એરિકાના પત્રો

હમણાં પ્રેમપત્રો વાંચું છું – લોકોની નજરથી બચાવીને. વિદગ્ધતાનું ગૌરવ ઉપાડવા જેટલું ભારઝલ્લું મારું કાઠું જ નથી. આથી મુગ્ધ બનીને સન્તોષ માનું છું. મુગ્ધતા હળવી વસ્તુ છે. શા માટે મુગ્ધ થઈ ગયા તેનાં કારણો આપવાની જવાબદારી, મુગ્ધ હોવાને કારણે જ, આપણે માથે રહેતી નથી. પણ્ડિતો ભલે ને કહેતા કે મુગ્ધ અને મૂઢ વચ્ચે ઝાઝું અન્તર નથી.

પ્રેમપત્રની આબોહવામાં વિશ્રમ્ભ હોય છે, ઉષ્માભર્યું એકાન્ત હોય છે, કોઈક વાર માફકસરની આર્દ્રતા હોય છે – ફૂલની પાંખડી પરના ઝાકળના બિન્દુ જેટલી એની માત્રા હોય છે. એના ઉષ્ણ ઉચ્છ્વાસમાં કોમળતાને કરમાવી નાંખે એવી નિષ્ઠુર પ્રખરતા હોતી નથી. બે બાહુને જોડીને રચી શકાય એટલો જ એનો પરિઘ હોય છે, ને છતાં એમાંથી જ સુખની તુષ્ટિની ત્રિજ્યાઓ અસીમ સુધી વિસ્તર્યા કરતી હોય છે (ખાનગીમાં કહી દઉં : રવીન્દ્રશતાબ્દી પૂરી થયા પછી જ મેં ‘અસીમ’ શબ્દ વાપરવાની હિંમત કરી છે).

તો વાત આમ છે : એરિકા નામે અઢાર વર્ષની કન્યા ને અર્ધી સદીને આરે પહોંચેલો કવિ રિલ્કે ‘(ઓહો, તો તમે આ લોકોના પ્રેમપત્રની વાત કરો છો? અમને તો એમ કે…’ આ ‘કે’ પછીનો ભાગ ભારે અસહ્ય છે, માટે વાક્ય નથી પૂરું કરી શકાયું.) – આ બે વચ્ચે પદ્યમાં ચાલેલો પત્રવ્યવહાર હમણાં હાથે ચઢ્યો. છેલ્લાં પાંચેક વરસથી રિલ્કેનું નામ જાહેરમાં હોઠે નથી આણ્યું. મુગ્ધતા હમેશાં વિદગ્ધોને હાથે હાંસીપાત્ર નીવડે છે. આથી, ભયનો માર્યો, એ નામ હોઠે લાવતો જ નહોતો. બાકી દોસ્તોની મંડળીમાં બેસીને રિલ્કેની કવિતા અમર્યાદપણે માણતો રહ્યો છું. વળી કેટલીક કવિતા, એ શ્રેષ્ઠ છે માટે નહીં, પણ અંગત રુચિને સન્તોષતી હોવાથી ગમે છે. 1926માં તો રિલ્કે મરણ પામે છે. 1925ના પાછલા ભાગમાં, મૃત્યુના પડછાયા વચ્ચે બેસીને, એ અઢાર વર્ષની કન્યાના મુખર પ્રેમાલાપને, સ્વસ્થ છતાં ઉષ્માહીન બન્યા વિના, સાંભળે છે. નવેમ્બર 1925માં એરિકા રિલ્કેને પહેલી અને છેલ્લી વાર મળવા આવે છે. 24મી ઓગષ્ટ, 1926ને દિવસે રિલ્કે જર્મન ભાષામાં પોતાની છેલ્લી કવિતા એરિકાને ઉદ્દેશીને લખે છે ત્યારે તો એને મૃત્યુની ઝાંખી થઈ ગઈ હોય છે :

Over the Nowwhere the Everywhere is outspread!

મુગ્ધ પ્રેમના ઉદયને સ્વસ્થતા, સમભાવ, વાત્સલ્ય, વિષાદ (હવે શબ્દો નથી જડતા – ઘણા ઘણા ભાવ છે, પણ આપણી ભાષા રાંકડી છે) – આ બધાંની મિશ્ર લાગણીથી તાટસ્થ્યપૂર્વક જોઈને એનું રૂપ જે રીતે રિલ્કેએ આ કાવ્યમાળામાં આંકી આપ્યું છે તેનો સ્વાદ મને ગમે છે – ખૂબ ભાવે છે. રિલ્કેની આ મહાન કવિતા નથી. વ્યક્તિઓને ઉદ્દેશીને લખાયેલી અસંખ્ય કવિતાઓને રિલ્કેએ, પોતાના જીવનકાળ દરમિયાન, પ્રસિદ્ધ કરી જ નહોતી. રિલ્કેના મરણ પછી પચ્ચીસ વર્ષે જર્મન ભાષામાં એ પહેલી વાર પ્રસિદ્ધ થઈ. કાવ્યની પ્રસિદ્ધિ વાલેરી કે રિલ્કે જેવા કવિઓ માટે સાવ નગણ્ય વસ્તુ છે. રિલ્કેના સમર્થ અનુવાદક લાઇશમેને આ બાબતનો ઉલ્લેખ કરતાં નોંધ્યું છે :

Publication seems to have become a more and more secondary, perhaps even a more irrelevant consideration, the important thing was to be and to remain a poet.

પ્રસિદ્ધ હોવું તે નહિ, પણ કવિ હોવું અને કવિત્વને અખણ્ડ રાખવું તે રિલ્કે જેવા સર્જકને માટે મહત્ત્વની વસ્તુ હતી.

રિલ્કેનો પ્રેમ વિશેનો ખ્યાલ જુદો જ હતો. એને મન લગ્ન એટલે પતિપત્નીના એકાન્તની એકબીજાને હાથે થતી રક્ષા. એની સ્ત્રીમિત્રોની સંખ્યા ઘણી મોટી હતી. કેટલીક વાર આવો કોમળ હૃદયનો માણસ, માર્થે જેવી સ્ત્રીના સમ્બન્ધમાં, અકારણ નિષ્ઠુર બની જતો હોય એવું પણ કોઈકને લાગે. પણ એના જીવનનો એક માત્ર વ્યવસાય કવિ બનવાનો હતો. રિલ્કેએ પોતે આ વિશે એકરાર કરતાં કહ્યું છે :

My passionateness is not in love but in insight. And my patience is not the patience of love, but of insight.

રિલ્કે આ સન્દર્ભમાં બીજા બે શબ્દો પ્રયોજે છે : ઇનસીઇંગ અને હાર્ટસ્કેપ. એને મતે કવિની પ્રતિભાનું અનિવાર્ય લક્ષણ તે આ ઇનસીઇંગ. આ દૃષ્ટિની વિશિષ્ટતા શી છે? એનું સ્વરૂપ શું? રિલ્કેની સમજ કંઈક આવી હતી : આ સૃષ્ટિને કેવળ પોતાની વ્યક્તિગત ચેતનાના કેન્દ્રેથી જોવી નહીં, પણ વિશ્વની સમસ્ત વસ્તુઓના કેન્દ્રમાં પ્રવેશીને એનું રૂપ પ્રત્યેક ક્ષણે રચતા રહેવું તે કવિને માટે અનિવાર્ય છે. હું એક પંખીને જોઉં છું તે મારી વિશિષ્ટ માનવીની ચેતનાના કેન્દ્રમાં રહીને જોઉં છું. એથી મને પંખીનો ખ્યાલ નથી આવતો, પંખીને નિમિત્તે મારો જ ખ્યાલ આવે છે. પણ પંખીનું પંખી હોવાપણું જ્યાંથી શરૂ થાય છે તે કેન્દ્રેથી જોવાની મારામાં શક્તિ હોવી જોઈએ. પંખીને સરજી ચૂક્યા પછી જે બિન્દુએ રહીને ઈશ્વર એના પંખીપણાની સમગ્રતાને જોઈ લે છે તે બિન્દુએ રહીને મારે જોવું જોઈએ. વસ્તુમાત્ર એના કેન્દ્રે રહીને કવિની પ્રતીક્ષા કર્યા કરે છે. કવિ એ કેન્દ્રે પહોંચીને સૃષ્ટિને જુએ ત્યારે કવિની અને સૃષ્ટિની સત્તા તીર્થવતી બને છે. આ સિવાય બીજા કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ કવિને ઊણું પડે.

એરિકાને પણ એણે આ દૃષ્ટિએ જ જોઈ. અઢાર વર્ષની કન્યા પોતાની કાવ્યરચનાઓનું પ્રથમ સંકલન રિલ્કે જેવા પ્રથિતયશ કવિને મોકલવાની હામ ભીડે છે ને એ નિમિત્તે આ પત્રવ્યવહાર શરૂ થાય છે. એરિકા લખે છે : ‘કેવળ ગીત જ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પૃથ્વીને પવિત્ર બનાવી એનું સ્વાગત કરી શકે છે. જે આનન્દમય છે તે જ અખણ્ડ છે.’ કોઈ વિદ્યાર્થિની પોતાની નોટને પહેલે પાને લખે એવી આ પંક્તિઓ છે. પણ જ્યારે એ પોતાના મનોગતને વ્યક્ત કરે છે ત્યારે એમાં સચ્ચાઈ આવે છે ને નૈસગિર્ક કાવ્યત્વનો સ્વાદ પણ એમાં ભળે છે. આપણામાં જે આ આનન્દ છે તેના પરિણામને શી રીતે નાણી જોવું? શિશુને ખોળો ભરીને માતા પામે નહીં ત્યાં સુધી શિશુના અસ્તિત્વનો એને મન શો અર્થ? અને આ આનન્દ તો સદા વર્ધમાન છે. એરિકા મામિર્ક રીતે આ અનુભવને રજૂ કરે છે. અનાજના કણસલામાં પુષ્ટ થઈ ચૂકેલો ધાન્યનો દાણો પવનની લહરના સ્પર્શે નવા વિકાસના ઇંગિતને પામીને અકળ રીતે પોતાની પુષ્ટતાને એ પૂર્ણતાની દિશામાં અગ્રસર કરવાને વિક્ષુબ્ધ બની ઊઠે છે તેના જેવી આ સ્થિતિ છે. એરિકાના જીવનને રિલ્કે આ પવનની જેમ સ્પર્શી જાય છે. આથી વિક્ષુબ્ધ થવા છતાં, એરિકા કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરે છે કારણ કે પવનના પ્રત્યેક આન્દોલને એનામાં રહેલો ‘હું’નો પુષ્ટ કણ નવી પુષ્ટતાથી સમૃદ્ધ બનવા અધીર થઈ ઊઠે છે. આ સ્થિતિને એણે ગ્લોરિયસ કન્ફ્યુઝન કહીને ઓળખાવી છે.

આપણને જે બહુ ભાવતું હોય તે બીજાની નજરે ન ચઢે તેમ સંતાડી રાખીએ, જેને આપણે ખૂબ ચાહતા હોઈએ તેનું નામ નિકટમાં નિકટના મિત્ર આગળ પણ હોઠે ન આણીએ – આવી ગુહ્યાતા પ્રેમ સાથે સંકળાયેલી જ હોય છે (કોઈક વૈષ્ણવજન એમ ઓચરતું હતું કે ભાગવતમાં ભગવત્પ્રીતિને પરમ ગુહ્યા કહી છે). એરિકા પોતાના પ્રિય કવિની વાત કોઈને કહેતી નહીં. ત્યારે તો એ કવિ જાણે પોતાની બહાર અસ્તિત્વ ધરાવતો જ નહોતો : ર્રૂે ુીીિ ૈહ સી. શી કન્યાની પ્રગલ્ભતા! પણ પછી કોઈ પરિચિત સખીએ એ પ્રિય કવિનું નામ હોઠેથી ચોરીને રોજબરોજના જીવનની ઘટમાળ વચ્ચે અટવાતું કરી મૂક્યું! એ કવિની આસપાસ સ્વપ્નોની અનેક સૃષ્ટિ રચીને ભાંગવાની રમત પણ તૂટી પડી. ફરીથી એને કવિની શોધમાં નીકળવું પડ્યું. વચ્ચે ઘણું અન્તર પડી ગયું હતું. એ અન્તરને સાંધનાર સેતુ શોધવો પડ્યો. આ ભાવ એણે વિલક્ષણ રીતે મૂક્યો છે :

can not take in that the blind

possess the sun which fails to give me light.

પોતાના સિવાયના બીજા કવિ જોડે બોલે, હસે, એની એને ખબર સુધ્ધાં પડે નહીં એનું કેટલું દુ:ખ! ‘કોઈની જોડે વાત કરતી વેળાએ તમે આ રીતે હસતા હશો એમ કલ્પીને એવું જ હાસ્ય હોઠ પર લાવવા જાઉં, પણ એ બની શકે નહીં! અત્યાર સુધી તો તમને સમયની પણ બહાર એવા સંતાડીને રાખ્યા હતા કે કોઈ શોધી શકે નહીં. એટલું જ નહીં, મને તો એમ માનવાનું ગમતું કે આ પહેલાં તમે ક્યારેય, ક્યાંય, કોઈથી બંધાયા નહોતા. પણ તમે મારી બહાર પણ નક્કર સાચા છો એ હવે જાણું છું. તો કવિ, તમારી પાનખરની આ અલસ વેળાએ તમારી અનેક વસન્તોના સંચિત ઉલ્લાસમાંથી એકાદ સ્મિતકણ મને ન આપી શકો?’ એરિકાના આ અનુનયથી પત્રવ્યવહાર શરૂ થાય છે.

રિલ્કે એના જવાબમાં લખે છે : You exist : enough. દરેકની પોતાની સત્તા સ્વયંપર્યાપ્ત હોવી જોઈએ. એટલી સમૃદ્ધિ તો અનિવાર્ય જ છે. પણ કવિએ પોતાનું મહત્ત્વનું સર્જન પૂરું કર્યું છે. એલિજીઝ અને સોનેટ લખાઈ ચૂકાયાં પછીનો આ સમય છે. સર્જક તરીકે હવે કવિને કશું કરવાનું રહ્યું નથી, માટે જ કવિના અસ્તિત્વની પણ હવે ઇતિ આવી ગઈ છે. આથી રિલ્કે કહે છે :

You exist : enough. But whether I do

is a doubt whose solving we’ll suspend.

પોતાની આ નિ:શેષતા, લગભગ શૂન્યની સ્થિતિએ પહોંચેલી નિ:શેષતા, એ રિલ્કેને મન વિષાદનો નહીં પણ સાર્થકતાનો જ વિષય હશે. એના જીવનનું લક્ષ્ય જ કદાચ એ હતું. માટે જ એ ઉમેરે છે : ‘આપણે જેને વાસ્તવિક કહીએ છીએ તે આખરે રૂપાન્તર પામીને કલ્પનામાં તદાકાર થઈ જાય છે.’ મારા આંગણામાંની આ નારિયેળી – સવારના પ્રકાશમાં એનાં પાંદડાં ચળકે છે, ત્યારે કેટલાય યોદ્ધાઓ તલવારની પટાબાજી ખેલતા હોય એવું લાગે છે; તો ઘડીક કોઈની સુવર્ણમય વાણીનો પદાન્વય ગોઠવાતો હોય એવું લાગે છે, તો ઘડીક – આપણે ક્યાં અટકીશું? વાસ્તવિકતાનો મોક્ષ ઉત્પ્રેક્ષામાં. માટે જ રિલ્કે કહે છે :

transformation’s grades all pass into

the imaginary in the end.

આથી એરિકાને એ કહે છે : ‘મરણ પામેલાઓ પૈકીનો હું અતિમૃત હોઉં તોય તારી દૃષ્ટિ મારા કેન્દ્રે રહીને મારી સત્તાને સમગ્રતયા આ રીતે સંકલિત કરી શકતી હોય તો હું તારી આગળ ઉપસ્થિત થયા વિના શી રીતે રહી શકું?’ કોઈનેય જીવતા કરવાની કે જીવતા રાખવાની આ જ એક સંજીવની વિદ્યા છે. આથી રિલ્કે કહે છે :

with your nourishment I came to be.

કવિના આ પ્રતિભાવથી એરિકા કૃતાર્થ થઈ જાય છે, પણ એ જ પળે એનો પોતાને વિષેનો સંશય પણ ઉત્કટતાએ પહોંચે છે. જીવનની છોળ ઉત્તુંગ બનીને ઊછળે છે. હવે એનામાં દીનતા રહી નથી. હવે એને માત્ર એક ઝંખના છે – કવિના માર્ગમાં ગાલીચાની જેમ બિછાઈ જવાની. એના ઉપર કવિનાં પગલાં પડે, કવિના મુખ ઉપર સ્મિત ફરકે તો બસ –

I’ll know henceforth life is blessed for me.

રિલ્કે આ આદરને વિવેકપૂર્વક સ્વીકારે છે. એ કહે છે કે આપણી અસ્તિત્વની દરિદ્રતા એવી તો હોય છે કે ક્યાંક પ્રાચુર્ય જોઈને આપણે ગભરાઈ ઊઠીએ છીએ. પ્રેમમાં આ પ્રાચુર્ય અને દારિદ્ર્ય – બંનેનો ભેગો સ્વીકાર હોય છે. આદરની અતિમાત્રા જ આદરના પાત્રને ભાંગી નાખે એવુંય ન બનવું ઘટે. રિલ્કે અર્થદ્યોતક પંક્તિ આપે છે :

Temples can calculate.

આદરની અતિમાત્રા જ આદરના પાત્રને આપણી પ્રાપ્તિના પરિઘની બહાર, નક્ષત્રોની મંડળીમાં, હડસેલી મૂકે. હરરાજીમાં બોલાતા જતા ઊંચા ભાવ સાથે રિલ્કેએ આની સરખામણી કરી છે.

એરિકા કવિના અનુકૂળ પ્રતિભાવથી વિશ્વસ્ત બને છે ને વિશ્રમ્ભપૂર્વક પૂછી લે છે : ‘મારો ભય હવે હળવો બન્યો ને મારું ભાવી તમારા ભાવી જોડે સંધાઈ ગયું એમ કહું તો તે ખોટું નહીં ને?’ આમ કહેવું એ પણ કદાચ હૃદયની નિર્બળતાનો જ ઉદ્રેક હોય એમ માનીને એ કવિની ક્ષમા યાચી લે છે. એને પ્રશ્ન થાય છે : ‘કવિની નમ્રતાને આ પ્રણયનિવેદન ભારરૂપ તો નહીં લાગતું હોય ને?’ તે પોતે શું પામી છે તેની સાચી ઝાંખી કોઈ વિરલ ક્ષણે એને થઈ જાય છે ને ત્યારે એ ભયભીત બનીને પૂછી ઊઠે છે : ‘મારાથી આ જીરવી શકાશે?’ પ્રીતિમાંથી જ્યારે ભીતિનો સ્વાદ ઊડી જાય ત્યારે પ્રીતિ અનેક ટેવ પૈકીની એક ટેવ બની જવાની અણી પર છે એમ જાણીને ચેતવું.

સમવયસ્કોની પ્રીતિ કરતાં આ પ્રીતિ જુદી છે. કવિના જીવનનો એવો મોટો અંશ છે જેમાં એરિકા નહોતી; અને કવિ નહીં હોય ત્યાર પછી પણ એરિકાનું જીવન તો ચાલુ જ રહેશે. બે છેડેના અભાવથી એરિકા બહુ અધીર બની ઊઠે છે. ભૂતકાળમાં જ્યાં જ્યાં કવિ હતા ને પોતે નહોતી તે બધા સમયખણ્ડને એ જેમ બને તેમ જલદી વર્તમાનમાં પુનરુજ્જીવિત કરી લેવા ઇચ્છે છે ને ભાવીમાં કવિના અભાવને એ કવિની મહત્તા વડે ભરી દેવા ઇચ્છે છે. રિલ્કે જેવા, કીતિર્ની ખેવનાથીય જેનું પરિમાણ મોટું છે એવી વ્યક્તિતા ધરાવનારા, કવિની મહત્તાનો પ્રચાર કરવાની આ કન્યાની ઇચ્છા કોઈકને તો નરી બાલિશતા કે ધૃષ્ટતા લાગે. ના, એમ નથી. આ મહત્તાનો પ્રચાર રિલ્કે વિનાના પોતાના ભાવીની રિક્તતાને ભરી દેવા માટે એ કરવા ઇચ્છે છે, ને સમયને હાથમાંથી સરી જતો જોઈને અધીર બનીને બોલી ઊઠે છે :

…I must hurry on the course of things

and publish all your greatness everywhere.

કવિની મહત્તાને એ નથી ઓળખતી એમ નથી, છતાં એ મહત્તા સામે દીન બનીને ઊભા રહેવાનો એની પાસે સમય નથી. કવિ તો સમુદ્ર છે (મહેરબાની કરીને શંકરાચાર્યને વચ્ચે આણશો નહીં : ‘તરંગ સમુદ્રનો છે, સમુદ્ર તરંગનો નથી.’ ભક્તિમાં જે સવળું હોય છે તે પ્રેમમાં ઘણુંખરું અવળું થઈ જતું દેખાય છે. હવે શંકરાચાર્યને એ કોણ કહે?) પણ પોતે એ સમુદ્રના તરંગ જેવી છે એમ કહેવાની દીનતા એનામાં નથી. દૈન્ય એ સાચા પ્રેમનું લક્ષણ નથી. પ્રેમની ભાષા જ અતિશયોક્તિની ભાષા છે. એક જન્મથી એને ચાલતું નથી, એ ભવોભવની વાત કરે છે. આથી આ કન્યા કહે છે : ‘તમે તો સાગર છો, ને હું એ સાગરની ઊમિર્માળાના શિખર પરની રૂપેરી કલગી છું – ક્ષણાર્ધ જેનું અસ્તિત્વ.’ કવિની મહત્તાના પ્રચારને અનુરૂપ એ પોતાના અસ્તિત્વને રૂપાન્તરિત કરી નાખવા ઇચ્છે છે. પોતાની જાતને એવી ને એવી સો ટકા સલામત રાખીને કાંઈ પ્રેમ કરી શકાય નહીં. આથી એરિકા કહે છે : ‘તમારા મન્દિરના ઘુમ્મટમાં હું ધૂપ બનીને વ્યાપી જઈશ, મારી રિક્ત જીવનરેખાને હું તમારી છબિથી ભરી દઈશ, એની આજુબાજુ હું મઢાઈ જઈશ, તમારી નિર્બાધ ગતિ માટે હું મારી જાતને માર્ગની જેમ વિસ્તારી દઈશ. તમે જ મારું લક્ષ્ય :

… you’re destination, Rome,

consummated upon seven hills.

‘તમારી નિસ્તબ્ધતાના વિશાળ પાત્રમાં હું શબ્દની જેમ વસીને તમારી સર્જનશીલ નીરવતાને વધારે ગંભીર બનાવી દઈશ. તમે મેઘની જેમ ગર્જશો ત્યારે તમારી એ ગર્જના સાથે હું પ્રાણીમાત્રમાં ભયનો કમ્પ બનીને વ્યાપી જઈશ.’

રિલ્કે આ શબ્દધોધ (કેવળ શબ્દધોધ?) ઝીલે છે – અવાક્ બનીને. કવિ નવાં નવાં રૂપોનો સર્જક છે. સર્જકે જો તુષ્ટ થઈને કહ્યું હોય : ‘માગ, માગ, જે માગે તે આપું.’ તો ‘મારું નવે રૂપે સર્જન કર’ એ સિવાય બીજું કશું કોઈ માગે ખરું? આથી જ તો એરિકા કવિને કહે છે : ‘આ પહેલાં મારું કદી કશું રૂપ હતું એ વાત સાવ ભૂલી જાવ, ગઈ કાલનો જે કાંઈ અવશેષ રહ્યો હોય તેના સાવ ચૂરેચૂરા કરી નાંખો, મને તમારે હાથે નવું રૂપ આપો. રાત્રિ વીત્યા પછી પ્રભાતે કોઈ ફૂલ પ્રાત:કાળની ધરતીને નીરખી રહે તેમ હું તમને જોયા કરવા ઇચ્છું છું. એ ધરતી પરિચિત ને નિકટની હોવા છતાં કેવી અજાણી લાગે છે! ને ફૂલ હોવા છતાં મારે પ્રભા બનીને તમારા સમસ્ત વિસ્તાર પર ભાસ્વર બનીને વ્યાપી જવું છે.’ એકીસાથે ફૂલ અને પ્રભા – કન્યાનો લોભ કાંઈ ઓછો નથી! હવે રિલ્કે જવાબ વાળે છે. એ જવાબ ઉપર પચાસ વર્ષોનો ભાર નથી. રિલ્કે કહે છે : ‘તું મને તારાં આગલાં રૂપો ભૂલી જવાનું શા માટે કહે છે? મને એનોય લોભ નહીં હોય? તેં મને એકાએક સંચિત કરી લીધો. તે શા વડે? બીજાનું આપણા મનમાં સંચિત કરેલું આ રૂપ ‘સાચું’ નથી હોતું છતાં આ heartscape જ આપણું સત્ય નથી?’ A poem must grow into a heartscape. હોપ્કિન્સે inscape અને outscapeની વાત કરી છે. કાવ્યની એક નવી કસોટી રિલ્કેએ આપી છે.

હવે મને ખૂ…બ ખૂ…બ ભાવતી પંક્તિઓ આવે છે. કવિએ એરિકાને પ્રત્યક્ષ તો જોઈ નથી, પણ એરિકા એની આગળ પ્રકટ થવા ઇચ્છે તો કેવે રૂપે પ્રકટ થાય?

But now I want your hair to be wind-blown.

Run with the wind against you, till your whole

Outline-all that you were, are, mean, -is clear :…

… A youthful body pressed against my soul.

પવનમાં ઊડતી લટ વચ્ચેથી ઢંકાતું મુખ – એની માયા જ જુદી છે. ફરી ફરી નવા રહસ્યમાં એ મુખને ઢાંકે છે, એમાં ગતિનો એક આવર્ત છે, એ આવર્તના વૃન્ત ઉપર પુષ્પની જેમ મુખ પ્રકટે છે. અને રૂપને સમગ્રતયા જાણવાની પણ એક જ રીત હોઈ શકે : પવનના જેવું ગાઢ નીરન્ધ્રસ્પર્શ આલંગિન. અવકાશની પોકળતા વચ્ચે ઊભેલી નારી તો ચારે બાજુથી ખવાઈ જાય છે, ભુંસાઈ જાય છે. એકીસાથે એ રૂપની બધી રેખાને સામટી સ્પર્શગોચર કરવી હોય તો, ઉપર કહ્યું તેવું, આલંગિન જ એકમાત્ર ઉપાય છે – એથી ઊણું કશું પરવડે નહીં. એમાં ત્રણેય કાળ ખીચોખીચ સમાઈ જાય છે, સહેજ સરખો અવકાશ બચતો નથી. રિલ્કેએ આ પંક્તિમાં આંકેલી છબિ ફરી ફરી મનશ્ચક્ષુ આગળ લોભપૂર્વક રમાડ્યા કરવી ગમે છે. પવન પાસેથી પ્રેમીને ઘણું શીખવાનું છે. પ્રતિકૂળ દિશાનો પવન એ પ્રીતિને માટે કેવી તો અનુકૂળ આબોહવા છે!

એરિકાએ પોતાને ‘સાગરની ઊમિર્માળાના શિખર પરની રૂપેરી કલગી’ કહીને ઓળખાવી હતી. રિલ્કેને intensity અનિવાર્ય હતી. આ intensityને સમજાવતાં એણે અન્યત્ર કહ્યું છે :

It is the depth-dimension of our inwardness.

ઊમિર્માળાના શિખર પરની આ કલગી વધુ રૂપેરી ક્યારે બને? કોઈ ખડક સાથે અથડાય ત્યારે જ ને? કાંઠા પર કોકડું વળીને વિલોપાઈ જતાં ભંગુર ફીણ અને આ રૂપેરી કલગી – એ બે વચ્ચે એરિકા શું પસંદ કરે? રિલ્કે પોતે તો, જીવનના સન્ધ્યાકાળે પણ, ઉન્મત્ત સાગર બનવાનું જ પસંદ કરે છે, કારણ કે

… where the highest, wildest wave advances

gleams the most lovely silver crest of all.

એરિકા આ બધાંથી અભિભૂત થઈને પૂછી ઊઠે છે : ‘ુરચા ુૈનન ર્બસીર્ ક ારૈજ?’ આનો અંજામ શો આવશે? આના કરતાં તો

… it were better had I not been born

and better if I had not heard your name.

આ સ્થિતિ જ કદાચ પ્રણયની પરાકાષ્ઠા હશે. હવે કાને પડતા શબ્દો બધા અશ્રુતવર્ગ લાગે છે. એનો કશો અર્થ નથી, એની જોડે ઢીંગલીની જેમ રમવું ગમે છે. પવનના જેવા ઉદ્દણ્ડ હર્ષશોકને એ અધીન બનીને સુખ અનુભવે છે. આ શબ્દો કદીક મિનારાની જેમ ઊંચા ને ઊંચા વધે છે, તો કદીક પુષ્પોથી ઘેરાયેલી કુટીર જેવા લાગે છે. શબ્દોનાં આવાં અનેક રૂપ જોઈને એરિકા આનન્દવિહ્વળ બની ઊઠે છે.

દૂરથી આવતી પવનની લહેરની અપેક્ષામાં માથું સહેજ એક તરફ ઝુકાવીને આપણે ઊભા હોઈએ તેમ રિલ્કે એરિકાની પ્રતીક્ષા કરે છે. એ લહેરને મુખેથી સંગીતની શ્રુતિ પણ વીણી શકાય, ને એ પવન આવતાંની સાથે એકબીજામાં ગૂંથી રાખેલા હાથ, એકાએક, આલિંગનને માટે આપોઆપ પહોળા થઈ જાય, રિલ્કે કહે છે કે પ્રણયની આ સ્થિતિમાં અગ્નિ અને હિમનું દૃઢ આલિંગન હોય છે. દૂરથી વહી આવતા ઉજ્જ્વળતાના પ્રવાહની કવિને ઝાંખી થાય છે ને એ પૂછે છે :

Is this brilliance coming from you

Or from God, as he mocks away?

પવનની ઝડીની જેમ કવિ જયારે પ્રિયતમાના દ્વાર સાથે પછડાય છે ત્યારે પ્રિયતમા પ્રત્યુત્તરમાં પ્રકાશની એક નિર્મલ લકીર સ્વાગતમાં રમતી કરી દે છે. કવિના અન્તરંગમાં પ્રિયતમા ધીમે ધીમે વૃદ્વિ પામે છે :

… you season in the

longest of my years, dark day, bright night.

પ્રિયતમાના શબ્દોને ફૂલના ગુચ્છાની જેમ ખીલી ઊઠવાને કવિ પોતાના હૃદયની કુંવારી ધરતી આપે છે; એ પંખીઓ કેવળ ગીત ગાય છે. માળો બાંધવાની એમને કશી પડી નથી. એમાંથી એકાદ શુદ્ધ ટહુકાર પોતાને માટે સુરક્ષિત રાખવાનું કવિ પ્રિયતમાને કહે છે.

આ ક્ષણે કવિને શૈશવની સ્મૃતિ જાગે છે, જીવનના બે ધ્રુવ ભેગા થાય છે. બે ધ્રુવને એક પ્રસારમાં સમેટી લેવાનું ગજું પ્રેમ સિવાય બીજા કોનું હોઈ શકે? રિલ્કેની મહત્ત્વની કવિતાનો વિશેષ એના શૈશવની સ્મૃતિનાં કાવ્યોમાં રહેલો છે. દિવસ પૂરો થવા આવ્યો છે, પણ રાત હજી પડી નથી. આ બે વચ્ચેનો ગાળો બાળકોને બહુ મૂંઝવનારો હોય છે. એ જાણે કેમે કરી ખૂટતો નથી. રમતો પૂરી થઈ છે, પણ ઘરમાં દીવા પ્રગટ્યા નથી. ક્રીડાંગણ અને ઘરની વચ્ચે રઝળવાનો આ ગાળો છે. વૃદ્ધિગત વયનો ભાર ઘૂંટણોના સાંધામાં વરતાય છે. કશા સંરક્ષણ વિનાનો આ અનાગતની નરી પ્રતીક્ષાનો ગાળો છે. ભાવીમાં પોતે જે થશે તે અને આજનું આ અમર્યાદ અસ્તિત્વ (શૈશવમાં અસ્તિત્વ કાંઠા તોડીને છલકાય છે) – એ બે વચ્ચે કેટલાંય મરણની છાયાઓ તરતી હોય છે. સ્વાધિકારમત્ત પ્રેમ અણજાણપણે એની ત્રિજ્યાઓ શૈશવની આજુબાજુ વિસ્તારે છે ને એ રીતે ભાવી પરનો અધિકાર ધીમે ધીમે ઝૂંટવી લે છે.

સાંજની એ ધૂંધળી આભામાં પોતાને વિશે જ શંકિત બનીને આપણે કેટલીયે વાર આપણી જાતને પૂછતા હતા : આ કોણ? પછી તરત જ મોટેરાંઓ પાછાં વળે, ઘર એમના કોલાહલથી ભરાઈ જાય. બારી, બારીમાંથી દેખાતો રસ્તો, પોતાને આપેલા ઢાળિયાનાં ખાનાંની અંધારિયા વાસ (ઘરમાં અન્ધકારની કેવી ગન્ધ આવતી? રસોડાનો અન્ધકાર, પૂજાની ઓરડીનો ચન્દનઅચિર્ત અન્ધકાર, સૂવાના ઓરડાનો લપસણો અન્ધકાર, એના પરથી સહેજ સહેજમાં ઢળી પડાય) – આ બધું ચારે બાજુથી ઊભરાઈ ઊઠે. એની ભીડથી ઠેલાઈને બાળપણનો કેટલો બધો સમય બહાર ફેંકાઈ જતો! ક્યાં ગયો એ સમય? આ દરમિયાન જ ઉપરનું ગ્રહમંડલ એની ભાવી પ્રીતિનો નક્શો દોરતું હોય છે. એ નકશાની રેખાઓ વચ્ચે જ એક દિવસ આ ભોળું હૃદય ગૂંચવાઈ જઈને તરફડી ઊઠશે! ત્યારે પેલું શૈશવ આંબાપીંપળી રમેલા તે બે ડાળની વચ્ચે ઝૂલતું પાછળ રહી ગયું હશે!

આથી કવિ એરિકાને ચેતવી દે છે : પ્રેમનો પ્રાસાદ ખડો કરવા માટે મારી ભૂમિની અપેક્ષા રાખતી હોય તો જાણી લે કે એ તો અત્યન્ત ગુપ્ત છે. એને તું શોધી શકીશ? તારા લોહીને એની કશી એંધાણી મળી નથી? અને સાહસ વગર પ્રીતિ સંભવે? –

Venturesome child, you’re never safe unless

you’re risking all.

વળી પ્રેમનું લક્ષ્ય પ્રેમ નથી. આથી એરિકા પોતાને એના જીવનનું લક્ષ્ય માને કે સેતુ માને તે રિલ્કેને મંજૂર નથી. પોતે તો માત્ર ઉદ્ઘોષ કેટલો પ્રચણ્ડ હોઈ શકે તેની ખાતરી કરી આપવા પૂરતું, એ ઉદ્ઘોષને ઉચ્ચારનાર મુખ બનવાનું જ પસંદ કરે છે. એરિકાને એના પ્રેમની પ્રચણ્ડતાની, પોતાને નિમિત્તે, પ્રતીતિ થાય તો બસ. નહીં તો પ્રિયતમાના પુષ્પોદ્યાનમાં પવનની આછી લહર કે પછી વર્ષાના જલબિન્દુનો નીરવ નિપાત – આટલું માત્ર બની રહેવા ઇચ્છે છે. અહીં કવિની અનાસક્તિ આપણા ચિત્તમાં આદર ઉપજાવે છે. પછી રિલ્કે, પોતાને પ્રિય એવા દૃષ્ટાન્ત દ્વારા, ઉમેરે છે :

or, in freest moments, of a sudden,

both : the catcher and the ball.

કવિએ કરેલો વર્ષાના જલબિન્દુનો ઉલ્લેખ એરિકાને કહેવા પ્રેરે છે : ‘માથે વર્ષાનું જળભર્યું વાદળું ઝળૂંબ્યું હોય ત્યારે જે શાન્તિથી નીચેનાં ખેતર એના વરસવાની પ્રતીક્ષા કરતાં હોય છે એવી શાન્તિથી તમે મારા જીવનમાં વરસો એની હું પ્રતીક્ષા કર્યા કરીશ.’ કવિએ પવનની લહરની પણ વાત કરી છે. ‘જો પવનની લહર બનીને આવવું હોય તો ભલે, એ રીતે આવો, મારા પ્રત્યેક તૃણાંકુરને તમારા સ્પર્શે કૃતાર્થ કરીને આકાશ ભણી ઉન્મુખ કરી દો.’ પણ પ્રીતિના આકસ્મિક પ્રાચુર્યની ભીતિ તો આ ગભરુ કન્યાના હૃદયમાંથી ગઈ નથી, માટે એ કહે છે :

Don’t come too strongly…

Don’t showering, lay me with too strong a fall,…

કવિ આ ક્ષણે જ એરિકાને આસન્ન વદાયનું ભાન કરાવી દેવા ઇચ્છે છે. આપણા દરેક મિલન પર વિરહની છાયા પડેલી જ હોય છે. રિલ્કેએ અન્યત્ર કહ્યું છે :

Anticipate all farewell.

પ્રેમીઓનું દરેક મિલન કેવળ પ્રીતિના પાઠ શીખવે છે એવું જ માત્ર નથી. એની સાથે સાથે ભાવી વિરહને ઓળખવાનું પણ શરૂ થઈ ચૂક્યું જ હોય છે. મળીને છૂટા પડતી વેળાએ ‘આવજો ત્યારે’નું પ્રલમ્બ બનીને હૃદયમાં વિસ્તરતું શબ્દશૂળ ધીમે ધીમે આપણને આત્યન્તિક વિરહની મર્મઘાતક વેદનાનો પરિચય કરાવતું જ રહે છે. આમ મિલન અને વિરહના નાના નાના ખણ્ડોને જોડવાથી જ પ્રેમની સાચી ભાત ઊપસી આવે છે. એમાં મિલનની પડછેનો વિરહ જ એના વિરોધની પ્રખરતાની દ્યુતિથી મિલનને ઓર અજવાળે છે. આપણી સર્વ સદ્ભાગી સુખદ ઘડીઓ વિરહની પળે હવાને વીંઝીને ધસી જતા તીરની તીવ્રતાને પામે છે. શૈશવની એક સ્મૃતિ સાથે રિલ્કે આ અનુભવને સાંકળી દે છે : બાળપણમાં સંતાકૂકડી રમતાં ત્યારે જાતે પસંદ કરેલી જગ્યાએ પોતાની જાતને સ્વેચ્છાથી બરાબર સંતાડી દીધી હોવા છતાં એકસાથે ‘રખે ને મને એ શોધી કાઢે’ તથા ‘રખે ને મને કોઈ ન શોધી કાઢે તો?’ આવી બે પ્રકારની ભીતિથી આપણે કેવાં વિહ્વળ બની ઊઠતાં! પ્રીતિમાંય આવું જ હોય છે. એક બાજુ tension of hiddenness અને બીજી બાજુ w conspiratorial one-ness – આ બેની સંતુલિત અવસ્થા, નટના દોર જેવી તંગ, તે પ્રેમની અવસ્થા છે. પકડાઈ જતી વેળાએ જે પાણિગ્રહણ – jubilant grab – નો સુખદ અનુભવ થાય છે તેની સાથે જ આપણી પ્રકટતાનો અતિરેક પણ અસહ્ય નીવડે છે.

પણ પ્રીતિમાં લુબ્ધતા સર્વથા વર્જ્ય છે. એ અકરાંતિયાવેડાને રિલ્કે morsel of murder કહીને ઓળખાવે છે. કેટલીક વાર આ લુબ્ધતાની તીવ્રતા જ તિરસ્કારને પ્રેમને રૂપે દેખાડવાની વંચના કરે છે. પ્રેમમાત્રમાં અન્તે તો અપ્રાપ્તિ રહેલી જ છે. પ્રેમમાં જે શક્ય છે તે tender-close otherness. આપણી અત્યન્ત નિકટ છતાં સ્વમાં અભિન્નપણે ભળી ગયેલું નહીં એવું કોઈક બીજું છે એનું મૃદુતાભર્યું સુખદદુ:ખદ ભાન – બસ, આટલે આવીને તો અટકવું જ પડે છે. પણ આ પ્રાપ્તિ – જે અપ્રાપ્તિના પાત્રમાં છલકાઈ ઊઠે છે – બસ નથી? રિલ્કે તો તુષ્ટ છે. કોઈ આપણા જીવનની નમતી સાંજે એના સુન્દર ઉદયને પ્રકટ કરે ત્યારે ઉદયની કાન્તિથી અસ્ત પણ મણ્ડિત થઈ ઊઠે. આથી રિલ્કે કૃતાર્થતાનો ઉદ્ગાર કાઢે છે :

Here lies reads the graveyard stone,

Here lives is put over me :

so beautifully you happen,

I want to be.

કબરના પથ્થર પર ‘અહીં અન્તિમ નિદ્રામાં પોઢ્યો છે’ને સ્થાને ‘અહીં તેનું જીવન ધબકે છે’એમ લખાય એટલું બધું પરિવર્તન આ પ્રેમે આણી દીધું છે. ઉલ્લાસનો કદાચ સૌથી સાચો ઉચ્ચાર I want to beમાં છે. અપ્રાપ્તિના પાત્રમાં આપણી આ પ્રાપ્તિના અતિરેકનું છલકાઈ ઊઠવું એ જ આપણા પ્રેમને દ્યુતિમય બનાવે છે. પ્રેમનું આરોહણ દૂરતાના ઉત્તુંગ શિખર પર જ થતું હોય છે, ને એ દૂરતા વચ્ચે પ્રીતિની મુખચ્છવિ પ્રકટે છે ત્યારે એના પર કશીક અપૂર્વ દ્યુતિ દેખાય છે :

when silently you breathe in space

and show the distances your face,

and they congratulate you.

કવિની પ્રીતિએ આણેલા પરિવર્તનથી હવે તો આ કન્યા દર્પણમાં પોતાનું મુખ જોવાની પણ હિંમત કરી શકતી નથી. કવિની ભૂમિમાં એણે પગ મૂકી દીધો છે, ને એ ભૂમિ તે જીવનની પારની ભૂમિ છે. એ અકળાઈને પૂછી ઊઠે છે : ‘કેવળ તમારી સાથેનું સમ્બન્ધસૂત્ર એ એક જ મારે માટે સાચું હોય તો પછી આ જગતમાં તમારા સિવાયનું આટલું બધું નાહક શા માટે ખડકી માર્યું છે?’ પણ આ અસહ્યતાની વેદના છતાં કવિની નજરે ચઢ્યાનો જે ચમત્કાર, તેનું સુખ કાંઈ ઓછું નથી.

પ્રીતિ બન્ધન ન બને એવો રિલ્કેએ સદા આગ્રહ રાખ્યો છે. જે સમ્બન્ધનું સૂત્ર છે તે બન્ધનનું સૂત્ર ન બને એમ એ તરત કહે છે :

No, you shall not fall a prey to me

in those sultry rooms where love is made…

પ્રીતિવશ બનેલાના હૃદયની ઉત્કટ ઝંખના એ પોતે જ કેવી સુન્દર છે એટલું જ કવિ તો ચીંધવા ઇચ્છે છે. પણ પ્રેમ પ્રેમી આગળ અટકીને પછડાય છે એ એની કરુણતા છે. એ તો પ્રેમીનેય ઉલ્લંઘી જાય છે. આ પૂર્ણતાને રિલ્કે આ રીતે વર્ણવે છે :

… like ripened figs, we’ve rose to hide

nothing but dark green must show.

આપણાં પ્રીતિપાત્રને પ્રીતિમાં જ અગ્રસર કરવું એ સિવાય બીજું આપણે શું કરીએ?

What else could I do but pass you on?

‘હું સદા તારો છું.’ એ પ્રીતિનું સૌથી મોટું જૂઠાણું છે. ‘સદાનો તારો’ થઈ જવાની પળે ખસી જઈને પ્રીતિની ગતિને નિર્બાધ રાખવી તેમાં જ સાચી સાર્થકતા છે. પ્રીતિમાં છઠ્ઠી વિભક્તિનો લોપ ન થાય તો એ પ્રીતિ શેની? માટે કવિ કહે છે :

I am one who’s only in the right

when withholding; who’s no-one’s possession.

હૃદય સાથે હૃદયને જકડી દેવામાં નરી ભીંસાભીંસ છે. પણ પ્રાપ્તિની ક્ષિતિજોને વિસ્તારીને, એના ચક્રપથને કોઈ બીજા જ વાયુમણ્ડલમાં જઈને દૂરથી જોઈએ તો એનું દ્યુતિમય રૂપ પ્રકટ થાય. રિલ્કેને મન પ્રીતિની એ ચરમ સ્થિતિ છે. તંગ પણછની સન્નદ્ધતા જો અસ્તિત્વનો પર્યાય બની ચૂકે તો પછી આપણને જે કાંઈ અડે તે દૂર દૂર સુધી વિસ્તર્યા વિના ન રહે. મૂઠીની સખત પકડ નહીં પણ તંગ પણછની સન્નદ્ધતા તે પ્રીતિની ઉત્કટતાનું સાચું લક્ષણ છે. પ્રીતિની આ ઉત્કટતાને કયા શબ્દો પહોંચી વળે –

with life so tremulous what speech were fitted?

માટે કવિ કહે છે :

Be silent, then.

હવે ભય પામવાની પણ જરૂર નથી. આપણાથી અણજાણપણે આપણી આજુબાજુ કાંઈ કેટલીય શક્તિઓનાં વર્તુળ વિસ્તર્યે જતાં હોય છે. કેન્દ્રસ્થ રહેવાની દૃઢતા હોય તો વિસ્તારથી છળી ન મરીએ. પોતે વર્ષાની જેમ વરસીને કોઈનું જીવન આપ્લાવિત કરી દઈ શકે એવો દાવો કવિને કરવો નથી. વાદળ નહીં, પણ વાદળની છાયા બનીને કોઈકની વિસ્તરતી પ્રભાની ઓથે ઊભા રહી થોડીક ટાઢક આપવાનું જ કદાચ બની શકે. પવનની લહર નહીં પણ એક ફૂલ પરથી બીજા ફૂલ પર ઊડતા પતંગિયાની નાજુક પાંખનું pure to-and-froing over – નર્યું અહીંથી તહીં ઊડાઊડ કરવું – બસ, કવિ હૃદયો વચ્ચે આટલું જ કરી શકે. ફૂલનો હાર ગૂંથવો પણ પછી બે ડગલાં ચાલતાં જે પહેલું ઝરણું વહેતું મળે તેના પ્રવાહમાં પધરાવી દેવો, તો વરમાળા ફાંસો નહીં બને. સૂત્ર જેવો અર્ક ધરાવતી પંક્તિમાં કવિ કહે છે :

Pass all things on, lose nothing that has been.

જે સમૃદ્ધિ આવી મળી છે તેને જેનું મુખ પણ દીઠું નથી એવાના પર પણ ન્યોચ્છાવર કરી દેવાનું હૃદયને શીખવો. મુખ જોવાનીય શરત શા માટે? આ નક્ષત્રમણ્ડલ દૃષ્ટિ સમક્ષથી સરી ન જાય માટે ખૂબ છેટે સરી જઈને એના પર મીટ માંડવી જોઈએ.

પ્રીતિની આ સ્થિતિ આ કન્યાના ગજા બહારની વાત છે. એ પોતે તો પોતાની શક્તિ વડે પોતાનું રક્ષણ કરી શકે એમ નથી. કવિના આધારની એને જરૂર છે, માટે એ કવિને પ્રાર્થે છે :

My own strength can’t protect me,

I fade in a breath or two,

if you do not collect me,

the clear, creative you.

‘કવિ તમે જો ઇચ્છ્યું હોત તો મને સાત રંગોમાં વિભક્ત કરીને તમારી કીતિર્ની જેમ વિખેરી દીધી હોત. પણ તમે મને અતૂટ રાખી. હું એકમાત્ર શ્વેત સંવાદિતારૂપે સંચિત થઈને ટકી રહી.’

કવિ કહે છે : ‘સાત રંગોની સમૃદ્ધિની બાદબાકી કરીને શ્વેતની સંવાદિતાનો લોભ ન રાખવો, પણ એ સાત રંગો સમૃદ્ધિને બદલે નરી જટિલતા બની રહેતા હોય તો એને શ્વેતના તેજબાણે વીંધીને શ્વેતમય કરી નાંખવા એ જ ઠીક. ને તને હું શી રીતે બાંધી રાખું? તું પુષ્પની સૌરભ જેવી – તને વિસ્તરવા દેવી એ જ ઠીક. હું તંગ પણછ બનું તોય તીર બનીને તારે જ દૂર ગતિ કરવાની રહેશે. હું, બહુ તો, દૂરની દિશા ચીંધનાર નિશાન માત્ર છું. માર્ગને પોતાના પ્રકાશથી નવડાવનાર સૂર્ય તો તારે જ થવાનું છે. સૂર્ય પોતે રસ્તા પર ઊતરી આવતો નથી, વળી પોતે જેને પ્રકાશિત કરે છે તે માર્ગને એ પોતે કદી વાપરતો નથી. એની સેવા જ માત્ર અવતરે છે. પ્રીતિમાં આવી સૂર્યવૃત્તિ રાખવી.’ કવિના દર્શનની ઝંખના કન્યાને છે. કવિ એને બહુ ઉત્તેજવા ઇચ્છતા નથી. એથી તો કદાચ આ મનોરમ ચમત્કાર ભાંગી પડે. ‘તારી નાડીનો ધબકાર સાંભળી શકું છું, તો શું તું અહીં, પાસે જ નથી?’ પછી ઉમેરે છે :

About your place or mine, why should we care?

whenever you receive me inwardly,

startled as by some future memory :_

am I not there?

કન્યાની ભીતિ દૂર કરવા માટે કવિ કહે છે : ‘દુ:સ્વપ્નમાં જે પશુઓ આવીને તને ભડકાવી મારે છે તેને જો હું એ ભીતિની અંદર ઓગળી જઈને નક્ષત્રોનાં પરિમાણનાં બનાવી દઉં તો ભીતિ જ દ્યુતિ નહીં બની રહે? આપણી નિદ્રાની આજુબાજુ આકાશની પાંખની ઉષ્માભરી છાયા હોય છે, ત્યારે આખું વિશ્વ પડખામાં લઈને આપણે પોઢ્યા હોઈએ છીએ. ત્યાં ભીતિને માટે અવકાશ જ ક્યાં રહ્યો!’ બે પરિમાણ વચ્ચેની વિસંગતિ જ ભય ઉપજાવે છે. પરિમાણ સુધારી લેતાં આવડે તો પછી ભય શેનો?

આ વિશ્વને કેટલું આપણું કરી શક્યા તેનું જ સરવૈયું આખરે તો કાઢવાનું રહે. ગુલાબની સુવાસ આપણી સુવાસ બની રહે તો જ ગુલાબ આપણામાં વસતું થાય. હવામાં જે આ ભાર છે તે સુવાસનો છે કે સ્મૃતિનો છે? આ હવા આપણને ક્યાં હરી લઈ જાય છે? કવિ ઝંખે છે : તારા હાથમાંથી આવતી સુવાસ કેવી છે તે જો મેં એકાદ વાર જાણ્યું હોત, તું જે શાલ ઓઢે છે તેની વાસની જો મને ખબર હોત, તારા વાળની વાસ કેવી મૃદુ છે તે મેં જાણ્યું હોત તો – પણ આજે તો,

Look how to-day the rose’s scent,

this air-pervading sentiment

separates us!

તેમ છતાં કવિ કેટલીક વાર એટલી બધી નિકટતા અનુભવે છે કે એમનાથી કહેવાઈ જાય છે :

Almost at times the beating of your heart

has been like knocking at my door.

કવિએ પોતે પણ પોતાની ઝંખનાને સંયત કરી લીધી છે. દરેક હૃદય પોતપોતાની રાત્રિની નિસ્તબ્ધતામાં પોતાનો આગવો સૂર ઘૂંટી લે તે જ ઇષ્ટ છે એમ એને લાગે છે. કવિમાત્ર પોતાની અંદર રહેલા એક અજ્ઞાત સાથી જોડે સંધાયેલો હોય છે. એને શોધવાની રમત તો જિંદગીભર ચાલ્યા જ કરે છે.

પણ એરિકા તો કૃતાર્થ થઈ ચૂકી છે. કવિએ એવું તે એને શું આપ્યું છે કે જેથી એ પોતાનો આત્મા નવેસરથી કવિને હાથે ઘડાય એવું ઇચ્છી બેઠી? એના જવાબમાં એ કહે છે :

… Out of himself I saw him lift

the world into my trembling hands…

કવિએ તો પોતે ક્ષણ ક્ષણની ધીરજથી, પોતાના અન્તરંગમાં, ઘડેલું આખું વિશ્વ જ એના હાથમાં મૂકી દીધું. પણ એના હાથમાંથી એ સરી પડ્યું. એને ઉપાડવાનું એનું ગજું શું? તો પછી? હાથમાં રહ્યું શું? નર્યું શૂન્ય, હાથમાં જાણે ક્યારેય કશું જ નહોતું! તો પછી એ જીવે છે શાને આધારે? જે મળ્યું તેના સતત સ્મરણથી થતાં રુદન વડે, અને એ પોતાનાથી કદી ભૂલી નહીં શકાય એવા આનન્દ વડે.

એરિકામાં રહેલા કવિનો વિકાસ જોઈ રિલ્કે તુષ્ટ થાય છે. શબ્દો બોલવાનું જોખમ ખેડવું એ કાંઈ જેવી તેવી વાત નથી. દરેક શબ્દને વિસ્તરવાને કેટલો બધો અવકાશ જોઈએ, ને આપણી પાસે એ હોય છે ખરો? કવિને હવે માંદગીના દુ:ખનો અનુભવ થાય છે. એ રોગનું રૂપ હજી પરખાયું નથી, છતાં એને નકારી શકાય એમ નથી. પણ આ

… almost-illnesses are worse to bear…

પંખીને ઊડતાં ઊડતાં કશોક ભાર લાગે ને એથી એની પાંખ ઝૂકી જાય, કે ગ્રહો ગતિ કરતાં કરતાં એ ગતિને દોરનાર બળના ભારથી ઘડીભર પોતે જે વિરોધી તત્ત્વોના બન્યા છે તેની વચ્ચેના વિરોધના ભારથી સહેજ થંભી જાય તેના જેવી આ સ્થિતિ છે. કેટલીક વાર મૌનનો ભાર એવો હોય છે. કવિનું મૌન આવું છે.

એરિકા કવિનું આ દીર્ઘ કાળનું મૌન પોતે તોડ્યું તે બદલ ક્ષમા યાચતાં કહે છે :

…Bear no ill will

because I break a silence of such length.

રાત્રિની શેતરંજના પટ પર ગતિ કરતા પ્યાદાના જેવી એરિકાના હૃદયની ગતિ છે. કદીક પ્રગલ્ભ, કદીક ભીરુ. પણ કવિને મન પ્રીતિ તે તારા અને તારા વચ્ચે હોય છે તેવો કોસ્મિકલ સમ્બન્ધ છે. પ્રિયતમાનું ગીત એની સાથે કેટલા બધા અવકાશને લઈ આવે છે, ને કવિના મૌનને એ અવકાશથી સભર બનાવી દે છે! હવે કવિને પોતાનો રોગ પરખાતો જાય છે ને એની યાતના વર્ણવતાં કહે છે :

by slow degrees I sank into a wound,

which does not heal as I don’t know where to,

and stand it, I stand in my own blood,

in my blood’s torture-bath.

પણ આનો વિષાદ તારે કરવાનો ન હોય :

… drown the moaning

now with your youth.

આપણા સમસ્ત સર્જનમાં મૃત્યુનો હાથ અકળ રીતે રહ્યો હોય જ છે. કવિની નિદ્રાહીન દર્દની યાતનાભરી રાતો – ત્યારે એ એરિકાને પૂછે છે : એકનો ટકોરો… પછી ચારનો ટકોરો, ચારે બાજુ આપણામાં છે તેવું અંધારું, ને એની અંદર અવાક્ બનીને બેઠેલો સમય. આવી વેળાએ તારી શય્યા પાસે કયું પુસ્તક પડ્યું હોય છે?

પણ હવે કવિ કશું પૂછવા ઇચ્છતા નથી :

I don’t ask. Asking has a selfish aim.

હવે તો કવિની માત્ર એટલી જ ઇચ્છા છે કે

you lightly sense

the brushing wing-tip of my tenderness…

વદાયના વિષાદનો શિલાભાર કવિ કોઈના હૃદય પર ચાંપવા ઇચ્છતા નથી. ચાલ્યા જતી વેળાએ સહેજ સરખો જવાનો અણસાર સ્પર્શે એટલે બસ. હવે કવિને પોતાનો અન્ત દેખાવા લાગ્યો છે. જેણે બીજાને જળ સીંચીને પોષ્યા તેનો ઝરો હવે ખૂટી ગયો છે. પણ જીવનને કે મરણને ગ્લાનિથી આવકારાય નહીં, મરણને તો નહીં જ. ને રિલ્કેનો તો કવિધર્મ praisingનો જ હતો. એને તો થાક, કંટાળો કે ગ્લાનિ પરવડે નહીં. ઉત્સાહ વિના પ્રશંસા સંભવે? આ જે ભાર લાગે છે તે તો merely through homing-weight. છેલ્લી કવિતામાં કવિ અર્ધવિરામ, અલ્પવિરામ વાપરતા નથી. બંગાળીઓ કહે છે તેમ કવિ હવે ‘પૂર્ણચ્છેદ’ – પૂર્ણવિરામની નજીક છે. ખોઈને પામેલું હૈયું જ આપણું સાચું બને છે. કવિને પ્રશ્ન થાય છે : આપણે દડો ઊંચે નાખીએ છીએ ત્યારે હાથને એનું જે વજન લાગે છે તે જ વજન એ ઊંચેથી પાછો વળીને આપણા હાથમાં આવે છે ત્યારે હોય છે ખરું? કે પછી એમાં ઘર ભણી પાછા વળવાનું ર્રસૈહય-ુીૈયરા ઉમેરાયું હોય છે? આમ કહીને કવિ કદાચ એમ કહેવા ઇચ્છે છે કે જીવનની અન્તિમ વેળાએ વિષાદનો કે મરણનો ભાર એમને લાગ્યો નથી, મરણનું પણ એમણે ગ્લાનિથી સ્વાગત કર્યું નથી. આ તો માત્ર ઘર તરફ પાછા વળતી વેળાએ જે ગતિ વધી જાય છે તેનો સહેજસરખો ભાર છે.

એરિકાની છબિ મેં જોઈ નથી. રિલ્કેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું, પણ સોહામણા પુરુષ તરીકે કદાચ એને ન ઓળખાવાય, પણ પ્રેમના અન્તરંગનું આ ઊઘડેલું સૌન્દર્ય જોવું મને ગમ્યું છે.

ક્ષિતિજ : 6-1962

*

License

જનાન્તિકે Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.