10 ૧૦. પહેલું ઇનામ

અમદાવાદમાં ૧૯૨૦-૨૧માં માત્ર અસહકારની ચળવળ જ શરૂ થઈ નથી. ભવિષ્યના ઇતિહાસકારને એક બીજી હિલચાલ પણ તે જ અરસામાં શરૂ થયાની નોંધ લેવી પડશે. અસહકાર ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે પણ આ બીજી હિલચાલ હજી વધતી જ ચાલી જાય છે. આ હિલચાલ તે સવારમાં શહેર બહાર પુલની પેલી પાર ફરવા જવાની હિલચાલ. તેનો કોઈ નેતા નથી, તેની સભાઓ ભરાઈ નથી, તેના મેમ્બરો નોંધાયા નથી, અને છતાં આ હિલચાલ એ જ સમયે શરૂ થઈ છે તે હજી વધતી જ જાય છે — હું આ હિલચાલને માનનારો એક ઉત્સાહી આગ્રહી માણસ છું.

એક દિવસ હું હંમેશની માફક સવારે ઉતાવળો ઉતાવળો ફરવા ચાલ્યો જતો હતો. ત્યાં ઍલિફંટ રોડના મુખ આગળ ખ્રિસ્તી દેવળની પાસે મને જૂનો શાળામિત્ર હરજીવન મળ્યો. એકલા ફરવા કરતાં કોઈ વાત કરનાર સાથે હોય તો સારું કરી મેં કહ્યું:

‘ઓહો! હરજીવન! ઘણે દિવસે મળ્યો. સાથે આવે છે? ક્યાં જતો હતો?’ ‘ક્યાંય નહિ.’ કહી તે મારી સાથે ચાલવા લાગ્યો.

અને ‘ક્યાંય નહિ’ એ એનો ઉત્તર અક્ષરશઃ સાચો હતો. હરજીવન કોઈ પણ અમુક જગ્યાએ જતો હોતો જ નથી. તેણે છઠ્ઠી અંગ્રેજીમાંથી નિશાળ છોડી ત્યારથી મેં તેને નવરો જ અથવા નવરાનાં કામ કરતો જ જોયો છે; કોઈ વાર ડૉક્ટરને ત્યાં બેઠો બેઠો તડાકા મારતો જોયો છે. વાંચવામાં ન્યૂસપેપરો વાંચે પણ તેમાં પણ જાહેરખબરો ને એવી નકામી વાતો વધારે વાંચે. વાર્તા વાંચે પણ જરા પણ કલા સમજતો હોય એમ મને કદી નથી લાગ્યું. મિલમજૂરોનાં ઘરો આગળ ફરતો મેં તેને વારંવાર જોયો છે. એક વાર પોસ્ટ-ઑફિસના ઓટલા પર બેઠો બેઠો લોકોને કાગળ લખી આપતો હોય, તો બીજી વાર વળી કાબુલીઓના વંડામાં ખોટી હિંદી ભાષામાં તેમની મશ્કરીઓ કરતો હોય, તો વળી ત્રીજી વાર રાત્રે સિનેમા કે નાટકનાં થિયેટરોમાં ડોર-કીપર તરીકે સીટી વગાડતો બેઠો હોય. ભાઈ-સાહેબ અસહકારી થયા ત્યારથી વળી અખાડાનું ચેટક લાગ્યું છે. સાંજે એકાદ અખાડામાં નાનાં છોકરાંને પોતાના ખભા પર ચઢાવી ધિંગામસ્તી કરતો હોય. આગના બંબાનું ભૂંગળું ઝાલી ઊભો રહેતો, બજારમાં હજારો રોગો મટાડવાની દવા વેચનારના ટોળામાં, માણભટોના, વાંજાની પેટી વગાડનારામાં, જાદુગરનાં, મદારીના  –  ટૂંકમાં હલકી જાતના તમાશાના દરેક ટોળામાં મેં તેને જોયેલો છે. માત્ર એક વાર મારી પ્રૅક્ટિસની શરૂઆતમાં એક ખૂનકેસમાં વાઘરીના બચાવનો કેસ મને અપાવેલો અને બધો બચાવ સરસ રીતે મને સમજાવેલો, તે સિવાય બુદ્ધિ કે ઉપયોગિતાને તેણે હજી સુધી કશો પુરાવો આપ્યો જાણ્યો નથી. તેમાં પણ તે કામ ઉપયોગી તો મને હતું. તેણે વાઘરી પાસેથી પાઈએ લીધી નહોતી અને અમારા રિવાજ પ્રમાણે મેં તેની મહેનત જાણવા મરજી બતાવી ત્યારે તેણે કાંઈ પણ લેવાની ચોખ્ખી ના પાડી. સ્વભાવે તે વિલક્ષણ અને સાથે સાથે વિચિત્ર રીતે મશ્કરો છે, અને પરણ્યો નથી એટલે આ બધી વિલક્ષણતાઓ તેને પોસાય છે. અત્યારે તેનો જીવ મૂંગી નાડે ચાલતો હતો તેથી મૂંગો મૂંગો મારી સાથે ચાલ્યો.

પુલની ચોકી વટાવી પુલના ફૂટપાથ પર હું આગળ અને તે પાછળ એમ અમે ચાલવા લાગ્યા. કંઈક વાતચીત કરવા મેં કહ્યું : ‘સવાર સુંદર છે, નહીં?’ પણ કાંઈ જવાબ ન મળ્યો. મારી પછવાડે પગલાંનો અવાજ બંધ થયો હતો એમ મને લાગ્યું. અને પાછું વાળી જોઉં તો ભાઈસાહેબ ઊભા ઊભા નદીના પટમાં માણસોનું ટોળું ભેગું થયેલું તે જુએ.

મેં કહ્યું : ‘અલ્યા હરજીવન, એમાં તે શું જુએ છે? એવાં તો ધરમઘેલાં લોકો ઘણી વાર નદીમાં નાહવા આવે છે.’

હરજીવન : ‘પણ આ તો પાણીથી દૂર ટોળું ઊભું છે. હિંદુ, મુસલમાન, છારા બધા ભેગા થયેલા છે, આજે કોઈ પર્વ નથી.’

મેં કહ્યું : ‘ત્યારે અસહકારનું કાંઈ ભાષણબાષણ હશે.’

હરજીવન : ‘ના. આજે ભાષણ નથી અને આટલું વહેલું હોય પણ નહિ. અંદર કોઈ બોલતું નથી. ટોળું સાંભળતું હોય એવું નથી, જોતું હોય એવું છે.’ એટલામાં ટોળું જરા પહોળું થયું અને અમે વચ્ચે જોઈ શક્યા. મેં કહ્યું : ‘આ તો કાંઈક પંચક્યાસ થાય છે, એમાં શું જોવું’તું? તને તો આ નકામી બાબતો ઉપર જ ધ્યાન આપતાં આવડે છે.’

હરજીવન : ‘એ ખૂન છે. હું તો જઈશ.’

મેં કહ્યું : ‘ત્યારે તું જા. મારે તો અમુક ચાલવું જ જોઈએ. આટલામાં જ પાછો મળીશ ના!’ હું આગળ ચાલવા માંડયો. તે નદીના પટમાં ઊતરવા પાછો ફર્યો.

પોણોએક કલાક પછી હું પાછો ફર્યો ત્યારે હરજીવનને પુલ પર મારી રાહ જોતો ઊભેલો મેં જોયો. મારી પાસે આવી તેણે રૂપિયો માગ્યો. મેં કહ્યું : ‘આ નીચે જોવા ગયા’તા તેમાં રૂપિયો કમાયા કે શું?’ મેં રૂપિયો આપ્યો. અમે ચાલતા હતા, પણ હરજીવનનું મન કાંઈક વિચારમાં પડી ગયેલું મને લાગ્યું. તે મૂંગો મૂંગો આસપાસ ચકળવકળ જોતો ચાલ્યો. રસ્તામાં એક જગા બતાવીને મને કહે : ‘આ જુઓ!’ હું આસપાસ જોવા લાગ્યો, પણ મને કશું દેખાયું નહિ. મને ફરી કહે : ‘અહીં જુઓ, અહીં.’ કંઈક માખીઓ બેઠેલી હતી. તે ધૂળ લઈ સૂંઘીને મને બતાવી કહેઃ ‘જુઓ, આ લોહીનાં ટીપાં છે.’ મને તેમાં કાંઈ રસ પડયો નહિ. પોતે પોલીસચોકીમાં જઈ આવ્યો અને ઉતાવળો ચાલી મને મળીને કહે : ‘જુઓ, આ કમાયો.’ મેં કહ્યું : ‘પણ આની કિંમત રૂપિયાની નથી, બહુ બહુ તો પાવલું અરધો છે.’

હરજીવન : ‘એક રીતે પાવલું અરધો પણ નથી અને બીજી રીતે એ અમૂલ્ય છે.’

મેં કહ્યું : ‘પણ નીચે વાત શી થઈ તે તો કહે.’

હરજીવન ધીમે સાદે કહેવા લાગ્યો : ‘નીચે પંચનામામાં હું પંચ થઈ આવ્યો.’

મેં કહ્યું : ‘પોલીસને બીજો કોઈ ન મળ્યો તે તારા જેવા અસહકારીને પંચ કર્યો?’

હરજીવન : ‘તેમને ભણેલો માણસ જોઈતો હતો. અને આટલું વહેલું પંચક્યાસમાં રોકાવા કોણ નવરું હોય? તમે વકીલો ફરવા નીકળો છો પણ પંચક્યાસમાં કામ ન આવો.’

મેં કહ્યું : ‘પછી હતું શું?’

‘કોઈ મુસલમાનનું મડદું પડેલું હતું. તેની ડોક ભાંગી ગયેલી હતી. અકસ્માતથી મૂઆનો પંચક્યાસ કર્યો.’

‘અકસ્માત કેવી રીતે થયો એ કાંઈ જણાયું?’

‘લખ્યું કે પુલના ફૂટપાથના નળ પર બેઠેલો ત્યાંથી પડી જવાથી ડોક ભાંગી જવાથી મૃત્યુ થયું.’

‘ત્યારે તો ખૂન જોવા ગયેલો તે નિરાશ થયો હોઈશ?’

‘ના, હું તો ખૂન જ માનું છું.’

‘ત્યારે તારા જેટલી બુદ્ધિ કોઈ પોલીસમાં નહોતી શું?’

‘ના, નહોતી. એલિસબ્રિજને થયે મારા જેટલાં વરસ થયાં. તેમાં હજી કોઈ વાર એવું ખૂન થયું નથી. અકસ્માત થયો નથી, અને આવું બને એ વિચાર જ પોલીસને આવી શકતો નથી. કોઈ દિવસ નથી બન્યું તે બને જ કેમ? એમને મન તો એલિસબ્રિજની ચોકી એટલે જતા-આવતા વાઘરી પાસેથી શાક, દાતણ, લાકડાં વગેરે લેવાં, ચીભડાં, તરબૂચ, જામફળ વગેર ઋતુઋતુના મેવા લેવા, ટોલ નથી આપ્યો કહી ગાડાંવાળાને રોકવા, અને ગુનામાં ગુનો ખોટી બાજુ ચાલનારને કે દીવા વિનાની સાઇકલોવાળાને પકડવા એટલું જ. એથી મોટો ગુનો થવા માટે એલિસબ્રિજ છે જ નહિ. એમ એ બધા માને છે. એટલા પોલીસો ધાંધલ કરતા હતા તેમાં માત્ર એકને બુદ્ધિ હતી. પણ એટલા બધા બેવકૂફોમાં એક માણસ શું કરી શકે?

મેં કહ્યું : ‘એમ કેમ?’

‘મૈયતના હાથમાં કોઈ સ્ત્રીના લૂગડાનો આ જરીવાળો છેડો હતો. તેના તરફ એ પોલીસનું ધ્યાન ગયું હતું. પંચક્યાસ લખાતા તે એ  કકડા સામું જોઈ રહ્યો હતો અને ફોજદારને તેણે દૂર લઈ જઈને વાત કરી. તે હું સમજી ગયો. પણ ફોજદારને ખૂનકેસ નહોતો જોઈતો એટલે એણે કહ્યું કે એ તો અકસ્માતથી હોય.’

‘મુસલમાનના હાથમાં હિંદુ સ્ત્રીનો જરીવાળો લૂગડાનો કકડો એ બધાએ કેમ માન્યું?’

‘મેં બચાવી લીધાં. મેં કહ્યું કે મુસલમાન છે તે છેડાતાર વેચાતા લેવાનો ધંધો કરતો હશે અને હાથમાં તારવાળો છેડો રહી ગયો હશે. પંચને પંચક્યાસમાંથી ઝટ છૂટવું હતું. વળી મરનારનો કોઈ સગોસાગવો નહિ, એટલે, એ વાત જ લખી નહિ. છેડો ફોજદારે ખીસામાં મૂક્યો તે મેં રૂપિયો આપવો કરી લઈ લીધો.’

‘તમે એને શું કરશો?’

‘એ ખૂન જ છે. મરનારના પગ પર કઠેડાથી પડી જવા જેવા ઘસારા નહોતા અને મારામારીનાં ચિહ્નો હતાં. વળી મેં તમને રસ્તામાં લોહી પણ દેખાડયું. હું તપાસ કરીશ.’

‘તમારામાં આ શક્તિ છે તો તમે પોલીસની સાથે રહી આ ધંધો કરો તો પુષ્કળ કમાઓ.’

‘પરદેશી સરકારની પોલીસ સાથે કામ ન જ થઈ શકે.’

‘આ તમે અસહકારી થયા ત્યારથી તમને ભૂત ભરાયેલું છે.’

‘ના, એ ભૂત પહેલેથી હતું માટે અસહકારી થયો.’

‘પહેલાં આવા નહોતા.’

‘હા, તમને કેસ આણી આપ્યો ત્યારે ડાહ્યો હતો અને હવે નથી આણી આપતો એટલે ડાહ્યો નથી.’

મને હજી હરજીવન અસહ્ય થઈ પડયો. પણ સદ્ભાગ્યે અમારા રસ્તા ફંટાયા. અમે સાહેબજી કરી જુદા પડયા.

પાંચેક દિવસ પછી હું સવારે એ જ ફૂટપાથ પર જતો હતો ત્યાં હરજીવન ફૂટપાથના કઠેરા પર તેના નળમાં પગના ફણા ભરાવી બેઠો હતો.

મેં કહ્યું : ‘તમારો ખૂન વિશેનો મત મને તદ્દન ખોટો લાગે છે. તે વિષે ‘પ્રજાબંધુ’માં નોંધ આવી છે તે ઉપરથી તો ખાતરી થાય છે કે અકસ્માત જ હોવો જોઈએ.

હરજીવન : ‘એ પંચક્યાસ જ ફરી ગયો. મરનારના મોંમાંથી દારૂની વાસ આવતી હતી એ ખોટું છે. મેં મોં સૂંઘી જોયું હતું. અકસ્માત ઠરાવવા માટે એમ લખ્યું છે, અને એ લખવા નવો પંચક્યાસ કર્યો. અમારાવાળો પંચક્યાસ અદૃશ્ય થયો.’

મેં કહ્યું : ‘એવું તે હોય!’

તેણે કહ્યું : ‘હા, એમ જ છે, અને એ મારે માટે સારું છે.’

મને એમાં સાર ન લાગ્યો. મારે હજી ફરવા જવાનું હતું અને હરજીવન કાંઈ ત્યાંથી ઊઠે એવો એનો ઢંગ દેખાતો નહોતો. હું ચાલ્યો ગયો.

તે પછી મને કેટલાક દિવસ હરજીવન ક્યાંય દેખાયો નહિ. તેને મળવાની ઇચ્છા પણ નહોતી. તેની તોછડાઈ અને કડકાઈ મને પસંદ નહોતી. પણ બેત્રણ મહિના પછી મળવાનું થયું. સમસ્ત ગુજરાત અખાડા મંડળોનો ઉત્સવ હતો. આખા ગુજરાતમાં અખાડાઓમાંથી રમનારા આવ્યા હતા. મને આમંત્રણ હતું. તેમનાં લાંબા કાર્યક્રમોમાં રસ નહિ હોવાથી કૂસ્તી વગેરેના કાર્યક્રમો પૂરા થઈ રહ્યા હોય એટલો મોડો હું ગયો. અતિ ઉત્સાહમાં દોડતાં નાનાં છોકરાંને વટાવી હું આગળ ગયો. ત્યાં એક સાતેક વર્ષનો છોકરો પોતાથી નાના પાંચેક છોકરાઓને કહેતો હતો : ‘આવો, હું મહાસુખ થાઉં અને તમે પાંચેય મારી સાથે કુસ્તી કરો.’ એ દૃશ્ય જોઈ, હું પ્રેક્ષકો બેઠા હતા તેમાં મારી પ્રતિષ્ઠાને છાજતા ઊંડાણ સુધી અંદર ગયો અને સારા દેખાતા માણસો સાથે બેઠો. અસહકારીઓ ખુરશી તો કાઢી નાખી છે. બધાને નીચે બેસવાનું હતું. એક સ્વયંસેવકે મારા હાથમાં સંસ્થાઓના હેવાલ અને કાર્યક્રમનું કાગળિયું મૂક્યું. પાસેનાને પૂછતાં સમજાયું કે હું જોઈએ તેટલો જ મોડો હતો. મગદળ, લાઠી, બનેટી, મલખમ, કુસ્તી વગેરેનો લાંબો કાર્યક્રમ હમણાં જ બંધ થયો હતો અને માણસો રમતો તરફ જોઈને બેઠા હતા તે હવે પ્રમુખ તરફ ફરતા હતા. આખા મંડળમાં એક ઉત્સાહ પૂરો થઈ બીજો શરૂ થયો હતો. મારી પાસે બેઠેલા કોઈ શેઠિયાને મેં પૂછયું : ‘કેમ કેવું થયું?’ તેણે કહ્યું : ‘આખુંય સરસ હતું, પણ છેલ્લી બે વિગતો બહુ સરસ હતીખ્ર્કુસ્તીનું દ્વંદ્વ અને પંચમુખી કુસ્તી. છેલ્લા દ્વંદ્વમાં હરજીવન હાર્યો.’ પંચમુખી કુસ્તી નવો જ શબ્દ હતો. પણ મને હરજીવન હાર્યો એ જાણવાની વધારે ઇચ્છા થઈ. મેં કહ્યું : ‘હરજીવન કેવી રીતે હાર્યો?’ પેલા શેઠે કહ્યું : ‘હારત તો નહિ, ઘણી સરસ કુસ્તી કરતો હતો.’ મારી બીજી પાસથી એક માણસે મારો હાથ ઝાલી કાઠિયાવાડી ઉચ્ચારતાં કહ્યું : ‘ઈ તો વાત જાવા દ્યો,  જેમ ઓલી કાબર્યું વઢે ના કાબર્યું, એમ ગોટો થઈ ગ્યા’તા. કિયો હેઠે કિયો ઉપર કાંઈ વરતાય જ નહિ!’ હું એની સામે જોઈ રહ્યો, પણ એને કાંઈ લાગ્યું નહિ. મેં આગળ વાત ચલાવવા પેલા શેઠને કહ્યું: ‘ત્યારે એમ કેમ થયું?’ તેણે કહ્યું : ‘હરજીવન ઘણો જબરો, પણ મહાસુખ વધારે ચપળ હતો એટલે હરજીવન હાર્યો.’ વળી પેલા કાઠિયાવાડીએ કહ્યું : ‘હાર્યો એ પણ જીત્યો જ કહેવાય. આજનું આખું કામ ગોઠવ્યું એણે, હલાવ્યું એણે એટલે એ જીત્યો જ કહેવાય.’ આ વગર પૂછયે બોલાતાં હરજીવનનાં વખાણ મારાથી ખમાતાં નહોતાં. મેં કહ્યું : ‘ત્યારે તો આ પંચમુખી કુસ્તી હરજીવનભાઈએ ગોઠવી હશે? પંચમુખી હનુમાન ઉપરથી નામ પાડયું કે શું?’ પેલા શેઠે કહ્યું : ‘એ સૌથી સરસ હતું. મહાસુખે એકલે બીજી પંક્તિના ચાર મલ્લોને હરાવ્યા. આટલું જોયું પણ એવું ક્યાંય જોયું નહોતું.’ મને જિજ્ઞાસા વધી. મેં પૂછયું : ‘એકલે શી રીતે હરાવ્યા?’ પેલા શેઠે કહ્યું : ‘પહેલાં તો અમને લાગ્યું કે આમાં કંઈ નથી. પેલા લડવા આવે તેમ તેમ મહાસુખ નાસતો જાય. અમને તો થયું કે આ તો નાસભાગની રમત છે.’

‘એટલામાં ઘૂમરી દેતાંક ને જે ઝપાટો માર્યો ના, તે એક ચત્તોપાટ પડયો!’ પેલા કાઠિયાવાડીએ વચમાં ઝુકાવ્યું. મને ચીડ ચડી. પણ ગમ ખાઈને પેલા શેઠ સામે જોયું. તેણે વાત આગળ ચલાવી.

‘શરત એવી હતી કે એક વાર ચીત થઈ જાય તે ફરી લડવા ન આવી શકે. અને બીજાને તો તેણે રમત રમતમાં પછાડી દીધો. અને પછી તો ઊલટા બાકીના બે સાથે રહીને તેનાથી નાસવા લાગ્યા. તેમાંથી એકને પાછો પછાડયો. પણ તેમાં મહાસુખને ઈજા થઈ એટલે હરજીવને સિસોટી વગાડી એ વિગત પૂરી કરી.’

મેં પૂછયું : ‘મહાસુખ કોણ?’

‘એંહ! ઓલ્યો મહાસુખ મૂંગો, નથી ઓળખતા!’ પેલા કાઠિયાવાડીએ મારા હાથને આંચકો મારીને કહ્યું. હવે તેને કંઈક સમજાવવાની મને જરૂર જણાઈ. મેં કહ્યું : ‘તમે ઓળખો, એટલે કાંઈ બધાય ઓછા ઓળખે? એમાં… ‘ ‘પણ અમેય ક્યાંના ઓળખનાર વળી! આ તો બધાય અખાડાના માણસો માતર એને મહાસુખ મૂંગો કહે છે એટલે મેં તમને કહ્યું.’

પેલા શેઠે કહ્યું : ‘શાહપુરના અખાડાનો ઉસ્તાદ છે અને અહીં અભ્યાસ કરવા રહ્યો છે. તે બહુ થોડાબોલો છે એટલે તેને બધા મૂંગો કહે છે. ગણીગણીને અક્ષર બોલે એવો છે.’

મેં કહ્યું : ‘મને બતાવો જોઈએ.’ બન્નેએ એને શોધ્યો પણ દીઠો નહીં.

હવે ટેબલ પર ઇનામો ગોઠવાઈ ગયાં હતાં. અખાડાવાળાઓએ પણ હવે નાગડા બાવાનો સ્વાંગ કાંઈ ઢાંક્યો હતો. નાનાં નાનાં ઇનામો અપાઈ ગયાં. મોટાંનો વારો આવ્યો. ‘હનુમાનકૂદકો, પહેલું ઇનામ હરજીવન.’ અને હનુમાન જેવો હરજીવન આવીને લઈ ગયો. ‘અંગકૂદકો, પહેલું : મહાસુખ.’ મારી જ પાછળથી એક પાતળો ગૌર વર્ણનો જુવાન હજી મૂછનો દોરો પણ માંડ ફૂટેલો, ઊઠીને લઈ આવ્યો. આખી સભાએ તાળીઓના ગડગડાટથી એને વધાવ્યો પણ તેનું મોં મલક્યું કે ફરક્યું પણ નહિ. પછી ટૂંકી દોડમાં અને લાંબી દોડમાં તથા મલખમમાં પણ મહાસુખ જ પહેલો આવેલો. મહાસુખે એક પછી એક ઇનામ લઈ જતો હતો તેને હરજીવને મશ્કરીમાં કહ્યું : ‘અલ્યાં આટલાં બધાં ક્યાં સંઘરીશ?’ પણ એ શાંત ગહન મૂર્તિ. એ ને એ, ઊભી થઈ, લઈ, ખાલી જગ્યા પર બેસી જાય. બધાં ઇનામો વહેંચાઈ રહેતાં છેલ્લું કુસ્તીનું પણ મહાસુખને મળ્યું. લોકોમાં ગડગડાટનો જાણે સમુદ્ર ઊછળ્યો, પણ એ એ જ અચલ મુદ્રાથી ઇનામ લઈ અમારી પાસે બેસી ગયો. પ્રમુખે ભાષણ શરૂ કર્યું.

‘બહેનો તથા ભાઈઓ! ગુજરાતમાં અખાડાની પ્રવૃત્તિ આટલી સારી ચાલે છે એ કાર્યકર્તાઓને ખરેખર અભિનંદન આપવા યોગ્ય છે. આપે મને આ સ્થાન આપ્યું અને જુવાન બાઈઓના હર્ષમાં ભાગ લેવાની તક આપી એ માટે આપનો સર્વનો હું ઘણો જ આભાર માનું છું. આજનો કાર્યક્રમ જોતાં આપણને સર્વને જણાશે કે દરેક રમતમાં અને કસરત વગેરેમાં જુવાન ભાઈઓએ ઘણી પ્રગતિ કરી છે. મને માત્ર એક જ બાબતનો ખેદ રહે છે. આપ જાણો છો કે, મરહૂમ શેઠ મોતીચંદે આખા ગુજરાતમાં ‘સમસ્ત ગુજરાત અખાડા મંડળ’નો જે સભ્ય લોકરક્ષણનું કોઈ બહાદુરીનું કામ કરે તેને માટે જે ઇનામ કાઢેલું છે તે આજે ત્રણ વરસથી ખાલી રહે છે. આ વરસે પણ હજી સુધી તે ઇનામને માટે કોઈ ઉમેદવાર આવ્યો નથી તેમ કોઈના તરફથી તે આપવા સંબંધી સૂચના થઈ નથી.’

પાસે બેઠેલામાંથી હરજીવને ઊભા થતાં કહ્યું : ‘આ વરસ એક નામ હું સૂચવી શકું એમ છું.’

પ્રમુખ : ‘કોનું? ટ્રસ્ટની કલમ પ્રમાણે એ બાબત સાબિત કરી આપવી પડશે.’

‘નામની પછી વાત. પહેલાં સાબિત કરી આપું તે સાંભળો. સાબિત થયું ગણો તો નામ આપું.’

પ્રમુખ : ‘ભલે.’

કોઈ વકીલ કેસ ચલાવતો હોય તેમ હરજીવન ટેબલ પાસે આવી ઊભો રહ્યો. થેલીમાંથી તેણે તા. 28 મી ઑગસ્ટનું ‘પ્રજાબંધુ’ કાઢયું અને વાંચ્યું : ‘એલિસબ્રિજ ઉપર થયેલો અકસ્માત. ગઈ તા. 22મીના રોજ નદીના વેણામાંથી એક મુસલમાનની લાશ મળી આવેલી છે. તેની લાશ વિશે તપાસ કરતાં માલૂમ પડયું કે મૈયત એલિસબ્રિજના ફૂટપાથના કઠેડાના નળે પગ ભરાવીને બેઠેલો, ત્યાંથી દારૂના ઘેનમાં નીચે પડી જવાથી ડોક ભાંગવાથી તેનું મરણ નીપજેલું છે. મૈયતનાં કોઈ સગાં કે વારસ મળી આવતાં નથી. તેમ તેનું નામઠામ જણાતું નથી.’

‘આ લાશ જડી તે દિવસે સવારે હું તથા મારા મિત્ર, અરે વિદ્વાન મિત્ર, વકીલ મિ. વિષ્ણુપ્રસાદ જાની એલિસબ્રિજ ઉપર ફરવા ગયા હતા. અને નીચે લાશની તપાસ થતી અમે જોઈ હતી. મારા મિત્ર ફરવા ચાલ્યા ગયા અને હું લાશ જોવા નીચે ગયો હતો. ત્યાં શું શું થયું તે સંબંધી હું કશું કહેવા માગતો નથી. એ કહેવાથી આપણી પોલીસ જે દૈવી શક્તિ ધરાવે છે, તેની સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા અને પરમ ન્યાયીપણાને બાધ આવે એવું છે. તેમ જ એ કહેવાની અહીં જરૂર નથી. પણ મારા મિત્ર એટલો પુરાવો આપશે કે હું લાશ જોવા નીચે ગયો હતો અને ત્યાંથી આ જરીવાળો સાડીનો છેડો લેતો આવ્યો હતો.’

હરજીવને થેલીમાંથી એક જરીની સાડીનો છેડો કાઢી બતાવ્યો અને મારા સામું જોયું. શું બોલવું તેના ગભરાટમાં હું તેના સામું જોઈ રહ્યો હતો. એ સ્થિતિનો લાભ લઈ તે બોલ્યો : ‘કેમ વકીલ સાહેબ! બોલતા નથી? સરકારી કોર્ટોમાં ન જવાનો અમે અસહકાર કર્યો છે તેવો તમે અમારી સાથે તો નથી કર્યો! અથવા સાક્ષીનાં ભાડાંભથ્થાં વિના જવાબ નહિ આપો કે શું?’

મેં જરા ચિડાઈને બેઠાં બેઠાં જવાબ આપ્યોઃ ‘હા, હજી એ રૂપિયો પણ તમે પાછો નથી આપ્યો.’

હરજીવન : ‘જુઓ, રૂપિયાની વાત હું નથી કાઢતો  –  તમારે કાઢવી હોય તો તમારી જવાબદારી ઉપર કાઢજો.’

પ્રમુખે આ નકામી વાતથી વખત જાય છે એમ કરી કહ્યું : ‘હા, હા, એમાં તે શું છે તે પુરાવાની જરૂર પડે? તમે તમારે આગળ ચલાવો.’ કોઈ દિવસ નહિ ને આવી બાબત પહેલીવહેલી પ્રમુખને શિરે પડી તેથી પ્રમુખ જરા ગભરાયા હતા અને ઉતાવળા થતા હતા.

બધા માણસો એકચિત્તે શાંત થઈ સાંભળતા હતા. હરજીવને આગળ ચલાવ્યું : ‘તે જગ્યાએ મેં તે જ દિવસ તપાસ કરી હતી. એ ખૂન હતું એમ મારા મનમાં ખાતરી થઈ છે. પુલ ઉપર લોહીની ધાર પણ મેં જોયેલી અને તે જ વખતે વકીલસાહેબને બતાવેલી. ઝપાઝપી નાનીસૂની ન હોવી જોઈએ. કેમ, ખરું ને?’

મારે ફરી હા પાડવી પડી.

‘આ ઉપરથી હું માનું છું કે બદમાશોએ આ જરિયાન સાડી પહેરનાર ઉપર હલ્લો કરેલો, અને તે હલ્લામાં આ વસ્ત્ર પહેરનારે પેલા મુસલમાનને નદીમાં ફેંકી દીધેલો.’

પ્રમુખે સવાલ કર્યો : ‘જો નદીમાં ફેંકી દીધેલો, તો પુલ પર લોહી ક્યાંથી હોય?’

હરજીવન : ‘હલ્લો કરનાર બદમાશો બેત્રણ હોવા જોઈએ અને તેમાંના એકને નીચે ફેંકી બાકીનાની સાથે મારામારી થયેલી હોવી જોઈએ.’

અત્યાર સુધી હરજીવને મારી મશ્કરી કરેલી તેનું સાટું વાળવાનો હવે મને વખત મળ્યો. મેં ઊભા થઈ પૂછયું : ‘ઊભા રહો, મને જવાબ દો. ખૂન થતી વખતે સ્ત્રી એકલી હતી કે સ્ત્રી સાથે કોઈ મરદ હતો? તમે શું માનો છો?’

હરજીવન : ‘મરદ સાથે હોય તો હલ્લો કરે ખરા? માણસને એકલું જોઈને જ હલ્લો કરેલો.’

મેં કહ્યું : ‘ત્યારે તમે જરા વિચાર તો કરો કે સ્ત્રી એમ ત્રણ બદમાશોને શી રીતે હરાવી શકે? એક પુરુષ પણ ત્રણ પુરુષોને હરાવી ન શકે.’

હરજીવન : ‘ગયા યુગમાં એ સત્ય હતું પણ અખાડાની હિલચાલ શરૂ થઈ ત્યારથી એ સત્ય ખોટું પડયું છે.’

પ્રમુખે હવે મને પોતાની પાસે બોલાવ્યો. અને હરજીવનની સામે દલીલ કરવા તરફ તેનું વલણ હતું તે સ્પષ્ટ બતાવ્યું.

મેં કહ્યું : ‘તે તમારી સ્ત્રી એમ અખાડામાં કસરત કરવા ગઈ હશે?’

હરજીવન હાથમાં પેલો જરીનો છેડો બતાવી બોલ્યો : ‘આ પહેરનાર અખાડામાં ગયેલ એમ અનુમાન કર્યા વિના છૂટકો જ નથી.’

પ્રમુખે વચમાં પડી કહ્યું : ‘તમે તમારી સાબિતી તરત આપો. આમ નક્કામી જરિયાનની વાત ન કરો. હું કેવી રીતે માનું કે એક સ્ત્રી ત્રણ પુરુષોને હરાવી શકે?’

પ્રમુખની ટીકાથી હરજીવન જરા પણ દબાયો નહોતો. તેણે પાછું ભાષણ શરૂ કર્યું : ‘સાહેબ, તેમાં આ જરિયાન જોવા જેવુ છે. જુઓ, છેડો અનિયમિત ફાટેલો છે. તાણાતાણમાં ફાટેલો છે. અને આ જરી જુઓ. આપ વેપારી છો. જુઓ, બધું ખોટું છે. અંદર કશું સાચું નથી. અને છતાં કપડું કેવુ ભભકાદાર છે? ગમે તેવી શોખીન અને ભભકો ઇચ્છતી આછકલી હિંદુ સ્ત્રી આ પહેરવાનું પસંદ કરે? દિવસે આ ખોટું છે તે પરખાઈ આવે. રાત્રે જ ચળકાટ મારે.’ પ્રમુખે કંટાળી કહ્યું : ‘તમે આગળ ચલાવો. હું કાંઈ સમજતો નથી.’

હરજીવન : ‘મારે કહેવું છે કે એ પહેરનાર પુરુષ હતો અને તેણે આ ઝપાઝપી કરેલી.’

પ્રમુખ : ‘એવી રીતે સ્ત્રીને વેષે પુરુષોને મારવાનું કાંઈ કારણ?’

હરજીવન : ‘આ અરસામાં કેટલાક બદમાશ લોકો એલિસબ્રિજ ઉપર બેસી રહેતા અને મોડી રાતે જતી-આવતી સ્ત્રીઓને સતાવતા. તે સંબંધમાં તે જ અરસામાં એટલે 14મી ઑગસ્ટના ‘પ્રજાબંધુ’માં એક ફકરો છે. સાંભળો : ‘હાલમાં અમારા ધ્યાન પર એવી ફરિયાદ વારંવાર આવી છે કે, કેટલાક બદમાશોની ટોળીઓ એલિસબ્રિજ ઉપર બેસી રહે છે અને રાત્રે મોડી પસાર થતી એકલદોકલ સ્ત્રીને રોકી તેનું અપમાન કરે છે અને તેના પર અત્યાચાર કરવા સુધી જાય છે. ગુજરાતની સ્ત્રીઓ આવી બાબતમાં ફરિયાદી થવાને અને કોર્ટે ચડવાને નાખુશ હોય છે એ જાણીતી વાત છે. પુલનો રસ્તો રાત્રે માણસ વિનાનો અને ત્યાંથી નાસી છુટાય એવું ન હોવાથી, બદમાશો લોકોને બેધડક પજવે છે. આવો ધંધો કરનાર ઘરબાર વિનાના કેટલાક ગુંડા હોય છે અને આબરૂદાર પ્રજાજનને તેમના તરફ કશી સહાનુભૂતિ ન હોવા છતાં તેઓ પોતાના કામમાં અત્યાર સુધી ફાવતા આવ્યા છે. પોલીસ આ બાબતમાં તપાસ કરી આવા ધોરી રસ્તાને સહીસલામત રાખશે એવી આશા છે.’ આ બાબત ખરી છે. કોચરબ, પાલડી, માદલપુર, મીઠાખળી વગેરેનાં બૈરાં આ ત્રાસથી નવ વાગ્યા પહેલાં જ શહેર છોડી ચાલ્યાં જાય છે. પાલડીની ઢેઢડી બાઈ તેલી, મીઠાખળીની દૂધ વેચવા જનારી બાઈ રૂપાં, ગુલબાઈને ટેકરે રહેનારી મારવાડી ભિખારણ બાઈ ટેટી અને સરખેજને રસ્તે વાડા કરનારી વાઘરણ બાઈ રાજી આ લોકોના ત્રાસનો ભોગ થઈ પડેલી. નદીની તેડ ઉપર વસતી છારી બાઈ ગોમી ઉપર પણ બદમાશોએ હલ્લો કરેલો, પણ તે સામી થઈ છૂટી ગયેલી. આ અપમાનથી ઉશ્કેરાઈ કેટલાક છારા પુરુષો બદમાશો ઉપર ચડી ગયેલા, પણ ગુના કરનારી જાત તરીકે તેઓ પોલીસના દાબમાં હોવાથી બદમાશોએ પોલીસની મદદથી તેમને હાંકી કાઢયા. આ પુરાવા હજી ખાનગી રીતે મળી શકે એમ છે. આ જુલમમાંથી આ લાચાર અબોલ સ્ત્રીઓને બચાવવા આ માણસ સ્ત્રીને વેષે ત્યાં ગયેલો. તેના ધારવા પ્રમાણે બદમાશોએ તેના પર હલ્લો કર્યો અને ઝપાઝપીમાં એકને પુલથી હેઠે નાખી દઈ બેને તેણે મારીને નસાડયા. ત્યારથી આ બદમાશોનો ત્રાસ બંધ થયો છે. આસપાસનાં ગામોમાં તપાસ કરતાં સર્વ કહે છે કે એ લાશ જડી ત્યારથી એ બદમાશી બંધ થઈ છે. હવે હું પૂછું છું કે આ પ્રમાણે પોતાના જીવને જોખમે અબોલ સ્ત્રીનું રક્ષણ કરનાર માણસ જો હું બતાવી શકું તો તમે તેને ઇનામને યોગ્ય ગણવા તૈયાર છો? જો તૈયાર હો તો નામ આપું, અને સર્વ હકીકત સાબિત કરી આપું. જો તૈયાર ન હો આટલેથી જ બંધ કરું.

હજી સુધી કશું સાબિત થયું નહોતું. માત્ર હરજીવને રસિક લાગે એવી રીતે એક ઉટંગ વાત રજૂ કરી હતી. પણ લોકોને વાતનો રસ લાગ્યો હતો એટલે બધા એકી અવાજે બોલી ઊઠયા : ‘ચલાવો, ચલાવો, હાંક્યે રાખો.’ પ્રમુખને મરજી વિરુદ્ધ આ અવાજના પૂરમાં ઘસડાવું પડયું. અને કંઈક તેમના મનમાં ખાતરી હતી કે આવું કશું સાબિત થવાનું નથી.

મારાથી ન રહેવાયું. મેં કહ્યું : ‘પણ તમારી પાયાની દલીલ જ ખોટી છે. તમે કહો છો કે કોઈ સ્ત્રી આવી સાડી પહેરે નહિ. માટે એ સાડી પહેરનાર પુરુષ હોવો જોઈએ. પણ આવી સાડી જો કોઈ સ્ત્રી પહેરતી ન હોય તો બજારમાં આવી સાડીઓ થાય જ નહિ. આવી સાડી થઈ છે એ જ એમ બતાવે છે કે આવી સાડી પહેરનાર કોઈ સ્ત્રીવર્ગ તો હોવો જોઈએ જ.’

હરજીવન : ‘આવી સાડી પહેરનાર કોઈ સ્ત્રીવર્ગ નથી જ— પુરુષવર્ગને માટે જ આ સાડી થાય છે.’ હરજીવનની આ બેશરમ મૂર્ખતા હું ન સમજી શક્યો તેમ શ્રોતાવર્ગમાંથી પણ કોઈ ન સમજી શક્યું. સ્થિતિભેદને લીધે હું ચિડાયો અને શ્રોતાઓ ખૂબ હસ્યા.

પ્રમુખે વચમાં પડીને કહ્યું : ‘પુરુષને પહેરવાની સાડી!— એવી ખોટી વાત કહેશો તો હું તમને બોલતા બંધ કરીશ.’

હરજીવને ઠંડે પેટે જવાબ આપ્યો : ‘જી, હું અક્ષરેઅક્ષરે ખરું કહું છું. વકીલસાહેબના પ્રશ્નોથી આપને મારો અર્થ ખોટો લાગે છે. આ સાડી નાટકમાં સ્ત્રીનો વેષ લેવાને માટે ખાસ કરવામાં આવે છે. અને નાટક કંપનીની જ આ સાડી છે.’

શ્રોતાવર્ગ ગંભીર આશ્ચર્યમાં પડી ગયો અને મોં પહોળું કરી હરજીવન સામું જોઈ રહ્યો. મેં કહ્યું : ‘ત્યારે એ માણસ ખૂન કરવા જતી વખતે કંપનીની સાડી શા માટે લેવા જાય? પોતાના ઘરમાંથી સ્ત્રીનું કપડું લઈને ન જાય?’

હરજીવન : ‘સ્ત્રી તરીકે વધારે આકર્ષક દેખાવા અને કદાચ એવું પણ કારણ હોય કે તેને ઘરમાં સ્ત્રી જ ન હોય અથવા સ્ત્રી હોય તોપણ અહીં અમદાવાદમાં એકલો જ રહેતો હોય. અને ઘર ને સ્ત્રી બંને અહીં હોય તોપણ, વકીલસાહેબ! આવું કામ કરવા તમારા ઘરનાં માબહેન કે કોઈ સ્ત્રી તમને કપડું આવે ખરાં કે? તેણે નાટક કંપનીમાંથી જ લેવું પડે.’

લોકો હસવા લાગ્યા. આખી સભામાં માત્ર પ્રમુખ જ મારા પક્ષના હતા. તેમણે કહ્યું : ‘ત્યારે સાબિત કરો કે એ માણસ નાટકમાંથી લઈ આવેલો હતો.’

હરજીવને વળી થેલીમાં હાથ ઘાલી એક ખોટી જરીની સાડી કાઢી. અને બધા દેખે તેમ પેલો છેડો તેની સાથે મેળવી બતાવ્યો. અને કહ્યું: ‘જુઓ, હવે ખાતરી થઈ?’

લોકો ચકિત નયને જોઈ રહ્યા હતા. તેમાંથી એક માણસે કહ્યું : ‘ત્યારે હવે નામ જ કહો ને!’

હરજીવન : ‘ના, એક વાર પુરાવો પૂરેપૂરો ખરો કરી આપું પછી જ નામ આપું. હવે જુઓ એ અરસાનું ‘પ્રજાબંધુ’. ઑગસ્ટમાં અમદાવાદમાં એક જ નાટકમંડળી હતીઃ ‘આર્ય નાટયકલોત્તેજક મંડળી.’ તેના માલિક પાસે હું ગયો હતો. તેની પાસે થોડાં નાટકનાં કપડાં ભાડે માગ્યાં. તે મારો ઓળખીતો હતો. મને કહે : ‘ભાઈસાહેબ! કપડાં તો કોઈ દિવસ ન આપું. તે દિવસે ભાડે આપ્યાં હતાં તેમાંથી એક સાડી તદ્દન ફાટીને આવી.’ મેં કહ્યું : ‘એમ તે કોઈ ફાડી નાખે ખરું વળી?’ ‘હા, હા, સાહેબ, તમારી પાસે ખોટું શા માટે બોલું? જા અલ્યા લાલિયા, પ્રમીલાના પાઠની સાડી લઈ આવ.’ સાડી આવી, મેં જોઈ, ઓળખી. મેં કહ્યું: “લાવો, જો તમને નુકસાન થયું હોય તો એ સાડી હું લઈ લઉં.” પંદર રૂપિયા નક્કી કરી સાડી લીધી. મેં કહ્યું : “પહોંચ આપો એટલે એ લોકો પાસેથી હું લઈ શકું.” તેણે હા કહી. પહોંચ લખતાં લખતાં મેં કહ્યું: “કોઈ અણઘડ છોકરો હશે, તે ફાડી હશે.” તે કહેઃ “અરે! ના રે સાહેબ, અણઘડ તો કોઈ નહોતો. પેલો જેનો પાઠ સૌથી વખણાયો હતો, તે જ હતો. નામ તો મને યાદ નથી. અને પાઠ શેનો હતો? એવાં નામો પણ યાદ ન રહે. પણ બધાં પેપરોમાં તેનાં વખાણ આવેલાં હતાં. તેણે ફાડી હતી. અને નાટક પછી બે દિવસ બધાં કપડાં મોડાં મળ્યાં. સાહેબ, ગમે તેમ પણ છોકરા; તેમને કશી જવાબદારી મળે જ ના.” મેં કહ્યું: “આ બધી હકીકત પહોંચમાં લખો. મારે એ છોકરો શોધી કાઢવો સહેલો પડે.” જુઓ, આ પહોંચ. તેમાં આ બધી હકીકત લખેલી છે. હવે કહો, તમારે બીજી શી સાબિતી જોઈએ છે?”

બધા લોકોએ બૂમ પાડી : “નામ કહો, નામ કહો.” હરજીવને પ્રમુખ સામું જોયું. પ્રમુખે પણ હા પાડી. તેણે ફરી પૂછયું : ‘નામ આપું તે કરતાં મામસ રજૂ કરું તો?’ બધાએ કહ્યું : ‘માણસ લાવો, બોલાવો; રજૂ કરો.’ હરજીવન તેની પાસે બેઠેલા અખાડાના મલ્લો સાથે કાંઈ ગુસપુસ કરતો હતો. મને આ બધું ખોટી દિશામાં જતું લાગ્યું. મેં ઊભા થઈને કહ્યું: ‘જો માણસ અહીં જ હોય તો પોતે જ કેમ ઊભો થઈને ન કહે કે ઇનામ મારું છે? હરજીવને તરત જ જવાબ આપ્યોઃ ‘પણ માણસ મૂંગો હોય તો?’ આખી સભામાં તોફાન થયા પહેલાં પાંદડાનો અવાજ થવા માંડે તેમ આ કોણ હશે તે વિશે વાતો થવા માંડી. એટલામાં હરજીવનના ઇશારાથી એક અખાડિયાઓનું ધાડું દોડયું. બધા એ ધાડા તરફ જોવા લાગ્યા તો મહાસુખ મૂંગો છાનોમાનો નાસવાનું કરતો હતો તેને અખાડિયાઓએ જઈને પકડયો. સભાજનો હવે જ સમજ્યા કે એ મૂંગો તે ‘મહાસુખ મૂંગો’ જ અને તાળીઓ અને બો શરૂ થઈ તે બંધ કરવી મુશ્કેલ થઈ પડી. મહાસુખને પકડીને હરજીવન પાસે લાવ્યા, હરજીવને હાથ ઊંચા કરી બૂમ પાડી બધાને શાંત કર્યા પછી મહાસુખને કહ્યું: ‘તેમાં નાસભાગ શું કરે છે? હજી ક્યાં સાબિત થયું છે કે તું જ તે હતો?’ તે પછી સભાજનો તરફ જોઈ હરજીવને કહ્યું: ‘હજી થોડી સાબિતી બાકી રહી છે. જુઓ, તા. 21 ઑગસ્ટના ‘પ્રજાબંધુ’નો અંક. ગુજરાત યુવક મંડળ તરફથી જાહેર નાટયપ્રયોગો થયા હતા. સઘળા જ સફળ થયા હતા. સારા નટોને ઇનામ મળેલાં હતાં તેમાં તિલોત્તમાના પાઠ માટે સ્ત્રીપાઠનું પહેલું ઇનામ લેનાર ભાઈ મહાસુખ છે. અને બીજો પુરાવો લાશ તા. 22 મીના રોજ મળી અને તે જ રોજથી ડૉ. શંભુપ્રસાદને ત્યાં મહાસુખનો કેસ છે. માથાના પાછલા ભાગમાં ઊંડો ઘા પડેલો હતો. ડૉક્ટરને પૂછતાં તે કહે છે કે મહાસુખને અખાડામાં વાગેલું તેનો આ ઘા હતો. પણ અખાડામાં તપાસ કરતાં તેને અખાડામાં વાગ્યું જ નહોતું. એ ઘા પેલી ઝપાઝપીનો હોવો જોઈએ. હવે પ્રમુખસાહેબને તે ઇનામ મહાસુખને આપવા હું વિનંતી કરું છું.’

પ્રમુખ : ‘પણ એવી રીતે ખૂનીને ઇનામ કેમ અપાય? એમ કરવા જતાં આપણે બધા અને આ અખાડાની સંસ્થા જોખમમાં આવી પડીએ.’

હરજીવનઃ ‘પણ સરકારી દફતરમાં એ ખૂન જ નથી.’

પ્રમુખ : ‘ત્યારે સરકારમાં જે ખૂન નથી એને આપણાથી ખૂન શી રીતે ઠરાવાય?’

મેં પ્રથમ પ્રમુખને સમજાવ્યા અને તેઓ સંમત થતાં સુધારો મૂક્યોઃ ‘આ બધા પુરાવાની તપાસ કરી નિર્ણય કરવા એક કમિટી નીમવી.’

હરજીવન : ‘તમારા સુધારાને કોઈનો ટેકો છે?’ આખી સભામાંથી એક પણ માણસે ટેકો ન આપ્યો. પ્રમુખે કહ્યું : ‘પણ મારો ટેકો છે.’

હરજીવન કહે : ‘એ ન ચાલે.’ પ્રમુખ કહેઃ ‘હું એ સુધારો રજૂ કરું છું.’ અને આ શબ્દો કહેતાં આખી સભામાં જબરો ક્ષોભ થઈ ગયો. ‘બીતો હો તો ખુરશી છોડી ચાલ્યો જા.’ ‘બીકણ’ ‘બાયલો’ ‘ઇન્કમટૅક્સ’ ‘ત્યારે પ્રમુખ શું જોઈને થયો હતો?’ વગેરે અનેક બૂમો એક પણ પૂરી સંભળાય નહિ એવી રીતે આવવા લાગી. ‘તમે આ પ્રમાણે વ્યવસ્થા ન રાખો અને તમારા પ્રમુખની સલાહ ન જ માનો તો મારે પ્રમુખ રહેવું નથી,’ એમ સ્વગત ઉક્તિ કરી પ્રમુખ લોકોની ઠઠમાંથી માંડ માંડ રસ્તો કરતા લોકોની તાળીઓના ગડગડાટ અને ‘હુરિયો’ના પોકારો વચ્ચે ચાલ્યા ગયા. હરજીવને અને બધા સ્વયંસેવકોએ પછી સભાને શાંત કરી. હરજીવને મોટો અવાજે કહ્યું : ‘પ્રમુખસાહેબ ચાલ્યા ગયા છે માટે આજનું કામ પૂરું કરવા કોઈ બીજો પ્રમુખ નીમવો જોઈએ.’ લોકોએ ‘હરજીવન’ ‘હરજીવન’ના પોકારો કર્યા. હરજીવને કાંઈ પણ વિવેક વિના ‘આપ સર્વનો મત હોય તો હું એ સ્થાન લઉં છું.’ કહી પ્રમુખસ્થાન લીધું. પછી પૂછયું : ‘આ ઇનામ ભાઈ મહાસુખને આપવા વિરુદ્ધ હોય તે હાથ ઊંચો કરો.’ મને પણ હવે હાથ ઊંચો કરવો નિરર્થક લાગ્યો. ‘પક્ષના?’ આખા ચોગાનમાં એક હાથોનું વન થઈ રહ્યું : ‘ત્યારે એ ઇનામ હું ભાઈ મહાસુખને આપું છું.’ કહી હરજીવને ઇનામ આપ્યું.

હરજીવને કહ્યું : ‘છૂટાં પડતાં પહેલાં મારે એક કામ કરવાનું રહે છે. શેઠ મોતીચંદનું ઇનામ તો મહાસુખને મળ્યું. પણ મારે પણ એક ઇનામ આપવું છે. મહાસુખને આમ લાવો.’ લોકો બધા શાંત થઈ ગયા. અખાડિયાઓએ મહાસુખને પકડી આણ્યો. તેના ઉપર હરજીવને પેલી ખોટી જરીની સાડી ઓઢાડી. દીવાના ઝળહળતા પ્રકાશ તરફ તેનું મોઢું ઝાલી ફેરવ્યું અને લોકો તરફ જોઈ કહ્યું : ‘જુઓ, આ મોઢું ઓછું મોહક છે? જાણે વિષ્ણુનો મોહિની સ્વરૂપનો અવતાર!’ અખવાડિયાઓએ તરફડતા મહાસુખને ઝાલી ચારે બાજુ ફેરવ્યો. હરજીવને સભા બરખાસ્ત કરી પણ અખાડિયાઓનું એ તાંડવ ઘણી વાર સુધી ચાલુ રહ્યું.

આટલી ઘેલછા મેં કોઈ સભામાં કદી જોઈ નથી. ત્યારથી કોઈ પણ અસહકારીઓની સભામાં જવું મેં બંધ કર્યું છે.

000

License

દ્વિરેફની વાતો - ભાગ ૧ Copyright © by રામનારાયણ વિશ્વનાથ પાઠક. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.