એક બીજી ગંગોત્રી

Home is where one starts from…

T. S. Eliot, East Coker

પોતાના ગામથી જ્યારે નીકળ્યા ત્યારે શબ્દ લઈને નીકળ્યા હતા — એમ કવિ ઉમાશંકરે નોંધ્યું છે. એ ‘શબ્દ’ પછી એમને ક્યાં ક્યાં લઈ ગયો? તો કહે છે કે એ શબ્દ એમને ‘સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિશ્વવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવીન્દ્રનાથની વિશ્વભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજોમાં, — એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં’… લઈ ગયો.

એ શબ્દ એટલે કવિતાનો શબ્દ. કવિમાત્રને એ શબ્દ સૌપ્રથમ એના ઘરમાંથી મળે છે, એના વતનમાંથી મળે છે. દુનિયાના કોઈપણ કવિની કાવ્યગંગોત્રીનું ગોમુખ એનું પોતાનું ઘર હોય છે. એમ તો મનુષ્યમાત્રને શબ્દ એટલે કે, એની ભાષા એના ઘરમાંથી, ગામમાંથી મળે છે, પરંતુ કવિનો શબ્દ એવો તો વિસ્તાર સાધે છે કે સૌની ચેતનાને સ્પર્શી રહેતો હોય છે. કવિનો શબ્દ અનનુભૂત સૌંદર્યલોકમાં લઈ જાય છે, અનાસ્વાદિત રસનું પાન કરાવે છે. એટલે એનો મહિમા.

એટલે આપણને થાય કે જ્યાંથી કવિ-શબ્દ સરવાણી પ્રકટી, એ ગંગોત્રી એ ગોમુખ અર્થાત્ કવિનું ઘર કેવાં હશે? કવિને વતન જવું એટલે તીર્થયાત્રાએ જવું. કોઈ સંસ્કારી મનુષ્ય ઇંગ્લૅંડ ગયો હોય અને કવિ શેક્સ્પિયરના વતન સ્ટ્રેટફર્ડ અપોન એવન ન જાય એવું બને? અને ત્યાં જનારને થાય કે ઈશ્વરથી જરાક ઊતરતો સર્જક અહીં ખેલ્યો હશે. એને પોતાના સર્જનનો મૂળ સંભાર અહીંથી સાંપડ્યો હશે. પછી ભલે એ લંડનવાસી થયો. વિશ્વકવિ થયો. કલકત્તા ગયા હોઈએ અને રવિ ઠાકુરનું ‘જોડાસાંકો’ ભવન જોયા વિના રહીએ? નિરંજન ભગત પૅરિસ ગયા તો એમના પ્રિય ફ્રેન્ચ કવિ બૉદલેર જે જે ઘરોમાં વસ્યા હતા, તે બધાં ઘરો જોઈ આવ્યા. જે રાજમાર્ગો અને ગલીઓમાં બૉદલેર રખડ્યા હતા, ત્યાં રખડી આવ્યા, કવિનાં કાવ્યોના વાતાવરણનો પ્રત્યક્ષ પરિચય પામવા.

પરંતુ એટલે દૂરની વાત નથી. વર્ષોથી ઇચ્છા હતી ‘ગંગોત્રી’ના કવિ, ‘નિશીથ’ના કવિ, ‘સપ્તપદી’ના કવિ જે ગામથી શબ્દ લઈને નીકળ્યા, તે ગામ જવાની. કવિ ઉમાશંકરનું ગામ બામણા. સાબરકાંઠા જિલ્લાના ભીલોડા તાલુકાના ખંભેરિયા પહાડની તળેટીમાં વસેલું ગામ. ઈડર વિસ્તારનાં આ ગામોના ડુંગરો, જંગલો અને મેળાની વાત કરતાં કવિ થાકતા નથી. શૈશવકાળની કવિના વતનની આ ભૂમિમાં એમના સમસ્ત શબ્દલોકનાં નવાણ છે. ત્યાંથી ભોમિયા વિના એ શબ્દ લઈને નીકળ્યા હતા, કવિનો શબ્દ. પણ પછી એ શબ્દસહારે સૌના ભોમિયા બની ગયા…

એક દિવસ કવિએ કહ્યું આપણે બામણા જવાનું છે. રોમ-હર્ષ. સદ્ભાગ્ય કેવું કે સ્વયં કવિની સાથે કવિને ગામ જવાનું મળે છે. એક સવારે અમદાવાદથી મોટરગાડીમાં નીકળ્યા. કવિપુત્રી ડૉ. નંદિનીબહેન તથા બીજા બે કવિમિત્રો ચંદ્રકાન્ત શેઠ અને મણિલાલ પટેલ સાથે હતા. કવિની ઇચ્છા એવી હતી કે તડકો વધારે ચઢી જાય તે પહેલાં બામણા ગામના પાદરે પહોંચી જવું.

કવિભૂમિનો લૅન્ડસ્કેપ જોવા અમે ઘણા આતુર હતા. હિંમતનગર છોડ્યા પછી એ બધો વિસ્તાર શરૂ થઈ જતો હતો. એ વિસ્તારના ખેતરાઉ, પહાડી માર્ગો ઈડર ભણતી વખતે કવિએ જુદી જુદી ઋતુઓમાં અનેક વેળા પગપાળા કાપેલા. અત્યારે ડામરની સડક પરથી સરતી મોટરગાડીમાંથી બાજુમાં ચઢતાઊતરતા પહાડો અને એના વળાંકો બતાવી કવિ એ મારગ ચીંધતા હતા. ચોમાસામાં નદી ઓળંગવી ના પડે, એવા મારગ ત્યારે પસંદ કરતા. એક વેળા તો રજાઓ પછી બામણાથી ઈડર નિશાળે જવા નીકળ્યા, ચોમાસામાં ઊભરાયેલી નદી. એક દિવસ મોડા પહોંચ્યા. કવિ હસતાં હસતાં એ દિવસ યાદ કરી બોલ્યા — ’નિશાળે પહોંચ્યા પછી એવો તો મેથીપાક મળેલો…’

રસ્તો બે માર્ગે ફંટાયો. એક શામળાજી તરફ જતો, બીજો ભીલોડા તરફ. શામળાજીના મેળાનો પ્રભાવ કવિના સર્જકચિત્ત પર ઘણો પડ્યો છે. વાર્તાકાર ઉમાશંકરની ‘શ્રાવણી મેળો’ વાર્તાની એ પટભૂમિ. અમારે ભીલોડાના માર્ગે જવાનું હતું. વસંતપાંચમ આવું આવું હતી. આ દિવસોમાં જે ધૂસર રૂપ વગડાનું હોય છે, તેવું હતું. વિરલ ઝાડીવાળા પહાડો તગતા હતા.

એક ઊંચો ડુંગર દેખાયો. એ જ ખંભેરિયો. ખંભેરિયાની ટોચે એક ઝાડ દેખાતું હતું અને એક સફેદ ધજા ફરફરતી હતી. અમારી નજર એ ધજાની આસપાસ ફરફરવા લાગી. રસ્તાની ધારે એક ડુંગરી દેખાઈ. કવિએ કહ્યું — ’આ ડુંગરીની ધારે બેસીને મિત્ર સાથે ”સાપના ભારા”નાં નાટકો વાંચ્યાં છે.’ ઓગણીસો એકત્રીસ-બત્રીસની આ વાત હશે. મોટરમાંથી ઊતરીને ત્યાં જવાનું મન થયું. પણ કંઈ જવાય છે? કવિમિત્રો, નંદિનીબહેન સૌ પ્રશ્નો પૂછીને કવિને એમના શૈશવ, કિશોરકાલની દુનિયામાં લઈ જતાં હતાં.

બામણા ગામના પાદરે પહોંચતાં વિશાળ સરોવર, એનું પાત્ર પહાડો અને ખીણોના આધારે વળાંકોમાં ઘડાયું છે. પહેલાં આ સરોવર નહોતું. હાથમતી જળાગારની યોજનાને લીધે રચાયું છે. પાદરમાં અમે ઊતરી ગયાં. આ બાજુ સરોવર, આ બાજુ ગામ. બામણા ગામને પાદર અમારે મન કુતૂહલ જગાવી રહ્યું. પાદરનો પેલો ઉકરડો ક્યાં છે? સરોવર કાંઠે સરસવનાં પીળાં ખેતર હતાં. હજી તડકો આકરો થયો ન હતો. ભૂરાં પાણી આંખમાં વસતાં હતાં. વહેલાં પહોંચવાનો કવિનો આગ્રહ સમજાયો.

આ બાજુ અમારી નજર સામે ખંભેરિયાનો ડુંગરો હતો. ગામ એના ઢાળ પર વસેલું છે. મારી કલ્પના હતી કે એ પૂર્વ દિશામાં હશે — પણ પશ્ચિમ દિશાએ એ ડુંગરો હતો અને ગામ ઉગમણી દિશાએ. હવે યાદ આવ્યું. કવિએ જ્યારે આગળ ભણવા ઘર છોડ્યું હતું ત્યારે તેમનાં માએ કહેલું — ’દીકરા, ભૂલીશ નહીં કે ઉગમણે બારણે આપણું ઘર છે.’ કવિએ ક્યાંક નોંધ્યું છે.

મોટરગાડીમાંથી ઊતરી અમે શેરીઓમાં ચાલવા લાગ્યાં. આ રોમાંચકર અનુભવ હતો. આમ તો ગામ જેવું ગામ. પણ આ તો કવિનું ગામ હતું, અને કવિ સાથે હતા. ગામના લોકોનું અભિવાદન ઝીલતા કવિની શેરીમાં પ્રવેશ્યા. કદાચ છે ને આ ઘરોમાં ‘સાપના ભારા’ એકાંકીઓનાં કેટલાંક પાત્રોના અનુજો — વંશજો મળી જાય. ‘દળણાના દાણા’નાં ડોશી, ‘કળજગનું પાણી પીવા એકલી રહી ગયેલી રામી’ પણ યાદ આવ્યાં. ઢોળાવ પર આવેલા ગામની આ શેરીમાં વરસાદના પ્રવાહને કારણે ઊખડેલા ઢેખાળા અને વાંઘાં હજી હતાં. મને થતું હતું. અત્યારે પંચોતેર વર્ષની વયે પહોંચવા થયેલા કવિ અહીં ચાલતાં શૈશવની પગલીઓ શોધતા હશે શું? શેરીના એકબે વળાંક વટાવતાં જ સામે નળિયાં છાયેલું કવિનું બાપીકું ઘર. બરાબર ખંભેરિયાની ઢાળે. ઘરમાં કવિનાં ભાભી રહે છે. આંગણું વટાવી અમે ઓસરીમાં આવ્યાં. સ્નેહભર્યું સ્વાગત. ઘરની પછીતે જાઓ એટલે ખંભેરિયો શરૂ થઈ જાય.

અમારી નજર સામેથી જાણે છસાત દાયકાનો સમય સરી જતો હતો. ઘરમાં હરતાફરતા શબ્દોને પીતા શિશુ કવિની કલ્પના કરી રહ્યા. ભર્યોપૂરો પરિવાર હતો. પાઘડી બાંધતા કવિના પિતા અને વત્સલ બાની કલ્પના કરી. અમે ઓસરીમાં બેઠા. ચંદ્રકાન્ત તો ચૂપચાપ સરકી ખંભેરિયો ચઢવા ઊપડી ગયા. કવિ સ્વજનોને મળવા ગામમાં ગયા. અમે ઘરના ઓરડામાં ગયા. આ ઓરડામાં કવિનો જન્મ. સ્વચ્છ લીંપણવાળા આ ઓરડાની ભૂમિ પર અમે બેઠા. કવિ મણિલાલ અગાઉ એક વાર અહીં આવી ગયા હતા. આ ઓરડો ભવિષ્યમાં કોઈ તીર્થથી ઓછો નહીં હોય, જો આપણી ગુજરાતી તરીકેની અસ્મિતા જીવતી હશે તો.

અમે પરસાળમાં બેઠા. કવિ આવી ગયા હતા. નાનપણની વાત કરતાં કરતાં દેવુભાઈ, કાન્તિભાઈ સૌ ભાઈઓને, ગામમાં જ રહેતાં બહેનને, મિત્રોને કવિ સ્મરી રહ્યા. ચા પીતાં પીતાં કવિએ કહ્યું — ત્યાં બેસી ‘ગીતાનિષ્કર્ષ’ વાંચ્યું હતું. ઓસરી બતાવતાં કહે — આ ઓસરી અનેક કવિતાઓનું જન્મસ્થળ છે. ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહની ઘણી કવિતાઓ બામણામાં લખાઈ છે. એ વખતે કવિની વય વીસ-બાવીસની હશે. ‘વિશ્વશાંતિ’ના રચયિતા તરુણ કવિએ સ્વતંત્રતા માટેની લડતમાં ઉચ્ચ અભ્યાસ છોડી દઈ ઝંપલાવ્યું હતું. વિસાપુરનો જેલવાસ વેઠીને બામણા આવ્યા છે. મા-બાપને તો ઘણી આશાઓ હતી, જેવી દરેક મા-બાપને હોય છે, પણ આદર્શઘેલા આ તરુણ કવિને તો દૂરના ‘અદીઠ વડવાગ્નિ બૂઝવવા’ દોડી જવું હતું. ઘેર ઘરડાં માવતરની આશાઓનું શું? પિતાનો પ્રેમ, મીઠી માડીનું વહાલ, ભલે, પણ તરુણ એ બધાયનો સ્વીકાર કરીને કહે છે:

મને રોકો ના, ના, ખડક ધરી આડે! યમશિલા
વચાળે રૂંધો મા! શીદ ભીડી રહો બાથ જડમાં…

આદર્શપ્રિય તરુણ વિચારે છે, માવતર પહેલાં? દેશ પહેલો? આ ઓસરીમાં ભારે મનોમંથન અનુભવતો હશે. આ ઘર નાનું પડે છે, આ ગામ. હવે તો ‘વિશ્વ’ જ એની સામે છે. સિંહગઢનાં ‘બળતાં પાણી’માં એનું વસ્તુગત પ્રતિરૂપ લાધી ગયું — મા-બાપની પણ સેવા ખરી, પણ પછી —

‘અરે એ તે ક્યારે?…’

આ ઓસરી એ સૌ વૈશ્વિક રાષ્ટ્રીય આદર્શો સેવતા ભેખધારી તરુણના મનોમંથનની સાક્ષી છે.

આ ઓસરીમાં ઊભા રહીએ એટલે સામેના ‘આડા’ ડુંગર પરથી સૂર્યોદય દેખાય. શિશુઅવસ્થામાં આ ઓસરીમાંથી કવિએ સૂર્યોદયની શોભા નિહાળી હશે, જે પછી તેમની કવિતાનું રુધિર બની પ્રકટી છે. કવિ કહે — ઓસરીની પેલી પેલ્લી પર બેસી ઘણી ચોપડીઓ વાંચી છે.

હું મારી સાથે ‘સમગ્ર કવિતા’ની નકલ લાવ્યો હતો. આ સમગ્ર કવિતાની ઉત્સભૂમિ પર એ ઓરડાના ઉંબર પાસે બેસી કવિએ એના પહેલા પાના પર:

પ્રિય ભોળાભાઈને સ્નેર્હમારા ઘરવતનની છાયામાંશુભાકાંર્ક્ષીઉમાશંકર જોર્શીબામણા ૨૪.૧.૧૯૮૫

— એમ લખી દીધું. કવિના ‘ઘરવતનની છાયામાં સ્નેહ’! રાજી બસ રાજી.

હું અને નંદિનીબહેન ઘરની પછીતે જઈ ખંભેરિયાનાં ‘તલસ્પર્શી’ દર્શન કરી આવ્યાં. ત્યાંથી પૂર્વ દિશાનો ઉઘાડ દિગંતપ્રસારી લાગે છે. આ પહાડોની ભૂમિમાં શબ્દો સળવળ્યા હશે. ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા…’ પછી કવિ ડુંગરા જ નહીં, આખી દુનિયા ખૂંદી વળ્યા; ‘ભોમિયા ભૂલે એવી કંદરાઓ’માં ઘૂમી વળ્યા! પણ એ ‘શબ્દ’ને સથવારે, જે આ ગામથી લઈ તેઓ નીકળ્યા હતા. ગામની નિશાળનાં બાળકોને તો તેમણે કહ્યું કે, ‘હું ભણ્યો બહારગામ ભલે, પણ ગણ્યો હતો તો આ વતનમાં, તમે પણ ભણવા ગમે ત્યાં જજો, પણ ગણવા માટે તો જ્યાં જન્મ લીધો એ ભૂમિમાં જ મૂળિયાં છે.’

બપોર ભીલોડામાં ગાળી સાંજે ઈડર જવા નીકળ્યા. ત્યાં જતાં રસ્તે જાણે ‘ઝાકળિયું’ વાર્તાનાં ખેતરો દેખાતાં હતાં. ઘણી કાવ્યપંક્તિઓ પણ સ્મરી રહ્યાં. એટલામાં એક ડુંગરો દેખાયો. કવિ કહે — ઘહું આવ. અમે બોલ્યા:

આવા ઈડરિયા ગઢ ડુંગર
ઘહું આવ ઢૂકડો રે લોલ!

સાંજ પડે તે પહેલાં ઈડર વિસ્તારના ડુંગરોના માર્ગે થઈ ઈડર શહેર વીંધીને પશ્ચિમે આવેલી શ્રીમદ્ રાજચંદ્રની ઊંચી પહાડીની તળેટીમાં સીધાં પહોંચી ગયાં. તળેટી પહાડીની છાયામાં હતી. પણ ઉત્તરદિશે આખો ઇડરિયો ગઢ તડકીલી શિલાઓથી ઉજ્જ્વળ લાગતો હતો. પાછળ ઈડર શહેરનાં ઊંચાનીચાં છાપરાં પણ તડકામાં શોભતાં હતાં. ત્યાં સ્તબ્ધતાનો ભંગ કરતી એક રિક્ષા આવી અને એમાંથી અનેક થેલીઓ સાથે એક વૃદ્ધ સજ્જન ઊતર્યા. રિક્ષા ચાલી ગઈ. એ સજ્જને પછી ટેકરીની ટોચ ભણી જોઈ બૂમ પાડી: ઈશ્વર, ઈશ્વર…

પણ ‘ઈશ્વર’ને બૂમ સંભળાઈ નહીં. અમે પહાડીની ટોચે આવેલા આશ્રમ ભણી ચઢવા લાગ્યાં. પેલા સજ્જન આશ્રમના કાર્યકર લાગ્યા અને થેલીઓ લઈ જવા કોઈ પરિચારકને બોલાવતા લાગ્યા. એમના તરફથી અમે બૂમ પાડી: ‘ઈશ્વર, ઈશ્વર..’ અમારા પણ ‘બોલ વેરાઈ આભમાં ફેલાઈ’ ગયા.

ચઢવાનું આકરુંં તો નહોતું, પણ શ્વાસ તો ચઢે, કેમકે અમને વાતો કરવાનો પણ ઉત્સાહ હતો. જરા ઊંચે ચઢી, ઊભા રહી, ઇડરિયા ગઢના પ્રોફાઇલને જોઈ કવિશ્રી ઉમાશંકરને પ્રશ્ન કરતા: ‘પેલી દેખાય છે તે રણમલ ચોકી ને? પેલું ઊંચું તે રૂઠી રાણીનું માળિયું ને?…’ તેમની પાસેથી એ પ્રશ્નોના જવાબો અને એ સ્થળો સાથે કિશોરકાળની એમની સ્મૃતિઓ સાંભળવાનો અમારો લોભ હતો.

પહાડી પર પહોંચતાં વિશાળ ખુલ્લી જગ્યા. તેથી થોડેક ઊંચે આશ્રમની થોડીક જરૂર પૂરતી ઇમારતો. પણ આ ઊંચાઈએથી નીચે વિસ્તરેલાં મેદાનોને છેવાડે પહોંચવા કરતો સૂર્ય કોઈ મિત્રની જેમ એટલે દૂરથી પણ આ ટેકરી પર જાણે અમારુંં સ્વાગત કરી રહ્યો.

નંદિનીબહેન એ દિશા તરફ ગયાં, અમે ઉપર મંદિર ભણી. અહીંથી ઈશ્વરને અમે નીચે મોકલ્યો. આ પહાડી શ્રીમદ્ રાજચંદ્રનાં પુનિત પગલાંથી પાવન છે. અહીં જે શિલા પર શ્રીમદ્ને જ્ઞાન લાધ્યું હતું તે સિદ્ધશિલા છે. શ્રીમદ્ના ભક્તોએ વધારે પડતી સુરક્ષાના ખ્યાલથી સિદ્ધશિલાને લગભગ ઢાંકી દીધી છે. શ્રીમદ્ રાજચંદ્ર પરમ યોગી હતા. ગાંધીજીના ગણ્યાગાંઠ્યા ગુરુઓમાં એક ગુરુ. જાતિસ્મર હતા એટલે કે, પૂર્વજન્મોનું એમને જ્ઞાન હતું. ઉમાશંકરભાઈએ એ વિશે એક વાત કરી. ભગવાન મહાવીર જ્યારે સદેહે આ ભૂમિ પર વિચરણ કરતા હતા ત્યારે આ ડુંગરોમાં આવેલા. એ સમયે તેઓ જે શિલા પર બેઠેલા તે સ્થળ શ્રીમદે ચિહ્નિત કરી બતાવ્યું છે. આ ટેકરીની તળેટીમાં ત્યાં આજે એક દહેરી છે. એટલે કે આ પ્રદેશ આધ્યાત્મિક તરંગોથી આવેષ્ટિત છે.

અહીં એક ધ્યાનખંડ છે, જ્યાં શ્રીમદ્ની છબી છે. થોડી વાર ત્યાં બેસી દેરાસરમાં દર્શન કરી ફરી અમે ખુલ્લી ટેકરી પર આવ્યા. નંદિનીબહેન દૂર એક પથ્થર પર બેસી સંધ્યાનું સૌંદર્ય જોવામાં લીન હતાં. પંખીઓનું વૃંદગાન થતું હતું તેમાં પોપટનો તીવ્ર અવાજ વાતાવરણ ભરી દેતો હતો. સામેની પહાડીઓ પર કોટના કાંગરા હોય એમ વાનરોની હાર બેઠી હતી. કવિ મણિલાલ પટેલ, અધ્યાપક પ્રસાદ બ્રહ્મભટ્ટ અને અરવિંદભાઈ સૌ આ સમયે કવિની સન્નિધિમાં પ્રસન્ન હતા. વેળા અનન્ય હતી.

સૂર્યનું બિંબ હવે લાલ બન્યું હતું. કોઈએ કહ્યું — પક્વબિંબ. કવિએ કહ્યું — પરિપક્વબિંબ. એક વૃક્ષ નીચે પથ્થરનું આસન હતું. અસ્તમિત થતા સૂર્યને જોતા કવિ તે પર બેઠા. સાધ્ય સૌંદર્ય પીતા કવિની છબી સમગ્ર પરિદૃશ્યમાં કેવી તો ગોઠવાઈ ગઈ! એ છબી ક્લિક પણ કરી લીધી. સ્તબ્ધ ક્ષણોને અનુભવતાં સૌ ચૂપ હતાં. સૂર્ય જમીનમાં ઊતરી જતો જોયો. પણ થોડી વાર પછી જ પશ્ચિમને આકાશે ત્રીજનો ચંદ્ર દેખાયો, પછી એની પાસે શુક્ર પણ. ધીરે ધીરે અમે પહાડી ઊતરી રહ્યાં. ઊતરતાં ઊતરતાં થતી વાતોમાં કવિનાં છાત્રવયનાં સ્મરણો ડોકાતાં.

કવિ ઉમાશંકર ઈડરના છાત્રાલયમાં રહીને ભણેલા, ગુજરાતી ચોથા ધોરણથી અંગ્રેજી છઠ્ઠી સુધી. પછી મેટ્રિકમાં અમદાવાદ આવેલા. કહે — ’ઈડર આવ્યો ત્યારે દશ વર્ષનો હતો. છાત્રાલયમાં ઊંચા ઊંચા મોટી વયના છોકરાઓ ભણે. તેઓ માથે જે સાફો બાંધે તેનું છોગુંય મારી ઊંચાઈ જેટલું. હું સાવ ટેણિયો હતો…’

બીજે દિવસે સવારે ઇડરિયો ગઢ ચઢવાનો હતો. આ ગઢ વિશે નાનપણથી લગ્નગીતમાં આ પંક્તિ સાંભળી હતી — ’અમે ઇડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો’, કેમ હશે તે ખબર નથી, કદાચ ઇતિહાસની કોઈ વિસ્મૃત ઘટના એમાં સચવાઈ હોય. આ ઇડરિયા ગઢને જુદી જુદી ઋતુઓમાં જુદા જુદા મિત્રો સાથે પ્રેમ કર્યો છે. એક વખત જ્યારે બાજુનાં પોળો વિસ્તારનાં જંગલોમાં કેસૂડાંની આગથી વન ભડકી ઊઠ્યું હતું, એવી વસંતમાં; એક વખતે જ્યારે વાદળાં ગઢની કટિમેખલાએ અથડાઈ ઝરમરી જઈ નગરને ભીંજવતાં હતાં ત્યારે રૂઠી રાણીને માળિયેથી કોરાકટ ઊભા રહી; એક વખતે સમીસાંજે રણમલચોકીના પરિસરમાં પ્રાચીન ગુર્જર કાવ્ય ‘રણમલ છંદ’ની ચર્ચા કરતાં. એ ગઢના પ્રાંગણમાં કૉલેજ થયા પછી તો આચાર્ય હરિહરજીની મિત્રતાને કારણે ઇડરિયા ગઢ સાથે પરિચિત મિત્રની જેમ વિશ્રંભાલાપ થયો છે.

પરંતુ આજે કવિ ઉમાશંકર સાથે ઇડરિયો ગઢ ચઢવાનો હતો. પંચોતેરમે પહોંચવા કરતા કવિ પોતાની મુગ્ધ કિશોર વયને કેવી સ્પરતા હશે, તેની હું કલ્પના કરતો હતો. એ સમય હશે જ્યારે સૌંદર્યો ઘટક ઘટક પીવાતાં હશે. સૌંદર્યો પ્રકૃતિનાં, સૌંદર્યો શબ્દોનાં. કવિની કિશોરાવસ્થામાં પ્રભાવ મૂકી જનાર એ લૅન્ડસ્કેપ આજે પરિણતપ્રજ્ઞા કવિની સાથે જોવાનો ધન્ય અવસર હતો. પહેલાં તો અમે જે શાળામાં કવિ ભણેલાં તે સર પ્રતાપ હાઈસ્કૂલ અને એની બાજુની બો(૨૧૪)ડગ ભણી ગયાં. કવિ જાણે પોતાની એ કિશોરાવસ્થામાં પદચિહ્નો સૂંઘતા ચાલતા હતા.

જીર્ણ બો(૨૧૪)ડગના એક ઓરડામાં અમે પ્રવેશ કર્યો. આ એ ખંડ જેમાં છાત્ર તરીકે એ રહ્યા હતા. એક ભીંતમાં તાકું હતું. કહે — આ ગોખલામાં મારી આખી ‘લાઇબ્રેરી’ રહેતી!

કવિની વાણી ભાવભીની હતી. એ ભીંતે હાથ પસવારતાં મને સુખ થતું હતું. ગુજરાતી વાણીનું આ એક તીર્થસ્થાન છે!

બહાર આવ્યા. રસ્તા સામેની ટેકરીઓ બતાવતાં કહે — પેલી છે તે ધનેશ્વરીની ડુંગરી, ત્યાંની દેરીઓમાં અને ત્યાંના આંબાના ઝાડની ડાળીઓ પર બેસી પરીક્ષાના દિવસોમાં વાંચતા.

નિશાળના પ્રાંગણમાંથી બહાર નીકળતાં કવિ કહે — નિશાળ છોડતી વખતે યાદ છે કે એક ગોરજ ટાણે એને અફુટ વાણીમાં કહ્યું હતું — ’હું તારું નામ ઉજાળીશ.’

કવિએ વચન પાળ્યું છે.

જાન્યુઆરીની સવારનો તડકો ઓઢવો ગમે તેવો હૂંફાળો લાગતો હતો. ગઢની તળેટીએ પહોંચી ગયા. નંદિનીબહેન નીચે રહ્યાં. અમે પગથિયાં ચઢવાનું શરૂ કર્યું. ઈડરનો આ ડુંગરો અરવલ્લીની પર્વતમાળાનો આખરી છેડો છે, પણ આ ડુંગરા નર્યા ખડકોના છે. આપણી ભાષાની એક જૂની દેશી કવિએ યાદ કરી:

ઈડર આંબા આંબલી
ઈડર દાડમ દ્રાખ…

મેં વિનોદમાં આચાર્ય હરિહરજીએ કહેલ ઈડરનાં પંચરત્નો વિશેનો એક ‘શ્લોક’ બોલી બતાવ્યો:

ઈડરે પંચ રત્નાનિ
પહાડ પાષાણ પાંદડાં
ચતુર્થ ગાલિદાન ચ
પચમું વસ્ત્રલોચનમ્.

કવિના મોઢા પર હાસ્ય છલકાયું.

પણ આ પહાડ તો સદીઓથી કદાચ આમ નર્યા પથ્થરોનું કલેવર લઈને ઊભો છે. કવિએ કહ્યું કે આ ખડકોને જાળવી રાખવા જોઈએ.

અમે થોડાં પગથિયાં ઉપર ચઢ્યા કે બરાબર રસ્તા વચ્ચે આવેલી ઈમારત દોલતભવન ઊભી હતી. રાજા દોલતસિંહે બનાવેલી. આ કદાચ તેમનો રંગમહેલ હશે. આજે તે ત્યજાયેલ છે. સુંદર ટાઇલ્સ લોક ઉખેડીને લઈ ગયું છે, દરવાજા ઉપાડી ગયું છે. અને ભીંતો — હજારો હજારો મુસાફરોનાં નામની કાળી, ધોળી, રંગીન સ્મૃતિઓ લઈને ઊભી છે. તારીખ સાલ સાથે એ નામાવલિની સૂચિ કરતાં મુસાફરોના મનોવિજ્ઞાનનું નવું પ્રકરણ રચી શકાય. દોલતભવનના અંધારા ખંડોનાં દ્વાર પાર કરી અને ફરી ઉપલા પગથિયે આવી ગયા.

બહાર નીકળતાં જ ખડકોનો અદ્ભુત સન્નિવેશ જોયો. કેટકેટલા આકારો ધરી, કેવા એકમેકને ધરી ખડકો પડ્યા હતા! નગ્ન ખડકોનું નર્યું અનાવિલ સૌંદર્ય! આપણા તસવીરકાર અશ્વિન મહેતાએ આ ખડકોની બેનમૂન તસવીરો ખેંચી છે. એટલું જ નહીં, ઇન્દિરાજી જ્યારે વડા પ્રધાન હતાં ત્યારે એમને અશ્વિનભાઈએ આ ખડકોને સુરક્ષિત રાખવા માટેની યોજના ઘડી કાઢવા સંમત કર્યા હતાં.

એક તસવીરકાર પોતાના કૅમેરામાં આ ખડકોના સૌંદર્યને પકડી આપણી સામે ધરે છે અને એક કવિ? શબ્દોમાં. કવિ ઉમાશંકરની આ ખડકો વિશેની કવિતા પણ એટલી જ અદ્ભુત છે:

મુઠ્ઠીભરે નાખેલ
બેફામ આમતેમ
કોઈ કુદ્ધ દેવે
કાળની કચ્ચરો —
અમે ઇડરિયા પથ્થરો
ટોક માથે અઘોર માનવની મેડી
— રૂઠ્યાં મનનું માળિયું
ક્યાંક આભ આધારે અભયચોકી;
ગઢની કરાડે અધભૂંસી સાહસ પગથી;
પથ્થરિયા છાતી પર
રૂપકડા મંદિર-છૂંદણાં…
ક્યાંક પડ્યા વેરવિખેર…
ક્યાક ગેબી ઢેર
કોઈ એકાક્ષ મહોરો
એક પંખ વિહંગ
ગેંડો પાડો ઊંટ
જાણે કાપાલિકની વિરાટ ખોપરી
કોઈ તપસીનું રુદ્ર સિંહાસન
કોઈ અલૌકિક રૂપસી…
અમે ઇડરિયા પથ્થશે?

ખડકોના વિવિધ આકારો જોતાં કવિતાના ખંડ યાદ કરતો હતો. આ કવિતા તો કવિએ છેક પાંસઠ વર્ષની વયે લખી હતી, પણ આ ઇડરિયા પથ્થરો તો દસ વર્ષની એમની વયથી તેમનામાં ઊતરતા જતા હતા — એ પોતે જાણે એમાંના એક.

મેં કવિને પૂછ્યું — આ ગઢ કેટલી વાર ચઢ્યા હશો?

કહે — અસંખ્ય વાર.

પછી કહે — એક વાર તો વહેલી સવારે વતન બામણાથી નીકળીને સાંજે ઈડર પહોંચી, રાત્રે નીચે નહીં રોકાતાં ગઢ પર ચઢેલા. વાઘના સળવળાટનો પણ અમને ભાસ થયેલો. મારી સાથે હતા કવિ રામપ્રસાદ (રતિલાલ) શુક્લ. ભાગતા અમે મંદિરો તરફ ગયાં. એમાં પણ જોખમ તો હતું જ…

ગઢ પર ચઢ્યા તો શિખરોની વચ્ચે વિશાળ ખુલ્લી જગ્યા. જૂની ઇમારતો, વાવો, મંદિરો, દેરાસર આ બધું છે. અહીં વડ જેવાં પ્રાચીન પુરાતન વૃક્ષો છે. એક જૂની જર્જરિત ઇમારત બતાવી ઉમાશંકરભાઈએ કહ્યું — પેલો કેસરીસિંહનો મહેલ છે. આજે તો મહેલની શી દશા છે!

અમે ચાલતા ચાલતા ગઢની ઉત્તર દિશાની રાંગે ગયા. ત્યાંથી નીચેનું મેદાન અને દૂરના ડુંગર રળિયામણા લાગતા હતા. આ બાજુ રાણીનું તળાવ દર્પણ જેવું લાગતું હતું. ઠંડો પવન હતો, હોલાનો કલરવ હતો. દૂરથી ડંકીનો અવાજ સંભળાતો હતો. સવારના તડકામાં ખિસકોલીઓ બધી જમીન સરસી જડાઈ ઠંડી દૂર કરતી હતી. એ અદ્ભુત દૃશ્ય ગઢની રાંગે હતું, કવિએ ધ્યાન દોર્યું. અમે તડકામાં ખડકાળ ભોંય પર નિરાંતે બેઠા. કવિ સાથે વિશ્રંભાલાપનો અવસર હતો.

કવિએ ઈડરની પૂર્વમાં સ્ટેશન તરફ આવેલા મહાકાલેશ્વર નામના સ્થળની વાત કરી. એમના કિશોરચિત્ત પર ત્યાંની દેરીઓ, કુંડ, ગુફા વગેરેના રહસ્યાત્મક ભયાનકની છાપ પડેલી છે, તે કહ્યું.

પછી તો ગઢ ઉપરના ઝરણાની વાત નીકળી. આ ગઢ પર ચોમાસામાં એ ઝરણું ખડકો વચ્ચે વહેતું હોય. સંવેદનપટુ કિશોરચિત્ત પર એ ઝરણાના સૌંદર્યનો પ્રભાવ પડ્યા વિના રહે? એ ઝરણાએ પંદર વર્ષના કિશોરને એક કાવ્યપંક્તિ આપેલી. કવિએ યાદ કરી એ પંક્તિ (કવિને યાદ બહુ રહે):

જનતા તટે કુદરતપટે સૌંદર્યનિકેતન હતું…

કવિએ કહ્યું, ત્યારે હું અંગ્રેજી પાંચમીમાં, આ વ્યસ્ત હરિગીત પંક્તિમાં ‘સૌંદર્યનિકેતનનો’ નિ’ દીર્ઘ બોલવો પડે, તે ગમ્યું નહોતું. પછી થયું, હવે આગળ નહીં લખું અને એક પંક્તિએ અટકી ગયો.

ચોમાસામાં વહેતા એ ઝરણાનું સ્થળ પણ પછી તેમણે બતાવ્યું. આ સ્થળનો કવિ ઉમાશંકરની કવિતાના પ્રેમીઓ માટે વિશેષ મહિમા હોવાનો. આ ઇડરિયા ગઢ પરથી એકદા જે કાવ્યઝરણું સહસા ફૂટે ન ફૂટે ત્યાં એ સમયે ભલે થંભી ગયું, પણ પછી ફૂટ્યું તે એવું કે સતત વહેતો મહાનદ બની ગયું. જે કવિની આરંભની સિદ્ધ કાવ્યપંક્તિ હતી ‘સૌંદર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ — તે કવિને મન ઇડરિયા ગઢના એ ખડકો અને એ ઝરણું સાચે જ સૌંદર્યનિકેતન હતું. જળ અને પથ્થર કવિનાં એટલે તો પ્રિય કલ્પનો છે.

‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ એ ગીત ગમે ત્યાં રચાયું હોય, પણ એ કયા ડુંગરા હતા? પેલો ઝાંઝરીવાળો ઘર પછવાડેનો ખંભેરિયો ડુંગર અને ઘરના ઉંબરેથી દેખાતો આડો ડુંગર અને ઘહુંઆવ અને ઈડરના આ ડુંગરા ખરેખર તો કવિની સમગ્ર કાવ્યગંગાની ગંગોત્રી-ગોમુખ એ આ ભોમકા, આ ડુંગરા… એ કવિએ ભલે પછી હિમાલય, આરારાત કે આલ્પ્સનાં સૌંદર્યો પીધાં હોય.

૨૧-૭-‘૮૫
કવિજન્મદિન
(દેવતાત્મા હિમાલય)

License

તેષાં દિક્ષુ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book