્યા. પણ તેમની સાવચેતીઓ બધી બરબાદ ગઈ. મંગુભાઈ રમવામાં ઉસ્તાદ હતા. રમત ચગાવવા તેમણે એક સોગઠી પાકતી હતી તેને ગાંડી કરી. સાધારણ સોગઠી કરતાં ખાસ માંચાને મારવામાં જ તેમણે વધારે ધ્યાન આપ્યું. પરિણામે કેટલાક માંચા ખાલી થયા પણ એ ગાંડી સોગઠી પાક્યા વગર મરી ગઈ. આ સોગઠીનું નામ અમે મનહરલાલ પાડયું, મનહરલાલે સાહિત્યમાં થોડું સારું લખ્યું હતું, પણ તે પછી તેમને કોણ જાણે શાથી એમ જ થયું કે એમણે બધા પ્રતિષ્ઠિત સાક્ષરોની સામે લખવા માંડયું. એકબેની ખોટી પ્રતિષ્ઠા હતી તે નષ્ટ થઈ. પણ પછીથી મનહરલાલ પોતે કશું સારું ન કરી શક્યા. હું જાળવીને રમતો હતો. મારી ત્રણ સોગઠીઓ પણ પાકી ગઈ પણ છેલ્લી બૂંદમાં સૂતી, તે કેમેય પાકે નહિ, બધા મને બૂંદિયાળ કહી ચીડવવા લાગ્યા અને મારું નામ પાડયું કેવળરાય! જેઓ ઘણાં વરસથી સાહિત્યમાં સૂતાં સૂતાં કામ કરે છે. સૌથી પહેલાં લખવું શરૂ કર્યું છે પણ હજી કશામાં પ્રગતિ કરતા નથી. હું ઘણો ચિડાયો અને છેવટે ચોપાટનો ઉલાળિયો કર્યો.

સાંજ પડવા આવી હતી. કપિલરાય ઊઠયા. મેં કહ્યું : ‘કેમ કપિલરાય, હમણાં તો કાંઈ તમારા લેખો નજરે પડતા નથી?’ કપિલરાયે હસતાં હસતાં કહ્યું : ‘મારો લેખ પકડાય ત્યારે થઈ રહ્યું : કેટલાયને મેં તર્કો કરતા જોયા છે, પણ મને કોઈ ઓળખી શકતું નથી. દરેક લેખમાં મારું તખલ્લુસ જુદું!’ મેં કહ્યું : ‘ના ના! પણ હમણાં કાંઈ લખતા હશો ના!’ તો કહે : ‘અરે સમજી લેજો કે સાહિત્યના થોડા દિવસોમાં મોટો ખળભળાટ થઈ જવાનો છે!’ અમે એ વસ્તુ તરફ આશ્ચર્ય બતાવી તે વખતે તો જુદા પડયા.

તે પછી ત્રણેક મહિના પછી સરસ્વતી પત્રિકામાં એક ‘સરસ્વતી ચૌસર’ નામનો લેખ આવ્યો. ઘણાંએ મથાળા પરથી ધાર્યું કે સરસ્વતીના કંઠનો ચાર સરનો હાર એવો અર્થ હશે, પણ લેખકે નીચે ટીપ કરી હતી, કે હિંદીમાં ચોપાટને ચૌસર કહે છે. તેમાં આપણા સાહિત્યના પ્રસિદ્ધ સોળ સાક્ષરો લીધા હતા અને તેમના ચાર તફા પાડયા હતા. દરેકેને એકેક સોગઠી બનાવી હતી અને એમાં કોને માર્યો, કયો માંચા પર બેઠો, કયો ગાંડી સોગઠી થયો, કયો ખડી થઈ ફર્યા કરતો હતો, કયો બૂંદમાં પડયો હતો, કયો પાક્યો, કઈ સોગઠીના પોબાર પડતા હતા, કઈ સોગઠી ખોટા દાવથી ચાલી વગેરે અનેક ટીકાઓ કરી હતી. દરેકને સોગઠીની ભાષામાં જે જે કહ્યું હતું તે લાગુ પડતું નહોતું અને કેટલાકનો અર્થ જ થતો ન હતો, પણ એમ થવાથી એ લેખમાં બધાને વધારે રસ પડવા લાગ્યો હતો, અને તેથી જ એના અર્થ સંબંધી ઘણા ઘણા તર્કો થતા હતા. આખા લેખનો શો ઉદ્દેશ છે, તેમાં કોની નિંદા છે, કોના ઉપર આક્ષેપ છે એ કશું સ્ફૂટ નહોતું અને તેથી દરેક પોતાના શત્રુને આબાદ ટકોર વાગી એમ સમજતો હતો. લેખની નીચે ‘ખેલાડી’ની સહી હતી અને આ નામથી આ પહેલો જ લેખ પ્રગટ થયેલો હોવાથી તે લખનાર કોણ હોઈ શકે તે સંબંધી પણ તર્કો થવા લાગ્યા હતા. એકેએક સામયિક આ ચર્ચામાં પડયું હતું અને ચર્ચાપત્રો ઊભરાવા લાગ્યા હતાં. જેમનાં નામંજૂર થયાં હતાં, તેઓ અમુક નામંજૂર કર્યું એમ ટીપ લખી બીજાને મોકલતા. એમ એક લેખ પ્રસિદ્ધ થયો ત્યારે પહેલાં પાંચ જગાએથી નામંજૂર થયેલો હતો અને એ દરેક નામંજૂરીનાં કારણોની પછી ચર્ચા ચાલતી હતી. આ રીતે ચર્ચાપત્રોનું કામ એટલું બધું વધી પડયું હતું કે એક લેખકે ‘ચર્ચાપત્ર’ નામનું જુદું સાપ્તાહિક કાઢવાની યોજના કરી. તેને સાહિત્યપોષક સમિતિ તરફથી ખાસ મદદ અપાઈ. તેના તંત્રીએ પોતાનું નામ આપવા સિવાય કાંઈ લખવાનું કે નીતિ નક્કી કરવાનું હતું નહિ, તેથી એક સાહિત્ય-સાહસિકે તેનું તંત્રીપદ સ્વીકાર્યું. સૌથી પ્રથમ અંક ચૌરસ-સર્વસ્વનો હતો. તેમાં આ ચર્ચાના બધા લેખો, તારીખના અનુક્રમે અનેતે ઉપરાંત કોણે કોને કયા સામયિક દ્વારા જવાબ આપ્યો તે સર્વ હકીકત સાથે આપ્યા હતા અને તેની એક હજાર નકલો તો  તરત ખપી ગઈ!! આખા હિંદુસ્તાનમાં કોઈ પણ સાહિત્યના સામયિકનો પહેલો જ અંક આટલી ઝડપથી ખપ્યો નથી એમ આંકડા આપી તંત્રીએ સાબિત કરી બતાવ્યું!

અમારી હૉસ્ટેલ પણ આ ચર્ચામાં રસ લેતી હતી. અમને પોતાને તો ખાતરી હતી કે આ લેખ કપિલરાયે લખ્યો હોવો જોઈએ. અમે કપિલરાયને બોલાવ્યા અને તેમને આ તોફાન કરવા માટે સહર્ષ અભિનંદન આપ્યું. પણ કપિલરાય તો એકદમ ગંભીર થઈ ગયા અને કહે કે એ લેખ એમનો ન હોય. એ પોતે તો આમ પકડાઈ જાય એવા નામથી લેખ લખે જ નહિ. અને પારકી કલ્પનાનો ઉપયોગ પણ ન ક રે. અમે તેમને માની જવાને બહુ બહુ કહ્યું પણ તે એકના બે થયા નહિ. તેનું રહસ્ય વીસ વરસ પછી બહાર પડશે એમ કહીને તે મારાથી છૂટા પડયા.

કપિલરાયની આ અગમવાણીથી અમને સર્વને રીસ ચડી. આનું કંઈક કરવું જોઈએ એમ અમને લાગ્યું અને તેનો ઉપાય શોધવા માંડયો. ધીરુભાઈએ એક યુક્તિ સુઝાડી. આપણામાંથી કોઈક અમુકે એ લેખ લખ્યો છે એવાં એકસાથે ચર્ચાપત્રો લખવા માંડો એટલે ભાઈસાહેબ પોતાની મેળે બહાર આવશે. આ યુક્તિ સર્વને પસંદ પડી. અમારામાં એક છગનલાલ ચોપાટના સારા ખેલાડી હતા અને ચોપાટ ઉપર તેમણે પહેલાં એક લેખ લખ્યો હતો. તેમને અમે આ લેખના લખનાર તરીકે પસંદ કર્યા. અમારામાંથી ચારપાંચે એકસાથે એ મતલબનાં ચર્ચાપત્રો આપવા માંડયાં. એકે લખ્યું કે હજી પ્રેમાનંદનાં નાટકોનું કર્તૃત્વ સંદિગ્ધ છે ત્યાં આવા બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય તે સાહિત્યની અનવસ્થા દર્સાવે છે. સરસ્વતી પત્રિકાએ મૂળ લેખકની ખાતરી કર્યા વિના લેખ સ્વીકાર્યો એ સાહિત્યનો અપરાધ કર્યો છે. આ લેખકને જ નોબેલ પ્રાઇઝ મળે અને આપણે લેખકને ન શોધી શકીએ તો જગતમાં આપણું કેવું ખરાબ દેખાય? બીજાએ લખ્યું કે આ લેખ અને થોડાંએક વર્ષો ઉપર લખાયેલાં લેખની વચ્ચે ઘણું સામ્ય છે. અને લેખકને ચોપાટનો શોખ ન હોય તો આવો લેખ લખી ન શકે, માટે એ જ લેખકનો આ લેખ હોવો જોઈએ. એ લેખ જૂની ફાઈલમાંથી શોધીને તેના કર્તાનું નામ નક્કી કરી, બહાર પાડવું જોઈએ. વળી, ત્રીજાએ છગનલાલના એક બીજા લેખમાં કોઈ સાક્ષર ઉપર ટીકા હતી તેની અને આ લેખની વચ્ચે સામ્ય બતાવી અનુમાન બાંધ્યું કે એ બન્નેનો એક જ લેખક હોવો જોઈએ. આ ચર્ચાપત્રો એકદમ વરસવા માંડયાં. તેની વિરુદ્ધ અમારામાંથી જ કોઈએ લખ્યું. તેના જવાબમાં અમે એક જણ પાસે લખાવ્યું, તેમાં પેલા વિરુદ્ધ ચર્ચાપત્રનું ખંડન કરી વિશેષમાં લખ્યું કે આ કોઈ પ્રેમાનંદ જેવો પ્રશ્ન નથી. છગનલાલ હયાત છે અને અમે આહ્વાન કરીએ છીએ કે આ લેખ તેમણે લખ્યો નથી એમ તેઓ સાબિત કરી આપે! છગનલાલ પાસે અમે જવાબ લખાવ્યો અને તેમાં સ્પષ્ટ ઇનકાર કોઈ જગાએ ન કરતાં એટલે જ લખાવ્યું કે એ લેખ મારો નથી એમ મારે શી રીતે સાબિત કરવું તે કોઈ બતાવશો? અને એ જવાબ પ્રસિદ્ધ તથાં જ અમારામાંથી બે જણે એકસાથે ચર્ચાપત્રો લખ્યાં કે એવા અસ્પષ્ટ જવાબ નહિ ચાલે, ચોખ્ખો ઇનકાર લખવો જોઈએ. તંત્રીએ નીચે પણ એવી જ મતલબની નોંધ લખી. અમારામાંથી વળી બે માણસોએ અમુક અમુક સાક્ષરોને ‘ગાંડી સોગઠી’ અને ‘બૂંદિયાળ’ કહ્યાના આક્ષેપો સાચા કરી આપવા ભાઈ છગનલાલને ખુલ્લા પત્રો લખ્યા. અને એકબે માસમાં તો છગનલાલ જ એ લેખનો લેખક છે એમ લગભગ દરેક તંત્રીએ માંડવા માંડયું. હવે છગનલાલે ધર્મરાજા જેટલુંય જૂઠું બોલવાની જરૂર ન રહી. માત્ર મૌનથી નહિ ધારેલી ઝડપથી એ ગપ પ્રસરી ગયું.

ડૉક્ટર : ‘તમે સારી યુક્તિ શોધી કાઢી અને તે સફળ પણ થઈ ગઈ. અત્યારે એની વાત કરતાં પણ તમારા મોં પર હું ઉત્સાહ જોઈ શકું છું.’

મેં કહ્યું : ‘પણ જ્યાં સુધી કપિલરાય બહાર ન પડે ત્યાં સુધી અમારી યુક્તિ સફળ ન ગણાય. અમે માનેલું કે તેઓ જરૂર પોતાના કર્તૃત્વની સાબિતી લઈને કોઈ માસિકમાં ડોકિયું કરવાના. છેવટે બીજું કાંઈ નહિ તો અમને મળવા તો આવવાના જ. એક માસ ગયો, બે માસ ગયા, છતાં કપિલરાયના કાંઈ સમાચાર ન મળ્યા. છેવટે તેમની કૉલેજમાં જઈ ખબર કાઢવાનો મેં વિચાર કર્યો.

કૉલેજમાં તેમને સીધા મળવા ન જતાં, તેમને વિશે હકીકત જાણવા માટે, પહેલો હું તેમના નાતીલા એક મિ. પંડયાની ઓરડીએ ગયો. મેં પૂછયું : ‘કેમ નં. 87ની ઓરડીના શા ખબર છે?’ પણ તેના મોં પરની ગંભીરતા જોઈ હું આભો જ બની ગયો?’

ડૉક્ટર : ‘કેમ, એથી જ ગાંડા બની ગયા?’

મેં કહ્યું, ‘ના, ગાંડા થવાનું કારણ તો પછીના બનાવો હશે.’

પેલાએ મને કહ્યું, કે બે દિવસથી ઓરડીનું તાળું વાસ્યા વિના, સામાન એમ ને એમ મૂકી કોઈને કહ્યા વિના જતા રહ્યા છે. પોલીસે બધી ઓરડી તપાસી હતી, પણ તેમના કાગળોમાંથી કાંઈ જાણવા જેવું મળેલું નથી.

મેં કહ્યું કે આ કાગળો આપણે જોવા જોઈએ. અમે તેની ઓરડી નં. 87 ઉપર ગયા. ત્યાં એક સિંધી વિદ્યાર્થી રહેવા આવી ગયો હતો. ઓરડીમાં કપિલરાય કાગળો મૂકતા ગયા છે કે નહિ તે અમે પૂછયું. તેણે કહ્યું કે કાગળોનો કચરો તો ઘણોય હતો તે અમે પોલીસના ગયા પછી સાફ કરાવી નાખ્યો છે. મેં પૂછયું  – ‘તેમાં શું લખ્યું હતું?’ તે કહે : ‘બધું ગુજરાતી હતું. માત્ર એક લીટી અંદર અંગ્રેજી હતી તે મને ઊકલીઃ

Fools rush in where angles fear to tread’

(ફિરશ્તાઓ જ્યાં જતાં ડરે ત્યાં મૂર્ખા ધસી જાય છે.)

એ લીટી બોલીને તેણે મશ્કરી કરી કે ‘જુઓને એમ જ બને છે. મિ. કપિલરાય જ્યાં ન રહ્યા ત્યાં હું ધસી આવ્યો.’ અમે તેની રજા લઈ જુદા પડયા. મેં મિ. પંડયાને કહ્યું : ‘તમે એ કાગળો સાચવ્યા હોત તો સારુ થાત. એ કાગળો તેમના ગયા પછી કોઈ વાંચીને પ્રસિદ્ધ કરશે એવી આશાથી તેઓ જતા રહ્યા છે એમ હું માનું છું.’

‘હા… હા હવે તમે કહો છો ત્યારે સાચું લાગે છે.’ તેઓ એકદમ બોલી ઊઠયા. ‘જવા અગાઉની સાંજે તેમણે મને કહેલું કે પોતે એવું સાહિત્ય લખ્યું છે કે જેથી સાહિત્યના મહાન પ્રશ્નોનો ખુલાસો થઈ જાય. પણ તેમને પોતાને એ છપાવવાની ગરજ નથી. પણ હું શું સમજું? થયું. હવે તો બીજું શું થાય?’ મેં સાહેબજી કર્યાં.

કપિલરાય ઉપર અમારી ફતેહ ધાર્યા કરતાં વધારે થઈ ગઈ હતી. પણ એ ફતેહ થઈ તેની સાથે જ મને કપિલરાય માટે ચિંતા થવા લાગી. એ બેવકૂફ જાણે શુંનું શુંય કરી બેસશે એવો ભય મને લાગ્યો. આ તો હસવામાંથી ખસવું થઈ ગયું. અમારી મંડળીને મેં બોલાવી બધી વાત કરી. અમે નક્કી કર્યું કે છગનલાલે તરત જ એક ચર્ચાપત્ર લખવું. એમાં જણાવવું કે એ લેખ પોતે લખેલ નથી, પણ કપિલરાયનો છે. કપિલરાય જ્યાં હશે ત્યાં ચર્ચાપત્રો તો વાંચતા જ હશે. છેવટે પોતે મૂકી ગયેલા કાગળોમાંથી કાંઈક છપાશે એવી આશાથી પણ વાંચતા હશે જ.

છગનલાલે ચર્ચાપત્રમાં લેખ મોકલ્યો તે છપાયો. પણ તંત્રીને એવું સૂઝયું કે ફૂદડી મૂકીને નીચે ટીપ કરી કે ‘ઉપરનું ચર્ચાપત્ર આવ્યું તેવું છાપ્યું છે પણ તે વિશ્વસનીય લાગતું નથી. કારણ આ લેખક એટલો બધો મોડો જવાબ શા સારુ આપે? વળી, કપિલરાયે લખ્યું હોય તો તેઓ પોતે જ કેમ આ બાબત પ્રસિદ્ધ ન કરે, ખાસ કરીને જ્યારે આ ઉપર આટલી ચર્ચા ચાલી છે ત્યારે? છગનલાલ જો કપિલરાયના મિત્ર હોય અને તેથી કપિલરાયને યશ આપવા માગતા હોય તો તેમનું ખોટું નામ આવ્યું કે તરત જ તેનો ઇનકાર કરી ખરું નામ કેમ ન આપ્યું? જો શત્રુભાવે કપિલરાયનું નામ આપતા હોય તો તેમનો કથન ઉપર કેટલો વિશ્વાસ રાખવો એ વાંચનારે સમજી લેવાનું છે.’

અમે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. ફરી વિચાર કરી ફરી ખુલાસાવાર લખ્યું. તેમાં અમે ચોપાટ ખેલતા હતા તે વાત—તેમાં સાહિત્યની ભાષા ચોપાટને લગાડવાની કલ્પનાનું સઘળું માન કપિલરાયને જ આપ્યું હતું.ખ્ર્તે ઉપરથી તેમણે જ તે લખેલો હોવો જોઈએ અને શરમાળ અને નાજુક પ્રકૃતિના હોવાથી જાહેર યશ ન લેવાની ઇચ્છાથી તખલ્લુસ જ આપતા, એ જ કારણથી છતા ન થાય, પણ આવી ચર્ચાથી પોતાનો એક સારો લેખ બીજાને નામે ચડે એના આઘાતથી તેમને તથા સાહિત્યને કોઈ હમેશની હાનિ થવા સંભવ છે, માટે ખરી હકીકત બહાર પાડવાની ફરજ સમજી આ લખેલું છે  –  એવી મતલબનું ચર્ચાપત્ર લખ્યું. એ સાથે તંત્રીને ખાનગી કાગળ લખ્યો તેમાં હૉસ્ટેલમાંથી ચાલ્યા જવાના ખબર આપ્યા અને તેઓ આપઘાત કરે એવી ભીતિ અમને છે; એ પણ જણાવ્યું.

આ ચર્ચાપત્ર પણ છપાયું. પણ તંત્રીની ટીપ વિના નહિ. આ વખતે તંત્રીએ વધારે બગાડયું હતઃં ‘આવો પ્રાણવાન લેખ કપિલરાય જેવી નિર્બળ વ્યક્તિ લખે જ નહિ. કપિલરાયના રોગિષ્ઠ માનસને સાહિત્યયશનો લેપ કરી ફરી તંદુરસ્ત કરવા તેમના મિત્રોનો ઇરાદો શુભ છે, પણ સાહિત્યને માત્ર સત્ય સાથે જ સંબંધ છે. એક કપિલરાય શું પણ અનેક કપિલરાયને ગમે તેટલી હાનિ થાય તે કરતાં સાહિત્યના એક સત્યની કિંમત ઘણી વધારે છે.’

અમારે અને કપિલરાયને નસીબે અમારી ફતેહ અમે પણ ન ફેરવી શકીએ એવી થઈ ગઈ હતી.

ગમ ખાઈ, ચૂપ રહી, અમે થોડા દિવસો રાહ જોવાનો નિશ્ચય કર્યો. થોડા માસ ‘ચર્ચાપત્ર’ વાંચ્યું. પણ ક્યાંય કપિલરાયની કલમ કે તખલ્લુસ દેખાયાં નહિ. પછી તો ‘ચર્ચાપત્ર’ પણ બંધ પડયું. અમે નિરાશ થઈ વિચારવું છોડી દીધું અને સર્વભક્ષક કાલ અને પરીક્ષાએ તેનું સ્મરણ પણ લુપ્ત કર્યું.

ડૉક્ટરે કહ્યું : ‘હવે મને બધું સમજાયું. મને ખાતરી થાય છે કે એ એ જ હોવા જોઈએ. તમે જાઓ ત્યારે તેનું દેશનું સરનામું મૂકતા જજો.’

ડૉક્ટર ઊઠયા, મૂંગા મૂંગા જઈ તેમણે દરદીની તખ્તી ઉપર લખ્યું : ‘કપિલરાય.’

કપિલરાયે શૂન્ય અટ્ટહાસ્ય કર્યું.

000

License

દ્વિરેફની વાતો - ભાગ ૧ Copyright © by રામનારાયણ વિશ્વનાથ પાઠક. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.