“એવાં ભાગ્ય ક્યાંથી ?” – દાદા ધર્માધિકારી

આદિવાસીઓના ગામમાં એક ઘરમાં રાતવાસો કરવાનો પ્રસંગ આવ્યો. એમાં એક જ ઓરડો હતો. તેને બારી નહોતી. ત્યાં જ રસોઈ થતી. આખા ઘરમાં ધુમાડો થતો. કેટલાંક મરઘાં હતાં, તેનાં બચ્ચાં આમતેમ રમતાં હતાં. એ લોકોએ વિચાર્યું કે મારા જેવાને ત્યાં સુવડાવવો ઠીક નહીં ગણાય. પાસે એક ઝૂંપડી હતી, ત્યાં ખાટલી ઢાળી દીધી. ઘરધણી મારું અપમાન નહોતો કરવા માગતો, પણ એણે ભોળેભાવે કહી નાખ્યું : “આમ તો અહીં અમે ભૂંડ રાખીએ છીએ. અમારી પાસે બીજી જગ્યા નહોતી. આજે અમે આ જગ્યાને સાફ કરી નાખી છે.”

મેં કહ્યું, “ખેર, સાફ કરી એ તો સારું જ કર્યું.” થોડી વારે મને વિચાર આવ્યો કે, આ માણસ અહીં ભૂંડ રાખતો હતો; પણ અહીં બારણું તો છે નહીં – રાતે કોઈ અંદર ઘૂસી જાય તો ? મેં પૂછયું, “આમાં બારણું નથી ?”

એ બોલ્યો, “એમાં બારણાની જરૂર નથી.”

“કેમ ? આસપાસમાં કોઈ ચોર નથી ?”

“ચોર તો ઘણાય છે.”

“તો તારા ઘરમાં બારણું કેમ નથી રાખતો ?”

એ બોલ્યો, “અમારાં એવાં ભાગ્ય ક્યાંથી કે અમારા ઘરમાં ચોર આવે !”

સાવ અભણ માણસના આ શબ્દો છે. એ કહે છે કે, અમારું એવું ભાગ્ય નથી ! કેમ ? એમાં ભાગ્ય શા સારુ જોઈએ ? તો કહે છે : “અમારી પાસે એક જ ચીજ છે : ગરીબી – અને એને ચોરનારું કોઈ છે નહીં.”

મેં કહ્યું, “તો તો

તમારે પોલીસની કશી જરૂર નહીં પડતી હોય.”

“પોલીસની અમારે તે શી જરૂર ?”

“તો પોલીસવાળા તારે ત્યાં કદી આવતા નથી ?”

કહે : “આવે છે ને !”

“ક્યારે આવે છે ?”

“તમારા જેવાની ઘડિયાળ ગુમ થઈ જાય, ત્યારે તે શોધવા સારુ અમારા ઘરમાં આવે છે ! તમારી અમીરી ને અમારી ગરીબી, બેયનું રક્ષણ એ કરે છે.”

દાદા ધર્માધિકારી

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.